Saturday, May 3, 2025
More
    હોમપેજરાજકારણપહલગામ હુમલા માટે ઝારખંડના મંત્રીએ માંગી લીધું હિમાચલના મુખ્યમંત્રીનું રાજીનામું!: શું રાતોરાત...

    પહલગામ હુમલા માટે ઝારખંડના મંત્રીએ માંગી લીધું હિમાચલના મુખ્યમંત્રીનું રાજીનામું!: શું રાતોરાત જમ્મુ-કાશ્મીરને ગળી ગયું HP! નકશાને પણ આવી ગઈ શરમ

    આ નિવેદને એક વાત તો સ્પષ્ટ કરી દીધી કે ભારતીય રાજકારણમાં નિવેદનોની ગોળીઓ ભૂગોળની બહાર ચાલે છે! હવે બસ, આપણે એ જોવાનું છે કે આ ‘ભૂગોળનું જ્ઞાન’ આગળ કયા રાજ્યને નિશાન બનાવશે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાના (Pahalgam Terrorist Attack) કારણે સમગ્ર દેશ શોકમાં ડૂબેલો છે, ત્યારે દેશના અમુક નેતાઓ ભૂગોળ ભૂલી ગયા હોય એમ લાગી રહ્યું છે. તાજેતરમાં જ ઝારખંડના પર્યટન મંત્રી સુદિવ્ય કુમાર સોનુનું (Sudivya Kumar Sonu) પહલગામ આતંકી હુમલાને લઈને નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે હુમલા માટે હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) મુખ્યમંત્રી સુખવિંદર સિંઘ સુક્ખુનું (Sukhwinder Singh Sukhu) રાજીનામું માંગી લીધું.

    તેમના નિવેદનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ હયો જેમાં સુદિવ્ય કુમાર અતિદિવ્ય નિવેદન આપતા નજરે ચઢ્યા. તેમણે કહ્યું કે, “પહલગામમાં થયેલ હુમલો ખુબ દુ:ખદ ઘટના છે, જેના માટે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખુએ રાજીનામું આપી દેવું જોઈએ.” મને લાગે આ નિવેદન સાંભળીને કદાચ ભારતનો નકશો પણ પોતાની જાતને પ્રશ્ન પૂછી રહ્યો હશે, અને હા ક્યાંક જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ બંને પિતરાઈ ભાઈઓની જેમ ઝગડી પડ્યા હશે.

    આમ જોવા જઈએ તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર એટલા બધા નજીક તો છે નહીં. જે પહલગામ જમ્મુ-કાશ્મીરના હ્રદય જેવું છે, તે હિમાચલ પ્રદેશની સરકારની નિષ્ફળતા કેવી રીતે હોઈ શકે? એવું લાગે છે કે રાત્રે બધા સૂઈ જાય પછી હિમાચલ ચોરીછૂપીથી પોતાની સીમાઓ વિસ્તારી રહ્યું છે એટલે જ આપણે બધા નકશાના આ નવા ડ્રાફ્ટથી અજાણ રહી ગયા અને હિમાચલ તેનો વિસ્તાર વધારીને પહલગામને ગળી ગયું.

    - Advertisement -

    સુદિવ્યજીનું નિવેદન સાંભળીને એવું લાગે છે કે તેમણે ભૂગોળના પાઠ ઝારખંડની કોઈ નદીના પાણીમાં વહાવી દીધા હોય! જો પહલગામ માટે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને રાજીનામું આપવાનું હોય, તો કદાચ આવતીકાલે એવું બને કે દિલ્હીના ટ્રાફિકજામ અને પ્રદૂષણ માટે સુદિવ્યજી ગુજરાતના મુખ્યમંત્રીનું રાજીનામું માંગી લેય. જોકે, પહલગામ માટે સુક્ખુનું રાજીનામું માંગવા પર જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીને દુઃખ થયું હશે કે…?

    જોકે, સુદિવ્યજીને ખબર પડી ગઈ કે તેમણે લીધેલ ભૂગોળનું જ્ઞાન ઉજાગર થઈ ગયું છે એટલે એમણે પાછળથી સ્પષ્ટતા પણ કરી કે તેમનું નિવેદન ‘જાણીજોઈને’ હિમાચલને નિશાન બનાવવા માટે હતું. પરંતુ છતાંય મારા નાનકડા મગજને એક પ્રશ્ન તો થઈ જ રહ્યો છે કે પહલગામને સાથે જોડીને હિમાચલ પર નિશાન સાધવાનો અર્થ શું? ભલે હશે ત્યારે, જવા દઈએ… એમ પણ ‘સુદિવ્યજી’ CM હેમંત સોરેનના ખાસ છે, ઝારખંડના મંત્રી છે, ઉપરથી INDI ગઠબંધનનો ભાગ છે એટલે એમણે એમના આકાના પદચિન્હો પર તો ચાલવું જ પડે ને!

    મારા ચંચળ મનમાં એક પ્રશ્ન તો હજીય ઉભોને ઉભો જ છે, કે હિમાચલ પ્રદેશમાં તો કોંગ્રેસની સરકાર છે ને? અને સુદિવ્યજી જે પાર્ટીના નેતા છે એ પાર્ટી એટલે ઝારખંડ મુક્તિ મોરચા એણે પણ કોંગ્રેસ સાથે જ સરકાર બનાવી છે. એટલે અહીં શું માનવું કોંગ્રેસ VS INDI ગઠબંધન? ગઠબંધનની અંદરની આ ‘એકતા’ જોઈને એવું લાગે છે કે આ લોકો ચૂંટણી પહેલાં પોતાની જ ટીમનો સ્કોર બગાડવા માંગે છે. એમનો સ્કોર બગડશે કે કેમ એ તો ભવિષ્યના પેટમાં છે, પણ આ ભૂગોળના નવા જ્ઞાનની સોશિયલ મીડિયા પર ટ્રોલિંગની લ્હાણીનો સ્કોર ચોક્કસ વધી ગયો છે.

    ચાલો ત્યારે આ બધું તો ચાલતું રહેવાનું! પણ હા આ નિવેદને એક વાત તો સ્પષ્ટ કરી દીધી કે ભારતીય રાજકારણમાં નિવેદનોની ગોળીઓ ભૂગોળની બહાર ચાલે છે! હવે બસ, આપણે એ જોવાનું છે કે આ ‘ભૂગોળનું જ્ઞાન’ આગળ કયા રાજ્યને નિશાન બનાવશે. ત્યાં સુધી, હાથમાં નકશો રાખો, દરેક રાજ્ય પર નજર રાખો કે કોઈ રાજ્ય હિમાચલ પ્રદેશની જેમ વિસ્તરી તો નથી રહ્યું ને અને હા નિવેદનો સાચવીને સાંભળો!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં