Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટSCAM 1992 ફેઈમ પત્રકાર સુચેતા દલાલ EDની શંકાના દાયરામાં આવ્યાં, સીબીઆઈએ પણ...

    SCAM 1992 ફેઈમ પત્રકાર સુચેતા દલાલ EDની શંકાના દાયરામાં આવ્યાં, સીબીઆઈએ પણ કરી હતી પૂછપરછ

    આ કેસ NSE કર્મચારીઓના ફોન ટેપિંગ અને ગેરકાયદે જાસૂસી સબંધિત છે. NSEના રવિ નારાયણ અને ચિત્ર રામકૃષ્ણએ કર્મચારીઓની જાસૂસી કરવા માટે પ્રાઇવેટ ફર્મ સાથે કરાર કર્યા હોવાનો આરોપ લાગ્યો હતો.

    - Advertisement -

    પ્રવર્તન નિદેશાલયે (ઇડી) સોમવારે (18 જુલાઈ 2022) નેશનલ સ્ટૉક એક્સચેન્જ કૉ-લૉકેશન કૌભાંડ મામલે પત્રકાર સુચેતા દલાલનું નિવેદન નોંધ્યું હતું. તપાસમાં તેમનું નામ સામે આવ્યા બાદ સુચેતા દલાલ પૂછપરછ માટે હાજર રહ્યાં હતાં. 

    સુચેતાએ જણાવ્યું કે, તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા, જે બાદ તેઓ NSE કો-લૉકેશન સ્કેમ મામલેની ઇડીની પૂછપરછમાં હાજર રહ્યાં હતાં. જોકે, આ મામલે ઇડીના અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

    આ પહેલાં 16 જુલાઈના રોજ કેસની તપાસ કરતી એજન્સી સીબીઆઈએ પણ સુચેતા દલાલની પૂછપરછ કરી હતી. જે મામલે સ્વયં તેમણે જાણકારી આપી છે. તેમજ આ મામલે નિવેદન પણ જારી કર્યું છે. 

    - Advertisement -

    સુચેતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “સીબીઆઈ દ્વારા પૂછવામાં આવેલ મોટાભાગના પ્રશ્નો કેન ફોન્ગના ચાર પાત્રોને લઈને હતા. બે જુદા-જુદા દેશોમાંથી કેન ફોન્ગે મને મોકલેલા તમામ પાત્રો હું સાથે લઇ ગઈ હતી તેમજ સીબીઆઈને SEBIને કરેલા ઈ-મેઈલની નકલ પણ બતાવી હતી. મને એ પણ પૂછવામાં આવ્યું કે હું કેન ફોન્ગને ઓળખું છું કે કેમ. પરંતુ હું તેના વિશે જાણતી નથી.” તેમણે જણાવ્યું કે, લેખ લખવા અને પ્રકાશિત કરવાના નિર્ણયની પ્રક્રિયા અંગે પણ તેમને પ્રશ્નો કરવામાં આવ્યા હતા. 

    સુચેતા દલાલ દ્વારા જણાવ્યા અનુસાર, તેમને પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યા હતા. સંજય પાંડેની ફાર્મ iSec સર્વિસ પ્રાઇવેટ લિમિટેડને લઈને જ હાલ તપાસ ચાલી રહી છે, જેને લઈને સુચેતા દલાલે કહ્યું હતું કે મુંબઈના અન્ય પત્રકારોની જેમ તેઓ પણ સંજય પાંડેને ઓળખે છે પરંતુ તેઓ શું કામ કરે છે તેની સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે એમ પણ કહ્યું કે, NSE સાથે સંજય પાંડેએ કરેલા વ્યવહારો અંગે તેમનો કોઈ સબંધ નથી.

    તદુપરાંત, સુચેતાને NSEના પૂર્વ મેનેજીંગ ડાયરેક્ટર રવિ નારાયણ અંગે પણ પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ તેમને ઓળખે છે. ઉપરાંત, નારાયણ સાથે સંજય પાંડેની ઓળખ કરાવવા મુદ્દેના પ્રશ્ને તેમણે કહ્યું હતું કે, તેમને એવું કંઈ યાદ નથી. તેમણે કહ્યું, “રવિ નારાયણે આ આરોપ લગાવ્યા હોવા જોઈએ. પરંતુ હું એ સમજી શકતી નથી કે NSE કે નારાયણને મારી ભલામણની શું જરૂર પડે?”

    આ કેસ NSE કર્મચારીઓના ફોન ટેપિંગ અને ગેરકાયદે જાસૂસી સબંધિત છે. રિપોર્ટ અનુસાર, NSEના રવિ નારાયણ અને ચિત્ર રામકૃષ્ણએ કર્મચારીઓની જાસૂસી કરવા માટે પ્રાઇવેટ ફર્મ સાથે કરાર કર્યા હતા. જે માટે સંજય પાંડેની ખાનગી કંપની iSec સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડને  4.45 કરોડ રૂપિયા મળ્યા હતા. આ જાસૂસી 2009 થી 2017 સુધી થઇ હોવાનું કહેવાય છે, આ એ જ સમય છે જ્યારે કો-લોકેશન કૌભાંડ થયું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં