Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆખરે ધ્વસ્ત થઇ દાહોદની નગીના મસ્જિદ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી વળ્યું...

    આખરે ધ્વસ્ત થઇ દાહોદની નગીના મસ્જિદ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી વળ્યું પાલિકાનું બુલડોઝર: શનિવારે મળસ્કે કાર્યવાહી કરાઈ

    મસ્જિદ ટ્રસ્ટીઓને તેમનો દાવો સાબિત કરવા માટે યોગ્ય દસ્તાવેજો રજૂ કરવા માટે શુક્રવાર સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તેઓ કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. 

    - Advertisement -

    દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પહોળા કરવાના હોઈ આખા નગરમાંથી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં નગરની મધ્યમાં આવેલી નગીના મસ્જિદ પણ હટાવવામાં આવનાર હોઈ છેલ્લા અઠવાડિયાથી વિવાદ ચાલી રહ્યો હતો. આખરે પાલિકાએ આ મસ્જિદ પર બુલડોઝર ફેરવી દીધું છે. શુક્રવારે મધ્યરાત્રિએ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

    દાહોદના અંજુમન દવાખાના રોડ પર આવેલી નગીના મસ્જિદ દબાણમાં હોઈ તેને દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસે કામગીરી માટેની તૈયારીઓ શરૂ કરતાં સ્થાનિક મુસ્લિમો ફરી વળ્યા હતા અને આખી મસ્જિદ નહીં પરંતુ માત્ર 6 ફુટ જેટલું જ દબાણ હોવાના દાવા કરીને જાતે જ તેટલું દબાણ હટાવી દીધું હતું. જોકે, આખી ઇમારત જ દબાણમાં હોવાના કારણે તંત્ર પણ અડગ રહ્યું હતું પરંતુ મસ્જિદ ટ્રસ્ટીઓને તેમનો દાવો સાબિત કરવા માટે યોગ્ય દસ્તાવેજો રજૂ કરવા માટે શુક્રવાર સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તેઓ કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. 

    સમયમર્યાદા પૂર્ણ થઇ જતાં શુક્રવારે સાંજથી જ દાહોદમાં તંત્રે તૈયારીઓ કરવા માંડી હતી અને રાત્રિ સુધીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ, મસ્જિદ તરફ આવતા તમામ રસ્તાઓ બંધ કરીને ત્યાં બેરિકેડ મૂકી દેવાયાં હતાં. ઉપરાંત, ખૂણે-ખૂણે ચાંપતો બંદોબસ્ત ગોઠવીને બુલડોઝર સહિતનાં વાહનો તેમજ પાણીનો મારો કરવા માટેની પણ વ્યવસ્થા કરી દેવાઈ હતી. આ દરમિયાન 450 પોલીસ કર્મચારીઓ, દાહોદ પ્રાંત અધિકારી, દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર, બે ડીવાયએસપી અને 20 વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ખડેપગે હાજર રહ્યા હતા.

    - Advertisement -

    ત્યારબાદ વહીવટી તંત્રના અધિકારીઓએ પણ પહોંચીને સ્થળ નિરીક્ષણ કરી વ્યવસ્થાઓ જોયા બાદ મળસ્કે પોણા ચારે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બે બુલડોઝર અને અન્ય વાહનોની મદદથી ગણતરીની મિનિટમાં મસ્જિદ જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. 40થી 45 મિનિટમાં દબાણ દૂર કર્યા બાદ રાત્રે જ કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. 

    નગીના મસ્જિદનો વિવાદ ગુજરાત હાઇકોર્ટ પણ પહોંચ્યો હતો અને ટ્રસ્ટીઓએ આ કામગીરી પર રોક લગાવવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, દબાણ કરનારાઓના કોઈ લીગલ રાઇટ્સ હોતા નથી. 

    ઉલ્લેખનીય છે કે હાલ દાહોદમાં મોટાપાયે દબાણ હટાવવાની કામગરી હાથ ધરવામાં આવી છે. જે હેઠળ દબાણમાં આવતાં બાંધકામો દૂર થઇ રહ્યાં છે. જોકે હિંદુ વિસ્તારોમાં જ્યાં દબાણ છે ત્યાં લોકો સ્વયંભૂ દબાણ હટાવી રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં