Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: રસ્તા પર નૂપુર શર્માના પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા, તસ્વીરો પર જોવા મળ્યા...

    સુરત: રસ્તા પર નૂપુર શર્માના પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા, તસ્વીરો પર જોવા મળ્યા જૂતાનાં નિશાન, પોલીસે શરૂ કરી તપાસ

    સુરતમાં ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના પોસ્ટર્સ રસ્તા પર ચોંટાડેલા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સુરત પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે.

    - Advertisement -

    ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરે ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલ પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણીની નાનકડી ક્લિપ ઉઠાવીને શૅર કરીને ઇસ્લામીઓને ઉશ્કેર્યા બાદ નૂપુર શર્માને સતત હત્યા અને રેપની ધમકીઓ મળી રહી છે. ઉપરાંત નૂપુર સામે દેશમાં વિવિધ ઠેકાણે FIR દાખલ કરવામાં આવી છે અને ઇસ્લામીઓ દ્વારા તેમની ધરપકડની પણ માંગ થઇ રહી છે. જેની વચ્ચે હવે સુરત સ્થિત જિલાની બ્રિજ પર નૂપુર શર્માના પોસ્ટરો અને તસવીરો જોવા મળી હતી અને તેમની ધરપકડની માંગ કરતા પોસ્ટરો લાગ્યા હતા. 

    સુરતના જિલાની બ્રિજ ઉપર નૂપુર શર્માની ધરપકડની માંગ સાથે પોસ્ટરો અને પેમ્ફલેટ ચોંટાડવામાં આવ્યા હતા તો પોસ્ટરો પર નૂપુર શર્માની તસવીરો પર જૂતાના નિશાન જોવા મળ્યા હતા. આ પોસ્ટરો હાલ ‘ટૉક ઑફ ધ ટાઉન’ બન્યા છે તો બીજી તરફ તે કોણે લગાવ્યા હશે તે મામલે ચર્ચા શરૂ થઇ ગઈ છે. 

    આ મામલે સુરત પોલીસે પણ સંજ્ઞાન લીધું છે અને સ્થાનિક પોલીસ સહિત આઈબીની ટીમે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, નૂપુર શર્માના પોસ્ટરો લગાવવા પાછળ કોનો હાથ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે વિવાદ વકર્યા બાદ અને મુસ્લિમ દેશોએ પણ વિવાદમાં ઝંપલાવ્યા બાદ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ નૂપુર શર્માને પ્રાથમિક સભ્યપદેથી બરતરફ કર્યાં હતાં. ભાજપે નૂપુર શર્માને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે તેમણે આપેલ નિવેદનો પક્ષના બંધારણ અને સ્ટેન્ડની વિરુદ્ધ હતાં, અને જેને પાર્ટી સમર્થન કરતી નથી. પાર્ટીએ નૂપુર શર્મા ઉપરાંત પૂર્વ ભાજપ નેતા નવીન જિંદલને પણ સસ્પેન્ડ કર્યા હતા.

    આ મામલો ટાઈમ્સ નાઉની એક ડિબેટથી શરૂ થયો હતો, જેમાં ઇસ્લામીઓ અને ‘લિબરલો’ દ્વારા સતત ઉડાવવામાં આવતી શિવલિંગની મજાક અને હિંદુ ધર્મના અપમાન સામે બોલતાં કહ્યું હતું કે તેઓ પણ અન્ય મઝહબોની પરંપરાઓની મજાક ઉડાવી શકે છે. વિવાદ વકર્યા બાદ પણ તેમણે કહ્યું હતું કે જો કોઈ ઇસ્લામી વિદ્વાન તેમને ખોટાં ઠેરવી શકે તો તેમને પોતાનું નિવેદન પરત લઇ લેવામાં કોઈ વાંધો નથી. જોકે, તેમ છતાં નૂપુર શર્માને મળતી ધમકીઓ ચાલુ જ રહી છે.

    નૂપુર શર્મા વિરુદ્ધ ત્રણ મુખ્ય FIR દાખલ કરવામાં આવી છે. પહેલી FIR 29 મેના રોજ સંદિગ્ધ ઇસ્લામિક સંગઠન રઝા એકેડમીની ફરિયાદના આધારે મુંબઈમાં દાખલ કરવામાં આવી હતી. જે મામલે તેમને હાલ સમન્સ પાઠવવામાં આવ્યા છે બીજી FIR મુંબઈના એક મોહમ્મદ ગુરફાનની ફરિયાદના આધારે કરવામાં આવી છે અને ત્રીજી FIR હૈદરાબાદમાં દાખલ કરવામાં આવી છે, જે અંગેની જાણકારી AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી દ્વારા સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી હતી.

    બીજી તરફ, દિલ્હી પોલીસે નૂપુર શર્માની ફરિયાદના આધારે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. નૂપુર શર્માને મળી રહેલી ધમકીઓને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે મામલે દિલ્હી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં