લખનૌમાં (Lucknow) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે (Dattatreya Hosabale) 20 એપ્રિલે લખનૌમાં આશિયાના સ્મૃતિ ઉપવન ખાતે ‘શાખા ટોળી એકત્રીકરણ’ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. RSSના આ કાર્યક્રમ દરમિયાન તેમણે ઘણા વિષયોનો ઉલ્લેખ કર્યો હતો તથા નિવેદન આપ્યા હતા. જેની ચર્ચા હાલ થઈ રહી છે. આ દરમિયાન તેમણે હિંદુ રાષ્ટ્ર પર ખૂબ ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું કે, “ભારત પહેલેથી જ હિંદુ રાષ્ટ્ર છે, કારણ કે તેની સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાઓ હિંદુ ધર્મ સાથે ગાઢ રીતે જોડાયેલી છે.” આ દરમિયાન તેમણે હિંદુ રાષ્ટ્રની વિભાવનાને સમાવેશી અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી સમજાવી હતી. હોસબાલેએ ભારપૂર્વક કહ્યું, “હિંદુ રાષ્ટ્રનો અર્થ ફક્ત ધાર્મિક ઓળખ નથી, પરંતુ તે ભારતની વિવિધતાને સ્વીકારતી સાંસ્કૃતિક એકતા છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ વિચારધારા અન્ય ધર્મોનો વિરોધ નથી કરતી, પરંતુ ભારતીય મૂલ્યોનું સંરક્ષણ કરે છે.
RSS Sarakaryavah Dattatreya Hosabale addressed at Shakha Toli Ekatreekaran by Lucknow Vibhag at Lucknow, Uttar Pradesh. pic.twitter.com/3yUcSwDcfR
— Rajesh Padmar (@rajeshpadmar) April 20, 2025
આ સિવાય હોસબાલેએ યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા અને સાંસ્કૃતિક વારસાને જાળવવા હાકલ કરી હતી. તેમણે ભારતને ‘વિશ્વગુરુ’ તરીકે સ્થાપિત કરવાનો ઉલ્લેખ કર્યો, જેમાં આધ્યાત્મિકતા અને પારદર્શિતા જેવા મૂલ્યો મહત્વના ગણાવ્યા હતા. આ સિવાય તેમણે કહ્યું હતું કે, “સંઘ છેલ્લા 100 વર્ષથી હિંદુ સમાજને જાગૃત કરી રહ્યો છે. એટલા માટે 100 વર્ષ પછી પણ સંઘનો (RSS) વિકાસ થતો રહે છે. સંઘ હિંદુ રાષ્ટ્ર બનાવી નથી રહ્યો. એક હિંદુ રાષ્ટ્ર પહેલેથી જ અસ્તિત્વમાં છે.”
તેમણે આગળ કહ્યું કે, “સંઘ હિંદુઓને સેવાભાવી હિંદુ બનાવવા અને વ્યક્તિગત હિંદુઓને શક્તિશાળી બનાવવાનું કામ કરી રહ્યો છે. તે વંશીય હિંદુઓને રાષ્ટ્રીય હિંદુઓમાં રૂપાંતરિત કરવા માટે કામ કરી રહ્યો છે. સંઘે હિંદુઓને સુમેળના પ્રવાહમાં લાવવાનું કામ કર્યું છે. ભલે તે જન્મથી હિંદુ હોય, પણ સંઘ તેના આચરણ, સ્વભાવ અને વિચારો દ્વારા તેને સંપૂર્ણ હિંદુ બનાવવાનું કામ કરી રહ્યો છે. અમે સમાજમાં પરિવર્તન લાવવા માટે કામ કરી રહ્યા છીએ.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “અમે હંમેશા આ રાષ્ટ્રને ગૌરવના શિખર અને વિકાસના માર્ગ પર લઈ જવા માટે કાર્ય કરીશું. આપણે ભારતમાં જન્મ્યા હોવાથી આ કરીએ છીએ. દેવતાઓ પણ ભારતમાં જન્મ લેવાની ઝંખના રાખે છે. તેથી, અહીં જન્મ લેવો એ આપણું સૌભાગ્ય છે. આવી સ્થિતિમાં, સમાજ અને દેશ પ્રત્યેની આપણી નિર્ધારિત ફરજો પૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય બની જાય છે.”