Wednesday, May 14, 2025
More
    હોમપેજદેશ‘EVM સાથે છેડછાડ કરવા માટે થઈ હતી ઑફર’: સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારીએ...

    ‘EVM સાથે છેડછાડ કરવા માટે થઈ હતી ઑફર’: સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારીએ જૂઠાણું ફેલાવ્યું, ઇકોસિસ્ટમે આગળ ચલાવ્યું– ચૂંટણી પંચે પોલ ખોલી અને બહાર આવી હકીકત

    સ્થાનિક SPએ પોતાના રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે. સ્ટ્રોંગ રૂમ માટે ત્રણ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી - EVMની નજીક કેન્દ્રીય દળો તહેનાત કરવામાં આવ્યા હતા, SRPFકર્મચારીઓને ઇમારતની આસપાસ તહેનાત કરવામાં આવ્યા હતા અને સ્થાનિક જિલ્લા પોલીસ બાહ્ય ઘેરામાં હતી. પહેલા બે સ્તરોની સુરક્ષામાં સ્થાનિક પોલીસની કોઈ ભૂમિકા જ નહોતી.

    - Advertisement -

    ફરી એક વખત એક ખાસ ગેંગે EVM સાથે છેડછાડના રોદણાં રડવાના શરૂ કર્યાં છે. આ વખતે મહારાષ્ટ્રના એક સસ્પેન્ડેડ પોલીસ અધિકારીના નિવેદનને ટાંકીને આ કારસ્તાન કરવામાં આવી રહ્યું હતું, પણ ચૂંટણી પંચે નિવેદન બહાર પાડ્યું તો સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું. ‘કોંગ્રેસ ટાસ્ક ફોર્સ’ નામનું સોશિયલ મીડિયા કેમ્પેઇન ચલાવતા અમિત મયંકે પોલીસ અધિકારી રણજીત કાસલેના નિવેદનનો વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ચૂંટણી ફરજ દરમિયાન તેમને EVM સાથે છેડછાડ કરવા અને સ્ટ્રોંગ રૂમમાંથી મતદાન મશીનો કાઢવા માટે ₹10 લાખની ઓફર કરવામાં આવી હતી.

    અગાઉ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે આ આરોપો એક એવા પોલીસ અધિકારી તરફથી આવ્યા છે જે પહેલેથી જ સસ્પેન્ડ છે. તેમ છતાં ECIએ આ મામલે DM અને SSP પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. ચૂંટણી પંચ ઘણી વાર કહી ચૂક્યું છે કે સ્ટ્રોંગ રૂમમાં EVM જે પ્રોટોકોલ અને સખ્તી સાથે રાખવામાં આવે છે, તે જોતાં તેને ત્યાંથી દૂર કરવાની કોઈ શક્યતા જ નથી. તપાસ રિપોર્ટ બાદ ચૂંટણી પંચે હવે સ્પષ્ટ કર્યું છે કે મામલો શું છે.

    ચૂંટણી ફરજ પર જ હાજર નહોતા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી

    DEO (જિલ્લા ચૂંટણી અધિકારી) અને SSPએ (વરિષ્ઠ પોલીસ અધિક્ષક) માહિતી આપી છે કે જે રણજીત કાસલે આરોપ લગાવી રહ્યા છે કે તેમને EVM વિશે ચૂપ રહેવા માટે પૈસાની ઓફર કરવામાં આવી હતી, તે ખરેખર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ફરજ પર જ નહોતા. આ આરોપો જાહેર શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના ઈરાદાથી લગાવવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓને પણ રણજીત કાસલે સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મામલો પરલી વિધાનસભા મતવિસ્તારનો છે.

    - Advertisement -

    બીડ જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે 2024ની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રણજીત કાસલે મુંબઈ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટરના પદ પર હતા. તેમનો આરોપ છે કે તેમને સ્ટ્રોંગ રૂમની સુરક્ષાની ફરજ સોંપવામાં આવી હતી, પરંતુ EVM સાથે છેડછાડ કરવા માટે તેમને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. મતદાન, EVMને સ્ટ્રોંગ રૂમમાં રાખવા અને મત ગણતરી – આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રણજીત કાસલેને ચૂંટણી ફરજ પર તહેનાત કરવામાં આવ્યા ન હતા.

    NCPના (અજિત પવાર જૂથ) ધનંજય મુંડે 2024માં પરલીથી 1.40 લાખથી વધુ મતોથી જીત્યા હતા. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી પણ છે. તેમની જીતને ધાંધલી ગણાવતા રણજીત કાસલેએ કહ્યું હતું કે, “મત ગણતરી દરમિયાન મારું મોં બંધ રાખવા માટે મારા ખાતામાં ₹10 લાખ મોકલવામાં આવ્યા હતા. મેં તેમાંથી ₹7.5 લાખ પાછા મોકલી દીધા અને બાકીના ખર્ચ કરી દીધા.

    પહેલા બે સ્તરોની સુરક્ષામાં સ્થાનિક પોલીસની નહોતી કોઈ ભૂમિકા

    સ્થાનિક SPએ પોતાના રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે. સ્ટ્રોંગ રૂમ માટે ત્રણ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી – EVMની નજીક કેન્દ્રીય દળો તહેનાત કરવામાં આવ્યા હતા, સ્ટેટ રિઝર્વ્ડ પોલીસ ફોર્સના (SRPF) કર્મચારીઓને ઇમારતની આસપાસ તહેનાત કરવામાં આવ્યા હતા અને સ્થાનિક જિલ્લા પોલીસ બાહ્ય ઘેરામાં હતી. પહેલા બે સ્તરોની સુરક્ષામાં સ્થાનિક પોલીસની કોઈ ભૂમિકા જ નહોતી. તે સમયગાળા દરમિયાન રણજીત કાસલે બીડ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા – જ્યાં ઓનલાઈન છેતરપિંડી અને ગુનાઓની ફરિયાદો નોંધવામાં આવે છે.

    ઉપરાંત કોઈએ ક્યાંયથી EVM સાથે છેડછાડની ફરિયાદ કરી નથી. તમામ ઉમેદવારોના પ્રતિનિધિઓ અને ઇલેક્શન ઑબ્ઝર્વરની હાજરીમાં સ્ટ્રોંગ રૂમને સીલ કરવામાં આવ્યો હતો. આ સાથે સમગ્ર પ્રક્રિયા અને 24 કલાકની પ્રવૃત્તિઓ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી હતી. આ કેમેરા બધા પક્ષોના ઉમેદવારોના પ્રતિનિધિઓની સામે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. રણજીત કાસલેની અન્ય એક ગુનાના કેસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી.

    શુક્રવારે (18 એપ્રિલ, 2025) પુણેથી તેની ધરપકડ પણ કરવામાં આવી છે. તેણે દાવો કર્યો હતો કે, તેને વાલ્મીકિ કરાડના એન્કાઉન્ટર માટે ઓફર કરવામાં આવી હતી. વાલ્મીકિ કરાડ NCPનો કોર્પોરેટર રહી ચૂક્યો છે અને મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો મુખ્ય આરોપી પણ છે. આ બધા નિવેદનો આપ્યા પછી રણજીત કાસલે બીડથી ફરાર થઈ ગયો હતો. પુણેના સ્વારગેટ વિસ્તારમાં એક હોટલમાં તેના રોકાણની માહિતી મળી હતી, જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

    બીડ પ્રશાસને એમ પણ કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર પાયાવિહોણા, બેદરકાર અને અયોગ્ય નિવેદનો આપવાની રણજીત કાસલેની આદત રહી છે. તેણે ઘણા રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ આવા જ નિવેદનો આપ્યા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે તેના નિવેદનો ફક્ત વ્યક્તિગત શિસ્ત માટે જ નહીં પરંતુ જાહેર વ્યવસ્થા માટે પણ હાનિકારક છે. ચૂંટણી પ્રક્રિયાને શંકાના ઘેરામાં લાવવા અને પબ્લિસિટી માટે તેણે આવું નિવેદન આપ્યું હતું, જે હવે ખોટું સાબિત થઈ ચૂક્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં