Tuesday, May 6, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઇસ્લામી આક્રાંતાઓએ અનેક વખત સોમનાથ પર કર્યા પ્રહારો, પણ ફરી-ફરી બેઠું થયું...

    ઇસ્લામી આક્રાંતાઓએ અનેક વખત સોમનાથ પર કર્યા પ્રહારો, પણ ફરી-ફરી બેઠું થયું શિવાલય: નેહરુએ ‘હિંદુ પુનરુત્થાન’ના ભયથી કર્યો હતો જીર્ણોદ્ધારનો વિરોધ

    સોમનાથ મંદિરને અનેક વખત લૂંટફાટ અને વિધ્વંસનો સામનો કરવો પડ્યો. સ્વતંત્ર ભારતના વડાપ્રધાને પણ તેનો વિરોધ કર્યો. તેમ છતાં આજે જોઈ શકાય છે કે, મંદિર પર હુમલો કરનારાઓ અને મંદિરનો વિરોધ કરનારાઓનો અવાજ કાયમ માટે દબાઈ ગયો છે. જ્યારે તે મંદિર દુનિયાભરના અસંખ્ય હિંદુઓ વચ્ચે ગર્ભ અને પ્રતિષ્ઠા સાથે અડીખમ ઊભું છે.

    - Advertisement -

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ… રાષ્ટ્રની સનાતન આસ્થાને પુનર્જાગૃત કરવા અને ઉત્તર પ્રદેશના અયોધ્યાની પવિત્ર ભૂમિ પર ધર્મને પુનઃ સ્થાપિત કરવા માટેનાં અગણિત પેઢીઓના બલિદાન અને હિંદુઓના સતત સંઘર્ષના પરિણામોનું પ્રતીક છે. તે જ રીતે 74 વર્ષ પહેલાં એક એવી ઐતિહાસિક ઘટના સામૂહિક સ્મૃતિમાં નોંધાઈ હતી. જેને આપણે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર તરીકે ઓળખીએ છીએ. આ તે જ મંદિર છે, જેના પર ઇસ્લામી આક્રાંતાઓએ વારંવાર હુમલાઓ કર્યા અને સનાતન ધર્મની પ્રાચીન ધરોહરને નષ્ટ કરવાના અગણિત પ્રયાસો પણ કર્યા હતા.

    સોમનાથ મહાદેવ મંદિર, જેને પ્રાચીન ગ્રંથોમાં સોમેશ્વર મહાદેવ મંદિર તરીકે વર્ણવવામાં આવ્યું છે, તે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સ્થિત વેરાવળના પ્રભાસ પાટણ પાસે સમુદ્રના કિનારે આવેલી ભવ્ય હિંદુ વિરાસત છે. તે ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે વિશ્વવિખ્યાત છે. શિવ પુરાણના અધ્યાય 13માં પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ મળી આવે છે. પ્રાચીન હિંદુ ધર્મગ્રંથોમાં તે મંદિરનો ઉલ્લેખ હિંદુઓના પવિત્ર તીર્થક્ષેત્ર તરીકે થયો છે. કપિલા, હિરણ અને સરસ્વતી નદીઓના મિલનના કારણે તેને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે.

    સ્થાનિક હિંદુ શાસકોએ જાળવી રાખ્યું હતું મંદિરનું ગૌરવ

    પૌરાણિક ઇતિહાસ અનુસાર, ચંદ્ર દેવ સોમે શ્રાપના કારણે ખોવાયેલા પોતાના તેજને પરત મેળવવા માટે સરસ્વતી નદીમાં સ્નાન કર્યું હતું. એવું માનવામાં આવે છે કે સોમનાથ તે સ્થાનો પૈકીનું એક છે, જ્યાં ભગવાન શિવ પ્રકાશના જ્વલંત સ્તંભ તરીકે પ્રગટ થયા હતા. પ્રથમ મંદિરના સંસ્થાપકની ઓળખ ઇતિહાસમાં ક્યાંય નોંધાયેલી નથી. બની શકે ક તે ઇતિહાસને નાબૂદ પણ કરી દેવાયો હોય. તેમ છતાં હિંદુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે તેને ઈસાઈ યુગનાં ઘણાં વર્ષો પહેલાં બનાવવામાં આવ્યું હતું. 649માં વલ્લભીપુરના એક યાદવ રાજા મંદિરના નિર્માણમાં ભાગ લેનારા પ્રથમ હરોળના શાસકો પૈકીના એક હતા.

    - Advertisement -

    ચાલુક્ય રાજવંશના રાજા મૂળરાજ, ભીમદેવ પ્રથમ અને કુમારપાળ તે શાસકો હતા, જેમણે સતત હુમલાઓ બાદ પણ મંદિરના પુનઃનિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. તે સિવાય સૌરાષ્ટ્રના ચુડાસમા રાજવંશના રાજા મહિપાલ પ્રથમ, માળવાના પરમારવંશના રાજા ભોજ અને જૂનાગઢના ચુડાસમાવંશના રાજા ખેંગારે પણ સોમનાથ મંદિરના નાશ બાદ તેને ફરી જીવિત કર્યું હતું.

    આ મંદિરનો ઇતિહાસ પણ રામ મંદિર સહિત અન્ય મુખ્ય હિંદુ ધાર્મિક સ્થળોની જેમ સંઘર્ષપૂર્ણ રહ્યો. વિવિધ ઇસ્લામી આક્રાંતાઓએ 11મી સદીમાં આ હિંદુ મંદિરનો નાશ કરવાના અનેકો પ્રયાસો કર્યા હતા, ખાસ કરીને મહમૂદ ગઝનવીએ. વ્યાપક નુકસાન પહોંચાડ્યા બાદ પણ મંદિરનું પુનઃનિર્માણ કરાવવામાં આવ્યું હતું. એક વખત ખંડેર બન્યા બાદ પણ મંદિરને તેના પ્રાચીન ગૌરવ અનુસાર, ફરી ઊભું કરવામાં આવવું રહ્યું અને આ ઘટના સ્વતંત્ર ભારતમાં હિંદુ પુનર્જાગરણના પ્રતીક તરીકે કામ કરતી રહી.

    સોમનાથ મંદિરનું ઔપચારિક ઉદ્ઘાટન 11 મે, 1951માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ સ્વર્ગીય રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું. આ ઐતિહાસિક દિવસ સુધીની યાત્રામાં અનેક દર્દનાક યાદો પણ સમાયેલી છે. જેમાં મુસ્લિમ આક્રાંતાઓના હુમલા અને કોંગ્રેસ પાર્ટીનું તુચ્છ વોટબેંક માટેનું રાજકારણ પણ સામેલ છે. તેમ છતાં હિંદુ સમુદાયના દ્રઢ સંકલ્પ અને પ્રબળ ઈચ્છાશક્તિથી મંદિર અડીખમ પ્રાચીન ગૌરવને ધારણ કરીને આજે પણ ઊભું છે.

    સોમનાથ પર પ્રથમ હુમલો: ઈ. 725

    ઉમય્યદ ખિલાફત દરમિયાન, જુનૈદ ઇબ્ન અબ્દ અર-રહેમાન અલ-મુરી નામના એક આરબને સિંધનો ગવર્નર બનાવવામાં આવ્યો હતો. તેને અલ-જુનૈદ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. 723માં તેને સિંધનો ગવર્નર બનાવ્યા બાદ 726 સુધી તે સત્તામાં રહ્યો હતો. તેનો શાસનકાળ ભારતમાં ઉમય્યદવંશના વિકાસ માટેનો એક મહત્વપૂર્ણ સમય હતો. તેણે ગુજરાત અને રાજસ્થાન પર હુમલા કર્યા હતા અને 752માં સોમનાથ મંદિરને તોડી પાડ્યું હતું. તેણે મંદિરમાં રહેલા ખજાનાને પણ લૂંટી લીધો હતો. જે બાદ છેક 815માં ગુર્જર પ્રતિહાર સમ્રાટ નાગભટ્ટ દ્વિતીયે તેમના શાસનકાળ દરમિયાન તે જગ્યાની મુલાકાત લીધી હતી. તેમણે જોયું હતું કે, સોમનાથનું પ્રસિદ્ધ મંદિર તમામ રીતે નષ્ટ થઈ ગયું છે. જે બાદ તેમણે ફરીથી મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું હતું અને તેના માટે લાલ બલુઆ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    મહમૂદ ગઝનવીનો ઉદય

    મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં યામિની તુર્કોના આગમન બાદ ઘણો બદલાવ આવ્યો હતો. અફઘાનિસ્તાનના ગઝની પર તુર્કીઓના પ્રભુત્વની શરૂઆતે ભારતીયોને બર્બરતાના એક નવા પડાવ માટે પોતાને તૈયાર કરવા માટે મજબૂર કરી દીધા હતા. જોકે, તે પહેલાં ભારતીયોએ (હિંદુઓ) આરબોના અનેક હુમલાઓને નિષ્ફળ કરી દીધા હતા. ગઝની શહેર પર તુર્કી શાસનની શરૂઆત સમાનીદ સલ્તનતના એક ગુલામ કમાન્ડર અલ્પતીગિને (તુર્કીશ) કરી હતી. શહેરને સુરક્ષિત કર્યા બાદ તુર્કીઓએ પોતાના પાડોશી રાજ્યો વિરુદ્ધ આક્રમક નીતિ અપનાવી હતી. 977માં સબુક્તગિનના નેતૃત્વમાં તુર્કોએ ભારતના ઉત્તર-પશ્ચિમી પ્રદેશો પર હુમલા કરવાના શરૂ કરી દીધા હતા. પરંતુ ઉદભંડપુરના રાજા જયપાલે તે તમામ હુમલાઓને નિષ્ફળ કરી દીધા હતા.

    જોકે, સાહસી રાજા જયપાલના ઘણાં વર્ષો સુધીના કઠોર સંઘર્ષ બાદ તુર્કોએ જીત મેળવી લીધી હતી. તુર્કો અને ભારતીયો વચ્ચે સંઘર્ષ નાટકીય ઢબે ત્યારે વધી ગયો, જ્યારે અબુ-અલ-કાસિમ મહમૂદ ઇબ્ને ગઝનીની ગાદી સંભાળી. તે સબુક્તગિલનો પુત્ર હતો. આગળ જતાં તે મહમૂદ ગઝનવી તરીકે કુખ્યાત થયો હતો. તેણે કથિત રીતે ‘કાફિરો’ના પ્રદેશો વિરુદ્ધ ‘પાક જંગ’ છેડવાની કસમ ખાધી હતી. તેણે રાજા જ્યપાલના ઉત્તરાધિકારીઓ આનંદપાલ (1008મા) અને ત્રિલોચનપાલને (1013મા) હરાવ્યા બાદ રાજા જ્યપાલના શાસન પર પણ કબજો કરી લીધો હતો. આ સાથે જ તેણે પોતાની સલ્તનતનો ફેલાવો પણ કર્યો હતો. તેણે ભારતમાં ઓછામાં ઓછા 12 હુમલા કર્યા હતા અને તેના પુરોગામી ઇસ્લામી આક્રાંતાઓની જેમ તેણે મંદિરો અને શહેરોને તબાહ કરીને લૂંટવાનું કામ જ કર્યું હતું.

    ગઝનવીએ 1011મા થાણેશ્વરમાં હુમલો કર્યો હતો અને ત્યાંનાં તમામ મંદિરો નષ્ટ કરીને મૂર્તિઓ તોડી પાડી હતી. જે બાદ તેણે 1218-19 દરમિયાન મથુરાના મંદિરોને સળગાવી દીધાં હતાં અને મૂર્તિઓ પોતાની સાથે ગઝની લઈને ગયો હતો. મથુરામાં આ તબાહી 20 દિવસ સુધી ચાલી હતી. મથુરાની જેમ કન્નૌજને પણ લૂંટવામાં આવ્યું હતું અને તમામ સંપત્તિ ગઝની સુધી પહોંચાડવામાં આવી હતી. જોકે, સોમનાથ પર કરેલો હુમલો તેનું સૌથી ક્રૂર પગલું હતું. પુરતત્વીય શોધ અનુસાર, મહમૂદના હુમલા પહેલાં સોમનાથ મંદિરને ત્રણ વખત બનાવવામાં આવ્યું હતું. મંદિર પર ઓછામાં ઓછા 6 વખત હુમલા કરવામાં આવ્યા હતા.

    સોમનાથ પર હુમલો અને લૂંટ : ઈ. 1025-1026

    ઘણા ઇતિહાસકારો અનુસાર, સોમનાથ મંદિરનું નિર્માણ પથ્થરના વિશાળ સ્લેબ પર કરવામાં આવ્યું હતું. જેની છતને 56 સ્તંભોએ સહારો આપ્યો હતો. મંદિર પિરામિડ આકારનું હતું અને તેમાં 12 સ્તર હતા, જેની ઉપર 14 સ્વર્ણ ગુંબદ હતા. મંદિરની અંદર ગર્ભગૃહમાં 7.6 ફૂટ ઊંચી અને 4.6 ફૂટ પહોળી શિવલિંગ સ્થાપિત હતી. તે સિવાય શિવલિંગનો 6 ફૂટનો ભાગ તો બેઝની નીચે સ્થાપિત કરવામાં આવ્યો હતો. મંદિરમાં પૂજા અને ધાર્મિક અનુષ્ઠાનો માટે એક જ સમયે ઓછામાં ઓછા 1000 બ્રાહ્મણોને સમાહિત કરવામાં આવી શકે તેમ હતા. મંદિર સોના, ચાંદી, મોતી અને હીરાનો ખજાનો હતો. કક્ષમાં એક સોનાની મોટી ચેન પણ હતી, તેનું વજન 200 મણ હતું. (આજની ગણતરીમાં 40 કિલો જેટલું)

    ગઝનવી સલ્તનતના ક્રૂર શાસક મહમૂદ ગઝનવીએ ગુજરાતના ચાલુક્ય રાજવંશ વિરુદ્ધ 1025 અને 1026 વચ્ચે ‘સોમનાથની લૂંટ’ નામના એક સૈન્ય અભિયાનની યોજના બનાવી હતી. આ આક્રમણના પરિણામસ્વરૂપ પવિત્ર મંદિરને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. ભયંકર વિરોધ અને ભારે નુકસાન થયું હોવા છતાં તેની સેના પોતાના મનસૂબા પૂરા કરવામાં સફળ રહી હતી. પોતાની ભૂમિ અને મંદિરોની રક્ષા માટે લડનારા હિંદુઓએ સોમનાથ મંદિર પર હુમલાનો બહાદુરીપૂર્વક વિરોધ પણ કર્યો હતો.

    યુદ્ધ દરમિયાન ગઝનવીએ પોતાની સેનાને આદેશ આપ્યો હતો કે, તે હુમલો કરે અને ‘બુતપરસ્તો’ને (મૂર્તિપૂજકો) મંદિરની બહાર ખદેડી દે. જીતની કોઈ આશા ન હોવા છતાં હિંદુઓએ બહાદુરીપૂર્વક ઇસ્લામી સેના સામે લડત ચાલુ રાખી હતી. તે સમયે સોમનાથ મંદિરની ચારે તરફ હિંદુઓ દ્વારા સંરક્ષિત એક મજબૂત કિલો પણ હતો. તે સિવાય લડનારા હિંદુઓમાં અડધાથી વધારે બ્રાહ્મણો હતા. જ્યારે ગઝનવીએ હિંસક હુમલાનો આદેશ આપ્યો, ત્યારે સોમનાથના નિશસ્ત્ર રક્ષકોએ બહાદુરીપૂર્વક તેનો પ્રતિકાર કર્યો હતો.

    માત્ર સામાન્ય હથિયારો ધારણ કરીને મુઠ્ઠીભર હિંદુઓએ આખી સેનાને ઘણા દિવસો સુધી હંફાવી હતી. સેનાની રીતે નિર્બળ હિંદુઓની ભક્તિ એક કુશળ સૈન્ય નેતાના હુમલા વિરુદ્ધ ખૂબ મક્કમ હતી. જેના કારણે એક સમયે ઇસ્લામી સેનાએ પીછેહઠ કરવાની ફરજ પણ પડી હતી. મરણિયા બનીને માત્ર મુઠ્ઠીભર હિંદુઓ ઇસ્લામી સેના પર તૂટી પડ્યા હતા.

    યુદ્ધના ત્રીજા દિવસે ક્ષત્રિયોની એક સેના હિંદુઓના સમર્થનમાં આવી પહોંચી હતી. પરિણામસ્વરૂપ સોમનાથમાં મોટાપાયે અરાજકતા ફેલાઈ ગઈ હતી અને લોકો શિવલિંગની રક્ષા માટે મંદિરમાં ઘૂસી ગયા હતા. આ સમયે ક્રૂર મહમૂદ ગઝનવીએ 50,000થી વધુ હિંદુઓની હત્યા કરી નાખી હતી. ફારસી ઇતિહાસકાર મુહમ્મદ ખાનદમીરે પણ પોતાના પુસ્તકમાં આ ઘટના વિશેની વાત કરી છે.

    આ નરસંહાર બાદ મહમૂદ મંદિરમાં ઘૂસ્યો હતો અને શિવલિંગને ખંડિત કરી નાખીને તમામ સંપત્તિ લૂંટી લીધી હતી. લૂંટેલી સંપત્તિની કુલ કિંમત 20,000,000 દીનાર હતી. ઉલ્લેખનીય છે કે, મહમૂદ ગઝનવી સંપત્તિ લૂંટીને કચ્છ પહોંચ્યો ત્યારે તે રસ્તો ભટકી ગયો હતો અને કચ્છના રણમાં જ રસ્તો શોધવાના પ્રયાસો કરી રહ્યો હતો. દરમિયાન તે નિર્જન સ્થળ પર એક હિંદુએ મહમૂદની થાકેલી સેનાને મદદ કરવાની રજૂઆત કરી હતી. ત્રણ દિવસ સુધી ગઝનવીની આ સેનાનું નેતૃત્વ એક હિંદુ કરી રહ્યો હતો અને સેનાને તેનો ખ્યાલ પણ નહોતો.

    તે હિંદુ ભગવાન સોમનાથનો અનન્ય ભક્ત હતો અને યોજના અનુસાર, તેને ગઝનવીની સેનાને રણમાં જ ભટકાવી રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આખરે તે હિંદુ વ્યક્તિએ મહમૂદ ગઝનવીને કહ્યું હતું કે, “મેં મારુ આખું જીવન સોમનાથને સમર્પિત કરી દીધું અને તમે લોકોએ તે જ સોમનાથને લૂંટી લીધું. હવે હું તમને તેવા સ્થળે લઈને આવ્યો છું, જ્યાં પાણી જ નથી અને હિન્દની સેના પણ તમારો કાળ બનવા માટેની રાહ જોઈ રહી છે.” જોકે, આ ઘટના બાદ ગઝનવીએ તે હિંદુ વ્યક્તિની હત્યા કરી નાખી હતી અને જેમતેમ કરીને સિંધ ભાગી ગયો હતો. ભીમદેવ પ્રથમની સેના ઇસ્લામી સેનાની રાહ જોઈ રહી હતી, પરંતુ ગઝનવી યુદ્ધ કર્યા વગર જ ભાગી ગયો હતો.

    મહમૂદ ગઝનવી ભીમદેવની સેનાથી તો બચીને ભાગી ગયો પરંતુ થોડી જ વારમાં તેના પર જાટ રાજાઓની સેનાએ હુમલો કરી દીધો હતો. જોકે, જેમતેમ કરીને તે ભાગવામાં સફળ રહ્યો હતો અને 1026મા તે ગઝની પહોંચ્યો હતો. સોમનાથ મંદિરને તોડ્યા બાદ ગઝનવીને કુખ્યાત ઉપનામ ‘મૂર્તિભંજક’ મળ્યું હતું. મંદિરને ધ્વસ્ત કર્યા બાદ શિવલિંગના ટુકડાઓને ગઝની મોકલવામાં આવ્યા હતા અને હિંદુઓને વધુ અપમાનિત કરવા માટે તે ટુકડાઓને જામા મસ્જિદના પગથિયાં પર ચણી દેવામાં આવ્યા હતા.

    ફારસી જિયોગ્રાફર કાજ્વિનીએ હિંદુઓના આ નરસંહાર પર ખુશી વ્યક્ત કરી હતી અને લખ્યું હતું કે, “જ્યારે સબુક્તગિનનો પુત્ર સુલતાન મહમૂદ ભારત વિરુદ્ધ મઝહબી યુદ્ધ કરવા ગયો તો, તેણે સોમનાથ પર કબજો કરવા અને તેને નષ્ટ કરવાના અનેકો પ્રયાસો કર્યા હતા. તેને આશા હતી કે હિંદુઓ મુસલમાન બની જશે. પરંતુ ભારતીયોએ હતાશ થઈને પ્રતિકાર કર્યો. તે રોકકળ કરતા રહ્યા હતા અને મંદિરોમાં ઘૂસીને મદદ માંગી રહ્યા હતા. ત્યારબાદ તેઓ યુદ્ધ માટે પણ આગળ આવ્યા હતા અને ત્યાં સુધી લડ્યા હતા કે જ્યાં સુધી તમામ મોતને ના ભેટી ગયા. મરનારાઓની સંખ્યા 50 હજારથી વધુ હતી. સુલતાને મૂર્તિને આશ્ચર્ય સાથે જોઈ હતી અને લૂંટેલી વસ્તુઓને જપ્ત કરવા અને ખજાનો લૂંટવાના આદેશ આપ્યા હતા. ત્યાં સોના અને ચાંદીની ઘણી મૂર્તિઓ હતી અને અગણિત રત્નજડિત વાસણો પણ હતા. મંદિરમાંથી મળેલી વસ્તુઓનું મૂલ્ય 20 હજાર દીનાર કરતાં વધુ હતું.”

    1169ના એક શિલાલેખથી જાણવા મળે છે કે, ચાલુક્ય રાજવંશના કુમારપાળે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. જેમાં ઉત્તમ કક્ષાના પથ્થરો અને રત્નો વાપરવામાં આવ્યા હતા. મહમૂદ ગઝનવીએ તે મંદિરને એક સડેલા લાકડાના કાટમાળ જેવું કરી નાખ્યું હતું.

    અલાઉદ્દીન ખિલજીનો ગુજરાત પર હુમલો: ઈ. 1299

    ગુજરાત પર મુસ્લિમ ફતેહ, જેને અલાઉદ્દીન ખિલજીની ગુજરાત ફતેહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 1299મા શરૂ થઈ હતી. જ્યારે દિલ્હી સલ્તનતના શાસકે વાઘેલા કર્ણદેવના રાજ્યને લૂંટવા માટે સેના મોકલી હતી, ત્યારે જ અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પર નજર પડી હતી. અણહિલવાડ (પાટણ), ખંભાત, સુરત અને સોમનાથ સહિત અનેક મહત્વપૂર્ણ શહેરોને આ ઇસ્લામી સેનાને તહેસનહેસ કરી નાખ્યાં હતાં. બાદમાં કર્ણદેવ પોતાના કેટલાક વિસ્તારોને પરત મેળવવામાં સફળ પણ રહ્યા હતા. જોકે, 1304માં અલાઉદ્દીનની સેનાએ બીજો હુમલો કર્યો હતો અને વાઘેલા રાજવંશનું કાયમ માટે પતન થયું હતું. જેના કારણે ગુજરાતનો પણ દિલ્હી સલ્તનતમાં વિલય થઈ ગયો હતો.

    સોમનાથ પર હુમલો કરીને સંપત્તિ લૂંટવાના ઈરાદે અલાઉદ્દીન ખિલજીની સેના આગળ વધી ત્યારે તેનું નેતૃત્વ અલાઉદ્દીન ખિલજીનો ભાઈ ઉગુલ ખાન કરી રહ્યો હતો. જોકે, તેને ઘણા પ્રતિકારોનો સામનો પણ કરવો પડ્યો હતો. એક શિલાલેખ અનુસાર, 6 જૂન, 1299ના રોજ મંદિરના પ્રવેશ દ્વાર પર તુર્કીઓ સાથે લડતા-લડતા બે ‘વાજા’ (વાજા-રાઠોડ ક્ષત્રિય) યોદ્ધા માલસૂતા અને પદમાલા વીરગતિ પામ્યા હતા.

    અલાઉદ્દીનના આદેશ બાદ તેની ઇસ્લામી સેનાએ હિંદુઓનો નરસંહાર શરૂ કર્યો હતો અને મંદિરનો નાશ કરી દીધો હતો. અમીર ખુશરોએ ગર્વ સાથે લખ્યું હતું કે, મંદિર કાબા તરફ ઝૂકેલું હતું. જેનો અર્થ એ થતો હતો કે, હિંદુઓના ભગવાન મુસ્લિમોને આધીન હતા. 12મી અને 13મી સદીમાં ફારસી કવિ અને ઇતિહાસકાર હસન નિઝામીએ પણ અલાઉદ્દીન ખિલજી વિશે દિલ્હી સલ્તનતના પહેલા આધિકારિક ઇતિહાસ ‘તાજ-ઉલ-માસિર’માં વાત કરી હતી અને સોમનાથની લૂંટની પ્રશંસા પણ કરી હતી. તેણે નોંધ્યું હતું કે, લગભગ વીસ હજાર કરતાં વધારે ગુલામો અને ગણાય નહીં એટલાં ગૌવંશ આક્રાંતાઓની અડફેટે ચડી ગયાં હતાં. આ સાથે જ તેણે લખ્યું હતું કે, “પચાસ હજાર કાફિરોને તલવારના ઝાટકે જહન્નુમમાં મોકલી દેવામાં આવ્યા હતા.”

    આ દરમિયાન જાલોરના રાજપૂત રાજકુમાર વીરમદેવે મુસ્લિમ સેના પર હુમલો કરી દીધો હતો. જ્યારે ઇસ્લામી સેના લૂંટેલા ખજાના અને હિંદુ કેદીઓને બંદી બનાવીને દિલ્હી તરફ જઈ રહી હતી, તે જ સમયે રાજકુમારે હુમલો કર્યો હતો અને ઉલુગ ખાનને હરાવીને શિવલિંગ તથા ખજાનો તેની પાસેથી જલ્પ કરી લીધો હતો. આ સાથે જ તેમણે હિંદુ કેદીઓને પણ મુક્ત કરી દીધા હતા. આ સમયગાળા દરમિયાન અલાઉદ્દીન ખિલજીની પુત્રી ફિરોઝાને વીરમદેવ સાથે પ્રેમ થઈ ગયો હતો. ઇસ્લામી શાસક ખિલજીએ વીરમદેવને ઇસ્લામ કબૂલ કરીને તેની પુત્રી સાથે નિકાહ કરવા માટેનો પ્રસ્તાવ પણ મોકલ્યો હતો, પરંતુ વીરમદેવે તે પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.

    જે બાદ રોષે ભરાયેલા ખિલજીએ જાલોરમાં એક સેના મોકલી હતી. સતત બે વર્ષ સુધી ઇસ્લામી સેના અને રાજપૂતો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. આ યુદ્ધમાં વીરમદેવ અને તેમના પિતા કાન્હડદેવ વીરગતિને પ્રાપ્ત થયા હતા. ત્યારબાદ ઘણી રાજપૂત સ્ત્રીઓએ પોતાના સ્વમાનની રક્ષા માટે જૌહર પણ કર્યું હતું, તેમ છતાં વધેલા હિંદુઓને ખિલજીના આદેશ પર મારી નાખવામાં આવ્યા હતા અને કિલ્લાને ધ્વસ્ત કરીને આખા જાલોરમાં અરાજકતા ફેલાવી દેવામાં આવી હતી. તમામ હિંદુ મંદિરોને પણ તોડી પાડવામાં આવ્યા હતા. જે બાદ ખિલજીએ પોતે જાલોરમાં ઘણી શોધખોળ કરી પરંતુ તેને સોમનાથની શિવલિંગ અને ખજાનો મળી શકતો નહોતો. નાશ કરેલા કિલ્લાને બાદમાં તેણે એક ઇસ્લામી સ્મારકમાં બદલી નાખ્યો હતો. જોકે, ઘણી જહેમત બાદ તેને સોમનાથની શિવલિંગ મળી હતી. તેણે દિલ્હી જઈને શિવલિંગના ટુકડા કર્યા હતા અને મુસલમાનોને તેમના પર ચાલવા માટે કહ્યું હતું. બાદમાં 1308માં સૌરાષ્ટ્રના ચુડાસમા રાજા મહિપાલે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

    ઝફર ખાને સોમનાથ પર કર્યો હતો હુમલો

    મુઝફ્ફર શાહ પ્રથમ, જેને ઝફર ખાન તરીકે પણ ઓળખવામાં આવતો હતો. તે 1407થી 1411 સુધી ગુજરાત સલ્તનતનો બાદશાહ હતો. તે પહેલાં તેને દિલ્હી સલ્તનતના તુગલક દ્વારા ગુજરાતનો સૂબો નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ તૈમુરના હુમલા બાદ જ્યારે દિલ્હીમાં અવ્યવસ્થા સર્જાઈ અને અરાજકતા ઊભી થઈ કે તરત જ ઝફરે ગુજરાતને દિલ્હીમાંથી અલગ કરીને એક નવી સલ્તનત સ્થાપી દીધી હતી અને પોતે ગુજરાતનો બાદશાહ બનીને બેસી ગયો હતો. તે મૂળ રીતે ખત્રી અથવા રાજપૂત હતો અને બાદમાં તેણે ઇસ્લામ અપનાવી લીધો હતો. તેણે 1395મા સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો અને મંદિરને નષ્ટ કરી દીધું હતું. જે બાદ તેણે જુમ્મા મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું અને ત્યાંથી ઇસ્લામના પ્રચાર માટેની વ્યવસ્થા કરી હતી. તેણે સોમનાથ વિસ્તારમાં એક થાણાની સ્થાપના પણ કરી હતી.

    મહમૂદ બેગડાએ 1451માં કર્યો હતો સોમનાથ પર હુમલો

    ઝફર ખાન બાદ ગુજરાતના ઇસ્લામી શાસક તરીકે મહમૂદ શાહ પહેલો આવ્યો હતો. જોકે, તે મહમૂદ બેગડા તરીકે કુખ્યાત થયો હતો. તેણે 1451મા સોમનાથ મંદિર પર હુમલો કરી દીધો હતો. આ સાથે જ તેણે દેવભૂમિ દ્વારકા પર પણ હુમલો કર્યો હતો.

    સોમનાથ પર પોર્ટુગીઝોનો હુમલો

    1498માં પ્રથમ વખત વાસ્કો-ડી-ગામા ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો હતો અને તેની સાથે અનેક પોર્ટુગીઝો પણ ભારત આવ્યા હતા. 1505થી લઈને 1961 સુધી તેણે ભારતના ઘણા વિસ્તારો પર રાજ કર્યું હતું. આ દરમિયાન જ તેમણે સોમનાથ મંદિર પર પણ હુમલો કર્યો હતો અને મંદિરની અગણિત સંપત્તિ પણ લૂંટી હતી.

    ઔરંગઝેબે 1665માં કર્યો હતો અંતિમ હુમલો

    પોતાના જ પરિવારને મારીને ઇસ્લામી તાનાશાહ બનેલો ઔરંગઝેબ હંમેશાથી ક્રૂર અને બર્બર હતો. તેણે સલ્તનત સંભાળ્યા બાદ ચારે દિશાના મંદિરોને તોડી પાડવા માટેનો આદેશ પણ આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન સોમનાથ મંદિરને પણ વારંવાર તોડવાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તરત જ હિંદુ શાસકોએ સોમનાથ મંદિરને ફરી જીવિત કરી દીધું હતું. જે બાદ અકળાયેલા ઔરંગઝેબે ફરી મંદિર તોડવાનો આદેશ આપ્યો અને સાથે એવું પણ કહ્યું હતું કે, તે મંદિરનું પુનઃનિર્માણ ક્યારેય થવું ન જોઈએ. જેથી કરીને ત્યાં હિંદુઓ એકઠા ન થઈ શકે અને પોતાની ઉપાસનાવિધિ ના કરી શકે.

    SH દેસાઈના પુસ્તક ‘પ્રભાસ એન્ડ સોમનાથ’માં આ આખી ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, જ્યારે સ્થાનિક મુસ્લિમોને ઔરંગઝેબના આદેશની જાણ થઈ ત્યારે તરત જ તેમણે મુહમ્મદ અફઝલ નામના સ્થાનિક અધિકારી સાથે મળીને આદેશને લાગુ કરવા માટેના પ્રયાસ કર્યા હતા. પુસ્તક અનુસાર, એક દિવસ મુહમ્મદની ટુકડી અને સ્થાનિક મુસ્લિમોએ સાથે મળીને સોમનાથ પર હુમલો કરી દીધો હતો અને મંદિર તોડવાનું શરૂ કરી દીધું હતું. જેવી આ ખબર સૌરાષ્ટ્રમાં ફેલાઈ કે, તરત જ હિંદુઓ એકઠા થઈ ગયા હતા. જેમાં દેસાઈ, બ્રાહ્મણો, મહાજનોનો સમાવેશ થતો હતો. આ તમામ લોકો સોમનાથ પહોંચી ગયા હતા અને મુસ્લિમોને આવું ન કરવા માટેની અપીલ કરી હતી.

    આ દરમિયાન માલેક ઝિયા નામના એક મુસ્લિમ અધિકારીએ હિંદુઓનું અપમાન કર્યું અને તે જ સમયે તેણે ગૌહત્યા કરીને હિંદુઓ સામે પડકાર ફેંક્યો. માત્ર એટલું જ નહીં, પરંતુ તેણે એક બ્રાહ્મણ અને એક પૂજારીની હત્યા પણ કરી નાખી હતી. પુસ્તકમાં વધુમાં કહેવાયું છે કે, આ ઘટનાથી રોષે ભરાયેલા દેસાઈ ગણપત સારંગધરે માલેક ઝિયાને પકડીને તેની હત્યા કરી નાખી હતી. જે બાદ હિંદુઓએ મુસ્લિમો પર હુમલો કરી દીધો હતો. આ નાનકડા યુદ્ધમાં પણ મુઠ્ઠીભર હિંદુઓએ મુસ્લિમોની આખી ટુકડીને હંફાવી દીધી હતી. જેના કારણે મુસ્લિમ ટુકડી ત્યાંથી ભાગી ગઈ હતી. બાદમાં હિંદુઓએ ગાય અને બ્રાહ્મણોના મૃતદેહનો અંતિમસંસ્કાર પણ કર્યો હતો. પરંતુ, હિંદુઓ તે હકીકતથી સંપૂર્ણપણે વાકેફ હતા કે, આ ઘટનાના પરિણામે હવે એક મોટો હુમલો થશે. જોકે થયું પણ એવું જ. ઔરંગઝેબના આદેશ પર હવે ફૌજદાર સરદારખાન આવી પહોંચ્યો હતો, જેણે મંદિર પર હુમલો કરી દીધો અને ઘણી તોડફોડ પણ કરી.

    આ સાથે જ ઔરંગઝેબે 1704માં પોતાના અંતિમ દિવસોમાં વધુ એક આદેશ જારી કર્યો હતો. તેણે કહ્યું હતું કે, “મારા શાસનની શરૂઆત સાથે જ સોમનાથ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યાં બુતપરસ્તી (મૂર્તિપૂજા) બંધ કરી દેવામાં આવી હતી. હાલ તે જાણી શકાયું નથી કે ત્યાં શું સ્થિતિ છે. જો બુતપરસ્તોએ ફરીથી તે જગ્યાએ બુતપરસ્તી શરૂ કરી દીધી તો મંદિરનો તે રીતે નાશ કરીશ કે ત્યાં કોઈનું નામોનિશાન નહીં બચે.”

    સોમનાથ મંદિર પ્રત્યેનો નેહરુનો તિરસ્કાર

    અંગ્રેજો બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે લોકો એવું માનતા થયા હતા કે, સદીઓ સુધીના સામ્રાજ્યવાદી તાકતોના દમનકારી શાસન હેઠળ પોતાના અધિકારો અને વિશ્વાસો પર પ્રતિબંધ સહ્યા બાદ હવે હિંદુઓને કઈ નહીં તો પોતાના ધર્મનું સ્વતંત્ર રીતે પાલન કરવાની મંજૂરી તો મળી જ જશે. જોકે, નેહરુ નહોતા ઈચ્છતા કે ક્રૂર મઝહબી તાકતો સામે ટકી રહીને પણ હિંદુઓને પોતાના સૌથી પ્રતિષ્ઠિત ધર્મસ્થાનો પુનઃ મેળવવાનો અધિકાર મળે. તેનાથી પણ મહત્વની વાત તો તે છે કે, જો પૂર્વ ગૃહમંત્રી સરદાર પટેલ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં સક્રિયપણે સામેલ ન થયા હોત તો હિંદુઓએ રામ જન્મભૂમિ આંદોલનની જેમ સોમનાથ માટે પણ કઠોર સંઘર્ષ સહન કરવો પડ્યો હોત.

    તારીખ હતી 13 નવેમ્બર, 1947ની. દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલ જૂનાગઢ પહોંચ્યા હતા. જૂનાગઢના નાગરિકોએ ઉષ્માભેર તેમનું સ્વાગત પણ કર્યું અને સાથે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની માંગણી પણ કરી. દિલ્હી પરત ફર્યા બાદ કેબિનેટ બેઠકમાં મંદિરના જીર્ણોદ્ધારનો નિર્ણય લેવામાં આવ્યો અને નક્કી કરવામાં આવ્યું કે, તેનો તમામ ખર્ચ રાજ્ય ભોગવશે. જોકે, મોહનદાસ કરમચંદ ગાંધી ઈચ્છતા હતા કે, તેનો તમામ ખર્ચ લોકો ઉઠાવે. આ કારણે કેબિનેટનો નિર્ણય પલટી દેવામાં આવ્યો. જે બાદ 1948મા ગાંધીની હત્યા થઈ અને 1950માં સરદાર પટેલનું પણ નિધન થયું. આ સમગ્ર ઘટના બાદ કેબિનેટ મંત્રી કન્હૈયાલાલ માણેકલાલ મુનશી ટ્રસ્ટની સલાહકાર સમિતિના અધ્યક્ષ બન્યા. આખરે તેમને મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય સોંપવામાં આવ્યું હતું.

    નેહરુએ કથિત રીતે મુનશીને કહ્યું હતું કે, “સોમનાથને પરત મેળવવાના તમારા પ્રયાસો મને પસંદ નથી. આ હિંદુ પુનરુત્થાનવાદ છે.” ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જવાહરલાલ નેહરુ અને મુનશી વચ્ચેના પત્રવ્યવહારનું વિગતવાર વર્ણન કર્યું હતું. જે નીચે મુજબ છે.

    મુનશીએ લખ્યું હતું કે, “કાલે તમે હિંદુ પુનરુત્થાનવાદનો ઉલ્લેખ કર્યો. તમે સ્પષ્ટ રીતે મને કેબિનેટ બેઠકમાં સોમનાથ સાથે જોડાયેલી વ્યક્તિ તરીકે સંદર્ભિત કર્યો. તમે આવું કર્યું તેની મને ખુશી છે, કારણ કે- હું મારા વિચારો અને ગતિવિધિઓને છુપાવવા નથી માંગતો. હું તમને આશસ્વત કરું છું કે, આજે ભારતનું ‘સામૂહિક અવચેતન’ ભારત સરકાર દ્વારા પ્રયોજિત સોમનાથના જીર્ણોદ્ધાર યોજનાથી ખૂબ ખુશ છે. જેટલું આપણે કર્યું છે અને કરી રહ્યા છીએ તેનાથી પણ તેઓ ખૂબ ખુશ છે. મંદિરને હરિજનો માટે ખોલવાની બાબતને લઈને હિંદુ સમુદાયના રૂઢિવાદી વર્ગે ટીકા પણ કરી છે. જોકે, ટ્રસ્ટ ડીડના હેતુઓથી તે સ્પષ્ટ છે કે, મંદિર ન માત્ર હિંદુ સમુદાયના તમામ વર્ગો માટે ખુલ્લું છે, પરંતુ સોમનાથના પ્રાચીન મંદિરની પરંપરા અનુસાર, બિન-હિંદુ પ્રવાસીઓ માટે પણ તે ખુલ્લું છે.”

    તેમણે વધુમાં લખ્યું હતું કે, “બાળપણથી જ મેં મારા અંગત જીવનમાં ઘણા રીતિ-રિવાજોનું ઉલ્લંઘન કર્યું છે. મેં મારા સામાજિક અને સાહિત્યિક કાર્યો દ્વારા હિંદુ ધર્મના કેટલાક પાસાઓને પુનઃ એકીકૃત કરવા માટે વિનમ્રપણે કામ પણ કર્યું છે. મેં તે તમામ કાર્યો એ વિશ્વાસ સાથે કર્યા છે કે, માત્ર આ જ આધુનિક પરિસ્થિતિઓમાં ભારતને એક ઉન્નત અને સશક્ત રાષ્ટ્ર બનાવશે. તે આપણાં ભૂતકાળમાં રહેલો મારો વિશ્વાસ જ છે, જેણે મને વર્તમાનમાં કામ કરવાની અને આપણાં ભવિષ્યને જોવાની શક્તિ આપી છે. હું ભારતની સ્વતંત્રતાની કદર કરી શકતો નથી જો તે આપણને ભગવદ ગીતાથી વંચિત રાખે છે અથવા આપણા લાખો લોકોને તે આસ્થાથી વંચિત કરે છે, જે આસ્થા સાથે લોકો આપણા મંદિરો તરફ જુએ છે. મને સોમનાથ પુનઃનિર્માણનું મારું અવિરત સ્વપ્ન સાકાર થતું જોવાનું સૌભાગ્ય મળ્યું છે. મને લગભગ ખાતરી છે – કે આ મંદિર એકવાર આપણા જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન પર પુનઃસ્થાપિત થશે તે સાથે જ તે આપણા લોકોને ધર્મની શુદ્ધ વિભાવના અને આપણી શક્તિની જ્વલંત ચેતના આપશે, જે સ્વતંત્રતાના આ દિવસોમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

    1951માં જ્યારે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો, ત્યારે કેએમ મુનશીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને મંદિરના આધિકારિક ઉદ્ઘાટન અને જ્યોતિર્લિંગની સ્થાપના માટે આમંત્રિત કર્યા હતા. સોમનાથ મંદિરના આ મહોત્સવમાં સામેલ થવાને લઈને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને જવાહરલાલ નેહરુના વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. તેના ઘણા ઉદાહરણો આજે પણ મોજૂદ છે. ભૂતપૂર્વ ભારતીય બ્યુરોકેટ માધવ ગોડબોલેએ પોતાના પુસ્તક ‘ધ ગોડ હુ ફેલ: એન ઍસેસમેન્ટ ઑફ જવાહરલાલ નેહરુઝ લીડરશિપ’માં તેના પર ટિપ્પણી કરી હતી.

    આ સંદર્ભ એમજે અકબરના પુસ્તક ‘નેહરુ ધ મેકિંગ ઑફ ઇન્ડિયા’ના પૃષ્ઠ ક્રમાંક 462 પર મળ્યો છે.

    સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર પ્રત્યેનો નેહરુનો તિરસ્કાર RNP સિંઘના પુસ્તક ‘નેહરુ, અ ટ્રબલ લેગસી’ના પૃષ્ઠ ક્રમાંક 53માં ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.

    નેહરુએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને લખેલા પત્રમાં સોમનાથ મંદિરના ઉદ્ઘાટનમાં સામેલ ન થવાના પોતાનાં કારણો સ્પષ્ટ કર્યાં હતાં. આ કારણોને રજનીકાંત પુરાણીકના એક પુસ્તકમાં જોઈ શકાય છે. નેહરુએ પત્રમાં લખ્યું હતું કે, “હું સ્વીકાર કરું છું કે, મને તે વિચાર સહેજ પણ પસંદ નથી પડ્યો કે, તમે સોમનાથ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનમાં પોતાની જાતને જોડી રહ્યા છો. આ માત્ર મંદિરની મુલાકાત લેવી નથી, પરંતુ આ એક મહત્વપૂર્ણ સમારોહમાં ભાગ લેવો છે, જે કમનસીબે ઘણી અસરો પણ ધરાવે છે.”

    સોમનાથ મંદિરને અનેક વખત લૂંટફાટ અને વિધ્વંસનો સામનો કરવો પડ્યો. સ્વતંત્ર ભારતના વડાપ્રધાને પણ તેનો ખૂબ વિરોધ કર્યો. તેમ છતાં આજે જોઈ શકાય છે કે, મંદિર પર હુમલો કરનારાઓ અને મંદિરનો વિરોધ કરનારાઓનો અવાજ કાયમ માટે દબાઈ ગયો છે. જ્યારે તે મંદિર દુનિયાભરના અસંખ્ય હિંદુઓ વચ્ચે ગર્ભ અને પ્રતિષ્ઠા સાથે અડીખમ ઊભું છે. આને જ સનાતન કહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં