Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહિલાઓ માટે આઘાતજનક સમાચાર: મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને છેક રાજસ્થાન સુધી...

    મહિલાઓ માટે આઘાતજનક સમાચાર: મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને છેક રાજસ્થાન સુધી પાણીપુરીની તંગી સર્જાય તેવા સંજોગો

    અમદાવાદ નજીક આવેલા દહેગામમાંથી અચાનક કારીગરો ગાયબ થઇ જતાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને છેક રાજસ્થાન સુધી પાણીપુરીની તંગી સર્જાઈ રહી છે.

    - Advertisement -

    પાણીપુરીની પુરી (પકોડી)ના ઉત્પાદનમાં ગુજરાતનું હબ ગણાતા દેહગામમાં ગુજરાત બહારના કારીગરો લગ્નપ્રસંગોમાં પોતાને વતન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ તથા છત્તીસગઢ ગયા હોવાથી ઘણા સમયથી ગુજરાતમાં પકોડીની અછત વર્તાઇ રહી છે અને આ અછત હજુ આગામી 15 દિવસ સુધી રહે તેવી શક્યતા છે.

    ગુજરાત બહારના કારીગરો લગ્નગાળા માટે વતન જતાં રહતા પકોડીના ઉત્પાદનમાં 50% સુધીનો ઘટાડો (પ્રતિકાત્મક ફોટો : ટ્રેડ ઈન્ડિયા)

    કારીગરો વતન ગયા હોવાથી મહિનાથી પકોડીની અછત સર્જાઈ છે અને હજી 15 દિવસ સુધી અછત રહેવાની શક્યતા છે. આ કારણથી પકોડીના ભાવમાં પણ વધારો થયો છે. દહેગામમાં પાણીપુરીની પુરી (પકોડી) બનાવી હોલસેલમાં વેચતા ગૃહઉદ્યોગો આવેલા છે. તેઓ તૈયાર પકોડી દહેગામ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા જિલ્લા તેમજ રાજસ્થાનના ડુંગરપુર અને બાંસવાડા સુધી પકોડી પૂરી પાડે છે.

    દહેગામમાં પાણીપુરી બનાવનારા મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની સરહદના ભીંડ, જાલોન, દતિયા, ગ્વાલિયર જેવા જિલ્લાના કારીગરો હોય છે. 2 વર્ષના કોરોનાકાળ બાદ લગ્નની સિઝન પૂરબહારમાં ખીલતાં ચાલુ વર્ષે દહેગામમાં પકોડી બનાવતા કારીગરો અને શ્રમિકો લગ્નપ્રસંગે વતનમાં ગયા હોવાથી એક માસથી પકોડીની અછત સર્જાઈ છે.

    - Advertisement -

    કારીગરોની અછતના કારણે દૈનિક 5 હજાર પુરી બનાવતા લોકો ઘરની મહિલાઓની મદદથી માંડ 2થી 3 હજાર પુરી બનાવે છે, જેથી હોલસેલમાં પૂરતો જથ્થો સપ્લાય કરી શકતા ન હોવાનું પાણીપુરી પકોડી બનાવતા જિતેન્દ્ર કુશવાહાએ જણાવ્યું હતું. પકોડીની આ અછત આવતા મહિનાની 10 તારીખ સુધી રહેશે, તેમ પણ તેઓએ જણાવ્યું હતું.

    દહેગામના પકોડી વેચતા વસીલભાઈએ જણાવ્યું હતું કે તેમને પકોડીનાં દૈનિક 50થી 60 પેકેટની જરૂર હોય છે પરંતુ તેની સામે તેમને માંડ 20થી 30 પેકેટ મળે છે, જેથી અસંખ્ય ગ્રાહકોને પરત ફરવું પડે છે. પૂરતા કારીગરો હાજર હતા તે સમયે હોલસેલમાં 40થી 45ની 100 નંગ પકોડીનું વેચાણ થતું હતું, અત્યારે એ પેકેટના 50થી 55 રૂપિયાના ભાવે વેચાણ થાય છે. કારણ કે હોલસેલ ઉત્પાદકોએ પેકેટ પર 5 રૂપિયાનો વધારો કર્યો છે.

    દહેગામમાં બનતી પકોડીનું હાલ ગુજરાતનાં જુદા જુદા જિલ્લા ઉપરાંત રાજસ્થાનના વિસ્તારોમાં પણ વેચાણ થાય છે. તેવી જ રીતે અમદાવાદના ચાણક્યપુરી, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા જેવા વિસ્તારોમાં પણ પકોડીનું મોટા પાયે ઉત્પાદન થાય છે.

    પકોડીની અછત વચ્ચે પોલીસે પણ લાગવગ લગાવવી પડી

    પકોડીની અછત દ્વારા સામાન્ય નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ તો પરેશાન છે જ પરંતુ તેનાથી પોલીસવાળાઓ પણ પરેશાન હોય એવું સાબિત કરતો એક કિસ્સો હમણાં જ દહેગામમાં સામે આવ્યો હતો.

    દહેગામથી રિક્ષાચાલક હરસોલ તરફ વેપારીને પકોડી આપવા નીકળ્યો હતો ત્યારે હરસોલ પાસેના ચાર રસ્તા નજીક સિવિલ ડ્રેસમાં આવેલી એક વ્યક્તિએ રિક્ષાચાલકને રોકી પોલીસ તરીકેની ઓળખ આપી આઇકાર્ડ બતાવ્યું હતું અને પકોડીનો તમામ જથ્થો આપી દેવાનું જણાવ્યું હતું. રિક્ષાચાલકે પોલીસ કર્મીને ઓર્ડરની પકોડી હોવાનું જણાવતાં તેણે રિક્ષા અને પકોડીનો જથ્થો કબજે લેવાની ધમકી આપી હતી, જેથી રિક્ષાચાલક ગભરાઈ ગયો હતો. ત્યાર બાદ એ વ્યક્તિએ રિક્ષાચાલકને હોલસેલ ભાવે પકોડીની કિંમત ગણી આપી પકોડી ઉતારી લઈને રિક્ષાચાલકને રવાના કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં