Tuesday, April 29, 2025
More
    હોમપેજદેશ‘રાષ્ટ્રીય સુરક્ષા માટે પેગાસસ સ્પાયવેરના ઉપયોગમાં કશું ખોટું નથી’: સુપ્રીમ કોર્ટે નિષ્ણાતોની...

    ‘રાષ્ટ્રીય સુરક્ષા માટે પેગાસસ સ્પાયવેરના ઉપયોગમાં કશું ખોટું નથી’: સુપ્રીમ કોર્ટે નિષ્ણાતોની સમિતિના ટેકનિકલ રિપોર્ટને જાહેર કરવાનો કર્યો ઇનકાર, કહ્યું- આ અહેવાલ નથી જાહેર ચર્ચા માટેનો દસ્તાવેજ

    2021માં, એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકારે આ સૉફ્ટવેરનો ઉપયોગ પત્રકારો, રાજકારણીઓ, સામાજિક કાર્યકરો અને વિપક્ષના નેતાઓની જાસૂસી કરવા માટે કર્યો હતો.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) પેગાસસ જાસૂસી સૉફ્ટવેર (Pegasus Spyware) સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં 29 એપ્રિલ, 2025ના રોજ સુનાવણી હાથ ધરી હતી. આ કેસમાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે પેગાસસ સૉફ્ટવેરના ઉપયોગ અંગેનો ટેક્નિકલ રિપોર્ટ જાહેર નહીં કરવામાં આવે, કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે કોઈ દેશ દ્વારા જાસૂસી સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ તેનો ઉપયોગ કોની સામે થાય છે તે મહત્વનું છે. આ મામલે આગામી સુનાવણી હવે 30 જુલાઈ, 2025ના રોજ થશે.

    29 એપ્રિલ, 2025ના રોજ થયેલી સુનાવણી દરમિયાન, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટિશ્વર સિંઘની બેન્ચે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે જણાવ્યું કે, “રાષ્ટ્રની સુરક્ષા સાથે કોઈ સમાધાન ન થઈ શકે. કોઈ દેશ દ્વારા જાસૂસી સૉફ્ટવેરનો ઉપયોગ કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ પ્રશ્ન એ છે કે તેનો ઉપયોગ કોની વિરુદ્ધ થઈ રહ્યો છે.”

    કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું કે ટેક્નિકલ સમિતિનો રિપોર્ટ જાહેર ચર્ચા માટેનું દસ્તાવેજ નથી. “આ રિપોર્ટ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે, અને તેને જાહેર ન કરી શકાય,” એમ કોર્ટે જણાવ્યું. જોકે, કોર્ટે અરજદારોની વ્યક્તિગત ચિંતાઓને ધ્યાનમાં લેવાની તૈયારી દર્શાવી અને જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ પેગાસસ દ્વારા તેમની જાસૂસી થઈ હોવાનો દાવો કરે છે, તો તેમની ફરિયાદનું નિરાકરણ કરવામાં આવશે.

    - Advertisement -

    શું છે સમગ્ર મામલો

    પેગાસસ, ઇઝરાયેલની એનએસઓ ગ્રૂપ દ્વારા વિકસાવવામાં આવેલું એક અદ્યતન જાસૂસી સૉફ્ટવેર છે, જેનો ઉપયોગ સ્માર્ટફોનમાં ઘૂસણખોરી કરીને કૉલ, મેસેજ, ઇમેઇલ અને અન્ય ડેટા એક્સેસ કરવા માટે થઈ શકે છે. 2021માં, એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠનના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકારે આ સૉફ્ટવેરનો ઉપયોગ પત્રકારો, રાજકારણીઓ, સામાજિક કાર્યકરો અને વિપક્ષના નેતાઓની જાસૂસી કરવા માટે કર્યો હતો.

    આ મામલે ઘણા પત્રકારો, વકીલો અને નાગરિકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેમાં પેગાસસના ગેરકાયદે ઉપયોગની તપાસની માંગ કરવામાં આવી હતી. 2021માં, સુપ્રીમ કોર્ટે આ મામલે એક ટેક્નિકલ સમિતિની રચના કરી હતી, જેને પેગાસસના ઉપયોગની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સમિતિએ તેનો રિપોર્ટ સીલબંધ લિફાફામાં કોર્ટને સોંપ્યો હતો.

    સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત અને ભૂતપૂર્વ ન્યાયાધીશ આર.વી. રવિન્દ્રનના નેતૃત્વ હેઠળની નિષ્ણાત સમિતિએ 2022માં તેમના તારણો રજૂ કર્યા. સમિતિએ 29 મોબાઇલ ઉપકરણોની તપાસ કરી અને કોઈપણમાં પેગાસસના કોઈ નિર્ણાયક પુરાવા મળ્યા નહીં, જોકે પાંચ મોબાઈલમાં અન્ય માલવેરના નિશાન મળી આવ્યા. મહત્વપૂર્ણ વાત એ છે કે, સમિતિએ નોંધ્યું હતું કે ભારત સરકારે તેની તપાસમાં મદદ કરી નથી.

    કેન્દ્ર સરકારે આ મામલે રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપવાની વાત કરી છે. સરકારે કોર્ટમાં દલીલ કરી કે પેગાસસના ઉપયોગ અંગેની વિગતો જાહેર કરવાથી દેશની સુરક્ષાને નુકસાન થઈ શકે છે. સરકારે એમ પણ જણાવ્યું કે આવા સૉફ્ટવેરનો ઉપયોગ આતંકવાદ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે લડવા માટે જરૂરી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે ‘દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ’ને અસર કરતો કોઈપણ રિપોર્ટ ગુપ્ત રહેશે. આ કેસની આગામી સુનાવણી 30 જુલાઈના રોજ થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં