Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ભૂલ એ ભૂલ છે, કોઈ પણ વિવાદ વગર હું માફી માંગું છું..'...

    ‘ભૂલ એ ભૂલ છે, કોઈ પણ વિવાદ વગર હું માફી માંગું છું..’ : શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી અંગેના નિવેદન બાદ સીઆર પાટીલે માફી માંગી, વિડીયો જારી કર્યો

    માધવપુરના મેળા દરમ્યાન ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે સરતચૂકથી રુક્ષ્મણી અને સુભદ્રાના નામો બોલવામાં ભૂલ કરી દીધી હતી. ત્યારબાદ હવે તેમણે માફી માંગી લીધી છે.

    - Advertisement -

    ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે થોડા દિવસો અગાઉ માધવપુર ખાતે આયોજિત મેળામાં સંબોધન દરમિયાન ભૂલ કરતા વિવાદ સર્જાયો હતો. જે મામલે તેમણે અગાઉ પણ વ્યક્તિગત રીતે અનેક લોકોની માફી માગ્યા બાદ ગઈકાલે એક વિડીયો સંદેશ મારફતે જાહેર માફી માંગી હતી અને દ્વારકા જઈને પણ માફી માંગી લેવાની વાત કહી હતી.

    ભાજપ પ્રદેશ પ્રમુખ માધવપુર ખાતે આયોજિત એક મેળામાં ભાગ લેવા માટે ગયા હતા. દરમ્યાન, શ્રીકૃષ્ણ અને રુક્મણીના વિવાહનો ઉલ્લેખ કરતી વખતે તેઓ શરતચૂકથી રુક્મણીની જગ્યાએ સુભદ્રા બોલી ગયા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા આહિર સમાજ તેમજ અન્ય પણ કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો તો સીઆર પાટીલને માફી માંગવા માટે કહ્યું હતું. જે બાદ રાજ્યભરમાંથી અનેક લોકોના ફોનકોલ જતા તેમણે તેમની વ્યક્તિગત માફી તો માંગી જ હતી પરંતુ ગઈકાલે એક વિડીયો જારી કરીને જાહેરમાં પણ ભૂલ સ્વીકારી હતી.

    વિડીયોમાં ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, “થોડા દિવસો પહેલાં એક કાર્યક્રમ દરમિયાન શરતચૂકથી મારાથી એક નામ લેવામાં ભૂલ થઇ હતી, જે મેં ચાલુ વક્તવ્ય દરમિયાન જ ભૂલ સ્વીકારી લીધી હતી પરંતુ કેટલાક યુવાનો દ્વારા મને ફોન પર માફી માગવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. જેમની પણ માફી મેં માંગી લીધી હતી. ત્યારબાદ કેટલાક યુવાનોએ મને દ્વારકા આવીને પણ માફી માગવા માટે મેં આગ્રહ કર્યો હતો, જે અંગે પણ મેં હકારાત્મક જવાબ આપ્યો હતો.”

    - Advertisement -

    ભૂલ એ ભૂલ છે, હું વિવાદ કે દલીલ વગર ભૂલ સ્વીકારું છું : સીઆર પાટીલ

    આગળ સીઆર પાટીલે જણાવ્યું, “મારા વક્તવ્ય દરમિયાન મેં ભગવાન શ્રીકૃષ્ણ ઉપર, કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ ધર્મ કે જાતિ ઉપર કોઈ પણ જાતની ટીકા-ટિપ્પણી કરી નથી. ફક્ત નામ લેવામાં મારાથી શરતચૂક થઇ હતી. પરંતુ ભૂલ એ ભૂલ છે. જેથી કોઈ પણ વિવાદ કે દલીલ વગર મારી ભૂલ મેં સ્વીકારી લીધી હતી. આજે ફરીથી મારા વક્તવ્યમાં થયેલી શરતચૂકના કારણે કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાઈ હોય તો તે માટે હું ફરીથી માફી માંગું છું અને હું અનુકુળતાએ દ્વારકા જઈને દર્શન કરીને માફી માંગી લઈશ તેની ખાતરી આપું છું.” આ વિડીયો જારી થયા બાદ ઇન્ટરનેટ યુઝરોએ ભાજપ પ્રદેશ પ્રમુખની નમ્રતાની પ્રસંશા કરી હતી તો કોઈ પણ વિવાદ વગર માફી માગવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

    સીઆર પાટીલે શેર કરેલા વિડીયોના કોમેન્ટ બોક્સમાં યુઝરોએ ખેલદીલી બદલ તેમની પ્રશંસા કરી

    તકનો લાભ લઇ કોંગ્રેસે વિરોધ કર્યો, લોકોએ ખંભાત, હિંમતનગર યાદ કરાવ્યા

    સીઆર પાટીલ દ્વારા વક્તવ્યમાં થયેલી શરતચૂક બાદ વિપક્ષી પાર્ટીઓએ મુદ્દો પકડી લીધો હતો અને ઠેરઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. કોંગ્રેસે સીઆર પાટીલ પર હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ ભુજ, પોરબંદર, વડોદરા જેવા કેટલાંક સ્થળોએ સીઆર પાટીલના ફોટા સળગાવ્યા હતા. જોકે, જે બાદ પરવાનગી વગર વિરોધ કરતા હોવાથી આ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. જોકે, કોંગ્રેસના આ સ્ટંટ બાદ ઇન્ટરનેટ યુઝરોએ તેમની ઝાટકણી કાઢી હતી અને ખંભાત અને હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા દરમિયાન હિંદુઓ પર થયેલા હુમલાઓ અંગે પાર્ટીના મૌન અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

    રાજકારણીઓ ઘણીવાર જાહેરમાં સંબોધન કરતી વખતે શરતચૂકથી બોલવામાં ભૂલ કરી ગયા બાદ વિવાદ સર્જાય ત્યારે માફી તો માંગી લેતા હોય છે પરંતુ માફીનો સ્વર ‘જો અને તો..’નો હોય છે. જ્યારે સીઆર પાટીલે કોઈ પણ જાતની શબ્દોની ભરમાર કર્યા વગર ભૂલ સ્વીકારી લઈને માફી માંગી લેતા યુઝરોએ વધાવી લીધા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં