ઉત્તર પ્રદેશના બરેલીમાં એક સુન્ની મુસ્લિમ સંસ્થાએ તમિલનાડુના અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજય થાલાપતિ (Vijay Thalapathy) વિરુદ્ધ ફતવો (Fatwa) જારી કર્યો છે, જેમાં વિજય પર મુસ્લિમ સમુદાયનું અપમાન કરવાનો આરોપ છે. આ ફતવો અખિલ ભારતીય મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ચશ્મે દારૂલ ઇફ્તાના મુખ્ય મુફ્તી મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ (Maulana Shahabuddin Razvi) જારી કર્યો છે.
આ ફતવામાં મૌલાના રઝવીએ કહ્યું છે કે, “વિજય થાલાપતિ મુસ્લિમ લાગણીઓનો ઉપયોગ કરીને ફિલ્મ જગતથી રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે, જ્યારે તેમનો ઇતિહાસ મુસ્લિમ વિરોધી લાગણીઓથી ભરેલો છે.”
મૌલાનાએ કહ્યું કે, “તેમની ફિલ્મ ‘ધ બીસ્ટ’ માં, તેમણે મુસ્લિમો અને સમગ્ર મુસ્લિમ સમુદાયને આતંકવાદ અને ઉગ્રવાદ સાથે જોડ્યા છે. ફિલ્મમાં, થાલાપતિ મુસ્લિમોને ‘રાક્ષસો’ અને ‘શેતાન’ તરીકે બતાવવાનો પ્રયાસ કરે છે અને હવે જ્યારે તેઓ રાજકારણમાં પ્રવેશ્યા છે અને તેમને મતોની જરૂર છે, ત્યારે તેઓ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરી રહ્યા છે.”
તેમણે વિજય પર ઇફ્તાર પાર્ટીમાંમાં ‘દારૂડિયા અને જુગારિયાઓ’ને આમંત્રણ આપીને રમઝાનની પવિત્રતાનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “આ લોકો ન તો ઉપવાસ રાખતા હતા કે ન તો ઇસ્લામિક રીતરિવાજોનું પાલન કરતા હતા.” તેમણે વધુમાં કહ્યું કે તમિલનાડુના સુન્ની મુસ્લિમોએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૌલાના રઝવીએ મુસ્લિમોને સલાહ આપી હતી કે “વિજય થાલાપતિથી અંતર જાળવો, તેમના કાર્યક્રમોમાં હાજરી ન આપો અને તેમને તમારા મજહબી કાર્યક્રમોમાં આમંત્રણ ન આપો.” નોંધનીય છે કે મુસ્લિમોના પવિત્ર રમજાન મહિનામાં થાલાપતિએ એક દિવસનો રોજો રાખ્યો હતો અને 9 માર્ચે ઇફતાર પાર્ટી આપી હતી.
આ દરમિયાન તેમના મુસ્લિમોની ટોપી પહેરેલા ફોટા પણ સામે આવ્યા હતા. આ ઉપરાંત વિજય મોટાભાગે મુસ્લિમ સમુદાયનું સમર્થન કરતા જોવા મળે છે તેમ છતાં અભિનેતા-રાજકારણી વિરુદ્ધ ફતવો જારી કરવામાં આવ્યો છે.