મધ્યપ્રદેશ હાઇકોર્ટે (Madhya Pradesh High Court) ચીફ જસ્ટિસના બંગલામાં બનેલા હનુમાન મંદિરને (Hanuman Temple) તોડી પાડવામાં આવ્યું હોવાના આરોપોને ફગાવી દીધા છે. હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે મીડિયામાં ચાલી રહેલ સમાચારોનો રદિયો આપતાં કહ્યું કે, મંદિર મુખ્ય ન્યાયાધીશના બગલામાં ક્યારેય હતું જ નહીં અને આ પ્રકારના દાવા પાયાવિહોણા અને ખોટા છે. ઉલ્લેખનીય છે કે બાર એસોશિએશન દ્વારા એક પત્ર લખીને આરોપ લગાવવામાં આવ્યા હતા કે મુખ્ય ન્યાયાધીશ સુરેશ કુમાર કૈતના આદેશથી ચીફ જસ્ટિસના નિવાસસ્થાનના પરિસરમાં આવેલું હનુમાનજીનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું.
મધ્યપ્રદેશ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ ધર્મિંદર સિંઘે મુખ્ય ન્યાયાધીશના બંગલામાં સ્થિત હનુમાન મંદિર તોડી પાડવાના આરોપો અંગે જણાવ્યું હતું કે, “હાઇકોર્ટના ધ્યાનમાં આવ્યું છે કે માનનીય ચીફ જસ્ટિસના બંગલામાંથી ભગવાન હનુમાનના મંદિરને દૂર કરવાનો આરોપ લગાવતા કેટલાક અહેવાલો ચલાવવામાં આવી રહ્યા છે. આ અહેવાલો સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા છે. હું આ દાવાઓને સ્પષ્ટપણે નકારું છું અને તેનું ખંડન કરું છું.”
તેમણે કહ્યું હતું કે, “PWDએ આ મામલે સ્પષ્ટતા પણ આપી છે કે આ બંગલામાં ક્યારેય કોઈ મંદિર નહોતું.” રજિસ્ટ્રાર જનરલે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, “મીડિયામાં પ્રસારિત થઈ રહેલા આરોપો સંપૂર્ણપણે બનાવટી છે અને જનતાને ગેરમાર્ગે દોરવાનો અને ન્યાયતંત્રની વિશ્વસનીયતાને બદનામ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હોય તેવું લાગે છે.” ઉપરાંત તેમણે કહ્યું હતું કે આવા સમાચાર વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી થઈ શકે છે.
તેમણે વધુમાં કહ્યું, “રજિસ્ટ્રાર જનરલનું કાર્યાલય આ પાયાવિહોણા આરોપોની નિંદા કરે છે અને ભારપૂર્વક જણાવે છે કે મંદિર તોડી પાડવાના આ અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે અને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને બદનામ કરવા સિવાય તેની પાછળ બીજો કોઈ હેતુ નથી. ન્યાયતંત્ર નિષ્પક્ષતા સાથે ન્યાય આપવા માટે પ્રતિબદ્ધ છે.”
શું હતા આરોપ?
ડિસેમ્બર 2024ના અંતમાં મધ્ય પ્રદેશ હાઇકોર્ટ બાર એસોશિએશને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુરેશ કુમાર કૈત વિરુદ્ધ ફરિયાદ કરતો એક પત્ર ભારતના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને લખ્યો હતો. બાર એસોશિએશનની ફરિયાદ હતી કે મુખ્ય ન્યાયાધીશના સત્તાવાર નિવાસસ્થાનમાં આવેલા એક મંદિરને તેમણે હટાવડાવી દીધું છે.
ફરિયાદમાં લખ્યું હતું કે વાસ્તવમાં એ મંદિર સરકારી સંપત્તિમાં હોવાના કારણે સરકારના આદેશ વગર કે કોઈ લેખિત રોકોર્ડ વગર ત્યાંથી હટાવી શકાય નહીં. સાથે સનાતનીઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.