ફેક સિગ્નેચર કેસમાં ફરિયાદ કરનારા પોતાના જ બે ધારાસભ્યોને TMCએ હાંકી કાઢ્યા, LoPની પસંદગીમાં મંજૂરી વગર લેવાઈ હતી સહી

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) એક નવા વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગી સાથે જોડાયેલા ફેક સિગ્નેચર કેસમાં ફરિયાદ કરનાર પોતાના જ બે ધારાસભ્યોને હવે પક્ષે તાત્કાલિક અસરથી હાંકી કાઢ્યા છે. જેના કારણે સમગ્ર ઘટનાક્રમને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

TMCએ 1 જૂન 2026ના રોજ સંદીપન સાહા અને ઋતબ્રત બેનર્જીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર બહાર કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પરંતુ નોંધનીય બાબત એ છે કે આ બંને ધારાસભ્યો એ જ છે જેમણે અગાઉ વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ લેખિત ફરિયાદ કરીને દાવો કર્યો હતો કે વિપક્ષના નેતા તરીકે સોવંદેબ ચટ્ટોપાધ્યાયના નામની ભલામણ કરનારા પત્ર પર દર્શાવાયેલી સહી તેમની નથી.

શું છે આખો મામલો?

વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગી માટે રજૂ કરાયેલા એક પત્રમાં કેટલાક ધારાસભ્યોના સમર્થનનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે સંદીપન સાહા અને ઋતબ્રત બેનર્જીએ લેખિત રજૂઆત કરીને કહ્યું હતું કે તે પત્રમાં રહેલી સહી અને હસ્તલિખિત નોંધ તેમની નથી અને તેમના નામનો ઉપયોગ તેમની મંજૂરી વિના કરવામાં આવ્યો છે.

આ ફરિયાદ બાદ મામલો વિધાનસભા સચિવાલય સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ CIDને સોંપવામાં આવી હતી, જે હાલમાં સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે.

બંગાળ સીએમ શુભેન્દુ અધિકારીએ પણ આ મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે TMCના બે ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષને લેખિત ફરિયાદ કરીને સહી નકલી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી શરૂ થઈ હતી અને બાદમાં CIDએ તપાસ હાથ ધરી હતી.

ફરિયાદ પછી હકાલપટ્ટી

ફેક સિગ્નેચર કેસની તપાસ હજુ ચાલુ છે, તેવામાં ફરિયાદ કરનાર બંને ધારાસભ્યોને જ TMCએ પક્ષમાંથી બહાર કરી દીધા છે. પક્ષ દ્વારા જારી કરાયેલા પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે બંને ધારાસભ્યો પાર્ટીની બેઠકોમાં હાજર રહેતા નહોતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.

જોકે રાજકીય વર્તુળોમાં હવે સવાલ ઉઠી રહ્યા છે કે ફેક સિગ્નેચર અંગે ફરિયાદ કરનાર ધારાસભ્યો સામે આ કાર્યવાહી માત્ર શિસ્તભંગનો મામલો નથી. બીજી તરફ CIDની તપાસ હજુ ચાલુ હોવાથી સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર ટકેલી છે.

હાલ માટે એક વાત સ્પષ્ટ છેજે બે ધારાસભ્યોએ નકલી સહીનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેઓ હવે TMCમાં નથી, જ્યારે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા આરોપોની તપાસ હજુ પણ ચાલી રહી છે.