રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઇકોસિસ્ટમ ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાનું તૂત ચલાવવા માટે વોટ ચોરીના આરોપો લગાવતા રહે છે, પણ એક પછી એક તમામ કકડભૂસ થતા જાય છે. તાજેતરમાં અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’એ એક અહેવાલ મારફતે દાવો કરવામાં આવ્યો કે મહારાષ્ટ્રમાં એક વ્યક્તિએ બે જુદાં-જુદાં ઠેકાણે બે વખત મતદાન કર્યું હતું. આ દાવાને પછીથી સ્વઘોષિત પત્રકાર રાજદીપ સરદેસાઈએ હવા આપી. પરંતુ ઑપઇન્ડિયા જ્યારે આ વ્યક્તિ સુધી પહોંચ્યું તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું.
પહેલાં એ જાણીએ કે ‘ધ હિન્દુ’એ પોતાના અહેવાલમાં શું દાવો કર્યો.
અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર, પનવેલ વિધાનસભા બેઠક પર વોટર ડુપ્લિકેશનના કેસ જોવા મળ્યા. મહાવિકાસ આઘાડીના ઉમેદવાર બલરામ પાટીલે દાવો કર્યો કે મતદાર યાદીમાં હજારો નામો એવાં હતાં, જે એકથી વધુ વખત નાખવામાં આવ્યાં હતાં. રિપોર્ટમાં પ્રદીપ પોરાજી નામની એક વ્યક્તિનો ઉલ્લેખ કરીને દાવો કરવામાં આવ્યો કે તેમનું નામ બે વખત છે, EPIC કાર્ડ પણ બે છે અને તેમણે બે જુદાં-જુદાં મતદાન મથક પર મત આપ્યો હતો.
આ પ્રોપગેન્ડાને પછીથી રાજદીપ સરદેસાઈએ હવા આપી.

પોરાજી અને અન્ય પર ડબલ વૉટિંગનો આરોપ લગાવતાં રાજદીપ સરદેસાઈએ X પર લખ્યું કે, મહારાષ્ટ્રના પનવેલમાં વિપક્ષી ઉમેદવારે ડુપ્લિકેટ વોટરોના ‘નક્કર’ પુરાવા આપ્યા છે અને સૌથી મહત્ત્વનું એ છે કે બલરામ પાટીલે ‘પુરાવા’ સાથે ચૂંટણી પહેલાં ફરિયાદ કરી હતી, પણ અધિકારીઓએ કોઈ કાર્યવાહી ન કરી. આગળ તેઓ કહે છે, “મહારાષ્ટ્ર SEC અને ECI વધુ સમય મૌન ન રહી શકે. તેમણે જવાબ આપીને આ બધી ચોખવટ કરવી પડશે. મતદાર પ્રક્રિયાની વિશ્વસનીયતા હવે દાવ પર છે.”
રાજદીપે જોકે બીજી વખત આવું કર્યું છે. આગળ તેમણે ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટનો ઉપયોગ રાહુલ ગાંધીના આરોપો આગળ ધપાવવા માટે કર્યો હતો, પણ એ રિપોર્ટ જ તેના ફેક્ટચેક માટે પૂરતો હતો.
‘ધ હિન્દુ’ અને રાજદીપના દાવાઓનું સત્ય જાણવા માટે ઑપઇન્ડિયા પ્રદીપ પોરાજી સુધી પહોંચ્યું. તેમણે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે, આ બધા જ આરોપો ખોટા છે અને પોતે એક જ વખત પોતાના ગામમાં મત આપ્યો હતો.
‘મેં ગામમાં જ મત આપ્યો હતો’
તેઓ કહે છે, “મેં મારા ગામમાં જ મત આપ્યો હતો અને એ છે ધનસર ગામ. મારો પરિવાર ધનસરમાં જ રહે છે. મારું ઘર જ ત્યાં છે.” પોતાનું નામ અન્ય ગામમાં પણ ઉમેરવામાં આવ્યું હોવાના આરોપો તેમણે નકારી દીધા.
Article shared by @sardesairajdeep Rajdeep Sardesai quotes the defeated MVA candidate of Panvel constituency accusing one Pradeep Poraji of voting at two places. Pradeep spoke exclusively to OpIndia and expressed shock and anger over such charges.
— OpIndia.tv (@OpIndia_tv) August 25, 2025
Another #VoteChori allegation… pic.twitter.com/McfGl474FC
તેમણે મતદાર યાદી સુધારણાના ચૂંટણી પંચના અભિયાનનું સમર્થન કર્યું અને કહ્યું કે, એ બિલકુલ યોગ્ય પ્રક્રિયા છે. જેમનાં નામો એક કરતાં વધારે વખત હોય તેને દૂર કરવાં જોઈએ.
આરોપો વિશે કહ્યું કે, મતદાન કરતી વખતે શ્યાહી લગાવવામાં આવે છે. જેથી ડબલ વૉટિંગનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. એ શ્યાહી પણ એવી હોય કે બહુ જલ્દીથી સાફ થતી નથી.
‘આરોપો માનહાનિ, ચૂંટણી પંચને ટાર્ગેટ કરવા મારા નામનો દુરુપયોગ’
મીડિયા કવરેજ વિશે તેઓ કહે છે કે, આ આરોપો સીધેસીધા માનહાનિ કરનારા છે. તેમણે ચૂંટણી પંચને બદનામ કરવા માટે પોતાના નામનો ખોટો ઉપયોગ થતો હોવાની પણ ફરિયાદ કરી અને કહ્યું કે આ ખોટો પ્રોપગેન્ડા સર્જવામાં આવી રહ્યો છે.
આ બનાવથી ફરી એક વખત સાબિત થયું છે કે રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આરોપોમાં કોઈ તથ્ય નથી. ભૂતકાળમાં પણ અનેક કિસ્સાઓમાં સાબિત થઈ ચૂક્યું છે. ચૂંટણીમાં મોદીને પહોંચી ન વળનારો વિપક્ષ હવે આવાં તૂત શોધીને પોલિટિકલ ઓક્સિજન શોધી રહ્યો છે.


