મુસ્લિમ તહેવાર ઈદ પર પોતાની નવી ફિલ્મ ‘સિકંદર’ને (Sikandar) લઈને બૉલીવુડ અભિનેતા સલમાન ખાન (Salman Khan) હાલ ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝની સાથે જ સલમાન ખાન વિવાદોમાં ઘેરાયેલો પણ જોવા મળ્યો હતો. જોકે, વિવાદ ઊભો કરનારા હતા કટ્ટરપંથી ઇસ્લામીઓ (Radical Islamists). કારણ કે, સલમાન ખાને રામ જન્મભૂમિ સ્પેશ્યલ એડિશનની એક ઘડિયાળ (Ram Janmabhoomi Special Edition Watch) પહેરી હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે જ હવે સલમાન ખાનને હિંદુ (Hindu) ધર્મ અપનાવવા માટેનું આમંત્રણ મળ્યું છે. મધ્ય પ્રદેશના એક સંતે આ આમંત્રણ આપ્યું છે.
વિગતે વાત કરીએ તો મધ્ય પ્રદેશના ઇન્દોરના મહામંડલેશ્વર શ્રીરામગોપાલદાસ મહારાજે સલમાન ખાનને હિંદુ ધર્મ અપનાવવા માટેનું આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જો સલમાન ખાન હિંદુ ધર્મ અપનાવે તો રાજવાડામાં તેમના સન્માનમાં એક ભવ્ય કાર્યક્રનું આયોજન કરવામાં આવશે. સાથે એ પણ નોંધવા જેવું છે કે, સલમાન ખાનનો જન્મ ઇન્દોરમાં જ થયો હતો અને હવે હિંદુ ધર્મ અપનાવવા માટેનું આમંત્રણ પણ ઈન્દોરમાંથી જ આવ્યું છે.
રામ જન્મભૂમિ સ્પેશ્યલ એડિશનની ઘડિયાળ પહેર્યા બાદ તૂટી પડ્યા હતા ઇસ્લામવાદીઓ
સલમાન ખાનને લઈને ચાલી રહેલા વિવાદની શરૂઆત કટ્ટરપંથી ઇસ્લામીઓએ કરી હતી. કારણ માત્ર એટલું હતું કે, સલમાન ખાને અયોધ્યા રામ જન્મભૂમિ સ્પેશ્યલ એડિશનની એક ઘડિયાળ પહેરી હતી. જેમાં ભગવાન રામ, રામ મંદિર અયોધ્યા અને ભગવાન હનુમાનજીના ચિત્રો પણ દર્શાવવામાં આવ્યા હતા. આ ઘડિયાળ સાથેના ફોટા તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કરતા કટ્ટરપંથી ઇસ્લામીઓ ભડકી ઉઠ્યા હતા અને સલમાનને ગાળો ભાંડવા લાગ્યા હતા.
See you in theatres this Eid! pic.twitter.com/XlC2xFkIQ0
— Salman Khan (@BeingSalmanKhan) March 27, 2025
માત્ર આ ઘડિયાળના કારણે ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતે પણ સલમાન ખાન પર હુમલો કર્યો હતો. જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ સલમાનને શરિયતનો ગુનેગાર ગણાવી દીધો હતો. સોશિયલ મીડિયા પર પણ ઇસ્લામવાદીઓએ સલમાન ખાન પર પ્રહારો કર્યા હતા અને તેને ‘હરામ’ ગણાવ્યું હતું. હાલ પણ ઇસ્લામી કટ્ટરપંથીઓ સલમાન ખાનની પાછળ પડ્યા છે. કટ્ટરપંથી મુસ્લિમોએ આરોપ લગાવ્યો હતો કે, 1992માં બાબરી માટે ઘણાએ જીવ આપ્યા અને આ રામ જન્મભૂમિની ઘડિયાળ પહેરી રહ્યો છે.
શું છે તે ઘડિયાળ અને ક્યારે પહેરી હતી સલમાન ખાને?
તાજેતરમાં સલમાન ખાનના કેટલાક ફોટો વાયરલ થયા હતા, જેમાં તે ભગવા રંગની ઘડિયાળ પહેરેલો જોવા મળ્યો હતો. તેણે જે ઘડિયાળ પહેરી છે, તે જૈકબ એન્ડ કંપનીની લિમિટેડ એડિશન છે. ઘડિયાળમાં અયોધ્યાનું રામ મંદિર અને હનુમાન ગઢીના બજરંગબલી પણ જોવા મળી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાનને આ ઘડિયાળ તેના અમ્મી સુશીલા ચરક એટકે કે સલમા ખાને ભેટ કરી છે. દુનિયાભરમાં તેની માત્ર 49 ઘડિયાળો છે અને તેમાંની એક સલમાન પાસે છે.
સલમાને જે કંપનીની ઘડિયાળ પહેરી છે, તે કંપનીના માલિકનું નામ જૈકબ અરાબો છે. જૈકબ બુખારિયન યહૂદી છે, જેને ઇઝરાયેલનું સમર્થન કરવા બદલ વારંવાર ઇસ્લામી કટ્ટરપંથીઓ નિશાન બનાવે છે. વધુમાં માહિતી એવી પણ સામે આવી છે કે, આ ઘડિયાળની કિંમત ₹34 લાખ છે. યહૂદી વ્યક્તિની કંપનીએ આ ઘડિયાળ બનાવી અને સલમાન ખાને પહેરી તો ઇસ્લામી કટ્ટરપંથીઓ ભડકે બળ્યા છે અને હાલ પણ તેનો વિવાદ ચાલી રહ્યો છે.