Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણસ્વાતિ માલીવાલ સાથે મારપીટ મામલે કેજરીવાલના PA બિભવ કુમાર વિરુદ્ધ દાખલ થઈ...

    સ્વાતિ માલીવાલ સાથે મારપીટ મામલે કેજરીવાલના PA બિભવ કુમાર વિરુદ્ધ દાખલ થઈ ચાર્જશીટ: 100 લોકોની પૂછપરછ અને 50 લોકોને બનાવાયા સાક્ષી

    આ કેસમાં આરોપી બિભવ કુમારને જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બિભવ કુમાર પર 13 મેના રોજ મુખ્યમંત્રીના સત્તાવાર આવાસ પર આમ આદમી (AAP) પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમાર વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ચાલી રહ્યો છે. ચાર્જશીટ પર સંજ્ઞાન લીધા બાદ કોર્ટ હવે 30 જુલાઈના રોજ તેના પર સુનાવણી કરશે. ચાર્જશીટમાં બિભવ કુમારને આરોપી બનાવવામાં આવ્યો છે. ઉપરાંત કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી પણ 30 જુલાઈ સુધી વધારી દીધી છે. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ જણાવ્યું છે કે, તેમણે આ કેસ મામલે લગભગ 100 લોકોની પૂછપરછ કરી છે અને 50 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે.

    મંગળવારે (16 જુલાઈ) સ્વાતિ માલીવાલ સાથે મારપીટ મામલે કેજરીવાલના PA બિભવ કુમાર વિરુદ્ધ 300 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં ઘણી કલમો જોડવામાં આવી છે. જેમાં તત્કાલીન IPCની 341 (ખોટી રીતે રોકવું), 354 (મહિલા પર હુમલો કરવો અથવા તો ગુનાહિત બળપ્રયોગ કરવો, સ્ત્રીની લજ્જા ભંગ કરવાનો ઇરાદો), 354 B (મહિલાની લજ્જા ભંગ કરવી), 506 (ગુનાહિત ધમકી), 509, 201 (પુરાબા ગાયબ કરવા) સહિતની કલમો સામેલ કરવામાં આવી છે.

    આ કેસમાં આરોપી બિભવ કુમારને જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બિભવ કુમાર પર 13 મેના રોજ મુખ્યમંત્રીના સત્તાવાર આવાસ પર આમ આદમી (AAP) પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. કાર્યવાહી દરમિયાન ફરિયાદી પક્ષે કોર્ટને કહ્યું છે કે, ચાર્જશીટ લગભગ 300 પાનાંની છે અને તેમાં લગભગ 50 સાક્ષીઓના નિવેદનો પણ છે.

    - Advertisement -

    સ્વાતિ માલીવાર પર 13 મેના રોજ થયો હતો હુમલો

    નોંધનીય છે કે, સ્વાતિ માલીવાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક (PA) બિભવ કુમાર પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, 13 મેના રોજ તેઓ દિલ્હી મુખ્યમંત્રીને મળવા માટે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યાં ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસમાં નોંધાવેલી FIRમાં સ્વાતિએ બિભવ કુમાર પર તેના પગ વડે પેટ, છાતી અને પેલ્વિસ એરિયામાં ઈજા પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે, બિભવ કુમારે તેમની સાથે અભદ્ર ભાષામાં દુર્વ્યવહાર પણ કર્યો હતો.

    આ મામલે દિલ્હી પોલીસે સ્વાતિ માલીવાલની ફરિયાદના આધારે બિભવ કુમાર સામે FIR દાખલ કરી હતી. આ સાથે જ 18 મેના રોજ આરોપી બિભવ કુમારની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે તે જ દિવસે તેને 5 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. ત્યારબાદ કોર્ટ દ્વારા તેની જામીન અરજી પણ ફગાવવામાં આવી હતી. જ્યારે હવે દિલ્હી પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં