Sunday, March 8, 2026
More
    હોમપેજદેશ‘ગર્ભગૃહમાં જ્યાં ભગવાન રામલલા બિરાજમાન, ત્યાં એક ટીપું પણ પાણી નથી ટપક્યું’:...

    ‘ગર્ભગૃહમાં જ્યાં ભગવાન રામલલા બિરાજમાન, ત્યાં એક ટીપું પણ પાણી નથી ટપક્યું’: રામ મંદિરને લઈને થઈ રહેલા દાવા વચ્ચે મંદિર ટ્રસ્ટે જણાવી સાચી હકીકત

    વાતનું વતેસર થતું જોઇને અંતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આ મામલે વાસ્તવિકતા સામે લાવવી પડી હતી. ટ્રસ્ટ દ્વારા આ આખા મુદ્દામાં X પર એક થ્રેડ મૂકીને માહિતી આપવામાં આવી હતી.

    - Advertisement -

    છેલ્લા 2 દિવસથી મીડિયા અને સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે અયોધ્યામાં પ્રભુ શ્રીરામના નિર્માણધીન ભવ્ય મંદિરમાં પહેલાં જ વરસાદમાં પાણી ટપકવા લાગ્યું. તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે રામ મંદિરના ગર્ભગૃહમાં નિકાસ વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ભરાઈ ગયું છે. આ દાવા મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસના એક નિવેદન બાદ કરવામાં આવ્યા હતા. જોકે હવે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આ મામલે ચોખવટ કરતાં વાસ્તવિકતા સામે આવી છે અને તમામ દાવા પાયાવિહોણા સાબિત થયા છે.

    વાસ્તવમાં 2 દિવસ પહેલાં અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે ANI સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભગવાનના નિર્માણધીન મંદિરમાં પ્રથમ વરસાદ પડતાંની સાથે જ પાણી ટપકવા લાગ્યું છે. તેમના આ નિવેદન બાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં તેમનો વિડીયો વાયરલ થઈ ગયો. મુદ્દો એ હદે ઉછળ્યો કે અનેક લોકોએ વહેતી ગંગામાં હાથ ધોવાનું વિચારીને અવનવા દાવા કરવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકોએ તો રામ મંદિરના નિર્માણ કાર્યમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો પણ વહેતી કરી. વામપંથી ટોળકી, કેટલાક રાજકીય પક્ષો તેમજ મીડિયા હાઉસોએ આ મામલે અનેક દાવા કર્યા.

    મંદિર ટ્રસ્ટે જણાવી વાસ્તવિકતા

    વાતનું વતેસર થતું જોઇને અંતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આ મામલે વાસ્તવિકતા સામે લાવવી પડી હતી. ટ્રસ્ટ દ્વારા આ આખા મુદ્દામાં X પર એક થ્રેડ મૂકીને માહિતી આપવામાં આવી હતી. ટ્રસ્ટે આ થ્રેડના માધ્યમથી જણાવ્યું હતું કે, “જ્યાં ભગવાન રામલલા બિરાજમાન છે, ત્યાં છત પરથી એક ટીપું પણ પાણી નથી ટપક્યું અને ગર્ભગૃહમાં પણ ક્યાયથી પાણી નથી પ્રવેશ્યું. ગર્ભગૃહમાં આગળ ગૂઢમંડપ છે. ત્યાં મંદિરના બીજા માળની છતનું નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ લગભગ 60 ફૂટ ઉંચો ઘુમ્મટ જોડાશે અને છત બંધ થઈ જશે. આ મંડપને અસ્થાયી રૂપે પ્રથમ માળના તળ પર જ ઢાંકીને દર્શન કરાવવામાં આવી રહ્યા છે. દ્વિતીય માળ પર પિલરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. સામાન્ય રીતે પથ્થરોથી બનતા મંદિરમાં વીજળી માટે ક્ન્ડ્યુટ તેમજ જંકશન બોક્સ લગાવવામાં આવે છે. તેને છત પર હોલ કરીને અંદર ઉતારવામાં આવે છે જેનાથી મંદિરમાં છત પર લાઇટિંગ માટે વીજળી મળી રહે છે.”

    - Advertisement -

    ટ્રસ્ટે ટેકનિકલ માહિતી આપતાં આગળ જણાવ્યું કે, “આ ક્ન્ડ્યુટ તેમજ જંકશન બોક્સ ઉપરના ફલોરિંગ દરમિયાન વોટર ટાઈટ કરીને તળીયે બંધ કરી દેવામાં આવે છે. મંદિરના પ્રથમ માળમાં વીજળી, વોટરપ્રૂફિંગ તેમજ ફલોરિંગનું કાર્ય પ્રગતિ પર છે, આ કામ હજુ પૂર્ણ નથી થયું, માટે જંકશન બોક્સમાં પાણી પ્રવેશ્યું અને ક્ન્ડ્યુટમાં થઈને તળિયા પર પડ્યું. જોવામાં તેમ લાગતું હતું કે છતમાંથી પાણી ટપકી રહ્યું છે. પરંતુ વાસ્તવમાં પાણી ક્ન્ડ્યુટની પાઈપમાં થઈને તળિયા પર આવી રહ્યું હતું. ઉપરોક્ત કાર્ય ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે, પ્રથમ માળના ફલોરિંગને સંપૂર્ણપણે વોટરપ્રૂફ બનાવવામાં આવશે અને તેમાંથી કોઈ પણ જંકશનમાં પાણી નહીં પ્રવેશી શકે. જેથી કરીને ક્ન્ડ્યુટ મારફતે પાણી તળિયા પર એકઠું નહીં થાય.”

    વરસાદી પાણીના નિકાલ માટે ઉત્તમ વ્યવસ્થા: રામ મંદિર ટ્રસ્ટ

    શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે મંદિર તેમજ પરકોટામાં વરસાદી પાણીના નિકાલ માટે ઉત્તમ પ્રબંધ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આખા પરિસરમાં વરસાદી પાણી માટે ઝીરો વોટર ડિસ્ચાર્જ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસરમાં વરસાદી પાણી વોટર રિચાર્જ પીટ બનાવવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટે તેમ પણ જણાવ્યું હતું કે મંદિર નિર્માણનું કાર્ય ભારતની પ્રતિષ્ઠિત ટાટા તેમજ L&T કંપનીના ઈજનેરો તેમજ યશસ્વી પરંપરા અનુસાર નિર્માણકાર્ય કરતા સીબી સોમપુરા, આશિષ સીમ્પુરા તેમજ અનુભવી શિલ્પકારોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે, આથી નિર્માણ કાર્યની ગુણવત્તામાં કોઈ જ ઉણપ નહીં હોય તેમ ટ્રસ્ટે જણાવ્યું છે.

    શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે વધુમાં જણાવ્યું હતું કે, “ઉત્તર ભારતમાં લોખંડનો ઉપયોગ કર્યા વગર માત્ર પથ્થરોથી મંદિર બનાવવાનું કાર્ય પ્રથમ વાર થઈ રહ્યું છે. આ કારણે જ અસલ જાણકારીનો આભાવ હોવાનું જણાઈ રહ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટનો પ્રયાસ છે કે ભક્તોને સમયસર સાચી જાણકારી મળતી રહે.”

    મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે, “આપ તમામને નિવેદન છે કે શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ કાર્ય સંબંધિત કોઈ પણ માહિતી માટે માત્ર શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધિકૃત સંવાદ માધ્યમો દ્વારા પ્રસારિત જાણકારી પર જ વિશ્વાસ કરવામાં આવે.” આટલી વિગતો પરથી સ્પષ્ટ છે કે ખરેખર સ્થિતિ શું છે. એ પણ નોંધવું જોઈએ કે રામ મંદિરનું નિર્માણકાર્ય હજુ પ્રગતિમાં છે. માત્ર ગર્ભગૃહ અને આસપાસનો વિસ્તાર બનીને તૈયાર થયો હતો, જેમાં જાન્યુઆરીમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. સમગ્ર મંદિર અને તેના પરિસરનું કામ ડિસેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં