Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ઘરવાપસી કરાવું છું એટલે આવાં કાવતરાં થઇ રહ્યાં છે': બાગેશ્વર ધામના મહંતે...

    ‘ઘરવાપસી કરાવું છું એટલે આવાં કાવતરાં થઇ રહ્યાં છે’: બાગેશ્વર ધામના મહંતે આરોપોના જવાબ આપ્યા, કહ્યું- હિંદુઓની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું કોઈ કામ નહીં કરું

    જે લોકો ધર્મની વિરુદ્ધ છે તેઓ આ બધું કરી રહ્યા છે. આ એ જ લોકો છે જેમણે ભગવાન રામ અને અયોધ્યાના અસ્તિત્વનો પુરાવો માંગ્યો હતો. દર વખતે સનાતની સાધુઓને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે: મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી

    - Advertisement -

    બાગેશ્વર ધામ અને તેના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના કથિત ચમત્કારો માટે વિવાદમાં છે. તેમની ઉપર સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લાગ્યો છે. બીજી તરફ, બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા અંધશ્રદ્ધા ફેલાવવાના આરોપોને કાવતરું ગણાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ હિંદુઓને ઘરવાપસી કરવી રહ્યા છે, જેના કારણે કેટલાક લોકોને તકલીફ થઈ રહી છે.

    બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા આ સમગ્ર વિવાદને લઈને કહેવામાં આવ્યું છે કે, “જે લોકો ધર્મની વિરુદ્ધ છે તેઓ આ બધું કરી રહ્યા છે. આ એ જ લોકો છે જેમણે ભગવાન રામ અને અયોધ્યાના અસ્તિત્વનો પુરાવો માંગ્યો હતો. દર વખતે સનાતની સાધુઓને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જ્યારથી અમે હિંદુઓની ઘરવાપસી કરાવી છે ત્યારથી આ લોકોને મુશ્કેલી થઈ રહી છે. અમે છતારીની કથામાં જાહેરાત કરી હતી કે અમારી વિરુદ્ધ ષડયંત્ર થશે. પરંતુ અમે તેમનાથી ડરતા નથી. તેઓ પોતપોતાની જગ્યાએ બોલતા રહે છે. તેઓ તેમની જગ્યાએ ભસી રહ્યા છે.”

    તેમણે એમ પણ કહ્યું છે કે, “સનાતનીઓ સનાતન માટે જાગી રહ્યા છે. આનો પુરાવો એ છે કે ધર્મના વિરોધીઓ તેમનું મોઢું ચલાવી રહ્યા છે. અમે આ બધા વિશે વાત કરવાનું બંધ કરી દીધું છે. તેમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો તમને અમારા દરબારથી કોઈ સમસ્યા હોય તો આવો, જુઓ અને સમજો.”

    - Advertisement -

    મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના રાષ્ટ્રીય સંયોજક શ્યામ માનવના પડકાર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, “જ્યારે અમે 7 દિવસ (નાગપુર) ત્યાં હતા, ત્યારે તમે પડકાર કેમ ન આપ્યો? તેમણે વ્યક્તિને કેમ ન મોકલ્યો? તેણે પત્ર કેમ ન મોકલ્યો?”

    તેમણે શ્યામ માનવને જવાબ આપતા કહ્યું, “તમે અહીં (રાયપુર) પણ આવો તો કહીને આવજો. એવું ન થવું જોઈએ કે તમે અહીં આવો અને ભાગી જાઓ અને પછી કહો કે તમે અમને મળ્યા જ નહિ. આવો તો અમારા નિતેન્દ્ર ચૌબે કે કેશવ મહેતાજીને કહેજો કે અમે ફલાણા સ્થળેથી આવ્યા છીએ.”

    ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે, “અમારી પાસે કોઈ પણ પ્રકારની સિદ્ધિ નથી, પરંતુ દરબાર પર શંકાને કોઈ સ્થાન નથી. તેઓ અને તેના જેવા લોકોએ દરબારમાં આવીને બેસે અમને જે કંઈ પ્રેરણા મળશે તે અમે નિઃસંકોચ કહી દઈશું, કારણ કે અમે ન તો રૂમમાં મળીએ છીએ અને ન તો અમે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છીએ. અમે ફક્ત હનુમાનજી સાથે જોડી રહ્યા છીએ. બંધારણની કલમ 25 હેઠળ ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર છે. આપણા વડવાઓએ બંધારણનો સ્વીકાર કર્યો છે.”

    સુદર્શન ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યું, “આ લોકોએ તો ભગવાન રામને પણ છોડ્યા નથી, તો અમે તો સાવ સામાન્ય છીએ. તો અમને શાના છોડશે? અમને તેમનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. અમે બધા બસ પ્રાર્થના કરીશું કે આ લોકોની કોઈ પણ વાત સાંભળતા પહેલા એકવાર અમારી હકીકત જાણી લો. પછી તેમના પર વિશ્વાસ કરો, કારણ કે આ એક સુનિયોજિત કાવતરું છે.”

    તેમણે આગળ જણાવ્યું કે, “અમે ઘરવાપસી કરાવી રહ્યા છીએ. અને તે લોકો ધર્મ પરિવર્તન માટે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. તો પછી આપણા પર 10 કરોડ ખર્ચવામાં શું નુકસાન છે.” એવું કહેવાય છે કે ક્રિસમસના દિવસે ધીરેન્દ્ર શાસ્ત્રીએ 300 લોકોને તેમના વતન ગામ સ્થિત બાગેશ્વર ધામમાં ઘરવાપસી કરાવી હતી.

    તેમણે વધુમાં કહ્યું હતું કે, “અમે લોકોને કહેવા માંગીએ છીએ કે અમે વચન આપીએ છીએ કે અમે હિંદુઓના નાક અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવું કોઈ કાર્ય નહીં કરીએ. ભલે એ માટે અમારે અમારા જીવનનું બલિદાન આપવું પડે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમના ધર્મના પ્રચાર કરવા બદલ તેમના પર એફઆઈઆર નોંધવામાં આવી હોય તો દેશના તમામ હનુમાન ભક્તો વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ.

    એવો સવાલ ઉઠાવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એમ પણ કહ્યું છે કે, “ભારતમાં ચાદર ચઢાવવી એ શ્રદ્ધા છે, પરંતુ હનુમાનજીની ભક્તિ કરવી એ અંધશ્રદ્ધા છે. ભારતમાં મીણબત્તી પ્રગટાવવી એ શ્રદ્ધા છે, પરંતુ દોરો બાંધીને હનુમાન ચાલીસાના ઉપાય જણાવવા કે સનાતનની વાત કરવી એ અંધશ્રદ્ધા છે. આવાં બેવડાં વલણો શા માટે?

    તેમણે વધુમાં કહ્યું છે કે જેમને સમસ્યા છે તેઓ રાયપુરમાં 20 અને 21 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાનાર દિવ્ય દરબારમાં પહોંચી શકે છે. તેઓ તેમના મુસાફરી ભાડા અને સુરક્ષાની જવાબદારી પણ લે છે કે તેમની પૂજાઈ (મારપીટ) કરવામાં આવશે નહીં.

    વાસ્તવમાં બાગેશ્વરધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની રામકથા માટે 5 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી નાગપુર પહોંચ્યા હતા. અગાઉ આ કથા 13 ફેબ્રુઆરી સુધી યોજાવાની હતી. જોકે, કેટલાક કારણોસર આ કથા 2 દિવસ પહેલા જ સમાપ્ત થઈ ગઈ હતી.

    કથાના સમાપન પછી મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના રાષ્ટ્રીય સંયોજક શ્યામ માનવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ તેણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પડકાર ફેંક્યો હોવાનું પણ કહેવાયું હતું. અને એટલા માટે તેઓ બે દિવસ પહેલા નાગપુરથી ભાગી ગયા હોવાનો દાવો કર્યો હતો.

    શ્યામ માનવે દરબાર દરમિયાન ચમત્કાર બતાવવા બદલ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર 30 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. બાદમાં તેણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી હતી.

    (તસ્વીર: બાગેશ્વર ધામનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં