રામ મંદિરના શિખર પર સ્થાપિત થયો ધર્મધ્વજ: વૈદિક મંત્રોચ્ચાર અને ‘જય શ્રીરામ’ના ઉદ્ઘોષ વચ્ચે પીએમ મોદી, સરસંઘચાલક ડૉ. ભાગવતે કર્યું ધ્વજારોહણ

અયોધ્યાના ભવ્ય-દિવ્ય રામ મંદિર પર ધર્મધ્વજની સ્થાપના કરી દેવામાં આવી છે. 25 નવેમ્બરે (મંગળવારે) વિવાહ પંચમીના શુભ અવસર પર આયોજિત કાર્યક્રમમાં પવિત્ર મુહૂર્તમાં ધ્વજસ્થાપના કરવામાં આવી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વિશેષ અવસર પર ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ધ્વજારોહણ વિધિ સંપન્ન કરી. તેમની સાથે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, યુપી સીએમ યોગી આદિત્યનાથ અને સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા.

વૈદિક મંત્રોચ્ચાર અને ‘જય શ્રીરામ’ના ઉદ્ઘોષ, શંખનાદ વચ્ચે રામ મંદિર પર ધ્વજસ્થાપના કરવામાં આવી. મંદિર પરિસરમાં હજારો મહેમાનો આ દિવ્ય ક્ષણોના સાક્ષી બન્યા, જેમણે ‘જય શ્રીયમ’ના જયઘોષ સાથે આ ઐતિહાસિક ઘટનાને વધાવી લીધી.

કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડા પ્રધાન મોદી સવારે અયોધ્યા પહોંચ્યા હતા. અહીં પ્રથમ તેમણે મંદિર પરિસરમાં સપ્ત મંદિરની મુલાકાત લઈને પૂજા-દર્શન કર્યાં હતાં. ત્યારબાદ પ્રથમ તલ પર જઈને રામદરબારના દર્શન કરીને આરતીમાં ભાગ લીધો. ત્યારબાદ તેમણે પ્રભુ રામલલાના પણ દર્શન કર્યા હતા. દર્શન બાદ તેઓ ધ્વજારોહણ માટે પહોંચ્યા હતા, જ્યાં અન્ય મહેમાનોની હાજરીમાં ધ્વજારોહણ સંપન્ન કરવામાં આવ્યું. ત્યારબાદ પીએમ મોદી અને અન્ય અતિથિઓએ સભાને પણ સંબોધિત કરી.

રામ મંદિરમાં ધ્વજસ્થાપના સાથે મંદિરનું નિર્માણકાર્ય ઔપચારિક રીતે પૂર્ણ ઘોષિત કરવામાં આવ્યું છે. સંપૂર્ણ મંદિર હવે દર્શનાર્થીઓના સ્વાગત માટે ખુલ્લું મૂકાશે. ઑગસ્ટ 2020માં ભૂમિપૂજન બાદ પાંચ વર્ષે નિયત સમયમર્યાદામાં મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું.