Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅયોધ્યા: રામ મંદિરનું નિર્માણકાર્ય 50 ટકા જેટલું પૂર્ણ, આવતા વર્ષે મકરસંક્રાંતિએ ભગવાન...

    અયોધ્યા: રામ મંદિરનું નિર્માણકાર્ય 50 ટકા જેટલું પૂર્ણ, આવતા વર્ષે મકરસંક્રાંતિએ ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે

    ભગવાનની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા માટે 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તે પહેલાં ડિસેમ્બર મહિનામાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઇ જશે. જેમાં ગર્ભગૃહ પણ સામેલ છે. 

    - Advertisement -

    અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરનું લગભગ 50 ટકા જેટલું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. બીજી તરફ, આવતા વર્ષે આ દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2024ના દિવસે ભગવાન રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થશે તેમ જણાવવામાં આવ્યું છે. 

    મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચમ્પત રાયે મીડિયાને જણાવ્યું હતું કે, રામ મંદિરનું લગભગ 40થી 50 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થવા આવ્યું છે અને 2024ની મકરસંક્રાંતિના દિવસે ભગવાન રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ગ્રાઉન્ડ ફ્લોરનું કામ આ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. 

    ભગવાનની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા માટે 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તે પહેલાં ડિસેમ્બર મહિનામાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઇ જશે. જેમાં ગર્ભગૃહ પણ સામેલ છે. 

    - Advertisement -

    ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવ્યા બાદ રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો ભગવાન રામના મસ્તક ઉપર પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે રૂડકીના સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે અને પહેલી ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ પણ કરી લેવાઈ છે. આ ટ્રાયલના આધારે ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. 

    અયોધ્યા ભગવાન રામનું જન્મસ્થળ છે, જેથી તેઓ અહીં બાળસ્વરૂપમાં પૂજાય છે. હાલ પણ જે મૂર્તિની પૂજા થાય છે તે બાળસ્વરૂપમાં જ છે અને નવા મંદિરમાં પણ તે અને તેની પ્રતિકૃતિઓ સ્થાપિત કરવામાં આવશે. જોકે, હાલ જે મૂર્તિ છે એ પ્રમાણમાં નાની હોવાના કારણે શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે હેતુસર તેની સાથે અન્ય મોટી મૂર્તિ પણ સ્થાપવામાં આવશે. જે સાડા આઠ ફિટ જેટલી ઊંચી હોય શકે છે. આ માટે દેશભરના મૂર્તિકારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. ગર્ભગૃહમાં ભગવાન સોનાના આસન પર બિરાજમાન થશે. 

    મંદિરમાં ગર્ભગૃહ ઉપરાંત અન્ય 5 મંડપ બનશે. ત્રણ મંડપ ગર્ભગૃહથી પ્રવેશદ્વાર સુધી અને બે મંડપ આજુબાજુમાં હશે. ગર્ભગૃહમાં સફેદ માર્બલનો ઉપયોગ કરવામાં આવશે અને તેની ચારે તરફ પરિક્રમા માર્ગ પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત તમામ સ્તંભો અને દીવાલો ઉપર લગભગ 7 હજાર મૂર્તિઓ બનાવવામાં આવશે. 

    ડિસેમ્બર 2023 સુધીમાં રામમંદિરનું ગર્ભગૃહ પૂર્ણ કરવાની ગણતરી છે, ત્યારબાદ જાન્યુઆરી 2024માં મંદિર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. ત્યારપછી પણ અન્ય તબક્કાનું કામ ચાલુ રહેશે. સમગ્ર મંદિર પરિસર પૂર્ણ થતાં ડિસેમ્બર 2025 આવી જશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં