વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કો પૈકીના એક એવા ભારતીય રેલવેએ હવે ટ્રેનમાં ATMની સુવિધા શરૂ કરી છે. આ નવીન સુવિધાને નામ અપાયું છે– એટીએમ ઓન વ્હીલ્સ. આ પાયલોટ પ્રોજેક્ટનું સફળ ટ્રાયલ 10 એપ્રિલ, 2025ના રોજ મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસમાં (12110) કરવામાં આવ્યું. આ પહેલનો મૂળ હેતુ મુસાફરોને લાંબી મુસાફરી દરમિયાન રોકડ ઉપાડવાની સુવિધા પૂરી પાડવાનો છે. ખાસ કરીને એવા રૂટ પર જ્યાં સ્ટેશનો ઓછાં હોય અથવા નેટવર્કની સમસ્યા હોય ત્યાં તે આશીર્વાદ સમાન બની રહેશે.
આ નવીન પહેલ રેલવે બોર્ડના નોન-ફેર રેવન્યૂ (ભાડાંથી ઇત્તર થતી આવક) વધારવાના નિર્ણયના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. બેન્ક ઑફ મહારાષ્ટ્ર અને રેલવેના ભુસાવળ ડિવિઝનના સહયોગથી આ પ્રોજેક્ટની શરૂઆત થઈ. ATMને એસી ચેર કાર કોચમાં અગાઉ અસ્થાયી પેન્ટ્રી તરીકે ઉપયોગમાં લેવાતી જગ્યામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક વિડીયો તેમના X એકાઉન્ટ પર શેર કર્યો, જેમાં એક મુસાફર ટ્રેનમાં ATMનો ઉપયોગ કરતો જોવા મળે છે.
In a first, ATM facility in train. pic.twitter.com/onTHy8lxkd
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 16, 2025
સુરક્ષા અને ટેકનિકલ વ્યવસ્થા
ટ્રેનના કંપન અને ગતિથી ATMને નુકસાન ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ATMને રબર પેડ્સ અને બોલ્ટ્સથી સુરક્ષિત કરવામાં આવ્યું છે. સુરક્ષા માટે 24×7 CCTV દેખરેખ, શટર ડોર અને બે ફાયર એક્સટિંગ્વિશરની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, ઈગતપુરી-કસારા વચ્ચેના રૂટ પર ટનલ અને ભૂપ્રદેશને કારણે નેટવર્કની થોડી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, પરંતુ રેલવે આ દિશામાં ઉકેલ શોધવા કાર્યરત હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ સુવિધા ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે વરદાન સાબિત થશે. ઘણી વખત મુસાફરોને રોકડની જરૂર પડે છે, પરંતુ સ્ટેશન પર ATMની સુવિધા ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રેનમાં ATM હોવાથી મુસાફરો સરળતાથી રોકડ ઉપાડી શકશે, જેનાથી તેમની મુસાફરી વધુ સુવિધાજનક બનશે.
ભવિષ્યની યોજનાઓ
જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો ભારતીય રેલવે અન્ય લોકપ્રિય અને લાંબા અંતરની ટ્રેનોમાં પણ આવાં ATM સ્થાપવાની યોજના ધરાવે છે. આ પહેલ માત્ર મુસાફરોની સુવિધા માટે જ નહીં, પરંતુ રેલવેની આવક વધારવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રકારની નવીન સુવિધાઓ ભારતીય રેલવેને વૈશ્વિક સ્તરે એક નવું ઉદાહરણ બનાવી શકે છે.
ભારતીય રેલવેની આ ‘ATM ઓન વ્હીલ્સ’ પહેલ ટેકનોલોજી અને મુસાફર સુવિધાનું ઉત્તમ સંયોજન છે. આ પ્રોજેક્ટ દેશના રેલ નેટવર્કમાં નવીનતા અને આધુનિકતાનું પ્રતીક બની શકે છે. જો આ પાયલોટ પ્રોજેક્ટનાં પરિણામો સકારાત્મક રહેશે તો ભવિષ્યમાં ભારતની ટ્રેનોમાં આવી અન્ય નવીન સુવિધાઓ પણ જોવા મળી શકે છે, જે મુસાફરોના અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે.