Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણ‘આજે દેશમાં મજબૂત સરકાર, આતંકીઓને ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે’: ઉત્તરાખંડમાં PM...

    ‘આજે દેશમાં મજબૂત સરકાર, આતંકીઓને ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે’: ઉત્તરાખંડમાં PM મોદીએ કહ્યું- હવે ભારતનો તિરંગો યુદ્ધક્ષેત્રમાં પણ સુરક્ષાની ગેરેન્ટી બની જાય છે

    સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, “આજે દેશમાં એવી સરકાર છે, જેણે છેલ્લાં 10 વર્ષમાં ભારતને પહેલાંની સરખામણીએ અનેકગણું મજબૂત બનાવી દીધું છે.”

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (11 એપ્રિલ) ઉત્તરાખંડ પહોંચ્યા હતા, જ્યાં ઋષિકેશમાં તેમણે વિશાળ જનસભા સંબોધી હતી. અહીં સંબોધન કરતાં તેમણે કહ્યું કે, આજે દેશમાં એવી સરકાર છે, જે રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ કરતી નથી અને આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે. 

    સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું, “આજે દેશમાં એવી સરકાર છે, જેણે છેલ્લાં 10 વર્ષમાં ભારતને પહેલાંની સરખામણીએ અનેકગણું મજબૂત બનાવી દીધું છે.” આગળ તેમણે કહ્યું કે, “જ્યારે-જ્યારે દેશમાં નબળી અને અસ્થિર સરકારો રહી છે ત્યારે-ત્યારે દુશ્મનોએ ફાયદો ઉઠાવ્યો છે. જ્યારે ભારતમાં નબળી અને અસ્થિર સરકારો હતી ત્યારે આતંકવાદીઓએ પગપેસારો કર્યો, આજે ભારતમાં મોદીની મજબૂત સરકાર છે.”

    તેમણે આગળ કહ્યું, “આજે મજબૂત સરકાર છે એટલે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે. આજે ભારતમાં મજબૂત સરકાર છે એટલે જ ભારતનો તિરંગો યુદ્ધક્ષેત્રમાં પણ સુરક્ષાની ગેરેન્ટી બની જાય છે. આ ભાજપની મજબૂત સરકાર જ છે, જેણે સાત દાયકા બાદ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરવાનું સાહસ કર્યું. આ ભાજપની સરકાર જ છે, જેણે ત્રણ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો. આ ભાજપની જ સરકાર છે, જેણે મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં અનામત અપાવ્યું. આ ભાજપની જ સરકાર છે, જેણે સામાન્ય વર્ગના ગરીબોને પણ 10 ટકા અનામત આપ્યું.” 

    - Advertisement -

    નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં વિદેશી અખબાર ‘ધ ગાર્ડિયન’નો એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે ભારતીય એજન્સીઓએ પાકિસ્તાનમાં સક્રિય લગભગ 20 જેટલા આતંકવાદીઓને મરાવી નાખ્યા હતા. આ માટે UAEમાં R&AWના એજન્ટો સક્રિય હોવાનો પણ દાવો કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ એજન્સીઓ વડાપ્રધાન મોદીને સીધી રીતે રિપોર્ટ કરતી હતી. 

    આ રિપોર્ટ બાદ રક્ષામંત્રી રાજનાથ સિંઘનું પણ એક નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓ જો પાકિસ્તાન ભાગી જશે તો અમે ત્યાં ઘૂસીને પણ મારીશું. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ આતંકવાદી પાડોશી દેશમાંથી ભારતમાં અશાંતિ સર્જવાના પ્રયાસ કરશે, અહીં આતંકવાદી હરકતો કરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. જો પાકિસ્તાનમાં ભાગી ગયો તો પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું.”

    હવે પીએમ મોદીએ ફરી દેશના કડક વલણ વિશે વાત કરતાં કહ્યું છે કે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવામાં આવે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં