Friday, September 20, 2024
More
    Home Blog Page 1114

    દિલ્હી હિંસા ફાઈલમાં વધુ એક પ્રકરણ જોડાયું, જહાંગીરપુરીમાં હનુમાન જનમોત્સવની શોભાયાત્રા પર ઘાતક હુમલો

    દિલ્હી હિંસા ઘટનાક્રમનું વધુ એક કાળું પ્રકરણ. હનુમાન જન્મોત્સવ નિમિત્તે આયોજિત શોભાયાત્રા જ્યારે જહાંગીરપુરીની એક મસ્જિદ આગળથી નીકળી ત્યારે મુસ્લિમ ટોળાએ હાથમાં લાઠી, તલવારો અને પથ્થરો લઈને શ્રધ્ધાળુઓ પર હુમલો કરી દિધો. પથ્થરમારામાં અનેક લોકો સહિત પોલીસ જવાનો પણ ઘાયલ. પોલીસે એફઆઇઆર નોંધીને હમણાં સુધી રીઢા આરોપી અંસાર સહિત 14 તોફાનીઓની ધરપકડ કરી છે.

    શનિવારે સાંજે ઉત્તર પશ્ચિમી દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી પોલીસ પરવાનગી સાથેની તથા પોલીસની સુરક્ષામાં નીકળેલ હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા જ્યારે બ્લોક 3 ખાતેની એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે ત્યાં પહેલેથી ભેગા થયેલા મુસ્લિમ તોફાનીઓએ લાઠી, તલવારો સાથે હિન્દુ શ્રધ્ધાળુઓ પર હુમલો કરી દિધો હતો.

    હુમલો થયો એવો તરત જ બધી બાજુથી શોભાયાત્રા પર પથ્થરમારો પણ ચાલુ થઈ ગયો. આ હિંસક હુમલામાં 9 લોકો ઘાયલ થયા. ઘાયલોમાં 8 તો પોલીસકર્મીઓ જ હતા તથા એક શ્રધ્ધાળું પણ ઘાયલ. ઘાયલોને તુરંત જ નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં એમની સારવાર ચાલુ છે. આ દિલ્હી હિંસા દરમિયાન ફાયરિંગના અવાજ પણ લોકોએ સાંભળ્યા હતાં, લગભગ 6 રાઉન્ડ ફાઇરિંગ થવાની શક્યતા છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે લગભગ 5:30 વાગ્યે થયેલી હિંસામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અતિરિક્ત સુરક્ષા કર્મચારીઓને વિસ્તારમાં મૂકવામાં આવ્યા હતા. રાત થતાં સુધીમાં પોલીસે પરિસ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો.

    દિલ્હી હિંસા ની આ ઘટનામાં દિલ્હી પોલીસે શનિવારે રાત્રે આ ઘટનાની તપાસ શરૂ કરી હતી. એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને નવ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે અંસાર નામનો વ્યક્તિ પોતાના 4 થી 5 સાથીઓ સાથે આવ્યો હતો અને શોભાયાત્રામાં આવેલ લોકો સાથે દલીલ કરવા લાગ્યો હતો, અંસારની ધરપકડ કરવામાં આવી છે અને તે અગાઉ પણ ગુનાહિત ઘટનાઓમાં સંડોવાયેલ છે. આ અંસાર જહાંગીરપુરી નો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આગળની તપાસમાં આ ઘટનાને લઈને વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

    જાણો પોલીસ એફઆઇઆરમાં કયા ખુલાસા થયા:

    દિલ્હી હિંસામાં ઘાયલ પોલીસ ઇન્સ્પેકટર રાજીવ રંજન સિંહ દ્વારા કરાયેલ એફાઇઆરમાં ઘણાં મોટા ખુલાસાઓ થયા છે.

    • શોભાયાત્રા બપોરના 4 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે થઈ રહી હતી, જેમાં એ પોતે પણ બંદોબસ્તમાં હતા.
    • સાંજે 6 વાગે જામા મસ્જિદ પાસે પહોંચી યાત્રા એટલે અંસાર અને એના સાથીઓએ બબાલ શરૂ કરી.
    • એકવાર બબાલ થતાં પોલીસે બંને પક્ષને અલગ કર્યા અને શાંતિ રાખવા અપીલ કરી પરંતુ એક પક્ષ (મુસ્લિમ પક્ષ) એ વાત ના સાંભળી અને પથ્થરમારો ચાલુ રાખ્યો.
    • પથ્થરમારો કરનાર પક્ષે ફાયરિંગ પણ કર્યું અને પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા. ફાયરિંગમાં એક ગોળી એક કોન્સ્ટેબલ ને વાગી.
    • આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા 40 50 ટિયર ગેસ છોડ્યા.

    તાજી જાણકારી મુજબ શોભાયાત્રા પર ફાઇરિંગ કરનાર અસમાજિક તત્વને પોલીસે શોધીને જડપી લીધો છે. આ આરોપીનું નામ અસલમ છે. તેની પાસેથી ફાઇરિંગ માટે વપરાયેલ હથિયાર પણ કબજે કરાયું છે. નોંધનીય છે કે અસલમએ કરેલ ફાઇરિંગમાં એક પોલીસ કર્મીને ગોળી વાગેલ હતી.

    પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે અંસાર આ સમગ્ર હિંસાનો એક માસ્ટર માઇન્ડ હતો, આજે જ્યારે અંસારને પોલીસ કોર્ટ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે એને મીડિયા સામે પુષ્પા ફિલ્મની દાઢી પર હાથ ફેરવવાવાળી એક્શન કરી જેનો સામાન્ય અર્થ થાય છે ‘મે ઝૂકેગા નહીં સાલા’. અંસારનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

    દેશમાં હિંદુ ઉત્સવો કે શોભાયાત્રાઓ પર આ રીતના હુમલાની ઘટના કાઈ નવી નથી. આ પહેલા થોડા દિવસ અગાઉ જ રામનવમીની શોભાયાત્રાઓ પર ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ ઉપરાંત દિલ્હી (જેએનયુ) માં આ પ્રકારના હુમલા થઈ ચૂક્યા છે.

    આમાંથી ઘણી જગ્યાઓના હુમલા પોલીસ તપાસમાં પૂર્વ આયોજિત કાવતરાં સાબિત થયાં છે તથા એમાં મૌલવીઓની સંડોવણી પણ સામે આવી ચૂકી છે અને પોલીસ દ્વારા મૌલવીઓ ધરપકડ પણ કરવામાં આવી છે. વિદેશી ફંડિંગના આશંકાઓ આધારે વધુ તપાસ પણ ચાલી રહી છે. વારંવાર ધાર્મિક આયોજનો પર થતાં પત્થરમારા અને હુમલા કોઈ મોટા આયોજનોનો ભાગ હોવાની શંકા પણ એજન્સીઓમાં પ્રવર્તે છે. કુરાનમાં પથ્થર મારવા વિશે શું ઉલ્લેખ છે એ અહી વાંચો.

    નોંધવા લાયક છે કે અહી દિલ્હીમાં જ થોડા દિવસ પહેલા રામનવમી જેએનયુ માં ABVP દ્વારા આયોજિત પૂજામાં લેફ્ટ સંગઠનોના કાર્યકરોએ હુમલો કરી દિધો હતો અને એ ઘટનામાં બંને તરફના ઘણાં કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા. જે વિષયમાં તપાસ હજુ ચાલુ છે અને JNU અધિકારીઓએ દોષિતો પર કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.

    હનુમાનજી ચારધામ પ્રોજેકટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મોરબી ખાતે 108 ફૂટ ઊંચી હનુમાનજી ની મુર્તિનું કર્યું અનાવરણ

    મોરબી: ભગવાન હનુમાન શક્તિ અને સમર્પણના પ્રતિક છે. હનુમાનજીનું ભગવાન રામ પ્રત્યેનો સમર્પણ ભાવ અદ્ભુત હતો માટે જ આપણે ત્યાં સમર્પિત વ્યક્તિને હનુમાનનું તરીકે સંબોધવામાં આવે છે. આજે હનુમાન જયંતી છે, આખા દેશમાં હનુમાન ભક્તો શ્રધ્ધા પૂર્વક ઉત્સવ માનવી રહ્યા છે. આજના શુભદિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબી ખાતે 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું છે. આ પ્રતિમા મોરબી ખાતે આવેલ પરમ પૂજ્ય કેશવાનંદજીના આશ્રમ ખાતે ત્રણ વર્ષના સખત પરિશ્રમ બાદ બનાવાઇ છે. આ પ્રતિમા હનુમાનજી ચારધામ પ્રોજેકટનો હિસ્સો છે.

    શું છે હનુમાનજી ચારધામ પ્રોજેકટ?

    આ પ્રોજેકટનો હેતુ ભારત દેશની ચારેય દિશામાં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાની સ્થાપના કરવી જેમાં ઇ.સ.2010માં હિમાચલમાં શિમલા ખાતે પહેલી પ્રતિમા બનાવવામાં આવી હતી. જેનું અનાવરણ રાજ્યના મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધુમાલ અને ફિલ્મ સ્ટાર અભિષેક બચ્ચને કર્યું હતું. આજે મોરબી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે અનાવરણ કરાયું તે બીજી પ્રતિમા હતી. આમ ઉત્તર અને પશ્ચિમની પ્રતિમાઓ ભક્તો માટે ખૂલી મુકાઇ છે. હવે દક્ષિણના રામેશ્વર ખાતે ત્રીજી અને બંગાળ ખાતે ચૌથી પ્રતિમા બનવાના કામો શરૂ થઈ ગયા છે.

    હનુમાનજી ચારધામ પ્રોજેકટનો નક્શો.

    કોણ બનાવી રહ્યું છે આ હનુમાનજી ચારધામ પ્રોજેકટ?

    નિખિલ નંદા જેઓ મોટા ઉધોગપતિ છે. તેમણે તેમના પિતાના નામે એક ટ્રસ્ટ શરૂ કર્યું છે જેનું નામ છે ‘શ્રી હરેશ ચંદર નંદા એજ્યુકેશન & ચેરિટેબલ ટ્રસ્ટ’ આ ટ્રસ્ટ દ્વારા હનુમાનજી ચારધામ પ્રોજેકટ થઈ રહ્યો છે. નિખિલ નંદાએ આ પ્રોજેકટ માટે એક રૂપિયાની મદદ બહારથી લીધી નથી. તેમનું માનવું છે કે “હું આજે જે પણ કઈ છું તે હનુમાનજીના કારણે છું. હનુમાનજીની પ્રેરણાના કારણે જ મને જીવનમાં સફળતા મળી છે મને જેવી પ્રેરણા મળી તે પ્રેરણા વધુને વધુ ભારતીયોને મળે તેના માટે આ પ્રોજેકટનો વિચાર આવ્યો.” વધુમાં તેઓ કહે છે કે “દરેક ભારતીય રાષ્ટ્ર પ્રથમની ભાવનાવાળો હોવો જોઈએ, ચારધામ પ્રોજેકટ દેશને જોડવાનું કામ કરશે.”

    હનુમાનજી ચારધામ પ્રોજેકટના સ્થાપક અને એચસી નંદા ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી નિખિલ નંદા.

    અનાવરણ વખતે નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

    પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે કહ્યું કે “હનુમાન પોતાની શક્તિ અને સેવાભાવથી બધાને જોડે છે, દરેક વ્યક્તિ હનુમાનજી પાસેથી પ્રેરણા મેળવે છે. હનુમાનજી તે શક્તિ અને બળ છે જેને સમસ્ત વનબંધુ અને આદિવાસીઓને માન સન્માન અપાવ્યું છે માટે હનુમાનજી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સમાન છે.”

    108 ફૂટ ઊંચી હનુમાનજી ની પ્રતિમાનું અનાવરણ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

    આજે ખોખરાધામમાં કનકેશ્વરી દેવીના વ્યાસાપીઠ પર ચાલતી રામકથાનો છેલ્લો દિવસ હતી આ કથાશ્રવણનો લાભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌશાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા લીધો છે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

    ‘ભૂલ એ ભૂલ છે, કોઈ પણ વિવાદ વગર હું માફી માંગું છું..’ : શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી અંગેના નિવેદન બાદ સીઆર પાટીલે માફી માંગી, વિડીયો જારી કર્યો

    ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે થોડા દિવસો અગાઉ માધવપુર ખાતે આયોજિત મેળામાં સંબોધન દરમિયાન ભૂલ કરતા વિવાદ સર્જાયો હતો. જે મામલે તેમણે અગાઉ પણ વ્યક્તિગત રીતે અનેક લોકોની માફી માગ્યા બાદ ગઈકાલે એક વિડીયો સંદેશ મારફતે જાહેર માફી માંગી હતી અને દ્વારકા જઈને પણ માફી માંગી લેવાની વાત કહી હતી.

    ભાજપ પ્રદેશ પ્રમુખ માધવપુર ખાતે આયોજિત એક મેળામાં ભાગ લેવા માટે ગયા હતા. દરમ્યાન, શ્રીકૃષ્ણ અને રુક્મણીના વિવાહનો ઉલ્લેખ કરતી વખતે તેઓ શરતચૂકથી રુક્મણીની જગ્યાએ સુભદ્રા બોલી ગયા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા આહિર સમાજ તેમજ અન્ય પણ કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો તો સીઆર પાટીલને માફી માંગવા માટે કહ્યું હતું. જે બાદ રાજ્યભરમાંથી અનેક લોકોના ફોનકોલ જતા તેમણે તેમની વ્યક્તિગત માફી તો માંગી જ હતી પરંતુ ગઈકાલે એક વિડીયો જારી કરીને જાહેરમાં પણ ભૂલ સ્વીકારી હતી.

    વિડીયોમાં ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, “થોડા દિવસો પહેલાં એક કાર્યક્રમ દરમિયાન શરતચૂકથી મારાથી એક નામ લેવામાં ભૂલ થઇ હતી, જે મેં ચાલુ વક્તવ્ય દરમિયાન જ ભૂલ સ્વીકારી લીધી હતી પરંતુ કેટલાક યુવાનો દ્વારા મને ફોન પર માફી માગવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. જેમની પણ માફી મેં માંગી લીધી હતી. ત્યારબાદ કેટલાક યુવાનોએ મને દ્વારકા આવીને પણ માફી માગવા માટે મેં આગ્રહ કર્યો હતો, જે અંગે પણ મેં હકારાત્મક જવાબ આપ્યો હતો.”

    ભૂલ એ ભૂલ છે, હું વિવાદ કે દલીલ વગર ભૂલ સ્વીકારું છું : સીઆર પાટીલ

    આગળ સીઆર પાટીલે જણાવ્યું, “મારા વક્તવ્ય દરમિયાન મેં ભગવાન શ્રીકૃષ્ણ ઉપર, કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ ધર્મ કે જાતિ ઉપર કોઈ પણ જાતની ટીકા-ટિપ્પણી કરી નથી. ફક્ત નામ લેવામાં મારાથી શરતચૂક થઇ હતી. પરંતુ ભૂલ એ ભૂલ છે. જેથી કોઈ પણ વિવાદ કે દલીલ વગર મારી ભૂલ મેં સ્વીકારી લીધી હતી. આજે ફરીથી મારા વક્તવ્યમાં થયેલી શરતચૂકના કારણે કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાઈ હોય તો તે માટે હું ફરીથી માફી માંગું છું અને હું અનુકુળતાએ દ્વારકા જઈને દર્શન કરીને માફી માંગી લઈશ તેની ખાતરી આપું છું.” આ વિડીયો જારી થયા બાદ ઇન્ટરનેટ યુઝરોએ ભાજપ પ્રદેશ પ્રમુખની નમ્રતાની પ્રસંશા કરી હતી તો કોઈ પણ વિવાદ વગર માફી માગવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

    સીઆર પાટીલે શેર કરેલા વિડીયોના કોમેન્ટ બોક્સમાં યુઝરોએ ખેલદીલી બદલ તેમની પ્રશંસા કરી

    તકનો લાભ લઇ કોંગ્રેસે વિરોધ કર્યો, લોકોએ ખંભાત, હિંમતનગર યાદ કરાવ્યા

    સીઆર પાટીલ દ્વારા વક્તવ્યમાં થયેલી શરતચૂક બાદ વિપક્ષી પાર્ટીઓએ મુદ્દો પકડી લીધો હતો અને ઠેરઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. કોંગ્રેસે સીઆર પાટીલ પર હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ ભુજ, પોરબંદર, વડોદરા જેવા કેટલાંક સ્થળોએ સીઆર પાટીલના ફોટા સળગાવ્યા હતા. જોકે, જે બાદ પરવાનગી વગર વિરોધ કરતા હોવાથી આ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. જોકે, કોંગ્રેસના આ સ્ટંટ બાદ ઇન્ટરનેટ યુઝરોએ તેમની ઝાટકણી કાઢી હતી અને ખંભાત અને હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા દરમિયાન હિંદુઓ પર થયેલા હુમલાઓ અંગે પાર્ટીના મૌન અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

    રાજકારણીઓ ઘણીવાર જાહેરમાં સંબોધન કરતી વખતે શરતચૂકથી બોલવામાં ભૂલ કરી ગયા બાદ વિવાદ સર્જાય ત્યારે માફી તો માંગી લેતા હોય છે પરંતુ માફીનો સ્વર ‘જો અને તો..’નો હોય છે. જ્યારે સીઆર પાટીલે કોઈ પણ જાતની શબ્દોની ભરમાર કર્યા વગર ભૂલ સ્વીકારી લઈને માફી માંગી લેતા યુઝરોએ વધાવી લીધા હતા.

    જમ્મુ અને કાશ્મીરના બારામુલા એન્કાઉન્ટરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી LeT કમાન્ડર યુસુફ કાંતરૂ માર્યો ગયો, 3 સૈનિકો ઘાયલ

    એક મોટી સફળતા કવાયતમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા ગુરુવારે બારામુલ્લામાં એક એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી કમાન્ડર યુસુફ કાંતરૂ ઠાર મરાયો હતો. જે જમ્મુ અને કાશ્મીરમાં સૌથી લાંબા સમય સુધી પોલીસથી બચીને રેહવાવાળો આતંકવાદી હતો. પોલીસે તેની પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી પણ જપ્ત કરી છે.

    IGP કાશ્મીર વિજય કુમારે ટ્વિટર પર આ માહિતી આપી હતી કે “બારામુલ્લા એન્કાઉન્ટરમાં લશ્કરના ટોચના આતંકવાદી કમાન્ડર યુસુફ કાંતરૂ માર્યો ગયો. તે નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોની અનેક હત્યાઓમાં સામેલ હતો જેમાં તાજેતરમાં એક SPO અને તેના ભાઈ, એક સૈનિક અને બડગામ જિલ્લામાં એક નાગરિકની હત્યાનો સમાવેશ થાય છે.”

    ઉત્તર કાશ્મીરના બારામુલ્લાના માલવાહ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશેના ચોક્કસ ઇનપુટ્સના આધારે, સુરક્ષા દળોએ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબારની શરૂઆતમાં 3 ભારતીય જવાનો ઘાયલ થયા છે. બડગામ પોલીસ અને ભારતીય સેના એલર્ટ સ્થિતિમાં છે કારણ કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. ઘાયલ આર્મી સૈનિકોની ઓળખ 62 RR ના મેજર સુભાંગ એડજટ (ડાબી બાજુની ગરદન પર ઈજા), પૂર્ણ ચંદ (ડાબા પગમાં ઈજા), સેલવા કુમાર (છાતીની ડાબી બાજુ અને ડાબી જાંઘ પાછળની બાજુએ નાની ઈજા) અને હવાલદાર મોહન તરીકે કરવામાં આવી હતી.

    એ નોંધવું અગત્યનું છે કે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી કમાન્ડર યુસુફ કાંતરૂ ટોચના 10 આતંકવાદીઓમાંનો એક હતો જેને જમ્મુ અને કાશ્મીર પોલીસે નિશાન બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. 10માંથી સાત સક્રિય હતા અને ત્રણ નવી ભરતી હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે જાહેર કરેલા નામોમાં સલીમ પારે, યુસુફ કાંતરૂ , અબ્બાસ શેખ, રિયાઝ શેટરગુંડ, ફારૂક નલી, ઝુબેર વાની, અશરફ મોલવી અને નવા આતંકવાદીઓ- સાકિબ મંજૂર, ઉમર મુશ્તાક ખાંડે અને વકીલ શાહનો સમાવેશ થાય છે.

    અહેવાલો અનુસાર, પોલીસે 18 ઓક્ટોબર, 2021 ના ​​રોજ આ 10 માંથી ચારની હત્યા કરી હતી, જેમના નામ હતાઅબ્બાસ શેખ, ઉમર મુશ્તાક ખાંડે, સાકિબ મંજૂર અને જૈશ કમાન્ડર વકીલ શાહ. તાજેતરના વર્ષોમાં આ ક્ષેત્રમાં ભારતીય સેનાને સૌથી વધુ જાનહાનિનો સામનો કરવો પડ્યો છે. 11 ઓક્ટોબર, 2021 ના ​​રોજ શરૂ થયેલી આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં નવ ભારતીય સૈનિકો અને 11 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા.

    આજે માર્યા ગયેલા યુસુફ કાંતરૂ બડગામનો રહેવાસી હતો અને બડગામ જિલ્લામાં નાગરિકો અને સુરક્ષા દળોના જવાનોની અનેક હત્યાઓમાં સામેલ હતો. તે ઈસાહના નામથી પણ ઓળખાતા હતા. તે જમ્મુ અને કાશ્મીરમાં LeTમાં ‘જવાબદાર’ પદ ધરાવતા કેટલાક સ્થાનિક આતંકવાદીઓમાંનો એક હતો. તેને A++ શ્રેણી (સૌથી ખતરનાક) આતંકવાદી તરીકે ઓળખવામાં કરવામાં આવ્યો હતો.

    સગીરાની છેડતીથી શરૂ કરી ધાર્મિક સ્થળે હુમલા સુંધી, હિંમતનગર-ખંભાત બાદ માણસાના ઈટાદરામાં મુસ્લિમોનો ઉન્માદ

    ગત રોજ ગાંધીનગરમાં જુથ અથડામણ થઈ. સવારે મુસ્લિમ યુવાન દ્વારા હિન્દુ યુવતીની છેડતી કરતાં મામલો બગડ્યો. સાંજે એ જ છેડતી કરનારે મુસ્લિમ ટોળામાં આવીને માણસાના ઈટાદરા ખાતે ધાર્મિક સ્થળે જાતરનો કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ મોટો હંગામો કર્યો. સ્થળ પર તોડફોડ કરી, એલ. ઈ. ડી સ્ક્રીન તોડી તથા વાહનો તથા દુકાનોને આગ ચાંપી હતી. ઘટના બાદ આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

    સળગતી હાલતમાં વાહન (ઇમેજ સાભાર : દિવ્ય ભાસ્કર )

    ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈટાદરા ગામે ગઈકાલે બે જૂથો વચ્ચે મોટી જુથ અથડામણ થઈ. જેની શરૂઆત એક મુસ્લિમ તોફાનીએ એક હિન્દુ સગીરાના ફોટા લેતા થઈ હતી. હિન્દુ સગીરાની ઈચ્છા વિરુદ્ધ મુસ્લિમ યુવાન દ્વારા તેણીના ફોટા લઈને એની છેડતી કરાતાં બંને ધર્મના લોકો વચ્ચે બબાલ થઈ. બાદમાં સામાજિક આગેવાનો વચ્ચે પડી બંને પક્ષોને સમજાવી છૂટા પાડ્યાં હતાં.

    પોલીસે સ્થાનિકો સાથે સાધન માટે ચર્ચા કરી (ઇમેજ સાભાર : વિટીવી )

    પરંતુ મુસ્લિમ પક્ષે સવારની ઘટનાની દાઝ રાખીને નજીકના હિન્દુ ધાર્મિક સ્થળ પર સાંજે આયોજિત જાતરના કાર્યક્રમના સ્થળ પર જઈને તોડફોડ કરી અને એલ. ઇ. ડી. સ્ક્રીન તોડી કાઢી. તથા પાર્ક કરેલ વાહનો તથા દુકાનોમાં આગ લગાવી દીધી હતી.

    ગાંધીનગરમાં જુથ અથડામણની આ ઘટના બાદ પોલીસે બંને પક્ષો સાથે ચર્ચા કરીને ઘટનામાં સમાધાન કરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

    સળગાવેલ દુકાનો તથા વાહનો (ઇમેજ સાભાર : ઝી ન્યૂઝ )

    ગાંધીનગરમાં જુથ અથડામણ બાદ પોલીસ કાફલાએ સ્થિતિ પર કાબુ મેળવ્યો

    ઘટનાની જાણ પોલીસને થતાં ગાંધીનગર જિલ્લા પોલીસ કાફલા સાથે ઈટાદરા પહોંચી ગઈ અને ટોળા પર ટિયરગેસ ફોડી તથા હવામાં ફાયરિંગ કરીને ભીડ વિખેરી હતી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. 6 તોફાની તત્વોની ઓળખ કરીને એમની ધરપકડ કરાઈ છે. હાલ સમગ્ર ઈટાદરા ગામ એક પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

    ઘટના સ્થળે જિલ્લા પોલીસ પહોચી (સાભાર : દિવ્ય ભાસ્કર )

    જિલ્લામાં પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા તંગદિલી થી સુરક્ષા એજન્સીઓ હરકતમાં

    ઉલ્લેખનીય છે આગામી 18 તારીખે ગાંધીનગર જિલ્લામાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે. જેમાં તેઓ શાળાઓ માટેના કમાંડ કન્ટ્રોલ સેન્ટર (CCC) ની મુલાકાત લેવાના છે. એ પહેલાં જિલ્લામાં ઘટેલી આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓ ને એલર્ટ કરી દીધી છે.

    કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર , ગાંધીનગર (ઇમેજ સાભાર : ગૂગલ )

    દેશભરની જેમ ગુજરાતમાં પણ હિન્દુઓના ધાર્મિક તહેવારો , યાત્રાઓ તથા મંદિરો પર મુસ્લિમો દ્વારા થતાં હુમલોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. થોડા દિવસ પહેલા જ ગુજરાતનાં હિંમતનગર તથા ખંભાતમાં મુસ્લિમો દ્વારા રામનવમીની શોભા યાત્રાઓ પર પથ્થરમરની ઘટના બની હતી. જેમાં પોલીસ તપાસ થતાં આ બંને ઘટનાઓ પૂર્વઆયોજિત કાવતરા હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર અને ખંભાત બાદ ઈટાદરામાં આવી ઘટના બાદ પોલીસે પોતાની તપાસનો વ્યાપ વધાર્યો છે. આગળ તપાસ થતાં ગાંધીનગરમાં થયેલ જુથ અથડામણ ની આ ઘટનાની વધુ માહિતી સામે આવવાની શક્યતા છે.

    નડિયાદ લવ-જેહાદ કેસ : હિંદુ યુવતીને લઈને કોઈ પણ આધાર-પુરાવા વગર મોટેલમાં રોકાયો હતો યાસરખાન, સંચાલક સામે ગુનો નોંધાયો

    ખેડા જિલ્લાના નડિયાદ લવ જેહાદ કેસમાં મુખ્ય આરોપી યાસરખાન પઠાણ પકડાયા બાદ આરોપી પીડિત મહિલાને લઈને જે હોટેલમાં રોકાયો હતો તેના સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. શહેરના ઉત્તરસંડા રોડ પર આવેલ દેવ મોટેલમાં મુખ્ય આરોપી હિંદુ યુવતીને લઇ કોઈ પણ આધાર પુરાવા આપ્યા વગર રોકાયેલો હોવાનું સામે આવતા પોલીસે મોટલના સંચાલક દિનેશ પટેલ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર, થોડા દિવસો પહેલાં નડિયાદ શહેરમાંથી એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક હિંદુ યુવતીને મુસ્લિમ યુવક નાસરખાન પઠાણે પ્રેમજાળમાં ફસાવીને વિદેશ જવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો ખુલી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને મુસ્લિમ યુવકના પરિજનોની ધરપકડ કરી લીધી હતી તો મુખ્ય આરોપી યાસર ખાનને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

    નડિયાદ લવ જેહાદ કાંડનો મુખ્ય આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાના કારણે ઘણા દિવસો સુધી તેણે પોલીસને શોધખોળ કરાવી હતી. દરમ્યાન, નડિયાદ શહેરના પીઆઈ હરપાલસિંહ ચૌહાણ અને તેમની ટીમે તાજેતરમાં જ યાસરખાન પઠાણને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

    અખબાર નયા પડકારના અહેવાલ મુજબ, લવ જેહાદ કાંડના મુખ્ય આરોપી યાસરખાનની આકરી પૂછપરછ કરતા તેણે 24 માર્ચ 2022 ના રોજ તે હિંદુ યુવતીને લઈને નડિયાદ શહેરના ઉત્તરસંડા રોડ પર આવેલ દેવ મોટલમાં રોકાયો હતો તેવી કબૂલાત કરી હતી. જે બાદ પોલીસે મોટલ ખાતે પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી અને રજીસ્ટર ચેક કરતા તેમાં યાસર હિંદુ યુવતીને લઈને રોકાયો હોવા સબંધી કોઈ એન્ટ્રી જ ન કરવામાં આવી હોવાનું સામે આવતા સંચાલક દિનેશ પટેલ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

    મોટલના સંચાલક દિનેશ પટેલ દ્વારા નિયમો મુજબ મોટલનું રજીસ્ટર નિભાવવામાં આવતું ન હોવાનું અને તે ગ્રાહકોને ઓઈ પણ આઈડી કે આધાર પુરાવા વગર જ રૂમ આપી દેતો હોવાનું પણ સામે આવતા પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

    શું હતી ઘટના?

    નડિયાદ શહેરમાં રહેતી એક યુવતીની ત્રણ મહિના પહેલાં એક મુસ્લિમ યુવક યાસરખાન પઠાણ સાથે મુલાકાત થઇ હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. મુસ્લિમ યુવક હિંદુ યુવતીને ભેટ-સોગાદો આપતો હોઈ યુવતી પ્રેમમાં પાગલ બની હતી અને સમયે-સમયે બંને પ્રેમાલાપ પણ કરતાં હતાં.

    યુવતીની વિદેશ જવાની ઘેલછા અંગે જાણતા યાસરે તેને વિદેશ લઇ જવાની લાલચ આપી હતી અને તે માટે યુવતીને તેના માતા-પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા પણ લઇ આવવા માટે કહ્યું હતું. યુવતીએ પિતા પાસેથી પાંચ લાખ લઇ આવતા યાસરે તેને એકલી જ દુબઈ મોકલી દીધી હતી અને પોતે અહીં જ રોકાઈ પડ્યો હતો. તેણે યુવતીના રોકાવા માટે હોટેલ પણ એવી પસંદ કરી હતી જ્યાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. જોકે, એક ભારતીય વેઇટરે ચેતવતા યુવતી દેહવ્યાપારમાં ધકેલાતા બચી ગઈ હતી.

    બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવતી, ધર્મપરિવર્તન માટે દબાણ કરાતું =

    યુવતી દુબઈથી પરત આવ્યા બાદ પણ યાસરે તેને મુક્ત કરી ન હતી અને લગભગ ચારેક મહિના સુધી એક ભાડાનાં મકાનમાં ગોંધી રાખીને અનેક વખત તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દરમ્યાન, તેને બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવતી તો યુવતીને જાતિ અને ધર્મવાચક ગાળો પણ દેતો હોવાનું સામે આવ્યું હતું.

    યુવતીએ આ સમગ્ર બનાવ બાદ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, યાસર ખાનના પરિવારે તેને બળજબરીથી બુરખો પહેરાવ્યો હતો તેમજ તેઓ તેની પાસે નમાજ અને કલમા પણ પઢાવતા હતા અને કુરાનનું પઠન કરવાનું કહીને તેની પર ધર્મ પરિવર્તન કરવાનું દબાણ પણ કરતા હતા. આ ઉપરાંત તેની પાસે રહેલો ભગવાન શિવનો ફોટો પણ તેમણે ફાડી નાંખ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.

    પોલિસ જવાન પર ગાડી ચડાવી પ્રાણઘાતક હુમલો કરનાર ગુજરાતના આપનેતા યુવરાજસિંહ જાડેજાને મળ્યા શરતી જામીન

    ગત 5 એપ્રિલના રોજ ગાંધીનગર એસ.પી. ઓફિસની બહાર એક પોલિસકર્મી પર ગાડી ચઢાવવા બદલ ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી અને આઇ.પી.સી. 332 તથા 307 સહિતની કલમો સાથે ગુનો નોંધ્યો હતો. જે બાદ આજે ગાંધીનગર સેશન્સ કોર્ટે યુવરાજસિંહ જાડેજાના શરતી જામીન મંજૂર કર્યા છે.

    ગાંધીનગર સેશન્સ કોર્ટે શરતી જામીન આપતા જણાવ્યું હતું કે, યુવરાજસિંહ ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુંધી ગાંધીનગરમાં પ્રવેશ નહીં કરી શકે. આ સાથે યુવરાજસિંહને સૂચના આપી છે કે, તમામ પ્રકારની તપાસમાં તેઓ સહકાર આપશે. ઉપરાંત યુવરાજસિંહ કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્યની હદ છોડી શકશે નહીં.

    જામીન અરજીની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સાંજે 5 થી 5.30 વાગ્યા સુધીમાં સાબરમતી જેલમાંથી યુવરાજસિંહને જેલ મુક્ત કરવામાં આવશે.

    ગત 5 એપ્રિલના રોજ રાજ્યના વિદ્યાસહાયકો સાથે મળીને યુવરાજસિંહ ગાંધીનગર ખાતે આંદોલન કરવા પહોંચ્યા હતા. જ્યાં યુવરાજ સિંહે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસ પર ગાડી ચઢાવી દીધી હતી. જેના લીધી યુવરાજસિંહની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જ્યારે યુવરાજસિંહની ધરપકડ થઈ ત્યારે તેની પોતાની ગાડી પરના કેમેરાનો વિડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં એ સામે ઉભેલ પોલીસકર્મી પર ગાડી ચડાવી દેતા નજરે પડે છે. પોલીસકર્મી આ ઓચિંતા હુમલાથી પોતાની રક્ષા માટે ગાડીના બોનેટ પર ચડી ગયેલ પણ નજરે પડે છે.

    આ ઘટનાના 10 દિવસ બાદ આજે યુવરાજસિંહ જાડેજાના શરતી જામીન મંજૂર થયા છે.

    આમ આદમી પાર્ટીના યુવાનેતા છે યુવરાજસિંહ.

    યુવરાજસિંહ પોતે આમ આદમી પાર્ટી ગુજરાતના યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સમયે જ્યારે દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે યુવરાજસિંહ વિધિવત્ રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

    આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સમગ્ર રાજ્યમાં વિવિધ કલેક્ટર કચેરીઓમાં તેમના સમર્થનમાં આવેદનપત્રો આપ્યા હતા તથા સોશિયલ મીડિયામાં પણ મોટા પાયે ટ્રેન્ડ ચલાવ્યો હતો.

    યુવરાજસિંહ ઘણાં સમયથી ગુજરાતમાં વિવિધ ભરતીઓ તથા પરીક્ષાઓ મુદ્દે આંદોલન કરતા આવ્યા છે. જેથી યુવાનોમાં એમની સારી એવી પકડ છે એવું માનવામાં આવતું હતું. પરંતુ લોકોમાં પહેલેથી જ એમના આંદોલનો વિશે શંકા કુશંકા છે. એમાં પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ યુવરાજની વિશ્વસનીયતા પહેલા જેવી રહી નહોતી. હવે જોવા જેવું એ રહેશે કે શરતી જામીન પર બહાર આવ્યા બાદ યુવરાજસિંહનું વલણ કેવું રહેશે.

    નોંધવા જેવી વાત એ પણ છે કે જ્યારે યુવરાજસિંહ જેલમાં હતા ત્યારે જ લોકરક્ષકદળની ભરતી પરીક્ષા ગુજરાતભરમાં સફળતા પૂર્વક પાર પડી. જેના બાદ યુવાનો તથા વિદ્યાર્થીઓ ખૂબ આનંદમાં છે.

    આ પહેલાં ગુજરાતમાં જેટલી પણ પરીક્ષાઓના પેપર ફૂટ્યા અથવા પરીક્ષાઓમાં ગેરનીતી થઈ એ દરેક વખતે યુવરાજસિંહ આંદોલનોમાં આગળ પડતાં હતાં. તથા આ આંદોલનો દ્વારા જ એમણે પોતાનું એક આગવું નામ બનાવ્યું હતું. ઘણાં લોકો આ આંદોલનોને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે જોડીને પણ જોવે છે.

    રામનવમી હિંસાના આરોપીઓનાં ગેરકાયદે દબાણ દૂર કરાતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો, કાર્યવાહીને ગણાવી ‘ગેરબંધારણીય’  

    રામનવમીના દિવસે ખંભાતના મુસ્લિમ બહુમતી વિસ્તાર શક્કરપુરામાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો અને હિંસા બાદ ગઈકાલે ગુજરાત સરકાર એક્શનમાં આવી હતી અને હિંસાના આરોપીઓનાં ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યાં હતાં. જોકે, સરકારની આ કાર્યવાહી સામે ગુજરાત કોંગ્રેસને વાંધો પડ્યો છે અને ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા અને ગયાસુદ્દીન શેખે વિરોધ નોંધાવ્યો છે.

    કોંગ્રેસના બંને ધારાસભ્યોએ એક પ્રેસનોટ જારી કરીને સરકારની આ કાર્યવાહીને કોઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા વગર થયેલી અને ગેરબંધારણીય ગણાવીને તાત્કાલિક અસરથી તેને રોકવા માટે અપીલ કરી હતી. ઉપરાંત તેમણે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને ફોનકોલ પર ખંભાતના શક્કરપુરા વિસ્તારમાં થઇ રહેલી આ ડિમોલિશનની કાર્યવાહી રોકવા માટે અપીલ પણ કરી હોવાનું જણાવ્યું હતું.

    કોંગ્રેસ ધારાસભ્યોનું કહેવું છે કે જો આરોપીઓ પર કોર્ટમાં ગુનો સાબિત થઇ ગયો હોત અને આ કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ થઇ હોત તો તેમણે વાંધો ઉઠાવ્યો ન હોત. ઉપરાંત આ પ્રકારની ડિમોલિશનની કાર્યવાહી કરતાં પહેલાં કલેક્ટર અને જિલ્લા તંત્ર દ્વારા જે-તે માલિકને નોટીસ પાઠવવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

    જોકે, બીજી તરફ પ્રાંત અધિકારીએ આ કાર્યવાહી બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કલેક્ટર અને જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા શક્કરપુરામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગળ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, સમગ્ર ખંભાતમાં દબાણો હટાવવામાં આવશે અને ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. જ્યારે જિલ્લાના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ પોલીસે જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જળવાય રહે તે માટે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

    શું બની હતી ઘટના?

    રામનવમીના દિવસે ગુજરાતના ખંભાત અને હિંમતનગર સહિતના શહેરોમાં શોભાયાત્રા દરમિયાન પ્રિ-પ્લાન્ડ હિંસા થઇ હતી. ખંભાતમાં કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા શહેરમાં હિંદુઓ ફરી આવી શોભાયાત્રા નહીં કાઢે તે માટે ડરનો માહોલ ઉભો કરવા માટે અગાઉથી જ પ્લાન ઘડીને હિંસા આચરવામાં આવી હતી.

    અહેવાલ મુજબ, ખંભાતમાં શોભાયાત્રા મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી પસાર થઇ ત્યારે દરગાહ નજીક તોફાનીઓએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો. તોફાનીઓએ અલગ-અલગ વિસ્તારોમાં બે દુકાનો, બે લારીઓ અને એક મકાનમાં આગચંપી કરી દેવાતા માહોલ વધુ તંગ બન્યો હતો. આ બનાવમાં પોલીસ જવાનો સહિત પંદરથી વધુ લોકોને ઈજા પહોંચી હતી તો એક 62 વર્ષીય વ્યક્તિ કનૈયાલાલ રાણાનું મૃત્યુ થઇ ગયું હતું.

    મૌલવી અયુબ મલેકે અન્ય પાંચ-છ જણાને સાથે રાખી અગાઉથી આયોજન કર્યું હતું

    મુખ્ય આરોપીઓએ ઘટના અગાઉના બે-ત્રણ દિવસોથી ખાનગીમાં મીટીંગ કરી હતી અને તમામ આયોજન કર્યાં હતાં. જેમાં ઘટના બાદ આરોપીઓને ક્યાં સંતાડવા, તેમની રહેવાની વ્યવસ્થા ક્યાં કરવી, તેમને કાયદાકીય મદદ પૂરી પાડવી થી માંડીને તેમના પરિવારોને મદદ કરવા માટે મસ્જિદો અને મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ચાદર ફેરવીને ફંડ પણ એકઠું કરવા સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ મામલે મૌલવી અયુબ મલેક સહિત 11 શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમના રિમાન્ડ મેળવીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

    કોંગ્રેસના હાર્દિક પટેલને કોંગ્રેસના જ સંજય ગાંધીનું નસબંધી અભિયાન યાદ આવી ગયું!

    પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલે કોઇપણ રાજકીય પક્ષ સાથે ન જોડાવાનું વચન પાટીદારોને આપ્યું હતું. પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણીઓ અગાઉજ તે સમયના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની  હાજરીમાં હાર્દિક પટેલે કોંગ્રેસનું સભ્યપદ હાંસલ કર્યું હતું. પરંતુ હવે હાર્દિક પટેલને કોંગ્રેસમાં મૂળ કોંગ્રેસીઓ દ્વારા પોતાનું સ્થાન બતાવી દેવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે.

    લોકસભાની 2019ની ચૂંટણીઓમાં ગુજરાતમાં કોંગ્રેસ તમામ 26 બેઠકો હારી ગયું હતું અને ત્યારબાદ લાંબા સમય બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તે સમયના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જે પદ જગદીશ ઠાકોરના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું છે. જો કે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા બાદ હાર્દિક પટેલનો ભાવ કોંગ્રેસમાં કોઈ પૂછતું ન હોવાનું પણ હાર્દિક પટેલ અનેકવાર કહી ચુક્યા છે.

    હાલમાં જ સુપ્રિમ કોર્ટ દ્વારા ચૂંટણી લડવા પર મુકાયેલા પ્રતિબંધ પર મળેલા સ્ટે બાદ હાર્દિક પટેલને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં તેમની અવગણના થઇ રહી છે. હાલમાં જ ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં હાર્દિક પટેલે પોતાની વ્યથા ઠાલવી હતી. હાર્દિક પટેલે આ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે કોંગ્રેસમાં તેમની હાલત એક નવા પરણેલા વ્યક્તિ જેવી છે જેની નસબંધી કરી નાખવામાં આવી છે. હાર્દિક પટેલનું આ વિધાન એ સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાં તેમને કોઈ પૂછતું પણ નથી.

    હાર્દિક પટેલે પોતે સ્વીકાર્યું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં કોઇપણ નિર્ણય લેવામાં આવે તો કાર્યકારી પ્રમુખ હોવાને નાતે તેમની સલાહ કે મંતવ્યો લેવામાં આવતાં નથી. આનું ઉદાહરણ આપતાં હાર્દિક કહે છે, “હાલમાં જ તેમણે (ગુજરાત પ્રદેશ કોંગ્રેસે) 75 નવા જનરલ સેક્રેટરીઓ અને 25 નવા ઉપપ્રમુખોની નિમણુંક કરી છે, પરંતુ તેમણે મારી સલાહ નથી લીધી અને એમ પણ નથી પૂછ્યું કે હાર્દિકભાઈ, આ યાદીમાં કોઈ મજબુત નેતા રહી તો નથી ગયો ને?”

    ખોડલધામના નરેશ પટેલને પાર્ટીમાં સમાવવામાં થઇ રહેલા વિલંબની પણ હાર્દિક પટેલે ટીકા કરી છે. હાર્દિક પટેલે કહ્યું છે કે જ્યારે બે મહિનાથી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે પરંતુ કોંગ્રેસમાં કોઈના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. જ્યારે સામા પક્ષે ભાજપ એકદમ આક્રમક થઈને આ સ્તરના આગેવાનોને પોતાના પક્ષમાં આવકારવા માટે સદાય તૈયાર હોય છે.

    જો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલના આ આરોપનું ખંડન કર્યું છે જે ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીઓના થોડાજ મહિનાઓ અગાઉ બધું બરોબર ન હોવા પર બહુ મોટો સંકેત કરી જાય છે. હાર્દિક પટેલે આ જ ઇન્ટરવ્યુમાં આપેલા એક અન્ય નિવેદનથી એ પ્રશ્ન પણ ઉભો થાય છે કે શું હાર્દિક પટેલ ખરેખર નરેશ પટેલને કોંગ્રેસમાં ઈચ્છે છે? કે પછી નરેશ પટેલ કક્ષાના પાટીદાર આગેવાન જો કોંગ્રેસમાં જોડાય તો પક્ષમાં હાર્દિકની હાલમાં ચાલી રહેલી અવગણના કઈ હદ સુધી પહોંચી જશે તેની તેમને ચિંતા છે?

    હાર્દિક પટેલે કહ્યું હતું કે “હું ટીવી પર જોઈ રહ્યો છું કે કોંગ્રેસ 2022ની ચૂંટણીઓ માટે નરેશ પટેલને પક્ષમાં સમાવવા માંગે છે. મને આશા છે કે તેઓ 2027ની ચૂંટણીઓ માટે કોઈ નવા પટેલની શોધ ન શરુ કરી દે. પાર્ટી પક્ષમાં જ રહેલાઓનો (પાટીદાર નેતાઓ) ઉપયોગ કેમ નથી કરતી?” આ વિધાન એ સ્પષ્ટ કરે છે કે અંદરખાને હાર્દિક પટેલની ઈચ્છા નથી કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે.

    હાર્દિક પટેલ એવું પણ કહી રહ્યા છે કે ઘણાં કોંગ્રેસીઓ એમ કહી રહ્યાં છે કે હાર્દિકનો ઉપયોગ કોંગ્રેસમાં થવો જોઈએ એ રીતનો નથી થઇ રહ્યો. જો કે હાર્દિક પટેલે આ નેતાઓના નામ કહ્યા નથી એ અહીં ઘણું સૂચક છે.

    કોંગ્રેસના હાર્દિક પટેલને કોંગ્રેસના જ સંજય ગાંધી દ્વારા કટોકટીના સમય દરમ્યાન જબરદસ્તીથી લાગુ પાડવામાં આવેલી નસબંધી પોતાને પક્ષમાં થઇ રહેલા અન્યાય અને અવગણનાથી યાદ આવી ગઈ છે. 1975માં લાગુ પડેલી કટોકટી દરમ્યાન સંજય ગાંધીએ સરકારી મશીનરીનો દુરુપયોગ કરાવીને દેશભરમાં ફક્ત એક વર્ષમાં 60 લાખ લોકોની નસબંધી કરાવી દીધી હતી. લોકોને લોભ-લાલચ આપીને, ઘરમાં અચાનક ઘુસી જઈને, બસમાંથી ઉતારીને તેમની નસબંધી કરવામાં આવી હતી. કટોકટીકાળના અનેક અત્યાચારોમાં સંજય ગાંધીના નસબંધીનો અત્યાચાર શિરમોર સાબિત થયો હતો, અને આજે તેને તેનાજ પક્ષના આગેવાન પોતાની લાચારી વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લાવી રહ્યા છે.

    સોમનાથ – પ્રથમ જ્યોતિર્લીંગ અને શિવ સાથે જીવને નજીક લઇ આવતું એક અદભુત યાત્રાધામ

    સોમનાથ મંદિરની યાત્રા કર્યા બાદ એક વિચાર મનમાં આવ્યો કે, ઘણા વ્યક્તિઓ નાસ્તિક હોય છે અને એમાંથી ઘણાને પોતાના નાસ્તિક હોવા પર ઘણો ગર્વ પણ હોય છે. કેટલાક આવા જ ગૌરવાન્વિત નાસ્તિકો આસ્તિકોની આસ્થાનું સન્માન કરવાને બદલે તેમનું અપમાન કરવાની હદે તેમની મશ્કરી કરતા હોય છે. આ લોકોને ભગવાન, પ્રભુ કે પછી ઈશ્વરના અસ્તિત્વ પર જ શંકા હોય છે અને તેમણે પોતાના મનના દરવાજા એવા તો સજ્જડ રીતે બંધ કરી દીધા હોય છે કે ઈશ્વરના અસ્તિવ વિષેની વૈજ્ઞાનિક દલીલોને પણ તેઓ ધરાળ નકારતા હોય છે.

    તો સામે પક્ષે આસ્તિક વ્યક્તિને પોતાની આસ્થાના બળ પર ગમેતે સમયે ઈશ્વર પોતાની આસપાસ હોવાની અનુભુતી આપોઆપ થવા લાગે છે. જ્યારે કોઇપણ આસ્તિકને ઈશ્વર પોતાની નજીક હોવાનો અનુભવ થાય ત્યારે તેને એનીમેળે આનંદની લાગણી થવા લાગે છે, કોઇપણ કારણ વગર. કે પછી તેના આંખમાં આંસુ આવી જતા હોય છે, પગ અને હાથ આપોઆપ ડોલવા લાગતા હોય છે કે પછી શરીરનું એક એક રૂંવાડું નર્તન કરવા લાગતું હોય છે. ભગવાન સોમનાથના મંદિરમાં અને તેમની સમક્ષ ઉભા રહીને આવો જ અનુભવ થતો હોય છે.

    વર્ષોથી મનની ઈચ્છા હતી કે એકવાર સોમનાથદાદાના દર્શન કરવા એટલે કરવા જ. પરંતુ બીઝી શેડ્યુલમાં આ દર્શન દુર્લભ થઇ રહ્યા હતા. છેલ્લે લગભગ અઢાર વર્ષ અગાઉ ભગવાન સોમનાથના દર્શન કરવાનો લાભ મળ્યો હતો. છેવટે જુનાગઢમાં એક લગ્ન પ્રસંગે જવાની તક મળી અને મા ગિરનારીના આ નગરથી માંડ સો કિલોમીટર દૂર ધૂણી ધખાવીને બેસેલા સોમનાથદાદાના દર્શન કરી જ લેવા એવું લગભગ છ મહિના અગાઉજ નક્કી કરી લીધું હતું.

    છેવટે 12મી માર્ચની સાંજે સોમનાથ નગર પહોંચવાનું થયું અને હોટલમાં ફ્રેશ થઈને દાદાના દર્શને સહપરિવાર નીકળી પડ્યો. ઉત્સાહ તો એટલો બધો હતો કે જેમ જેમ સોમનાથ મંદિરની ધજા નજીક દેખાવા લાગી તેમ તેમ ચહેરા પરનું સ્મિત પહોળુંને પહોળું થવા લાગ્યું હતું. છેવટે મંદિર સાવ નજીક આવી ગયું અને માતુશ્રી સાથે હોવાથી સિક્યોરીટીને સમજાવી મંદિરના દરવાજા જ્યાંથી દર્શનાર્થીઓએ પગપાળા જવાનું હોય છે ત્યાં આવેલા પાર્કિંગ સુધી કાર લેવડાવી.

    સુરજ દેવતા લગભગ અરબી સમુદ્રમાં છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે સોમનાથ મંદિરના મુખ્ય ગુંબજ પાછળ એમની આકૃતિ જોઇને તરતજ ફોટોગ્રાફ ખેંચી લીધો અને ઢળી રહેલા તેમ છતાં ઝળહળતા સુરજદાદાની ચમકથી ચમકતા સોમનાથ મંદિરને જોઇને મોઢામાંથી ‘વાહ’ નીકળી ગઈ. મંદિર પહોંચતા પહેલા જ માહિતી હતી કે અહીંની સાંધ્ય આરતી ખરેખર અનુભવવા લાયક હોય છે. આ આરતીમાં ભાગ લેવા માટે અમુક નિયમો હોય છે તેની પણ જાણ હતી એટલે ભલે વહેલા પહોંચી ગયા પણ આ આરતીનો લાભ ચૂકવો નહીં એમ નક્કી કરીને લગભગ પોણો કલાક વહેલા એટલેકે સાંજે સવા છ વાગ્યે મંદિરમાં પ્રવેશ કરી લીધો.

    પ્રવેશ કરવાની સાથેજ દાદાની પ્રથમ ઝલક જોઈ અને મન ગદગદ થઇ ગયું. કામકાજનો દિવસ હોવાથી ભીડ પ્રમાણમાં ઓછી હતી આથી તમામ ભક્તો આરામથી દાદાના દર્શન કરતા હતા અને અંદર રહેલી સિક્યોરીટી પણ તેમને કોઇપણ પ્રકારની દલીલ કર્યા વગર આરામથી દર્શન કરવા દેતી હતી. મારો વારો આવવાની સાથેજ મેં મારું શીશ નમાવીને મારી સાથે સંકળાયેલા અને ન સંકળાયેલા તમામની સુખાકારીની સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી.

    આ બધું તો માત્ર પાંચેક મિનિટમાં પતી ગયું અને સાંધ્ય આરતી શરુ થવાને હજી પણ પાંત્રીસથી ચાળીસ મિનીટ બાકી હતી. પરંતુ તેમ છતાં દર્શન કરવાના માર્ગની બાજુમાં રહેલી જગ્યામાં આરતી શરુ થવાની રાહ જોવાનું નક્કી કર્યું. આ સમયે મંદિરની સાઉન્ડ સિસ્ટમ પર જગજીત સિંહના અવાજમાં ભજન ચાલી રહ્યા હતા. શ્રદ્ધાળુઓ એક પછી એક મહાદેવના દર્શન કરી રહ્યા હતા. અમે જ્યાં ઉભા હતા ત્યાંથી બહુ નજીકથી જ ભગવાન શિવના દર્શન સતત થઇ રહ્યા હતા, ઉપરાંત ઉપર ત્રણ LED TV પર લાઈવ દર્શન થઇ રહ્યા હતા.

    એવામાં સાંજના 6.50 વાગ્યા અને જગજીત સિંહના ભજનની જગ્યા લીધી હનુમાન ચાલીસાએ. અમારી જેમ ત્યાં ઉભેલા અન્ય ભક્તોએ માઈક પર સંભળાતા હનુમાન ચાલીસાની સાથે સાથે પોતે પણ ગાવાનું ચાલુ કરી દીધું અને તેની સાથેજ આખું વાતાવરણ ભક્તિમય થવા લાગ્યું. આની સાથેસાથે ડાબી અને જમણી તરફના ગેટ બંધ થઇ ગયા અને ફક્ત મુખ્ય દ્વાર ખુલ્લું રાખવામાં આવ્યું પરંતુ શ્રદ્ધાળુઓને બહાર જ રોકી દેવામાં આવ્યા.

    બરોબર સાતના ટકોરે પહેલા અમારી પાછળથી એક શંખનાદ થયો અને પછી વારાફરતી પાંચ વખત શંખનાદ થયા અને સોમનાથ મંદિરના મુખ્ય પૂજારીએ ધૂપથી આરતી શરુ કરી તેની સાથેજ અમારી પાછળ રહેલા નગારા અને ઘંટના નાદથી ભગવાન સોમનાથની સાંધ્ય આરતી શરુ થઇ! બસ… આ આરતીની અદભુત ધૂન સાથેજ બંને હાથ આપોઆપ તાળી વગાડવા લાગ્યા અને પેલી આરતીની ધૂનની ગતિમાં ફેરફાર થતો રહ્યો એટલેકે એની ઝડપ વધતી ઘટતી રહી અને તેની સાથેજ ભક્તોના તાનમાં પણ વધઘટ થતી રહી.

    પગ આપોઆપ હલવા લાગ્યા, અમુકના માથા ધુણવા લાગ્યા, મારા જેવાની આંખો ભીની થવા લાગી. નજર સતત સોમનાથ મહાદેવ પર ટકેલી રહી. લગભગ પંદર મિનીટ થયા બાદ પૂજારીએ ગર્ભગૃહમાં રહેલા પાર્વતીજી અને અન્ય દેવ-દેવીઓની મૂર્તિઓની આરતી કરી અને પછી બહાર આવ્યા અને બહાર મંડપમાં આવેલી ગણેશજી, હનુમાનજી, નંદી તેમજ ચારેય દિશાઓની આરતી કરી. ત્યારબાદ ડાબી તરફનો દરવાજો ખોલવામાં આવ્યો અને તેમણે ધૂપથી સમુદ્રની આરતી કરી.

    ધૂપ આરતી બાદ પૂજારીએ દીપ આરતી શરુ કરી આ આરતી પણ પંદર મિનીટ ચાલી અને ધૂપ આરતીની જેમ જ મહાદેવની આરતી કર્યા બાદ અંદરની તેમજ બહારની મૂર્તિઓ અને સમુદ્રની આરતી પણ થઇ. ધૂપ આરતી પૂર્ણ થયા બાદ બહાર મુખ્ય દરવાજે રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓને અંદર આવવા દેવામાં આવ્યા પરંતુ તેમને દર્શન કર્યા બાદ તરતજ બીજા દરવાજેથી બહાર જવાનું કહેવામાં આવ્યું. આવું દીપ આરતી બાદ પણ કરવામાં આવ્યું.

    આમ, અડધા કલાકની આરતી દરમ્યાન મન અને આત્મા તૃપ્ત થયાનો અનુભવ થયો. હતી તો આરતી જ પરંતુ એક પણ શબ્દ વગર માત્ર નગારા અને ઘંટની ધૂન પર થઇ અને અહીં રહેલા વાતાવરણની અસરને કારણે આધ્યાત્મનો અનુભવ થવો એ શક્ય હતું જ. કદાચ એની જ અસર હેઠળ આરતી પૂર્ણ થયાની બીજી જ સેકન્ડે હાજર તમામ શ્રદ્ધાળુઓનો શંકર ભગવાનના નામનો સ્વયંભુ જયઘોષ અને મંદિરની બહાર નીકળતી વખતે પણ ભગવાન શિવના વિવિધ નામોનો ઉપયોગ કરીને તેમનો જયઘોષ ચાલુ રાખવાનું તમામ માટે શક્ય બન્યું હશે.

    સંધ્યા આરતી તો ખરેખર એક બહાનું જ છે, પરંતુ ત્યારબાદ શૃંગાર અને મધ્યાહ્ન આરતીનો પણ મેં લાભ લીધો અને એટલીજ આધ્યાત્મિકતાનો અનુભવ ત્યારે પણ થયો હતો. સોમનાથ એ સર્વપ્રથમ જ્યોતિર્લીંગ ગણાય છે. જ્યારે સોમ એટલેકે ચંદ્ર પ્રજાપતિ દક્ષના શ્રાપથી ક્ષીણ થવા લાગ્યો હતો ત્યારે તેણે તે સમયે પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાતા આ સ્થાન પર ભગવાન શંકરની આરાધના કરી અને ભગવાન શંકર સોમનાથ તરીકે સ્વયંભુ પ્રગટ થયાં અને અહીં ભવ્ય જ્યોતિર્લીંગ અસ્તિત્વમાં આવ્યું.

    સોમનાથ મહાદેવના દર્શને જાવ ત્યારે આ બાબતોનું ધ્યાન રાખશો

    • સોમનાથ મહાદેવનું મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું હોય છે.
    • ભગવાન સોમનાથની આરતી સવારે 7 બપોરે 12 અને સાંજે 7 વાગ્યે થાય છે.
    • મંદિરમાં મોબાઈલ, કેમેરા અને સ્વાભાવિકપણે ચંપલ લઇ જવાની મનાઈ છે. જો તમે પોતાના વાહન સાથે આવ્યા હોવ તો આ તમામ વસ્તુઓ તેમાં જ છોડી દેવા. ચંપલ સાચવવા માટે મંદિર પરિસરમાં વ્યવસ્થા છે.
    • સાંધ્ય આરતી પૂર્ણ થયા બાદ 7.30 વાગ્યે મંદિરની પાછળ તેના ઘુમ્મટ પર એક સાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે જે ત્રીસ મિનીટનો છે જેમાં અમિતાભ બચ્ચન પોતાના અવાજમાં સોમનાથનો ઈતિહાસ વર્ણવે છે જે વગર ચૂકે જોવા જેવો છે.
    • સોમનાથ મંદિર પરિસરમાં એન્ટ્રીથી મંદિરના મંડપ સુધી લગભગ ચાર વખત સિક્યોરીટી ચેકિંગ થાય છે આથી સિક્યોરીટી અધિકારીઓને સહકાર આપવો.
    • પરિસરના એન્ટ્રી પોઈન્ટ પર વરિષ્ઠ નાગરીકો માટે ગોલ્ફ કાર અને વ્હીલચેરની સુવિધા આપવામાં આવી છે. વ્હીલચેરનો ઉપયોગ કરવો સલાહભર્યું છે કારણકે તેનાથી સમગ્ર પરિસરમાં વડીલોને ફેરવી શકાય છે અને ગોલ્ફ કારની રાહ અંદર આવવા કે પછી બહાર નીકળવા માટે જોવી પડતી નથી.
    • મદિર પરિસરમાં ત્રણ જગ્યાએ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે આથી મંદિર પરિસરની બહાર મળતા પ્રસાદ ખરીદવા નહીં કારણકે તે મંદિરમાં મોટેભાગે ધરાવવામાં આવતા નથી.
    • સાઈટ એન્ડ સાઉન્ડ શોમાં પણ વ્હીલચેર મૂકી શકાય તેની ખાસ વ્યવસ્થા છે.

    સોમનાથમાં જોવાલાયક અન્ય સ્થળો

    • બાણગંગા – અહીં પણ ભગવાન શંકરનું એક સ્વયંભુ શિવલિંગ આવેલું છે જેના પર ચોવીસ કલાક સમુદ્ર અભિષેક કરતો હોય છે. કહેવાય છે કે અહીંથી જ શિકારીએ એ તીર છોડ્યું હતું જે ભાલકામાં એક વૃક્ષ નીચે બેસેલા ભગવાન શ્રીકૃષ્ણને લાગ્યું હતું.
    • ભાલકા તીર્થ – ભગવાન શ્રીકૃષ્ણએ શિકારીનું તીર પોતાના પગના તળીયે લાગતાં અહીં જ દેહત્યાગ કર્યો હતો તે જગ્યા. અહીં એ વૃક્ષ પણ હજી છે અને તેની આસપાસ એક સુંદર મંદિર પરિસર પણ બનાવવામાં આવ્યું છે.
    • વેણેશ્વર મહાદેવ – સોમનાથના રાજાની કુંવરી પાછળ કેટલાક રાક્ષસો પડ્યા હતા. આ સ્થળે આવીને એ કુંવરીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને તેને બચાવી લઈને પોતાના અસ્તિત્વને સાબિત કરવાનો પડકાર ફેંક્યો. ભગવાન લિંગમાંથી પ્રગટ થયા અને કુંવરીને ખેંચી લીધી. આ તરફ રાક્ષસોએ કુંવરીનો ચોટલો પકડીને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો પરંતુ છેવટે તેમના હાથમાં ફક્ત કુંવરીની વેણી જ આવી, જેથી આ મંદિરને વેણેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આજે પણ આ લિંગમાં તિરાડ જોવા મળે છે. એમ કહેવાય છે કે અહીં ફક્ત જલાભિષેક કરવા માત્રથી મનુષ્યની ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
    • શ્રી ગીતા મંદિર– શ્રીમદ્ ભગવત ગીતાના તમામ 18 અધ્યાયો આ મંદિરના 18 સ્તંભો પર કંડારવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિષ્ણુ ભગવાનના તમામ અવતારોનું સચિત્ર વર્ણન પણ અહીં કરવામાં આવ્યું છે.
    • લક્ષ્મી-નારાયણ મંદિર – ભગવાન નારાયણ અને લક્ષ્મીજીની મૂર્તિઓના દર્શન આ મંદિરમાં થઇ શકે છે.  
    • ત્રિવેણી સંગમ – હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનો ત્રિવેણી સંગમ આ સ્થળે થાય છે. આ સ્થળ પ્રભાસપાટણ તરીકે પણ ઓળખાય છે જ્યાં પિતૃઓના મોક્ષ માટેની શ્રાદ્ધવિધિ પણ કરવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં સિગલ પક્ષીઓ પણ રહેવાસ કરે છે.
    • પ્રાચી – સોમનાથથી લગભગ 40 મિનિટના અંતરે આવેલું પ્રાચી તીર્થ અનેરું મહત્વ ધરાવે છે. મહાભારતના યુદ્ધ દરમ્યાન પોતાનાથી થયેલા પાપથી મુક્તિ માટે પાંડવો અહીં આવ્યા હતા અને પૂજા વિધિ બાદ દાન દક્ષિણા આપી હતી.

    સોમનાથ હવે તો ઘણું વિકાસ પામ્યું છે, તેમ છતાં હજી પણ તેમાં જુના સોમનાથની સુવાસ પણ અનુભવાય છે.  યાત્રાધામ હોવાને કારણે અહીં ઘણી હોટલો, લોજ, ધર્મશાળાઓ તેમજ રહેવા માટેની ખાનગી વ્યવસ્થાઓ ઉભી થઇ છે. પરંતુ જો પરિવાર સાથે સોમનાથની યાત્રા કરતા હોવ તો સોમનાથ ટ્રસ્ટના ત્રણ ગેસ્ટહાઉસમાં રોકાવું વધુ યોગ્ય રહેશે.

    આ ત્રણ ગેસ્ટહાઉસમાં પણ સાગર દર્શન ગેસ્ટહાઉસ શિરમોર છે કારણકે તે સોમનાથ મંદિરની બાજુમાં જ છે, એટલુંજ નહીં પરંતુ સાગરને કિનારે છે. આ ગેસ્ટહાઉસના તમામ રૂમ સી-ફેસિંગ હોવાથી કોઇપણ રૂમની ગેલેરીમાંથી તમે સમુદ્રને સીધો જોઈ શકો છો, માણી શકો છો. સાગર દર્શનનું બુકિંગ માત્ર તેની વેબસાઈટ ઉપર જ થઇ શકે છે જેની ખાસ નોંધ લેશો. કોઇપણ આસ્થાળુ હિન્દુએ જીવનમાં એક વખત તો ભગવાન સોમનાથના દર્શન જરૂર કરવા જોઈએ.