ગુજરાત ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji) આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ જ રીતે 22 ડિસેમ્બરે અંબાજી ખાતે દર્શનાર્થે આવેલ શ્રદ્ધાળુઓની બસો (Bus) પર રાત્રિના સમયે પથ્થરમારો (Stone Pelting) થયો હોવાની ઘટના સામે આવી હતી. નોંધનીય છે કે અંબાજી પહાડી અને ઘાટી વિસ્તાર હોવાથી અસામાજિક તત્વો તેનો લાભ લઈ દર્શનાર્થીઓની ગાડીઓ પર પથ્થરમારો કરતા હોય છે. આ આગાઉ પણ શ્રદ્ધાળુઓ જે વાહન લઈને આવ્યા હોય તે વાહનો પર પથ્થરમારો થયો હોવાની ઘટનાઓ સામે આવેલી છે.
અહેવાલો અનુસાર મહેસાણાથી ત્રણ ખાનગી બસોમાં શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કર્યા પછી જ્યારે આ બસો અંબાજીથી આબુરોડ રોડ પરથી મહેસાણા તરફ પરત ફરી રહી હતી તે દરમિયાન અંબાજી નજીક આવેલા પાનસા ગામ નજીક પહોંચતા જ બસો પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી હતી.
અંબાજી દાંતા રોડ પર યાત્રાળુઓની બસ પર હુમલો, પથ્થરમારો કરીને ખાનગી બસના કાચ તોડ્યા#gujarat #banaskantha #ambaji #news #ZEE24KALAK pic.twitter.com/Hp3iRYt9gE
— Zee 24 Kalak (@Zee24Kalak) December 22, 2024
બસમાં સવાર શ્રદ્ધાળુઓના જણાવ્યા અનુસાર તેઓ 22 ડિસેમ્બરે રાત્રે લગભગ 8:30 કલાકે મહેસાણા પરત ફરી રહી હતી. આ દરમિયાન અંબાજીથી 5 કિલોમીટર દૂર આવ્યા ત્યારે તેમની બસ પર અચાનક પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. આ દરમિયાન એક બસનો આગળના ભાગનો કાચ ફૂટી ગયો હતો. જોકે સદનસીબે શ્રદ્ધાળુઓને કોઈ જાનહાનિ થઇ નહોતી.
નોંધનીય છે કે ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. ઑપઇન્ડિયાએ આ મામલે પોલીસ અધિકારીઓ સાથે વાત કરવાના પ્રયાસ કર્યા હતા. જોકે વાત થઇ શકી નહોતી. તેથી આ મામલે કોઈ આરોપીની ધરપકડ થઇ કે કેમ અથવા મામલે કોણ કોણ સંડોવાયેલું છે જેવી બાબતોનો ખુલાસો થઇ શક્યો નથી. અહેવાલો મુજબ પોલીસે આ આ ઘટનાની તપાસ માટે ટીમ બનાવી હોવાનું સામે આવ્યું હતું.
આ પહેલાં પણ ઘટી ચૂકી છે આવી ઘટના
નોંધનીય છે કે અંબાજી ખાતે શ્રદ્ધાળુઓના વાહનો પર પથ્થરમારો થવાની આ પ્રથમ ઘટના નથી. આ પહેલાં પણ નવેમ્બર મહિનામાં જ આવી ઘટના બની હતી. 13 નવેમ્બરે આબુ જતા યાત્રિકોની બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં ગુજરાત ટ્રાવેલ્સની એસી બસના 2 કાચ તૂટી ગયા હતા. આ ઉપરાંત 3 નવેમ્બરે પણ યાત્રિકોની કાર પર પથ્થરમારો થયો હતો જેમાં એક મહિલાને ઈજા થઇ હોવાનું સામે આવ્યું હતું.