મુસ્લિમોનો રમઝાન (Ramzan) મહિનો શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે રમઝાન મહિનાને લઈને વડોદરા મહાનગરપાલિકાએ (VMC) શાળાઓનો સમય બદલવાનો પરિપત્ર (Paripatra) જારી કર્યો હતો. જેનો હિંદુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. આ મામલે VHP કાર્યકર્તાઓએ દેખાવો કર્યા હતા તથા આવેદન (Memorandum) સોંપીને આદેશ પરત ખેંચવાની માંગ કરી હતી. ત્યારે વિરોધના પગલે સરકારે તપાસના આદેશ આપ્યા છે.
નોંધનીય છે કે ભાજપ શાસિત મહાનગરપાલિકા સંચાલિત સ્કુલ બોર્ડ દ્વારા, જે શાળાઓમાં લઘુમતી વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેને લઈને વિશ્વ હિંદુ પરિષદ સહિતના હિંદુ સંગઠનોએ દેખાવો કર્યા હતા તથા આ નિર્ણયને મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિનો નિર્ણય ગણાવ્યો હતો. વિરોધ વધી જતા વડોદરા મહાનગરપાલિકાના આ નિર્ણય સામે સરકારે તપાસના આદેશ આપ્યા છે.
સરકારે આપ્યા તપાસના આદેશ
આ મામલે ગુજરાતના શિક્ષણ પ્રધાને જાહેરાત કરી હતી કે, વડોદરામાં રમઝાન માસને લઈને શાળાના સમયમાં ફેરફાર કરવાના મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત ગુજરાત કેબિનેટના સભ્ય પ્રફુલ્લ પાનસેરિયાએ પણ કહ્યું હતું કે આ મામલો સામે આવતાં જ સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા થઈ હતી, જેની વિગતવાર માહિતી આપવા માટે સૂચના આપવામાં આવી છે.
આ મામલે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત VHPના X હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને ટેગ કરીને લખવામાં આવ્યું હતું કે, “કૃપા કરીને આ પરિપત્રની સત્યતા તપાસો અને તેને તાત્કાલિક ધોરણે રદ કરો. જવાબદારો સામે કાર્યવાહી જરૂરી છે. યાદ રાખો, તુષ્ટિકરણના વિરોધને કારણે જ BJPને મજબૂત જાહેર સમર્થન મળ્યું છે. આ ગુજરાત છે, પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં.”
@kuberdindor कृपया इस परिपत्र की सत्यता की जाँच करवाए और तत्काल रद्द करवाए। जिम्मेदारो के सामने कार्यवाही भी जरूरी है। याद रहे, तृष्टीकरण का विरोध ही भाजपा के मजबूत जनाधार का कारण है। यह #गुजरात है, पाकिस्तान या बांग्लादेश नहीं। @CMOGuj @Bhupendrapbjp pic.twitter.com/aCLJ3PH5OH
— VHP Gujarat (@VHPGUJOFFICIAL) March 2, 2025
‘આદેશ પરત ખેંચવાની માંગ’: VHP
ઑપઇન્ડિયાએ આ અંગે વધુ માહિતી મેળવવા વિશ્વ હિંદુ પરિષદ વડોદરાનો સંપર્ક કર્યો હતો. આ મામલે VHP વડોદરા મહાનગરમંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ ઑપ ઇન્ડિયાજણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટપણે આ આદેશ પરત ખેંચવાની માંગ કરી છે. જો પરિપત્ર પરત નહીં ખેંચાય તો અમે આ આદેશના આધારે રમઝાન મહિનાની જેમ નવરાત્રી, ગૌરી વ્રત, શ્રાવણ માસ, પર્યુષણ પર્વમાં પણ છૂટછાટ આપવાની માંગ કરીશું.”
તેમણે આગળ જણાવ્યું હતું કે, “બાળકોના શિક્ષણ સાથે ચેડા કરવા એ ઉચિત નથી, બાળકોના અભ્યાસના મૂળભૂત અધિકારોનો ભંગ સમાન આ પરિપત્ર પાછો ખેંચાય એ જ ઉચિત છે.”
વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યા અનુસાર આ મામલે VHPએ વિરોધ રેલીનું આયોજન કર્યું હતું. ત્યારપછી પરિપત્ર જારી કરનાર અધિકારીને આવેદન આપીને આદેશ પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી. આ આવેદનની નકલ જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા કમિશ્નર, ગુજરાત સરકારના શિક્ષણ અધિકારીને પણ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત આવેદન આપતી વખતે સુત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી હતી, તથા માંગ કરવામાં આવી હતી કે આ પરિપત્ર કોઈ પણ સંજોગોમાં પરત ખેંચાવો જોઈએ.
રમઝાન પહેલાં જારી કરાયેલ પરિપત્રમાં બદલાયો સમય
નોંધનીય છે કે આ પરિપત્ર રમઝાન પહેલાં જારી કરવામાં આવ્યો હતો. જેમાં લખેલું છે કે, “રમઝાન મહિનો શરૂ થઈ રહ્યો હોવાથી. જે શાળાઓમાં મુસ્લિમ સમુદાયના બાળકોની સંખ્યા વધુ છે ત્યાં સમય બદલવામાં આવી રહ્યો છે. તેનો અમલ 1 માર્ચ, 2025થી રમઝાન દરમિયાન લાગુ કરવામાં આવશે.”

આ ઉપરાંત પરિપત્રમાં બદલાયેલા સમયનો પણ ઉલ્લેખ છે, જે અનુસાર સવારની પાળીમાં શાળાનો સમય: સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી, રીસેસ-સવારે 9:30થી 10 વાગ્યા સુધી, બપોરની પાળીમાં શાળાનો સમય: 12:30 થી 4:30 વાગ્યા સુધી, રીસેસ-2:00થી 2:30 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ શાસનાધિકારી શ્વેતાબેન પારગીએ જણાવ્યા અનુસાર વર્ષોથી આ પ્રકારનો પરિપત્ર કરવામાં આવે છે જોકે, શિક્ષણ સમિતિ નિર્ણય બદલી શકે છે.” VTVના અહેવાલ અનુસાર શિક્ષણ સમિતિના ચેરમેન નિષિધ દેસાઈએ કહ્યું કે, “બોર્ડ મિટિંગ બોલાવી પરિપત્ર રદ કરવો કે સમયમાં બદલાવ તે નિર્ણય લઈશું. વિધાર્થીઓના અભ્યાસના ભોગે આ નિર્ણય યોગ્ય નથી. અમારા માટે વિધાર્થીઓનો અભ્યાસ સૌથી મહત્વનું છે.”