હોમપેજરાજકારણઐતિહાસિક કલ્લાઝગર મંદિરનાં નાણાંનો કોમર્શિયલ ઉપયોગ કરવા માંગતી હતી તમિલનાડુની DMK સરકાર,...

ઐતિહાસિક કલ્લાઝગર મંદિરનાં નાણાંનો કોમર્શિયલ ઉપયોગ કરવા માંગતી હતી તમિલનાડુની DMK સરકાર, મદ્રાસ HCએ રદ કર્યો આદેશ- મામલો શું છે?

અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે બંને આદેશોને રદ કરી દીધા અને મંદિરની યોગ્ય જાળવણી, ખાસ કરીને વસંત મંડપમના પ્રસિદ્ધ ભીંતચિત્રોના સંરક્ષણના નિર્દેશ આપ્યા. 

- Advertisement -

મદ્રાસ હાઇકોર્ટે (મદુરાઈ બેન્ચ) તમિલનાડુ સરકારના તે આદેશને રદ કરી દીધો છે, જેમાં મદુરાઈ જિલ્લાના ઐતિહાસિક કલ્લાઝગર મંદિરના અધિશેષ (સરપ્લસ) ધનનો વ્યાપારિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

કોર્ટે 23 જાન્યુઆરીએ સ્પષ્ટ કર્યું કે મંદિરોને વિકાસ પ્રોજેક્ટની જેમ ગણી શકાય નહીં અને ‘વિકાસ’ના નામે કરવામાં આવતી કોઈપણ પ્રવૃત્તિ સંસ્થાના ધાર્મિક સ્વરૂપ અને મંદિર વહીવટ સાથે જોડાયેલા કાયદાઓ અનુસાર જ હોવી જોઈએ.

જસ્ટિસ અનીતા સુમંથ અને જસ્ટિસ સી. કુમારપ્પનની બેન્ચે 8 માર્ચ 2024ના રોજ જારી કરાયેલા તે સરકારી આદેશને રદ કરી દીધો, જેમાં મંદિરનાં નાણાંમાંથી રેસ્ટોરાં, શોપિંગ કોમ્પ્લેક્સ, કોટેજ અને અન્ય વ્યાપારિક સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે આ આદેશ કાનૂની રીતે ટકાઉ નથી અને તમિલનાડુ હિંદુ ધાર્મિક અને ધરમાર્થ એન્ડાઉમેન્ટ (HR&CE) અધિનિયમના અનેક પ્રાવધાનોનું ઉલ્લંઘન કરે છે.

- Advertisement -

કોર્ટે ટિપ્પણી કરી કે આ પગલું એક ચિંતાજનક વલણ દર્શાવે છે, જેમાં રાજ્ય મંદિરના સંસાધનોને પોતાનાં માનીને કાનૂની માળખાનું પાલન કર્યા વિના તેનો ઉપયોગ કરવા માંગે છે, જ્યારે આ માળખું ધાર્મિક સંસ્થાઓની સુરક્ષા માટે બનાવવામાં આવ્યું છે. 

‘ધાર્મિક ભાવના અનુરૂપ હોવો જોઈએ મંદિરનો વિકાસ’- કોર્ટ

ચુકાદો સંભળાવતી વખતે હાઇકોર્ટે ભારપૂર્વક કહ્યું કે મંદિરો વ્યાપારિક સ્થળો નથી અને તેમને માળખાગત પ્રોજેક્ટની જેમ જોવા જોઈએ નહીં. ન્યાયાધીશોએ HR&CE વિભાગના દૃષ્ટિકોણની આલોચના કરી અને કહ્યું કે તેની મુખ્ય જવાબદારી મંદિરોની રક્ષા અને સંરક્ષણ કરવાની છે, નહીં કે તેમને આવકનાં કેન્દ્રોમાં ફેરવવાની.

કોર્ટે કહ્યું, “HR&CE અધિનિયમની કલમ 35, 36, 66, 67 અને 86 તેમજ ‘દેવસ્વોમ ફંડથી જાળવણીના નિયમો’, ‘અધિશેષ નિધિ ઉપયોગના નિયમો’ અને અન્ય નિયમો એ સ્પષ્ટ કરે છે કે મંદિરની જાળવણીનો ખર્ચ માત્ર વર્તમાન આવકમાંથી જ થવો જોઈએ, જમા અધિશેષમાંથી નહીં. રાજ્યે મંદિરની અનામત નિધિને ગેરજવાબદારી અને ગેરકાયદેસર રીતે ખર્ચ કરી છે, જે અધિનિયમ અને નિયમોનું ઉલ્લંઘન છે.”

અદાલતે કહ્યું કે વિભાગે મંદિરને એક ‘પ્રોજેક્ટ’ તરીકે જોયું છે, જેને આધુનિક વિકાસ અને અપગ્રેડની જરૂર છે. જસ્ટિસે ટિપ્પણી કરી કે, “વિભાગે મંદિરને એક ‘પ્રોજેક્ટ’ તરીકે જોયું છે, જેને વિકાસ અને અપગ્રેડની જરૂર છે, જ્યારે આ ખ્યાલ મંદિર માટે યોગ્ય નથી.”

બેન્ચે કહ્યું કે ભક્તો માટે મૂળભૂત સુવિધાઓ આપવી જરૂરી છે, પરંતુ તેનાથી મંદિરનાં આધ્યાત્મિક સ્વરૂપ સાથે સમાધાન ન થવું જોઈએ અને ન કાનૂની સુરક્ષાને અવગણવી જોઈએ. 

બજેટ મંજૂરી વિના મંદિરનાં નાણાંનો ગેરકાયદેસર ઉપયોગ

સરકારી આદેશ રદ કરવાનું એક મુખ્ય કારણ એ હતું કે HR&CE અધિનિયમ હેઠળ અનિવાર્ય બજેટ અને મંજૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું. કોર્ટે કહ્યું કે મોટાપાયાના ખર્ચની યોજના યોગ્ય બજેટ તૈયાર કર્યા વિના અને મંદિરનાં ટ્રસ્ટી બોર્ડની મંજૂરી વિના બનાવવામાં આવી હતી.

કલમ 86 હેઠળ બજેટ મંજૂરીની વિસ્તૃત પ્રક્રિયા છે, જેમાં HR&CE કમિશનર દ્વારા તપાસ, ચર્ચા-વિચારણા અને અનધિકૃત ખર્ચોને દૂર કરવાનો સમાવેશ થાય છે. કોર્ટને જાણવા મળ્યું કે આમાંથી એક પણ પગલું ભરવામાં આવ્યું ન હતું. બેન્ચે કહ્યું કે, “તે દર્શાવવા માટેના કોઈ પુરાવા નથી કે ટ્રસ્ટીઓએ ખર્ચની જરૂરિયાત કે કાયદેસરતા પર વિચાર કર્યો હોય.”

કોર્ટે કહ્યું કે ધાર્મિક સંસ્થાનાં ધનને યોગ્ય મંજૂરી અને નિરીક્ષણ વિના વ્યાપારિક હેતુઓ માટે વાળી શકાય નહીં, ખાસ કરીને જ્યારે વાત કરોડો રૂપિયાની હોય. 

મંદિરની અધિશેષ રકમના ઘટાડા પર ચિંતા

ન્યાયાધીશોએ મંદિરની જમા રકમમાં તેજ ઘટાડા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી.

ઓડિટ ખાતાઓ અનુસાર:

  • માર્ચ 2021: ₹96.6 કરોડ
  • માર્ચ 2023: ₹107.60 કરોડ
  • માર્ચ 2024: ₹62.37 કરોડ

કોર્ટે કહ્યું, “આ ઘટાડો બજેટ વિના અને કાનૂની મંજૂરી વિના કરાયેલા ખર્ચને દર્શાવે છે. આ ઈશ્વર વિરુદ્ધ અપરાધ છે અને ‘વાડ દ્વારા પાક ખાવા’ જેવું ઉદાહરણ છે.” ન્યાયાધીશોએ કહ્યું કે આવો અનધિકૃત ખર્ચ માત્ર ગેરકાયદેસર જ નહીં, પરંતુ મંદિર વ્યવસ્થાપન પર જનતાના ભરોસા સાથે વિશ્વાસઘાત પણ છે. 

ટ્રસ્ટી બોર્ડનો અભાવ

કોર્ટે એ પણ કહ્યું કે મંદિરનાં ટ્રસ્ટી બોર્ડનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો અને નવું બોર્ડ રચવામાં આવ્યું ન હતું. બેન્ચે સ્પષ્ટ કર્યું કે યોગ્ય માણસ અથવા કાર્યકારી અધિકારી કાયમી રીતે ટ્રસ્ટીઓનું સ્થાન લઈ શકે નહીં. કોર્ટે કહ્યું કે, “આવા મંદિરોનો વહીવટ ટ્રસ્ટી બોર્ડ દ્વારા થવો જોઈએ, અધિકારીઓ દ્વારા નહીં.” 

‘મંદિર સરકારની સંપત્તિ નથી’- કોર્ટ

કોર્ટની એક મહત્વની ટિપ્પણીમાં કહેવામાં આવ્યું છે કે, “રાજ્ય મંદિરની સંપત્તિઓને પોતાની સંપત્તિ તરીકે ગણી શકે નહીં અને ન તો મંદિર નિધિનો ઉપયોગ સરકાર દ્વારા વિચારાયેલા પ્રોજેક્ટ્સ માટે કરી શકે.” ન્યાયાધીશોએ રાજ્યની ‘આઇકોનિક ટેમ્પલ ડેવલપમેન્ટ સ્કીમ’ની ટીકા કરતા કહ્યું કે વિકાસ મંદિર અને ભક્તોની જરૂરિયાતોમાંથી ઉદ્ભવવો જોઈએ, નહીં કે રાજકીય જાહેરાતોમાંથી. કોર્ટે એવું પણ કહ્યું કે, “મંદિરો આસ્થાના સ્થળો છે, પ્રશાસનિક પ્રયોગોના વિકાસ પ્રોજેક્ટ્સ નથી.” 

વિવાદની પૃષ્ઠભૂમિ

આ વિવાદ 8 માર્ચ 2024ના રોજ જારી કરાયેલા સરકારી આદેશ અને 11 ઑક્ટોબર 2024ના કાર્યાદેશથી શરૂ થયો હતો. આ આદેશોમાં લગભગ ₹40 કરોડના ખર્ચે ગેસ્ટ હાઉસ, ડોર્મિટરી, દુકાનો, ભોજનાલય, પાર્કિંગ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પૂજારીઓનાં ક્વાર્ટર અને મંદિરની રચનાઓનાં નવીનીકરણની યોજના હતી.

આ પગલાંનો વિરોધ કરતા ઘણા અરજદારોએ અરજી દાખલ કરી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મંદિરનાં નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે અને HR&CE અધિનિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અરજીઓમાં દલીલ કરવામાં આવી હતી કે મંદિરનાં નાણાંને કાનૂની અધિકાર વિના ડાયવર્ડ કરવામાં આવી રહ્યું છે અને નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અરજદારોએ એ આરોપ પણ લગાવ્યો હતો કે DMK સરકાર મંદિરની સંપત્તિને સરકારી સંપત્તિ ગણી રહી છે. અરજીઓ પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે બંને આદેશોને રદ કરી દીધા અને મંદિરની યોગ્ય જાળવણી, ખાસ કરીને વસંત મંડપમના પ્રસિદ્ધ ભીંતચિત્રોના સંરક્ષણના નિર્દેશ આપ્યા. 

પહેલાં પણ આવો કેસ: અરુલમિઘુ નંદીશ્વરર શિવન મંદિર

આ પહેલી વખત નથી કે મદ્રાસ હાઇકોર્ટે મંદિરનાં નાણાંના વ્યાપારિક ઉપયોગ પર રોક લગાવી હોય. જાન્યુઆરી 2025માં પણ કોર્ટે અરુલમિઘુ નંદીશ્વરર શિવન મંદિર સાથે સંકળાયેલી આવી જ એક યોજનાને રદ કરી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે મંદિરનાં ધનમાંથી શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવું ધાર્મિક હેતુઓને આગળ વધારવા જેવું નથી.

કોર્ટે કહ્યું હતું કે, “મંદિરનાં ધનમાંથી શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવું એ સંસ્થાના ધાર્મિક સિદ્ધાંતોના પ્રચારનો સંકેત આપતું નથી.” કોર્ટે સૂચન આપ્યું હતું કે ધનનો ઉપયોગ વૃક્ષારોપણ, ગરીબ હિંદુઓના વિવાહ અને જરૂરિયાતમંદોને ભોજન આપવા જેવા ધાર્મિક હેતુઓ માટે કરવો જોઈએ.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં