કેરળના (Kerala) ગુરુવાયુર (Guruvayur Temple) શ્રીકૃષ્ણ મંદિરમાં 6 દિવસોનું શુદ્ધિકરણ અનુષ્ઠાન (Purification Ritual) કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આ અનુષ્ઠાન એક બિનહિંદુ મહિલા દ્વારા કરવામાં આવેલા નિયમના ઉલ્લંઘનના કારણે છે. સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર અને પૂર્વ બિગ બોસ મલયાલમ કન્ટેસ્ટન્ટ જસ્મિન જાફરે મંદિરમાં ગેરકાયદે પ્રવેશ કરીને પવિત્ર તળાવમાં પોતાના પગ ડૂબાડી રીલ બનાવી હતી. આ રીલ વાયરલ થયા બાદ વિવાદ શરૂ થયો હતો અને મંદિર તરફથી શુદ્ધિકરણ અનુષ્ઠાન પણ શરૂ કરવામાં આવ્યું હતું.
મંગળવારથી (26 ઑગસ્ટ) મંદિરમાં શુદ્ધિકરણ અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે, જે આવનારા 5 દિવસો સુધી ચાલશે. જસ્મિન જાફર નામની મહિલાએ મંદિરના પવિત્ર તળાવમાં પગ ડૂબાડ્યાની ઘટના સામે આવ્યા બાદથી જ શ્રદ્ધાળુઓ અને વિવિધ હિંદુ સંગઠનોએ વિરોધ શરૂ કરી દીધી હતો અને મહિલાની ટીકા કરવાની શરૂ કરી હતી. કારણ કે, આ હરકત મંદિરના નિયમો અને પરંપરાનું ઉલ્લંઘન હતી.
બિનહિંદુ પ્રતિબંધિત હોવા છતાં કર્યો પ્રવેશ- મંદિર
મંદિરના અધિકારીઓએ જણાવ્યું છે કે, 6 દિવસ પહેલાં જસ્મિન જાફરે પવિત્ર તળાવમાં પગ ધોતો વિડીયો શૂટ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું છે કે, આ સ્પષ્ટ રીતે મંદિરના રીતિ-રિવાજોનું ઉલ્લંઘન હતું. તેમણે એવું પણ કહ્યું કે, મંદિરમાં બિનહિંદુ વ્યક્તિનો પ્રવેશ પ્રતિબંધિત છે. તેમ છતાં, જસ્મિન જાફર નામની બિન-હિંદુ મહિલાએ મંદિરમાં પ્રવેશ કર્યો. ન માત્ર પ્રવેશ, પણ પવિત્ર તળાવમાં પગ ધોઈને મંદિરના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે.
મંદિરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં પૂજારી આ તળાવનો ઉપયોગ કરે છે. આ ઘટનાના પગલે હાલ મંદિરમાં શુદ્ધિકરણ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, 6 દિવસ સુધી મંદિરમાં અનુષ્ઠાન થશે. અનુષ્ઠાન દરમિયાન 18 પૂજા અને 18 શિવેલીયાનો (પરિક્રમા વિધિ) સમાવેશ કરવામાં આવશે. વધુમાં અધિકારીઓએ શ્રદ્ધાળુઓને અસ્થાયી પ્રતિબંધોનું પાલન કરવા માટેની અપીલ પણ કરી છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, મંદિરના પવિત્ર તળાવમાં પગ ડૂબાડીને રિલ બનાવવાની આ ઘટનાના પગલે મંદિર તરફથી ગુરુવાયુર મંદિર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યા છે કે, બિનહિંદુ મહિલાએ ગેરકાયદે પ્રવેશ કરીને મંદિરના નિયમો વિરુદ્ધ પવિત્ર તળાવની પવિત્રતા ભંગ કરી છે અને પ્રતિબંધિત વિસ્તારોના ફોટા તથા વિડીયો રેકોર્ડ કર્યા છે. ફરિયાદમાં આ ઘટનાને હાઇકોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન ગણાવવામાં આવી છે.
આ ઘટનાને લઈને પોલીસે જણાવ્યું છે કે તેઓ હાઇકોર્ટના નિર્દેશો અનુસાર આ મામલે ગુનો નોંધીને તપાસ કરશે. ભારે વિરોધ બાદ જસ્મિન જાફરે રીલ ડિલીટ કરી નાખી છે અને સાર્વજનિક માફી માંગી છે. સાથે તેણે એવો પણ દાવો કર્યો છે કે, તે મંદિર પરિસરના નિયમો અને પ્રતિબંધોથી અજાણ હતી અને કોઈની ભાવનાઓ ઠેસ પહોંચાડવાનો તેનો કોઈ ઇરાદો નહોતો.


