રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: 15 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરાયા, સગીર છોકરીઓની તસ્કરીથી લઈને વેશ્યાવૃત્તિમાં હતા સામેલ

દેશભરની જેમ ગુજરાતમાં પણ ખૂણેખૂણેથી ગેરકાયદેસર બાંગ્લાદેશી મુસ્લિમ ઘૂસણખોરો (Bangladeshi Intruders) પકડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમદાવાદથી (Ahmedabad) પણ આવા કેટલાય પકડાયા હતા. હવે બુધવારે (12 ફેબ્રુઆરી 2025) ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ X પર માહિતી આપી છે કે આવા 15 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ (Deported) કરવામાં આવ્યા છે.

સંઘવીએ લખ્યું છે કે, “અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરી! 15 ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલાયા.”

સાથે જ તેઓએ માહિતી આપી હતી કે વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓની હેરાફેરી કરવામાં સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ અને ધરપકડ કરાઈ હતી. આ માટે પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

નોંધનીય છે કે ચંડોળા, દાણીલીમડા સહિત અનેક જગ્યાઓએ દરોડા પાડીને હમણાં સુધી આવા 50 ઘૂસણખોરોને પકડવામાં આવ્યા છે. હાલ આમાંથી 15 લોકો અને 1 સગીરને ડિપોર્ટ કરાયા છે. સાથે જ અન્યોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે.