Wednesday, January 29, 2025
More
    હોમપેજદેશરોહિત વેમુલાનો મુદ્દો ફરી ઉછાળવાના પ્રયાસ…મે, 2024માં તમામ પ્રપંચો ધ્વસ્ત કરી ચૂકી...

    રોહિત વેમુલાનો મુદ્દો ફરી ઉછાળવાના પ્રયાસ…મે, 2024માં તમામ પ્રપંચો ધ્વસ્ત કરી ચૂકી છે પોલીસ, છતાં રાજકીય એજન્ડા ચલાવવાના ઈકોસિસ્ટમના પ્રયાસ ચાલુ

    વિગતો પરથી સ્પષ્ટ છે કે જેવી વાતો ફેલાવવામાં આવી રહી છે તેવું કશું જ નથી અને ન તો રોહિત સાથે કોઈ ભેદભાવ થયો હતો કે ન કોઈના ત્રાસથી તેણે અંતિમ પગલું ભર્યું હતું. જ્ઞાત રહે કે તેલંગાણામાં હાલ કોંગ્રેસની સરકાર છે અને આ ક્લોઝર રિપોર્ટ પણ કોંગ્રેસના શાસન દરમિયાન જ ફાઇલ કરવામાં આવ્યો છે. 

    - Advertisement -

    વર્ષ 2016માં આપઘાત કરીને મૃત્યુ પામેલા હૈદરાબાદ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી રોહિત વેમુલા (Rohit Vemula) મુદ્દે પછીથી ઘણું રાજકારણ રમાયું હતું. તેને ‘દલિત વિદ્યાર્થી’ બતાવીને તેની આત્મહત્યા માટે સરકારી નીતિઓને, સમાજ વ્યવસ્થાને જવાબદાર ગણાવી દેવામાં આવી હતી અને રાજકીય રોટલા શેકવા માટે કાયમ તત્પર રહેતી પાર્ટીઓએ ખૂબ હોબાળો મચાવ્યો હતો. દેશમાં દલિતો પર અત્યાચાર કરવામાં આવે છે અને મોદીના રાજમાં સામાજિક વ્યવસ્થાઓ પણ પડી ભાંગી છે- જેવા નરેટિવ ચલાવવાના ભરપૂર પ્રયાસો થયા હતા. આ વર્ષો સુધી ચાલતું રહ્યું. 17 જાન્યુઆરીએ રોહિતની પુણ્યતિથિ છે ત્યારે લેફ્ટ ઇકોસિસ્ટમ ફરી આ મુદ્દાને ઉછાળવાના પ્રયાસ કરી રહી છે. 

    પોતાને પોલિટિકલ એક્ટિવિસ્ટ ગણાવતા અને નાનાથી લઈને મોટા સુધી કોઈ પણ આંદોલનમાં જોવા મળતા યોગેન્દ્ર યાદવે શુક્રવારે (17 જાન્યુઆરી) એક પોસ્ટ કરી. જેમાં તેમણે રોહિત વેમુલા મુદ્દે પ્રોપગેન્ડા ફેલાવવાનો વધુ એક પ્રયાસ કર્યો છે. 

    યાદવે લખ્યું, ‘મારો જન્મ એક ઘાતક દુર્ઘટના છે’- રોહિત વેમુલાના આ શબ્દ માત્ર વ્યક્તિગત પીડા નથી, પરંતુ આપણાં શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિગત ભેદભાવોની સંરચનાત્મક વાસ્તવિકતા છે. જો વિશ્વવિદ્યાલય જ્ઞાન, તારક અને સ્વતંત્રતાનાં કેન્દ્ર હોય તો પછી રોહિત વેમુલાને પોતાની ઓળખની રાજનીતિથી ‘થાકવા’ માટે મજબૂર કેમ કરવામાં આવ્યો?’

    - Advertisement -

    આગળ તેઓ લખે છે, “આ અન્યાયનાં મૂળ ક્યાં છે? કઈ શક્તિઓ છે જે સમાજમાં સમાનતાના વિચારોથી ડરે છે અને વિભાજનના રાજકારણને સંસ્થાગત રૂપ આપે છે? આ પ્રશ્નનો જવાબ રોહિતમી સ્મૃતિના સન્માનમાં આપવો પડશે.”

    યોગેન્દ્ર યાદવે સારી અને અલંકારિક ભાષામાં એ જ વાતો લખી છે, જે સામાજિક વૈમનસ્ય અને ભેદભાવનો એક ખાસ નરેટિવ સેટ કરવા માટે રોહિતના મૃત્યુ બાદ કહેવામાં આવતી રહી હતી. વર્ષો સુધી આ ટોળકીએ એક મૃત્યુના કેસનો ઉપયોગ રાજકીય પ્રોપગેન્ડા ચલાવવા માટે જ કર્યો, પણ આખરે મે, 2024માં તેનું ધ્વસ્તીકરણ થયું. 

    પોલીસે ક્લોઝર રિપોર્ટમાં કહ્યું- રોહિત ન હતો દલિત, પોલ ખુલવાના ડરે કરી હતી આત્મહત્યા 

    મે, 2024માં તેલંગાણા પોલીસે રોહિતના કેસમાં કોર્ટમાં એક ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો, તેમાં તદ્દન જુદી જ હકીકતો સામે આવી હતી. પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે, રોહિત વેમુલા પહેલી વાત દલિત હતો જ નહીં અને તેની સાચી ઓળખ છતી થઈ જવાના ડરે અને અભ્યાસ બરાબર ચાલતો ન હોવાના ડરે તેણે આપઘાત કરી લીધો હતો. તેના મૃત્યુ પાછળ કોઈ વ્યક્તિ કે સંસ્થા જવાબદાર નથી તેવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. 

    રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, “એવા કોઇ તથ્ય કે પરિસ્થિતિ રેકોર્ડ પર ઉપલબ્ધ નથી, જેનાથી એવું કહી શકાય કે તેના કારણે તેણે (રોહિત) અંતિમ પગલું ભરવું પડ્યું હોય. તેના મૃત્યુ માટે કોઇ પણ વ્યક્તિ જવાબદાર નથી.” 

    પોલીસનો ક્લોઝર રિપોર્ટ જણાવે છે કે, રોહિતને ખબર હતી કે તે અનુસૂચિત જાતિમાં આવતો નથી અને તેની માતાએ તેનું SC સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું. આ બાબતનો તેને સતત ડર રહેતો હોય તેવું બની શકે, કારણ કે જો તે બહાર આવી ગઈ હોત તો તેની ડિગ્રીઓ ઉપર પણ અસર થઈ હોત અને કાયદાકીય કાર્યવાહીનો સામનો પણ કરવો પડ્યો હોત. 

    યુનિવર્સિટી કોઈ રીતે જવાબદાર નહીં, અભ્યાસ કરતાં રાજકારણમાં વધુ સક્રિય હતો રોહિત: પોલીસ 

    રોહિત વેમુલાના આપઘાત પાછળનાં કારણ જણાવતાં કહેવામાં આવ્યું છે કે, તેની પોતાની અમુક સમસ્યાઓ હતી અને તેના કારણે તે દુઃખી હતો. પોલીસના રિપોર્ટમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને પ્રશાસનને દોષમુક્ત ઠેરવવામાં આવ્યા છે. સાથે કહેવામાં આવ્યું કે, જો તે યુનિવર્સિટીના કોઇ નિર્ણયથી વ્યથિત હોત તો લેખિતમાં કે અન્ય કોઇ પણ રીતે સંકેત આપ્યા હોત, પણ તેણે આવું કશું જ કર્યું નથી. જે દર્શાવે છે કે યુનિવર્સિટીમાં જે સંજોગો કે પરિસ્થિતિઓ હતાં, તેને રોહિત વેમુલાના મૃત્યુ સાથે કશું જ લાગતું-વળગતું નથી. 

    પોલીસે રિપોર્ટમાં જણાવ્યું કે, જો મૃતકના અભ્યાસને જોવામાં આવે તો જણાય આવે છે કે તે અભ્યાસને સ્થાને રાજકીય મુદ્દાઓમાં વધુ સક્રિય હતો. તેણે 2 વર્ષના અભ્યાસ બાદ પહેલી Ph.D છોડી દીધી હતી અને ત્યારબાદ વધુ એક Ph.D શરૂ કરી હતી, પરંતુ તેની અભ્યાસ બહારની અમુક પ્રવૃત્તિઓના કારણે વધુ પ્રગતિ કરી શકતો ન હતો. 

    આટલી વિગતો પરથી સ્પષ્ટ છે કે જેવી વાતો ફેલાવવામાં આવી રહી છે તેવું કશું જ નથી અને ન તો રોહિત સાથે કોઈ ભેદભાવ થયો હતો કે ન કોઈના ત્રાસથી તેણે અંતિમ પગલું ભર્યું હતું. જ્ઞાત રહે કે તેલંગાણામાં હાલ કોંગ્રેસની સરકાર છે અને આ ક્લોઝર રિપોર્ટ પણ કોંગ્રેસના શાસન દરમિયાન જ ફાઇલ કરવામાં આવ્યો છે. 

    અત્યાર સુધી તો ઇકોસિસ્ટમ આ જાણકારી બહાર ન આવી હોવાથી પરિસ્થિતિનો લાભ લઈને દર વર્ષે રોહિત વેમુલાના નામે પોતાનો એજન્ડા ચલાવતી રહી. પરંતુ હવે જાણકારી સામે આવી ગયા પછી પણ તેમણે પોતાની પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી છે. પરંતુ તેનાથી હકીકત બદલાઈ જતી નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં