શરૂઆત વિવેક અગ્નિહોત્રીથી થઈ.
2022ના માર્ચમાં વિવેક અગ્નિહોત્રીની ‘કાશ્મીર ફાઈલ્સ’ રિલીઝ થઈ ત્યારે ‘સરકાર ભલે એમની હોય, સિસ્ટમ તો અમારી છે’ એવું કહેનારી ડાબેરી ઇકોસિસ્ટમે દરેક વાતે આ ફિલ્મની આકરી ટીકા કરી હતી.
પણ ફિલ્મ લોકોને ગમી, ખૂબ ગમી. વીસેક કરોડના મામુલી બજેટમાં બનાવવામાં આવેલી આ ફિલ્મે અંદાજે 340 કરોડનો બિઝનેસ કર્યો. ફિલ્મના ઇતિહાસમાં લેજન્ડ બની ગઈ.
એ પછી ઘણા ફિલ્મકારોની હિંમત ખુલી, માર્કેટ ખુલ્યું. ‘કેરળ સ્ટોરી’ અને ‘સાબરમતી રિપોર્ટ’થી માંડીને ‘રોકેટ્રી’, ‘હિઝ સ્ટોરી ઓફ હિસ્ટરી’, ‘વેક્સિન વૉર’ અને ‘આર્ટિકલ 370’ જેવા અનોખા વિષયો પર ફિલ્મો બનવા લાગી. ડૉક્ટર હેડગેવાર અને વીર સાવરકરના જીવન પર પણ જલદ ફિલ્મો બની.
આવું પહેલાં ક્યારે નહોતું બન્યું. પહેલાં એટલે 2014 પહેલાં— જ્યારે 85 ટકા હિન્દુ વસ્તી ધરાવતા દેશમાં ટોચના હિન્દુ રાજનેતાઓ મંદિરમાં દર્શન કરવા જતાં અચકાતા, એમને ભય રહેતો કે ‘આવું’ કરવાથી પોતાના પર ક્યાંક ‘કોમવાદી’નું લેબલ ન લાગી જાય. અને લેબલ લાગતું જ. ભૂલેચૂકેય કોઈ રાજનેતા— રાજનેતા જ નહીં, કોઈપણ ફિલ્ડની જાણીતી હસ્તી— પ્રગટપણે હિન્દુ પરંપરા પ્રત્યે આસ્થા પ્રગટ કરે કે તરત જ કૉન્ગ્રેસીઓ, ડાબેરીઓ અને એમના પાળેલા મીડિયાકર્મીઓ એ સેલિબ્રિટીને ‘કોમવાદી’ કહીને ઉતારી પાડતા. હજુ પણ એ લોકોની ગંદી ઇકોસિસ્ટમ સુધરી તો નથી પણ ‘ધુરંધર’ ફિલ્મે એમની ઇકોસિસ્ટમમાં મસમોટું ગાબડું પાડી દીધું છે.
‘ધુરંધર’ પહેલા જ દિવસથી હાઉસફુલ જવા માંડી, ક્રમશઃ એના શોઝ વધતા ગયા. અમે પ્રથમ સપ્તાહમાં જ પહેલી વાર જોઈ. શુક્રવારથી ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી. શનિ-રવિનું જબરદસ્ત બુકિંગ થઈ રહ્યું છે. જાણીતાં મોટાં મલ્ટિપ્લેક્સિસમાં રોજના 12થી 15 શોઝ છે.
‘ધુરંધર’ના દિગ્દર્શક આદિત્ય ધરે 2019માં પોતાની પ્રથમ સુપરહિટ ફિલ્મ ‘ઉરી’ સાથે દબદબાભેર ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો. એ પહેલાં ફિલ્મ લાઇનમાં નોંધપાત્ર કામ કર્યું હતું પરંતુ દિગ્દર્શક તરીકેની એ પહેલી જ ફિલ્મ. ખૂબ ચાલી, ખૂબ વખણાઈ અને ખૂબ કમાણી કરી. પણ ‘ઉરી’ને તમે ‘કાશ્મીર ફાઇલ્સ’ની જેમ ટ્રેન્ડ સેટર ન કહી શકો. બહુ સુંદર વૉર ફિલ્મ હતી. ટેક્નિકલી સુપીરિયર વૉર ફિલ્મ હતી. હતી પણ છેવટે તો એ વૉર ફિલ્મ હતી. ડાબેરી રીવ્યુઅરોએ ‘ઉરી’ને ઉતારી પાડી હતી છતાં ‘ઉરી’ને તમે ડાબેરી ઇકોસિસ્ટમની સામે ઝંડો ઉઠાવતી ફિલ્મ ન કહી શકો.
વૉર ફિલ્મો તો દાયકાઓથી બનતી આવી છે, ભારતમાં પણ. ભલે હૉલિવુડ જેવી ટેક્નિકલ ફિનેસી અને ટાઇટ સ્ક્રિપ્ટ આપણે ત્યાં મુશ્કેલીથી જડે પણ વૉર ફિલ્મો તો ‘હકીકત’, ‘હિન્દુસ્તાન કી કસમ’ ‘બોર્ડર’ વગેરે ઘણી આવી ગઈ.
આદિત્ય ધરે લખેલી અને પ્રોડ્યુસ કરેલી ‘આર્ટિકલ 370’ને તમે ડાબેરીઓની ઇકોસિસ્ટમમાં ગાબડું પાડતી ફિલ્મ ચોક્કસ કહી શકો, જે વિવેક અગ્નિહોત્રીની ‘કાશ્મીર ફાઇલ્સ’ના પગલે બની હતી.
‘ધુરંધર’ ભારતીય ફિલ્મ ઇતિહાસમાં એક ખૂબ અગત્યની ફિલ્મ એટલા માટે પુરવાર થશે કે આ ફિલ્મમાં કૉન્ગ્રેસ શાસનની ‘ભૂલો’ને (જેને મીડિયાએ છાવરવાની ખૂબ કોશિશ કરી) પ્રગટ કરવામાં આવી છે. હાલાંકિ એ બધી ભૂલો વિશે ફિલ્મમાં માત્ર ટચ ઍન્ડ ગો રેફરન્સીસ જ છે. વાસ્તવમાં એ દરેક કિસ્સા વિશે ડિટેલમાં ઉતરીએ તો ફિલ્મના એક-એક આખા એપિસોડ બનાવી શકાયા હોત. જેવી સ્ટોરી રાઇટરની મરજી. પણ કંધાર અપહરણમાં સમાધાન કરવા પાછળનું રાજકારણ, મીડિયાની બદમાશી, વાજપાઈ સરકારમાં રહેલા સેક્યુલર બદમાશોની સલાહ વગેરે વિશે વિગતે વાત થવી જોઈતી હતી. એ જ રીતે સંસદ પરના હુમલા પછી ગુનેગારોને સજા થઈ તે વખતે દેશના ન્યાયતંત્ર, તથાકથિત બુદ્ધિજીવીઓ અને મીડિયાએ ભજવેલી ભૂમિકા વિશે વિગતવાર વાત થઈ હોત તો લેફ્ટિસ્ટ ઇકોસિસ્ટમનો અસલ કદરૂપો ચહેરો ઑડિયન્સ સમક્ષ આવ્યો હોત. એ જ રીતે વર્ષો સુધી ચાલેલા બનાવટી નોટ છાપવાના પાકિસ્તાની ષડ્યંત્રને નોટબંધીના નિર્ણયથી એક ઝાટકે ખતમ કરી નાખવામાં આવ્યું ત્યારે કેવા કેવા લોકો નોટબંધીની ટીકા કરતા હતા તે સૌને ઉઘાડા પાડ્યા હોત તો ઑડિયન્સ ઝૂમી ઉઠ્યું હોત. 26/11ના હુમલા વખતે અને એ પછી કોંગ્રેસે તથા મીડિયાએ જે કાંડ કર્યાં (અને જે કરવાનું કામ હતું તે ન કર્યું) એ વિશે પણ ‘ધુરંધર’માં વિગતવાર એક આખો એપિસોડ બની શક્યો હતો તો અમે પણ ઝૂમી ઊઠ્યા હોત.
ખેર, આ બધા કિસ્સામાં ઊંડા ઊતર્યા વિના પણ ‘ધુરંધર’ બનાવનારાઓ ઑડિયન્સને સાડા ત્રણ કલાક સુધી જકડી રાખવામાં સફળ થયા છે— બોક્સ ઑફિસના આંકડાઓ આ વાતની સાહેદી પૂરે છે.
ભારતીય સંસ્કૃતિની છબીને ધૂંધળી કે વિકૃત કરનારાઓ અત્યારના આ માહોલથી ગિન્નાય એ સ્વાભાવિક છે. હજુ તો આ સંક્રાન્તિકાળ છે. ‘કાશ્મીર ફાઇલ્સ’ દ્વારા શરૂ થયેલા કામને ‘ધુરંધર’ ફિલ્મે જબરજસ્ત વેગ આપ્યો છે. પણ આ કામ હજુ એના અંજામ તક પહોંચ્યું નથી. હજુય ડાબેરી ગઢના કાંગરા ખેરવવાની મંછા રાખનારા ફિલ્મકારો ખુલીને પોતાની વાત કહેતાં અચકાય છે. દાખલા તરીકે ‘હક’ ફિલ્મમાં શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની વાત થઈ પણ આ ચુકાદાને રાજીવ ગાંધીએ સંસદમાં વટહુકમ લાવીને કેવી રીતે પલટી નાખ્યો, કેવી રીતે લોકશાહી દેશની આબરૂ પર બટ્ટો લગાડ્યો— મુસ્લિમ અપીઝમેન્ટ કરવા— તેની વાત આ ફિલ્મવાળા ન કરી શક્યા. ઉપરાંત 12 માર્ચ, 26/11 તેમજ 27 ફેબ્રુઆરીની ઘટનાઓ વિશેની કોઈ પણ ફિલ્મમાં હજુ સુધી ગળું ખોંખારીને વિગતવાર કહેવામાં નથી આવ્યું કે હિન્દુ પ્રજા તથા હિન્દુ નેતાઓને કેવી રીતે બદનામ કરવામાં આવ્યા, કોણે બદનામ કર્યા, શા માટે બદનામ કર્યા અને ખેપાની સેક્યુલર ગેન્ગસ્ટરોએ કેવાં કુકર્મો કર્યાં.
ક્યારેક તમને લાગે કે 2014માં મોદીયુગ શરૂ થયા પછી ડાબેરીઓ અને ભારતની હિસ્ટરી સાથે ચેડાં કરનારાઓની તાકાત ઓછી થઈ ગઈ છે. થઈ હશે થોડીક. પણ હવે તેઓ બમણા ઝનૂનથી હિન્દુઓની પાછળ પડી ગયા છે. તેઓ કેટલીક બાબતમાં કમજોર પડ્યા છે પણ ઘાયલ થયા પછી તેઓ વિફર્યા છે. ડાબેરી વિચારધારાના ભાવિ વિશેનું એક પુસ્તક તાજેતરમાં જ એક મેઈનસ્ટ્રીમ પ્રકાશક દ્વારા પ્રગટ થયું છે. એવું જ એક બીજું પુસ્તક હિસ્ટરી સાથેનાં પોતાનાં ચેડાંઓને જસ્ટિફાય કરવા માટેનું પ્રગટ થયું છે જેમાં કોઈ રેફરન્સીસ ટાંકવા ન પડે એ માટે એને ઇન્ટરવ્યુનું ફૉર્મેટ આપવામાં આવ્યું છે—પાનાંનાં પાનાં ભરીને એક સવાલ હોય જેના જવાબ રૂપે સળંગ બીજાં પાનાંઓ હોય. નક્સલવાદીઓના છેલ્લા દિવસો ગણાઈ રહ્યા છે છતાં એમની તરફેણમાં પુસ્તકો લખાઈ રહ્યાં છે. આ બધાનો મૂળ ઉદ્દેશ મોદી-શાહના જશ પર કાળો કુચડો ફેરવવાનો. નવા સર્જાયેલા વાતાવરણમાં આ ડાબેરી લોકોની પોલ ખુલ્લી પડી રહી છે, તેઓ બદનામ થઈ રહ્યા છે. એટલે આ બદમાશો પોતાના બચાવમાં તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. આ રસ્સીખેંચ લાંબી ચાલશે અને દેશપ્રેમીઓ જરા સરખા ગાફેલ રહ્યા તો ફરી એકવાર આ ટુકડે ટુકડે ગૅન્ગની જોહુકમી સ્થાપિત થઈ જશે.
ફિલ્મોની આડકતરી અસર પ્રજા પર પડતી હોય છે. મીડિયાની સીધી અસર પડે છે. ફિલ્મ, સાહિત્ય, નાટક કળા— આ બધા દ્વારા પ્રજાના સબ-કૉન્શ્યસ પર કબજો જમાવવામાં ડાબેરીઓ નિપૂણ છે. એમના વિરોધીઓએ આ રીત શીખવી પડશે અને વિવેક અગ્નિહોત્રી તથા આદિત્ય ધર જેવા નરબંકાઓ આ વાત બરાબર સમજીને આગળ વધી રહ્યા છે. એમના પગલે બીજા ઘણા તેજસ્વી ફિલ્મમેકર્સની હિંમત ખુલશે. સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં પણ ડાબેરીઓને નિર્વસ્ત્ર કરીને એમની અસલિયત સામે લાવવાની ચળવળ શરૂ થઈ ગઈ છે. જોકે, સનાતનના પ્રવાહમાં હાથ ધોઈને કમાણી કરવાની લાલચવાળા પણ આવવાના જ છે. એવું તો બનવાનું જ છે. મીડિયામાં પણ ક્યાં નથી બન્યું. આપણે સાવધ રહેવાનું અને લેભાગુઓથી ચેતાતા રહીને બીજાને ચેતવતા રહેવાનું.
ડાબેરીઓનો પ્રભાવ પૂરેપૂરો હતો ત્યારે સિનેમાજગત કેવું હતું ને કેવું નહીં એ તેનો તમને ખ્યાલ છે. ફિલ્મોમાં જ નહીં ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિઓ પર પણ એ પ્રભાવ પ્રગટપણે જોવા મળતો. સ્વ. જગજીતસિંહ અને અભિજીતથી માંડીને સોનુ નિગમ સુધીના ટોચના કળાકારોએ પોતાના વિચારો ખુલ્લેઆમ પ્રગટ કરવા બદલ કારકિર્દીમાં સહન કરવું પડ્યું છે. લતા મંગેશકર જેવી લેજન્ડરી હસ્તી પણ આ ઇકોસિસ્ટમથી ડરતી હતી. લતાજીના પિતા દીનાનાથ મંગેશકરને વીર સાવરકર સાથે ગાઢ મૈત્રી હતી એ વાત લતાજીએ મોદીયુગ પહેલાં બહુ ઓછા લોકોને કહી હતી. આમ જનતા સુધી તો આ માહિતી પહોંચી જ નહોતી. પછી જ્યારે લતાજીએ વિગતો આપી ત્યારે ખબર પડી કે કપરા દિવસોમાં સાવરકરે દીનાનાથને આર્થિક મદદ કરેલી જે પિતાના અવસાન બાદ પરત કરવા લતાજી ગયાં ત્યારે સાવરકરે લતાજીના માથે હાથ મૂકીને કહ્યું કે, તું તો મારી દીકરી સમાન છે, દીકરીના પૈસા મારાથી ના લેવાય!
લતાજીના ટેલન્ટેડ ભાઈ હૃદયનાથ આકાશવાણીમાં હતા ત્યારે એમણે સાવરકરની એક ખૂબ જાણીતી રાષ્ટ્રવાદી કવિતા ‘સાગરા પ્રાણ તળમળલા’ને સંગીતબદ્ધ કરી હતી. પરિણામ શું આવ્યું ? કૉન્ગ્રેસની સરકારે હૃદયનાથ મંગેશકરને નોકરીમાંથી કાઢી મૂક્યા. આ કિસ્સો પણ મોદીયુગ પહેલાં બહુ જાણીતો નહોતો.
પૂનાની વિખ્યાત ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (એફ.ટી.આઈ.આઈ.)એ આ અઠવાડિયે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને ‘ધુરંધર’ની સફળતા બદલ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રાકેશ બેદી ઉપરાંત બીજા અડધો ડઝન જેટલા કસબીઓને અભિનંદન આપ્યા છે. એફ.ટી.આઈ.આઈ.વાળાનું આ પગલું આશ્ચર્યચકિત કરી મૂકે એવું છે. આ સંસ્થા એન.એસ.ડી. નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાની જેમ પહેલેથી જ ડાબેરીઓનો અડ્ડો ગણાતી આવી છે. એફ.ટી.આઈ.આઈ.માં મોદીયુગના આરંભ પછી ગજેન્દ્ર ચૌહાણ (‘યુધિષ્ઠિર’)ને મૂકવામાં આવ્યા (2015-2017), ત્યારબાદ વરસ માટે અનુપમ ખેર આવ્યા છતાં એ સંસ્થાની ડાબેરી ઈમેજ યથાવત્ રહી. પણ અત્યારે, બે વર્ષથી ‘રોકેટ્રી’વાળા આર. માધવન આ સંસ્થાના વડા છે— કદાચ એટલે જ ‘ધુરંધર’ની ટીમને અભિનંદન મળ્યા. ‘ધુરંધર’માં અજિત દોવલનું પાત્ર ભજવનાર હિન્દુવાદી માધવન અત્યંત નિષ્ઠાવાન અભિનેતા છે.
ડાબેરીઓના એક પછી એક કિલ્લા ધ્વસ્ત થવાની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. સોશ્યલ મીડિયા અને બૌદ્ધિક વર્ગ પછી હવે ફિલ્મોનો વારો આવ્યો છે. શિક્ષણજગતનો પણ વારો આવ્યો છે. મીડિયા પણ થોડું ઘણું બદલાઈ રહ્યું છે.
રાતોરાત કોઈ મોટા ફેરફારો જોવા મળે કે ન મળે, ધીરજ રાખજો. આ સંક્રાન્તિકાળમાં હજુ ઘણી ઉથલપાથલ થવાની બાકી છે.
લાસ્ટ બૉલ
એ સૌથી સારો જમાનો હતો, એ ખરાબમાં ખરાબ સમય હતો. એ સમયમાં જ્ઞાનની-બુદ્ધિની બોલબાલા હતી, એ ગાળામાં બેવકૂફી હદ વટાવી ગયેલી. એ વિશ્વાસનો અને ભરોસાનો વખત હતો, એ ધોખાધડીનો જમાનો હતો. એ વખતે પ્રકાશનો ધોધ વહેતો, એ વખતે આખું જગત અંધકારમાં ડૂબેલું હતું. એ સમયે સૌમાં આશાનો સંચાર થયેલો હતો, એ ગાળામાં સૌ કોઈ નિરાશામાં હતું. એ વખતે આપણી પાસે બધું જ હતું, એ સમયે આપણી પાસે કશું જ નહોતું. આપણે સૌ સ્વર્ગની સીડીઓ ચડી રહ્યા હતા, આપણે સૌ ઊંધી દિશામાં જઈ રહ્યા હતા— ટૂંકમાં, એ જમાનો અત્યારના જેવો જ હતો.
—ચાર્લ્સ ડિકન્સ (‘અ ટેલ ઑફ ટુ સિટીઝ’ નવલકથાનો આ મશહૂર ઉઘાડ મોદીયુગના ભારતના સંક્રાન્તિકાળને પણ લાગુ પડે છે.)
(સુજ્ઞ વાચક જોગ: 15 ઑગસ્ટ 2025થી શરૂ થયેલી અને ટૂંક સમયમાં ખાસ્સી લોકપ્રિયતા પામેલી શ્રી સૌરભ શાહની કૉલમ ‘લેફ્ટ, રાઈટ અને સેન્ટર’ દર શુક્રવારે પ્રસિદ્ધ થતી હતી, જે હવેથી દર રવિવારે પ્રકાશિત થશે.)


