Thursday, April 2, 2026
More
    હોમપેજરાજકારણકોંગ્રેસ સાંસદનું પાક. કનેક્શન, પરિવારના 2 સભ્યો પાસે વિદેશી નાગરિકતા: SITએ સીએમ...

    કોંગ્રેસ સાંસદનું પાક. કનેક્શન, પરિવારના 2 સભ્યો પાસે વિદેશી નાગરિકતા: SITએ સીએમ હિમંતા સરમાને સોંપ્યો રિપોર્ટ, ગોગોઈએ નકાર્યા આરોપ

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે હવે રાજ્ય સરકાર SITના રિપોર્ટનો વિગતવાર અભ્યાસ કરશે. હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો કે ગૌરવ ગોગોઈના પરિવારના ચારમાંથી ત્રણ સભ્યો વિદેશી નાગરિકતા ધરાવે છે.

    - Advertisement -

    આસામ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) બુધવારે (10 સપ્ટેમ્બર, 2025) કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈના કથિત પાકિસ્તાન કનેક્શનની તપાસ બાદ 96 પેજનો રિપોર્ટ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને સોંપ્યો હતો. આ રિપોર્ટ લોક સેવા ભવન ખાતે SITના સભ્યો મુન્ના પ્રસાદ ગુપ્તા, રોજી કલિતા, પ્રણબજ્યોતિ ગોસ્વામી અને મૈત્રેયી દેકાની હાજરીમાં આપવામાં આવ્યો હતો.

    મુખ્યમંત્રી સરમાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આસામ કેબિનેટે ‘ભારતવિરોધી ગતિવિધિઓ’ની તપાસ માટે SITની રચના કરી હતી અને તેમાં ‘ચોંકાવનારા તથ્યો’ સામે આવ્યા છે. તેમણે લખ્યું, “17 ફેબ્રુઆરી, 2025ના રોજ આસામ કેબિનેટે પાકિસ્તાની નાગરિક અલી તૌકીર શેખ અને તેના સાથીઓની ભારતવિરોધી ગતિવિધિઓની તપાસ માટે SITની રચના કરી હતી. આ ગંભીર તપાસ દરમિયાન SITએ એવા આઘાતજનક તથ્યો બહાર લાવ્યા છે, જે દેશના સાર્વભૌમત્વને નબળું પાડવાના મોટા ષડયંત્ર તરફ નિર્દેશ કરે છે.”

    તેમણે વધુમાં જણાવ્યું કે તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે આસામના એક સાંસદની પાડોશી દેશની મુલાકાતમાં મદદ કરી હતી. સરમાએ લખ્યું, “SITએ એક બ્રિટિશ નાગરિકની સંડોવણી પણ શોધી કાઢી, જેણે એક ભારતીય સાંસદ સાથે લગ્ન કરેલ છે અને તે અલી તૌકીર શેખની ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ છે. આ ઉપરાંત, તપાસમાં એ પણ ખુલાસો થયો કે પાકિસ્તાન સરકારના ગૃહ મંત્રાલયે આસામના એક સાંસદની તેમના દેશની મુલાકાતમાં સહાય કરી હતી.”

    - Advertisement -

    મુખ્યમંત્રીએ જણાવ્યું કે હવે રાજ્ય સરકાર SITના રિપોર્ટનો વિગતવાર અભ્યાસ કરશે. હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો કે ગૌરવ ગોગોઈના પરિવારના ચારમાંથી ત્રણ સભ્યો વિદેશી નાગરિકતા ધરાવે છે. તેમણે X પર લખ્યું, “આસામ સરકાર હવે SITના રિપોર્ટનો વિગતવાર અભ્યાસ કરશે અને તેને રાજ્ય કેબિનેટ સમક્ષ રજૂ કરશે. કેબિનેટમાં ચર્ચા બાદ તપાસમાં મળેલી માહિતીને જાહેર કરવામાં આવશે.”

    બીજી તરફ, કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ દાવો કર્યો કે મુખ્યમંત્રી સરમાના આરોપો ‘બનાવટી’ છે. તેમણે કહ્યું, “તેઓ (હિમંતા બિસ્વા સરમા) વિચારે છે કે આસામના લોકો એટલા મૂર્ખ છે કે તેમના વાહિયાત આરોપો પર વિશ્વાસ કરી લેશે. તેઓ આસામના લોકોની બુદ્ધિ અને સમજનું સન્માન નથી કરતા. આસામના લોકો જાણે છે કે તેમણે માત્ર આરોપોના આધારે એક કાલ્પનિક વાર્તા રચી છે, જેથી તેમની સરકારના ભ્રષ્ટ શાસનને છુપાવી શકાય અને એ દેખાડી શકાય કે તેમણે મુખ્યમંત્રીની ખુરશીનો ઉપયોગ પોતાના પરિવારને શ્રીમંત બનાવવા, મોટી સંપત્તિ અને ગેરકાયદે ધન એકત્ર કરવા માટે કર્યો છે.”

    ઑપઇન્ડિયાએ અગાઉ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગૌરવ ગોગોઈની બ્રિટિશ પત્ની એલિઝાબેથ કોલબર્ન દિલ્હીમાં ક્લાઇમેટ એન્ડ ડેવલપમેન્ટ નોલેજ નેટવર્કમાં (CDKN) પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે. આશ્ચર્યજનક રીતે પાકિસ્તાની મૂળના અલી તૌકીર શેખ CDKN એશિયાનો રિજનલ ડિરેક્ટર છે. તે ભારત વિરુદ્ધ, ખાસ કરીને પોતાના X એકાઉન્ટ દ્વારા ખોટી ખબરો ફેલાવતો રહ્યો છે. તેણે દિલ્હી રમખાણોનો મુદ્દો સંસદમાં ઉઠાવવા માટે ગોગોઈનું સમર્થન પણ કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે હિમંતા બિસ્વા સરમાએ ગૌરવ ગોગોઈની પત્ની એલિઝાબેથ કોલબર્ન પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે કોલબર્ન 2011-15 દરમિયાન CDKN અને LEAD જેવી સંસ્થાઓ માટે કામ કરતી વખતે મોટાભાગે પાકિસ્તાનમાં રહી હતી. સરમાએ દાવો કર્યો કે કોલબર્ન પાકિસ્તાન સરકારની એક ટાસ્ક ફોર્સમાં સામેલ હતી, જેની પાછળ ISI હતું.

    સરમાએ વારંવાર ગૌરવ ગોગોઈ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે દાવો કર્યો હતો કે, “ISI સાથેના સંબંધોના આરોપો, યુવાનોને પાકિસ્તાન દૂતાવાસમાં લઈ જઈને બ્રેઈનવોશ અને કટ્ટરપંથી બનાવવા, છેલ્લા 12 વર્ષથી ભારતીય નાગરિકતા ન લેવી, ધર્મ પરિવર્તનના કાર્ટેલમાં ભાગ લેવો અને જ્યોર્જ સોરોસ જેવા બાહ્ય સ્ત્રોતો પાસેથી રાષ્ટ્રીય સુરક્ષાને અસ્થિર કરવા માટે ફંડ લેવા જેવા ગંભીર સવાલોના જવાબ આપવા પડશે.”

    સરમાએ કોલબર્નની બ્રિટિશ નાગરિકતા અને તેમના સુપરવાઈઝર અલી તૌકીર શેખના ભારત વિરોધી પ્રોપેગેન્ડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો કે શું ગૌરવ ગોગોઈના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના કાર્યકાળ દરમિયાન ISIની પહોંચ આસામના મુખ્યમંત્રી કાર્યાલય સુધી હતી કે શું.

    ગૃહમંત્રી અમિત શાહે 29 જુલાઈએ ઑપરેશન સિંદૂર પર સંસદીય ચર્ચા દરમિયાન આ જ વાત કહી હતી. તેમણે ગોગોઈ તરફ વાત કરતાં કહ્યું હતું, “તમે ઘણી વખત પાકિસ્તાન ગયા છો, પરંતુ શું તમે ક્યારેય સરહદી વિસ્તારોમાં ગયા છો? શું તમે સમજો છો કે આપણા સૈનિકો કેવી પરિસ્થિતિઓમાં કામ કરે છે?”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં