Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશ'આતંકવાદીઓ નિયમોના આધારે હુમલા નથી કરતા, તેમને જવાબ આપવામાં પણ કોઇ નિયમો...

    ‘આતંકવાદીઓ નિયમોના આધારે હુમલા નથી કરતા, તેમને જવાબ આપવામાં પણ કોઇ નિયમો નહીં હોય’: વિદેશ મંત્રી એસ જયશંકર, કહ્યું- 2014 બાદ વિદેશ નીતિ બદલાઈ

    વિદેશ મંત્રીએ કહ્યું કે, "આતંકવાદીઓને એવું ન લાગવું જોઈએ કે, તેઓ સરહદ પાર છે, તેથી તેમને કોઈ સ્પર્શ પણ ન કરી શકે. આતંકવાદીઓ કોઈ નિયમો દ્વારા હુમલો નથી કરતાં, તેથી આતંકવાદીઓને જવાબ આપવા માટે પણ કોઈ નિયમો હોય શકે નહીં."

    - Advertisement -

    દેશના વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમનું આ નિવેદન તેવા સમયે સામે આવી રહ્યું છે, જ્યારે તાજેતરમાં જ ‘ધ ગાર્ડિયન’ના એક રિપોર્ટમાં એવો આક્ષેપ કરાયા હતો કે, ભારતની ગુપ્તચર એજન્સી PMOના આદેશથી પાકિસ્તાનમાં આતંકીઓને મારી રહી છે. જોકે, ગાર્ડિયનનો આ પ્રોપેગેન્ડા અવળો પડ્યો અને ભારતમાં સરકારની વાહવાહી થવા લાગી. તે જ સમયે હવે વિદેશ મંત્રીએ કહ્યું છે કે, આતંકવાદીઓ કોઈ નિયમોના આધારે હુમલા નથી કરતા, તેથી આતંકવાદીઓને જવાબ આપવામાં પણ કોઈ નિયમો હોય શકે નહીં. આ સાથે તેમણે 2014 પછી વિદેશ નીતિ કઈ રીતે બદલાઈ તે પણ જણાવ્યું છે.

    શુકવારે (12 એપ્રિલ, 2024) મહારાષ્ટ્રના પુણેમાં યુવાનો સાથે વાતચીત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ પર નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા મુંબઈ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મુંબઈમાં 26/11ના આતંકી હુમલા બાદ દેશના તમામ લોકોનો અભિપ્રાય એ હતો કે, પાકિસ્તાનને તેનો જવાબ આપવો જોઈએ. પરંતુ UPA સરકાર અલગ-અલગ ચર્ચાઓમાં લાગી રહી અને અંતે તે નિષ્કર્ષ કાઢ્યો કે, “પાકિસ્તાન પર હુમલો કરવાની કિંમત, તેના પર હુમલો ન કરવાની કિંમત કરતાં વધુ છે.” આ સાથે તેમણે કહ્યું કે, “મુંબઈ જેવી ઘટના બને અને તમે તેના પર જ પ્રતિક્રિયા ના આપો તો તમે આગળની ઘટનાને કેવી રીતે રોકી શકશો?”

    ‘આતંકવાદીઓને મારવામાં કોઈ નિયમ હોય શકે નહીં’

    વિદેશ મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે, એવો કયો દેશ છે, જેની સાથે ભારતે સંબંધો બનાવી રાખવા મુશ્કેલ લાગે છે? પ્રશ્નના જવાબ પર એસ જયશંકરે નામ લીધા વગર જ પાકિસ્તાન પર ઈશારો કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, 1947માં પાકિસ્તાને કાશ્મીરમાં આક્રમણકારીઓ મોકલ્યા હતા અને સેનાએ તેમનો સામનો કર્યો હતો અને આખરે રાજ્યનું એકીકરણ થયું હતું. તેમણે કહ્યું, “જ્યારે ભારતીય સેના કાર્યવાહી કરી રહી હતી, ત્યારે આપણે થોભી ગયા અને સંયુક્ત રાષ્ટ્ર જતા રહ્યા. આપણે આતંકવાદની જગ્યાએ આક્રમણકારીઓનો ઉલ્લેખ કર્યો. જો આપણું વલણ પહેલાંથી જ સ્પષ્ટ હોત કે, પાકિસ્તાન આતંકવાદ ફેલાવી રહ્યું છે, તો આપણી નીતિ પણ તદ્દન અલગ હોત.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “આતંકવાદ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.” દેશની વિદેશ નીતિમાં સાતત્ય વિશે પૂછવામાં આવતા એસ જયશંકરે કહ્યું, “મારો જવાબ ‘હા’ છે- 50 ટકા સાતત્ય અને 50 ટકા બદલાવ.” તેમણે ઉમેર્યું કે, “આતંકવાદીઓને એવું ન લાગવું જોઈએ કે, તેઓ સરહદ પાર છે, તેથી તેઓ બચી જશે. આતંકવાદીઓ કોઈ નિયમો દ્વારા હુમલો નથી કરતા, તેથી આતંકવાદીઓને જવાબ આપવા માટે પણ કોઈ નિયમો હોય શકે નહીં.”

    ‘2014 બાદ બદલાઈ વિદેશ નીતિ’

    વિદેશ મંત્રીએ વાતચીત દરમિયાન કહ્યું કે, 2014 બાદ ભારતની વિદેશ નીતિમાં પરિવર્તન આવી ગયું છે અને આતંકવાદ સામે લડવા માટેનો આ એક જ રસ્તો છે. તેમણે કહ્યું, “1962ના યુદ્ધ છતાં વર્ષ 2014 સુધી ચીન સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસમાં કોઈ પ્રગતિ થઈ નહોતી. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ચીન સાથેની સરહદ પર ઇન્ફ્રાસ્ટ્રકચર માટેના બજેટના નોંધપાત્ર વધારો થયો છે.” તેમણે કહ્યું કે, “ભારતે 1962ના યુદ્ધમાંથી પાઠ શીખવો જોઈતો હતો, પરંતુ તે પછી પણ સરહદી માળખામાં કોઈ પ્રગતિ થઈ નહીં.”

    તેમણે ઉમેર્યું કે, “મોદી સરકારે આ માટેનું બજેટ ₹3500 કરોડથી વધારીને ₹14,500 કરોડ કરી દીધું છે. જો આપણે ઇતિહાસમાંથી કોઈ પાઠ નહીં શીખીએ તો આપણે વારંવાર ભૂલો કરતાં રહીશું.” આ સાથે તેમણે 2014 બાદ વિદેશ નીતિમાં આવેલા પરિવર્તન વિશે પણ વાત કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં