વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ: સંપૂર્ણ કાયદા પર રોકનો ઇનકાર, પણ અમુક જોગવાઈઓ પર મૂક્યો સ્ટે

કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતી સુપ્રીમ કોર્ટે સોમવારે (15 સપ્ટેમ્બર) એક વચગાળાનો આદેશ આપીને કાયદાની અમુક જોગવાઈઓ પર રોક લગાવી દીધી. જોકે કાયદા પર સંપૂર્ણ રોક લગાવવાની કોર્ટે ના પાડી છે. 

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે અમુક જોગવાઈઓ પર સ્ટે મૂકી દીધો છે. 

કોર્ટે કાયદાની કલમ 3(1)(r) પર રોક લગાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વક્ફ કરનાર વ્યક્તિ ઓછામાં ઓછી પાંચ વર્ષથી ઇસ્લામ પાળતી હોવી જોઈએ. કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકારો આ શરત પર જ્યાં સુધી નિયમો નહીં ઘડે ત્યાં સુધી તેની ઉપર રોક લાગુ રહેશે. 

કાયદામાં વક્ફ સંપત્તિ સરકારી જમીન પર બનેલી છે કે કેમ તે મામલે નિર્ણય કરવાની સત્તા કલેક્ટરને સોંપવામા આવી હતી. પરંતુ કોર્ટે આ જોગવાઈ પર પણ રોક લગાવી છે. 

એક જોગવાઈ એવી છે કે જેમાં વક્ફ બોર્ડમાં બિનમુસ્લિમ સભ્યો પણ નામાંકિત થઈ શકે છે. કોર્ટે જોકે આ જોગવાઈ પર સંપૂર્ણ રોક લગાવી નથી, પણ કહ્યું છે કે બોર્ડના એક્સ-ઓફિશિયો સભ્ય મુસ્લિમ હોવા જોઈએ. 

કોર્ટે ગત 22 મેના રોજ ત્રણ દિવસની સુનાવણી બાદ આદેશ સુરક્ષિત રાખી લીધો હતો. હવે આદેશ પસાર કરવામાં આવ્યો છે. આદેશ વચગાળાનો છે. આગળ ભવિષ્યમાં સુનાવણી ચાલુ રહેશે.