100 વર્ષ પહેલાં વિજયાદશમીના મહાપર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. આ હજારો વર્ષોથી ચાલતી આવતી એ પરંપરાનું પુનર્સ્થાપન હતું, જેમાં રાષ્ટ્રચેતના સમયે-સમયે એ યુગના પડકારોનો સામનો કરવા માટે નવા-નવા અવતારોમાં પ્રગટ થતી રહે છે. આ યુગમાં સંઘ એ અનાદિ રાષ્ટ્ર ચેતનાનો પુણ્ય અવતાર છે. આપણને સંઘ શતાબ્દી વર્ષ જેવો મહાન અવસર જોવા મળી રહ્યો છે એ આપણી પેઢીના સ્વયંસેવકોનું સૌભાગ્ય છે. આ અવસરે રાષ્ટ્રસેવાના સંકલ્પને સમર્પિત કોટિ-કોટિ સ્વયંસેવકોને શુભકામનાઓ પાઠવું છું. સંઘના સંસ્થાપક, આપણા સૌના આદર્શ પરમ પૂજ્ય ડૉક્ટર હેડગેવારજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. સંઘની 100 વર્ષની આ ગૌરવમયી યાત્રાની સ્મૃતિમાં ભારત સરકારે વિશેષ ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યાં છે.
જે રીતે વિશાળ નદીઓના કિનારે માનવ સભ્યતાઓ વિકસે છે એ જ રીતે સંઘના કિનારે સેંકડો જીવન પુષ્પિત-પલ્લવિત થયાં છે. જેમ એક નદી જે માર્ગ વહે એ ક્ષેત્રોને પોતાના જળથી સમૃદ્ધ કરે છે એ જ રીતે સંઘે આ દેશના દરેક ક્ષેત્ર, સમાજના દરેક આયામને સ્પર્શ કર્યો છે. જે રીતે એક નદી અનેક ધારાઓમાં પ્રગટ થાય છે, સંઘની યાત્રા પણ એવી જ છે. સંઘનાં અલગ-અલગ સંગઠનો પણ જીવનના દરેક પક્ષ સાથે જોડાઈને રાષ્ટ્રની સેવા કરે છે. શિક્ષણ, કૃષિ, સમાજ કલ્યાણ, આદિવાસી કલ્યાણ, મહિલા સશક્તિકરણ…સમાજ જીવનનાં અનેક એવાં ક્ષેત્રોમાં સંઘ નિરંતર કાર્ય કરતો રહ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરતાં દરેક સંગઠનનો ઉદ્દેશ્ય એક જ છે, ભાવ એક જ છે… રાષ્ટ્રપ્રથમ.
आज से 100 साल पहले विजयादशमी के दिन ही समाज सेवा और राष्ट्र निर्माण के उद्देश्य से राष्ट्रीय स्वयंसेवक संघ की स्थापना हुई थी। लंबे कालखंड के दौरान असंख्य स्वयंसेवकों ने इस संकल्प को साकार करने के लिए अपना जीवन समर्पित कर दिया। इसे लेकर मैंने अपने विचारों को शब्दों में ढालने का…
— Narendra Modi (@narendramodi) October 2, 2025
રચના બાદથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રનિર્માણનો વિરાટ ઉદ્દેશ્ય લઈને ચાલ્યો. આ ઉદ્દેશ્યની પૂરતી માટે સંઘ વ્યક્તિનિર્માણથી રાષ્ટ્રનિર્માણનો માર્ગ પસંદ કર્યો અને જે કાર્યપદ્ધતિ પસંદ કરી એ હતી નિત્ય-નિયમિત ચાલતી શાખાઓ. સંઘ શાખાનું મેદાન એક એવી પ્રેરણાભૂમિ છે, જ્યાંથી સ્વયંસેવકની ‘અહમથી વયમ્’ની યાત્રા શરૂ થાય છે. સંઘની શાખાઓ વ્યક્તિનિર્માણની યજ્ઞવેદી છે.
રાષ્ટ્રનિર્માણનો મહાન ઉદ્દેશ્ય, વ્યક્તિનિર્માણનો સ્પષ્ટ પાઠ અને શાખા જેવી સરળ, જીવંત કાર્યપદ્ધતિ જ સંઘનાં સો વર્ષની યાત્રાનાં આધાર બન્યાં. આ જ સ્તંભો પર રહીને સંઘે લાખો સ્વયંસેવકો ઘડ્યા, જેઓ વિવિધ ક્ષેત્રોમાં દેશને આગળ વધારી રહ્યા છે.
સંઘ જ્યારથી અસ્તિત્વમાં આવ્યો, સંઘ માટે દેશની પ્રાથમિકતા જ પોતાની પ્રાથમિકતા રહી. સ્વતંત્રતાના સંઘર્ષ સમયે પરમ પૂજ્ય ડૉક્ટર હેડગેવારજી સહિત અનેક કાર્યકર્તાઓએ સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો, અનેક વખત જેલ પણ ગયા. સ્વતંત્રતાના સંઘર્ષમાં કેટલાય સ્વતંત્રતા સેનાનીઓને સંઘ સંરક્ષણ આપતો રહ્યો, તેમની સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું. સ્વતંત્રતા બાદ પણ સંઘ નિરંતર રાષ્ટ્રસાધનામાં લાગેલો રહ્યો. આ યાત્રામાં સંઘ વિરુદ્ધ ષડ્યંત્ર પણ થયાં, સંઘને કચડવાના પણ પ્રયાસ થયા. ઋષિતુલ્ય પરમ પૂજ્ય ગુરુજીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા, પરંતુ સંઘના સ્વયંસેકોએ ક્યારેય કોઈ કટુતાને સ્થાન ન આપ્યું. કારણ કે તેઓ જાણે છે કે આપણે સમાજથી અલગ નથી, સમાજ આપણાથી જ બન્યો છે. સમાજ સાથે એકાત્મતા અને બંધારણીય સંસ્થાઓ પ્રત્યે આસ્થા સંઘના સ્વયંસેવકોને દરેક સંકટમાં સ્થિતપ્રજ્ઞ રાખ્યા છે. સમાજ પ્રત્યે સંવેદનશીલ બનાવી રાખ્યા છે.
આરંભથી જ સંઘ રાષ્ટ્રભક્તિ અને સેવાનો પર્યાય રહ્યો છે. જ્યારે વિભાજનની પીડાએ લાખો પરિવારોને બેઘર બનાવી દીધા ત્યારે સ્વયંસેવકોએ શરણાર્થીઓની સેવા કરી. દરેક આપત્તિમાં સંઘના સ્વયંસેવકો સીમિત સંસાધનો સાથે પણ સૌથી આગળ રહ્યા. આ માત્ર રાહત નહીં પણ રાષ્ટ્રની આત્માને સંબલ આપવાનું કાર્ય હતું. પોતે કષ્ટ ઉઠાવીને બીજાની પીડા દૂર કરવી એ જ સ્વયંસેવકની ઓળખ છે. આજે પણ પ્રાકૃતિક આપદામાં દરેક ઠેકાણે સ્વયંસેવકો સૌથી પહેલા પહોંચનારાઓમાંથી એક હોય છે.
પોતાની સો વર્ષની આ યાત્રામાં સંઘે સમાજના અલગ-અલગ વર્ગોમાં આત્મબોધ અને સ્વાભિમાન જગાવ્યાં. સંઘ દેશનાં એ ક્ષેત્રોમાં પણ કામ કરતો રહ્યો જે દુર્ગમ છે, જ્યાં પહોંચવું સૌથી કઠિન છે. સંઘ દાયકાઓથી આદિવાસી પરંપરા, આદિવાસી રીતિ-રિવાજ, આદિવાસી મૂલ્યોના સંરક્ષણ માટે યોગદાન આપતો રહ્યો, કર્તવ્ય નિભાવતો રહ્યો. આજે સેવા ભરતી, વિદ્યાભારતી, એકલ વિદ્યાલય, વનવાસી કલ્યાણ આશ્રમ, આદિવાસી સમાજ સશક્તિકરણના સ્તંભ બનીને ઊભર્યાં છે.
સમાજમાં સદીઓથી ઘર કરી ગયેલી બીમારીઓ, ઊંચ-નીચની ભાવનાઓ, કુપ્રથાઓ હિંદુ સમાજ માટે મોટા પડકાર રહ્યાં છે. આ એક એવી ગંભીર ચિંતા છે જેની ઉપર સંઘે પણ સતત કામ કર્યું છે. ડૉક્ટર સાહેબથી લઈને આજ સુધી સંઘની દરેક મહાન વિભૂતિએ, દરેક સર સંઘચાલકે ભેદભાવ અને છૂતઅછૂત વિરુદ્ધ લડાઈ લડી છે. પરમ પૂજ્ય ગુરુજી નિરંતર ‘ન હિન્દુ પતિતો ભવેત’ની ભાવના આગળ ધપાવી. પૂજ્ય બાલા સાહેબ દેવરસજી કહેતા હતા કે, ‘છૂતઅછૂત જો પાપ ન હોય તો દુનિયામાં કોઈ પાપ નથી.’ સરસંઘચાલક રહેતાં પૂજ્ય રજ્જુ ભૈયાજી અને પૂજ્ય સુદર્શનજીએ પણ આ જ ભાવનાને આગળ વધારી. વર્તમાન સરસંઘચાલક આદરણીય મોહન ભાગવતજીએ પણ સમરસતા માટે સમાજ સામે એક કૂવો, એક મંદિર અને એક સ્મશાનનું સ્પષ્ટ લક્ષ્યાંક રાખ્યું છે.
જ્યારે સો વર્ષ પહેલાં સંઘ અસ્તિત્વમાં આવ્યો ત્યારે જરૂરિયાતો અને તે સમયના સંઘર્ષો અલગ હતાં. આજે સો વર્ષો બાદ જ્યારે ભારત વિકસિત થવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજના સમયના પડકારો અલગ છે, સંઘર્ષો અલગ છે. બીજા દેશો પર આર્થિક નિર્ભરતા, આપણી એકતાને તોડવાનાં ષડ્યંત્રો, ડેમોગ્રાફીમાં બદલાવનાં ષડ્યંત્ર, આપણી સરકાર આ પડકારો સામે લડી રહી છે. મને આનંદ એ વાતનો છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આ જ પડકારો સામે લડવા માટે ઠોસ રોડમેપ પણ બનાવ્યો છે.
સંઘનાં પંચ પરિવર્તન સ્વબોધ, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, નાગરિક શિષ્ટાચાર અને પર્યાવરણ દરેક સ્વયંસેવક માટે દેશ સામેના પડકારોને પરાસ્ત કરવા માટે બહુ મોટી પ્રેરણા છે.
સ્વબોધની ભાવનાનો ઉદ્દેશ્ય ગુલામીની માનસિકતાથી મુક્ત થઈને પોતાના વારસા પર ગર્વ અને સ્વદેશના મૂળ સંકલ્પને આગળ વધારવાનો છે. સામાજિક સમરસતા થકી વંચિતને વરિયતા આપીને સામાજિક ન્યાયની સ્થાપનાનું પ્રણ છે. આજે આપણી સામાજિક સમરસતાને ઘૂસણખોરોના કારણે ડેમોગ્રાફીમાં આવતા ફેરફારોથી પણ મોટો પડકાર મળ્યો છે. દેશે પણ તેના નિદાન માટે ડેમોગ્રાફી મિશનની ઘોષણા કરી છે. આપણે કુટુંબ પ્રબોધન એટલે કે પરિવાર સંસ્કૃતિ અને મૂલ્યોને પણ મજબૂત બનાવવાનાં છે. નાગરિક શિષ્ટાચાર થકી નાગરિક કર્તવ્યોના બોધનું દરેક દેશવાસીમાં સિંચન કરવાનું છે. આ સાથે પર્યાવરણની રક્ષા કરીને આવનારી પેઢીઓ માટે ભવિષ્ય સુરક્ષિત રાખવાનું છે.
આ સંકલ્પો લઈને સંઘ હવે આગલી શતાબ્દીની યાત્રા શરૂ કરી રહ્યો છે. 2047ના વિકસિત ભારતમાં સંઘનું દરેક યોગદાન દેશની ઊર્જા વધારશે, દેશને પ્રેરણા આપશે. ફરી એક વખત સ્વયંસેવકોને અનેક-અનેક શુભકામનાઓ.


