સુપ્રીમ કોર્ટ કેન્દ્રની નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સરકાર દ્વારા ઘડવામાં આવેલા વક્ફ સંશોધન અધિનિયમ-2025ની (Waqf Amendment Act) બંધારણીય યોગ્યતા અંગે સુનાવણી કરી રહી છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે દેશના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિને પણ સમયમર્યાદા આપીને નિર્દેશ જારી કર્યા હતા. હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Jagdeep Dhankhar) ન્યાયપાલિકા પર ફરી નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે તે પોતાના અધિકારક્ષેત્રથી આગળ વધીને વિધાયિકાના મામલામાં હસ્તક્ષેપ કરી રહી છે.
ઉપરાષ્ટ્રપતિ ધનખડે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે બંધારણની કલમ 142 લોકતાંત્રિક શક્તિઓની વિરુદ્ધ એક ‘પરમાણુ મિસાઈલ’ બની ગઈ છે, જે ન્યાયપાલિકા પાસે 24 કલાક ઉપલબ્ધ છે. ઉપરાષ્ટ્રપતિનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સંસદનાં બંને ગૃહ દ્વારા પસાર કરવામાં આવેલા વક્ફ અધિનિયમની કેટલીક જોગવાઈઓ પર સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો અને તેને રોકવાની વાત કરી.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, “હાલમાં એક નિર્ણય દ્વારા રાષ્ટ્રપતિને નિર્દેશ આપવામાં આવ્યા છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? દેશમાં શું થઈ રહ્યું છે? આપણે લોકતંત્ર માટે આ દિવસની ક્યારેય આશા નહોતી કરી. આપણી પાસે એવા ન્યાયાધીશો છે જે કાયદા બનાવશે, કાર્યકારી કામ કરશે, સુપર-સંસદ તરીકે કામ કરશે અને તેમની કોઈ જવાબદારી નહીં હોય, જાણે કે દેશનો કાયદો તેમના પર લાગુ ન થતો હોય .”
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, “આપણે એવી સ્થિતિ ઊભી ન કરી શકીએ જ્યાં તમે (સુપ્રીમ કોર્ટ) ભારતના રાષ્ટ્રપતિને નિર્દેશ આપો. તે પણ કયા આધારે? બંધારણ હેઠળ તમારી પાસે એકમાત્ર અધિકાર કલમ 145(3) હેઠળ બંધારણની વ્યાખ્યા કરવાનો છે.” તેમણે કહ્યું કે કલમ 145(3) અનુસાર કોઈ મહત્વના બંધારણીય મુદ્દા પર ઓછામાં ઓછી 5 ન્યાયાધીશોની બેન્ચ દ્વારા નિર્ણય થવો જોઈએ.
તેમણે કહ્યું કે જ્યારે પાંચ ન્યાયાધીશોની બેન્ચોનો નિર્ણય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, ત્યારે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા આઠ હતી. ધનખડે બિલ સંબંધિત કેસને લઈને કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ વિરુદ્ધ નિર્ણય બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 31 થઈ ગઈ છે.
Article 142 has become a nuclear missile against Democratic forces available to judiciary 24×7.
— Vice-President of India (@VPIndia) April 17, 2025
We cannot have a situation where you direct the President of India and on what basis?
The only right you have under the Constitution is to interpret the Constitution under Article… pic.twitter.com/ctmd1L2KUW
તેમણે ત્યાં સુધી કહ્યું કે બંધારણીય બેન્ચમાં ન્યાયાધીશોની ન્યૂનતમ સંખ્યા વધારવા માટે કલમ 145(3)માં સંશોધન કરવાની જરૂર છે. ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભાના ઇન્ટર્નના છઠ્ઠા બેચને સંબોધતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિને બિલ પર ત્રણ મહિનામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો તેઓ આમ ન કરે તો સંબંધિત રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલું બિલ કાયદો બની જાય છે.
ન્યાયપાલિકાની વર્તમાન સ્થિતિ પર વાત કરતાં ઉપરાષ્ટ્રપતિએ ન્યાયાધીશ યશવંત વર્માનો પણ ઉલ્લેખ કર્યો. આ તે જ ન્યાયાધીશ છે, જેમના ઘરે આ વર્ષે હોળીના દિવસે નોટોથી ભરેલા કોથળાઓમાં આગ લાગી ગઈ હતી. આ મામલે ભારે વિવાદ બાદ પણ સુપ્રીમ કોર્ટે તેમને દિલ્હીથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધા અને મામલાની તપાસ માટે આંતરિક સમિતિ રચી દીધી.
ધનખડે કહ્યું, “14 અને 15 માર્ચની રાત્રે નવી દિલ્હીમાં એક ન્યાયાધીશના નિવાસસ્થાને એક ઘટના બની. સાત દિવસ સુધી કોઈને તેના વિશે ખબર પણ ન પડી. આપણે પોતાની જાતને સવાલો પૂછવા પડશે. આ વિલંબને શું સમજી શકાય? શું આ માફી યોગ્ય છે? શું આનાથી કેટલાક મૂળભૂત સવાલો નથી ઉઠતા? કોઈપણ સામાન્ય સ્થિતિમાં અને સામાન્ય પરિસ્થિતિઓ કાયદાના શાસનને વ્યાખ્યાયિત કરે છે.”
કલમ 142, જેને ઉપરાષ્ટ્રપતિએ પરમાણુ મિસાઈલ કહી
બંધારણની કલમ 142 સુપ્રીમ કોર્ટના આદેશો અને ડિક્રી આપવાનો અધિકાર અને તેને લાગુ કરવા વગેરે સાથે સંબંધિત છે. કલમ 142ની પેટાકલમ-1 સુપ્રીમ કોર્ટને આ અધિકાર આપે છે કે તેની સમક્ષ આવેલા કોઈપણ કેસમાં તે ન્યાય માટે ડિક્રી કે આદેશ પસાર કરી શકે છે. આ ડિક્રી કે આદેશ આખા ભારતમાં લાગુ થશે.
તેના ઉપબંધ-2માં જણાવાયું છે કે આ સંબંધમાં સંસદ દ્વારા ઘડવામાં આવેલા કોઈ કાયદાને આધીન રહીને સુપ્રીમ કોર્ટ આખા ભારતના કોઈપણ વિસ્તારની કોઈ વ્યક્તિને હાજર થવા, દસ્તાવેજો રજૂ કરવા, અવમાનનાની તપાસ કરવા કે સજા આપવાના સર્વ અધિકારો ધરાવે છે. આમ, કલમ 142માં સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટે સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાના દાયરામાં જ કામ કરવાનું છે.
જોકે વાત અહીં પૂરી થતી નથી. કોલેજિયમની તર્જ પર સુપ્રીમ કોર્ટે તેનો પણ ઉપાય શોધી કાઢ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કલમ 142ની વ્યાખ્યા અને તેના ઉપયોગનાં વિવિધ ઉદાહરણો રજૂ કરવામાં આવ્યાં છે. હાલમાં જ ભારતની સુપ્રીમ કોર્ટની 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે અલ્હાબાદ હાઇકોર્ટ બાર એસોસિએશન વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય કેસમાં નિર્ણય આપીને એક કાનૂની ઢાંચો વિકસાવ્યો.
આ ઢાંચો બંધારણની કલમ 142ની વ્યાખ્યા અને તેના ઉપયોગ સાથે સંબંધિત હતો. આ નિર્ણય ‘એશિયન રીસર્ફેસિંગ ઓફ રોડ એજન્સી પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ સીબીઆઈ’ના અગાઉના નિર્ણયથી સંપૂર્ણ વિરુદ્ધ હતો. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ બારના નિર્ણયમાં એશિયન રીસર્ફેસિંગના નિર્ણયને ઉથલાવી દીધો હતો. તેમાં કલમ 142 હેઠળ નવા દિશા-નિર્દેશો જારી કરવા ઉપરાંત વચગાળાના આદેશો સાથે સંબંધિત પાસાં પણ સામેલ કરવામાં આવ્યાં હતાં.
તેમાં વિચારણા કરવામાં આવી કે વચગાળાના આદેશને રદ્દ કરવાનો કે સંશોધન કરવાનો હાઇકોર્ટનો અધિકાર શું છે અને શું વચગાળાનો આદેશ કોઈ ચોક્કસ સમયની સમાપ્તિ પર આપોઆપ સમાપ્ત થઈ શકે છે. એશિયન રીસર્ફેસિંગના કેસમાં સુપ્રીમ કોર્ટે આ જ મુદ્દા પર વિચારણા કરી હતી. તે દરમિયાન શીર્ષ અદાલતે માન્યું હતું કે જ્યાં સુધી વચગાળાના આદેશનો સમય ન વધારવામાં આવે, તો તે આદેશની તારીખથી 6 મહિના બાદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે.
અલ્હાબાદ હાઇકોર્ટ બાર એસોસિએશનના કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના તે નિર્ણયને ઉથલાવી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એશિયન રીસર્ફેસિંગ કેસમાં નિર્ધારિત સમય પસાર થઈ જવા પર વચગાળાના આદેશોની આપોઆપ સમાપ્તિની શરત લાગુ રહેવા યોગ્ય નહોતી. તેથી તેને નકારી કાઢવામાં આવી. ત્યારબાદ કલમ 142માં આપેલા અધિકારો હેઠળ નવા દિશા-નિર્દેશો જારી કરવામાં આવ્યા.
તેના હેઠળ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે શું કોઈ અદાલત વચગાળાનો આદેશ પસાર કરતી વખતે કોઈ સમયમર્યાદા નક્કી કરી શકે છે. અદાલતે આ વાત પર ભાર મૂક્યો કે કલમ 142 હેઠળ શક્તિનો ઉપયોગ પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતોને દબાવવા કે વાદીઓના મૂળભૂત અધિકારોને દબાવવા માટે ન કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ માટે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ 142 હેઠળ અધિકારક્ષેત્રનો ઉપયોગ વિવેકથી અને માત્ર અસાધારણ પરિસ્થિતિઓમાં જ કરવો જોઈએ, જેથી વિવાદોનો નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ ઉકેલ લાવી શકાય. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે કલમ 142 દ્વારા આપેલી શક્તિઓનો હેતુ ન્યાયપૂર્ણ ન્યાય સુનિશ્ચિત કરવાનો છે.
સુપ્રીમ કોર્ટે એશિયન રીસર્ફેસિંગમાં અગાઉ આપેલા નિર્ણયને નકારતાં કહ્યું કે કલમ 226(3) હેઠળ પસાર કરાયેલા સ્થગન આદેશને રદ્દ કરવા માટે અનિવાર્ય શરત એ છે કે સ્થગન આદેશ હટાવવા માટે અરજી દાખલ કરવી અને અદાલત દ્વારા ન્યાયિક વિવેકનો ઉપયોગ કરવો. આ અરજી પર બે અઠવાડિયાની અંદર નિર્ણય ન લેવાય તો સ્થગન આદેશ આપોઆપ સમાપ્ત થતો નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્થગન આદેશ ત્યાં સુધી અસરકારક રહે છે, જ્યાં સુધી તેને રદ્દ કરવા માટે પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવા સાથે અરજીનો કારણો સાથે નિકાલ ન થાય. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે અદાલતોએ કેસોના નિકાલ માટે જ્યાં સુધી કોઈ અસાધારણ પરિસ્થિતિ ન હોય ત્યાં સુધી કઠોર સમયમર્યાદા ન લગાવવી જોઈએ.
પોતાના આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે જે નવી ગાઈડલાઈન નક્કી કરી તે અનુસાર, કલમ 142 હેઠળ શક્તિઓનો ઉપયોગ અદાલત દ્વારા પોતાની સમક્ષના પક્ષકારો માટે પૂર્ણ ન્યાય કરવા માટે કરી શકાય છે, પરંતુ આમ કરતાં અદાલત અન્ય અધિકારક્ષેત્રોમાં અન્ય વાદીઓની તરફેણમાં પસાર કરાયેલા માન્ય ન્યાયિક આદેશોને રદ્દ નહીં કરે.
રાષ્ટ્રપતિને નિર્દેશ આપવા માટે ઉપરાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ ઉપર કેમ થયા ગુસ્સે?
અગાઉના લેખમાં જણાવ્યું હતું કે શું સુપ્રીમ કોર્ટ ભારતના સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિને નિર્દેશ આપી શકે છે કે નહીં. તે લેખમાં અનેક કાનૂની પાસાં પર વિચારણા કરી હતી. ઘણા લોકોના મનમાં સવાલ ઉઠતો હશે કે ભારતમાં પદોનો વરિષ્ઠતા ક્રમ શું છે. આનાથી સ્પષ્ટ થશે કે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને નિર્દેશ આપી શકે છે કે નહીં.
જો વરિષ્ઠતા ક્રમની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ દેશનું સર્વોચ્ચ પદ છે. રાષ્ટ્રપતિને ભારતના પ્રથમ નાગરિક કહેવામાં આવે છે. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ અને સંસદને મળીને જ ભારત બને છે અને તે સંઘના પ્રશાસનના પ્રમુખ હોય છે. આ જ વહીવટનો એક અંગ ન્યાયપાલિકા પણ છે. આમ, દેશનું સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિનું હોય છે.
ભારતમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એવાં બે પદ છે, જેમની વિરુદ્ધ અદાલતી કાર્યવાહી કરી શકાતી નથી. ભારતના બંધારણે કલમ 361 હેઠળ આની જોગવાઈ કરી છે. આ કલમ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને અદાલતી કાર્યવાહીથી રક્ષણ આપે છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ ન તો આ બંનેને કોઈ કેસમાં નોટિસ જારી કરી શકે છે અને ન તો નિર્દેશ આપી શકે છે.
રાષ્ટ્રપતિ પછી દેશમાં 2જું સર્વોચ્ચ પદ ઉપરાષ્ટ્રપતિનું હોય છે. ત્યારબાદ 3જા નંબરે વડાપ્રધાન આવે છે. દેશનું 4થું સર્વોચ્ચ પદ રાજ્યપાલનું હોય છે, જે તેમના કાર્યક્ષેત્રના રાજ્યોમાં હોય છે. ત્યારબાદ વરિષ્ઠતા ક્રમમાં 5મા સ્થાને પૂર્વ રાષ્ટ્રપતિ આવે છે. તેના પછી ભારતના નાયબ વડાપ્રધાનનું પદ વરિષ્ઠતા ક્રમમાં 5A સ્થાને આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) અને લોકસભા સ્પીકરનું પદ સમાન હોય છે. બંને વરિષ્ઠતા ક્રમમાં 6ઠ્ઠા નંબરે આવે છે. તેના પછી 7મા નંબરે કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ અને રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતાના રાજ્યોમાં હોય છે. યોજના આયોગના ઉપાધ્યક્ષ, પૂર્વ વડાપ્રધાન, રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષના નેતા પણ 7મા ક્રમે જ આવે છે.
ભારત રત્નથી સન્માનિત વ્યક્તિનો ક્રમ 7A હોય છે. 8મા ક્રમમાં રાજદૂતો, ભારત દ્વારા માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રમંડળ દેશોના આયુક્તો, પોતાના રાજ્યની બહાર મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો હોય છે. 9મા ક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો આવે છે. તેના પછી 9A પર યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના (UPSC) અધ્યક્ષ, મુખ્ય ચૂંટણી આયુક્ત (CEC) અને ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક (CAG) આવે છે.
વરિષ્ઠતા ક્રમમાં 10મા સ્થાને રાજ્યસભાના ઉપસભાપતિ, રાજ્યોના ઉપમુખ્યમંત્રીઓ, લોકસભાના ઉપસભાપતિ, યોજના આયોગના (હાલમાં નીતિ આયોગ) સદસ્યો અને કેન્દ્ર સરકારના રાજ્યમંત્રીઓ આવે છે. જ્યારે, 11મા સ્થાને ભારતના એટર્ની જનરલ, કેબિનેટ સેક્રેટરી અને તેમના કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર લેફ્ટિનન્ટ ગવર્નરનો (ઉપરાજ્યપાલ) સમાવેશ થાય છે. વરિષ્ઠતા ક્રમમાં 12મા સ્થાને પૂર્ણ જનરલ કે સમકક્ષ રેન્કના પદ પર કાર્યરત ચીફ ઓફ સ્ટાફ આવે છે.