Thursday, April 2, 2026
More
    Home Blog Page 422

    પત્રકાર અજીત ભારતીના ઘરે પહોંચી કર્ણાટક પોલીસ, UP પોલીસ આવીને પોતાની સાથે લઇ ગઈ: રાહુલ ગાંધી પર બનાવેલા વિડીયો બાબતે કોંગ્રેસશાસિત રાજ્યમાં નોંધાઈ હતી ફરિયાદ

    ઉત્તરપ્રદેશના નોઇડાથી એક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પત્રકાર અજીત ભારતીના ઘરે કર્ણાટક પોલીસ પહોંચી હતી. તાજી જાણકારી મુજબ હાલ યુપી પોલીસ કર્ણાટકના પોલીસ અધિકારીઓને પોતાની સાથે લઇ ગઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસશાસિત રાજ્યની પોલીસ હિંદુવાદી પત્રકારની ધરપકડ કરવા માટે આવી હતી.

    ગુરુવારે બપોરે લગભગ 2:30 વાગ્યા આસપાસ સમાચાર આવ્યા કે પત્રકાર અજીત ભારતીના ઘર પર કર્ણાટક પોલીસ એક ગાડી લઈને પોતાના અધિકારીઓ સાથે પહોંચી હતી. સામે આવેલ વિડીયોમાં ઘરના પહેલા માળે ભારતી તેમના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. અને તેમના ઘરની સામે જ કર્ણાટક પોલીસ પોતાની ગાડી સાથે આવી પહોંચેલ જોવા મળી રહેલ છે.

    જે બાદ અજીત ભારતીએ સ્થાનિક પોલીસને કોલ કરતા યુપી પોલીસની બે ગાડી આવી અને કર્ણાટક પોલીસને પોતાની સાથે લઇ ગઈ હતી. બાદમાં અજીત ભારતીએ ખુદ આ બાબતે X પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી અને ત્વરિત કાર્યવાહી બદલ ઉત્તરપ્રદેશ પોલીસનો આભાર માન્યો હતો.

    પોતાની પોસ્ટમાં તેઓએ લખ્યું “લગભગ 2 વાગ્યે, ત્રણ યુવાનો પોતાને કર્ણાટક પોલીસ કહેતા મારા ઘરની નીચે આવ્યા અને કહ્યું કે તેઓ નોટિસ આપવા આવ્યા છે. મેં પૂછ્યું કે તમે નોઇડા પોલીસને જાણ કરી? તેણે કહ્યું કે સ્થાનિક પોલીસ સ્ટેશન કયું છે? મેં તરત જ સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કરી અને થોડી વારમાં યુપી પોલીસના બે વાહનો આવ્યા. તેમણે બેંગ્લોરથી આવેલા યુવકો સાથે વાત કરી અને પછી તેમને પોતાની સાથે લઈ ગયા.” અંતમાં તેઓએ આ ત્વરિત કાર્યવાહી માટે યુપી પોલીસનો આભાર પણ માન્યો હતો.

    નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ રાહુલ ગાંધી પર બનાવવામાં આવેલ એક વિડીયો બાબતે ‘ફેક ન્યૂઝ’નું નામ લઈને કૉંગ્રેસશાસિત રાજ્ય કર્ણાટકમાં પત્રકાર અજીત ભારતી સામે એક FIR નોંધવામાં આવી હતી.

    ‘અગાઉથી મળી ગયું હતું પેપર, બીજા દિવસે પરીક્ષામાં એ જ આવ્યું’: NEET UG પેપર લીક કેસમાં પકડાયેલા ઉમેદવારે કબૂલ્યું, તેજસ્વી યાદવનો PS પણ સંડોવાયેલો હોવાનો ડેપ્યુટી CMનો ઘટસ્ફોટ

    મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ને લઈને ચાલતા વિવાદ વચ્ચે ગુરુવારે (20 જૂન) એક ઘટસ્ફોટ થયો, જેનાથી સ્પષ્ટ થયું કે પરીક્ષાનું પેપર લીક થયું હતું. આ મામલે પટના પોલીસે પકડેલા એક વિદ્યાર્થીએ કબૂલ કર્યું કે, તેને આગલા દિવસે NEETનું પેપર મળી ગયું હતું અને તેણે તમામ જવાબો યાદ કરી લીધા હતા. બીજા દિવસે જ્યારે પરીક્ષા આપવા ગયો તો એ જ પેપર પૂછાયું હતું. 

    આ પરીક્ષા ઉમેદવારની ઓળખ અનુરાગ યાદવ (22) તરીકે થઈ છે. તેણે પોલીસ અમક્ષ એક નિવેદન નોંધાવ્યું છે. તેણે જણાવ્યું કે, તે રાજસ્થાનના કોટાના એલાન કોચિંગ સેન્ટરમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તેના ફુવા સિકંદર યાદવેંદુ (બિહારના) દાનાપુર નગરપાલિકામાં જુનિયર એન્જિનિયર પદે કાર્યરત છે. તેણે આગળ કહ્યું, “મારા ફુઆએ જણાવ્યું હતું કે 5 મેના રોજ NEET પરીક્ષા છે અને કોટાથી પરત આવી જા. પરીક્ષાનું સેટિંગ થઈ ચૂક્યું છે.”

    આગળ તેણે જણાવ્યા અનુસાર, “હું કોટા પરત ફર્યો હતો અને ફુવા દ્વારા 4 મે, 2024ના રોજ અમિત આનંદ અને નીતીશ કુમાર પાસે મને છોડવામાં આવ્યો હતો. જ્યાં મને નીટનું પ્રશ્નપત્ર અને ઉત્તર પુસ્તિકા આપવામાં આવી હતી અને રાત્રે મેં જવાબો ગોખી લીધા હતા. મારું પરીક્ષા કેન્દ્ર ડીવય પાટિલ સ્કૂલમાં હતું અને જ્યારે હું ત્યાં પરીક્ષા આપવા ગયો ત્યારે જે પ્રશ્નપત્ર મને ગોખાવવામાં આવ્યું હતું તે જ પરીક્ષામાં મળ્યું. પરીક્ષા બાદ અચાનક પોલીસ આવી અને મને પકડી લેવામાં આવ્યો. મેં ગુનો સ્વીકારી લીધો હતો.”

    આ મામલે શિક્ષણ મંત્રાલયે બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટ પાસે રિપોર્ટ મંગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે પટના પોલીસ છેલ્લા ઘણા સમયથી આ મામલે તપાસ કરી રહી છે અને ઘણાની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાં એક અનુરાગ પણ સામેલ હતો. 

    તેજસ્વી યાદવનો PS પણ સંડોવાયેલો: બિહાર ડેપ્યુટી સીએમ

    બીજી તરફ, આ મામલે તેજસ્વી યાદવનું પણ નામ લેવામાં આવી રહ્યું છે. બિહારના ઉપમુખ્યમંત્રી વિજય સિન્હાએ ગુરુવારે (20 જૂન) એક પ્રેસ કૉન્ફરન્સ કરીને અમુક ઘટસ્ફોટ કર્યા હતા. બિહારના ડેપ્યુટી સીએમએ જણાવ્યું કે આ કાંડ સાથે તેજસ્વી યાદવનો પર્સનલ સેક્રેટરી પણ સીધી રીતે સંકળાયેલો છે. 

    પ્રેસ કૉન્ફરન્સમાં વિજય સિન્હાએ જણાવ્યું કે, તેજસ્વી યાદવના પર્સનલ સેક્રેટરી પ્રીતમ કુમારે 1 મેના રોજ રાત્રે 9 વાગ્યે NHAI ગેસ્ટહાઉસના કર્મચારી પ્રદીપ કુમારને ફોન કરીને સિકંદર કુમાર યાદવેંદુ માટે એક રૂમ બુક કરવા માટે કહ્યું હતું. પણ તે દિવસે પ્રદીપ કુમારે કોઈ રૂમ બુક કર્યો ન હતો. ત્યારબાદ 4 મેના રોજ તેને ફરીથી સિકંદર યાદવેંદુ માટે રૂમ બુક કરવા માટે કહેવામાં આવ્યું. 

    સિન્હાએ જણાવ્યું કે, તેજસ્વી યાદવ માટે ‘મંત્રીજી’ શબ્દ વાપરવામાં આવ્યો હતો. આગળ જણાવ્યું કે, સિંચન વિભાગમાં તાત્કાલિક જુનિયર એન્જિનિયર સિકંદર યાદવેંદુ લાલુ યાદવ જ્યારે રાંચીની જેલમાં હતા ત્યારે તેમની સેવામાં રહેતા હતા અને ત્યાં તમામ વ્યવસ્થા કરતા હતા. તેઓ સિંચાઈ વિભાગમાં હતા, ત્યાંથી નગર વિકાસ વિભાગમાં લાવવામાં આવ્યા. તેજસ્વી યાદવે સ્પષ્ટ કરવું જોઈએ કે પ્રીતમ કુમાર હજુ પણ તેમના PS છે કે કેમ અને સિકંદર યાદવેંદુ કોણ છે તે પણ સ્પષ્ટ કરવું જોઈએ.

    વિજય સિન્હા અનુસાર, સિકંદર યાદવેંદુ પ્રીતમ કુમારનો નજીકનો માણસ છે અને પ્રીતમ કુમાર તેજસ્વી યાદવનો PS છે. 4 મેના રોજ સિકંદર તેની બહેન રીના યાદવ અને તેના પુત્ર અનુરાગ યાદવ માટે NHAI ગેસ્ટહાઉસમાં રૂમ બુક કરાવ્યો હતો. ઉપરાંત, ગેસ્ટહાઉસ ડેરીમાં એક ફોન નંબર લખવામાં આવ્યો હતો અને સાથે ‘મંત્રીજી’ પણ લખવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ ‘મંત્રી’ કોણ છે તે હાલ તપાસ કરવામાં આવી રહી છે. 

    બીજી તરફ, NHAIએ કહ્યું છે કે તેમનું પટનામાં કોઇ ગેસ્ટહાઉસ નથી. X પર એક ટ્વિટ કરતાં લખવામાં આવ્યું કે, મીડિયામાં રિપોર્ટિંગ થઈ રહ્યું છે કે NEET પેપર લીકના આરોપીઓ પટનામાં NHAIના ગેસ્ટહાઉસમાં રહ્યા હતા. NHAI સ્પષ્ટ કરે છે કે તેનું પટનામાં કોઇ ગેસ્ટહાઉસ નથી. 

    NEET UG પેપર લીક કેસ મામલે બિહાર પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં અનુરાગ યાદવ, નીતિશ કુમાર, અમિત આનંદ અને સિકંદર યાદવેંદુનો સમાવેશ થાય છે. અમિત આનંદને આ કેસનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવી રહ્યો છે. તેણે જ સિકંદરનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તે કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક કરી શકે છે. સિકંદરે પછીથી તેનો NEET UGનું પેપર માંગવા માટે સંપર્ક કર્યો હતો. જે માટે વ્યક્તિદીઠ ₹30-32 લાખનો સોદો થયો હતો. અમિતની સૂચના પર સિકંદર 4 ઉમેદવારોને હોટેલ રૂમમાં લઇ ગયો હતો, જ્યાં તેમને પેપર આપવામાં આવ્યાં હતાં. 

    સરકારી નોકરી-શિક્ષણ સંસ્થાઓમાં 65% અનામત આપવા માટે બિહાર સરકારે પસાર કર્યો હતો કાયદો, પટના હાઈકોર્ટે રદ કર્યો: 50% જ રહેશે આરક્ષણ

    પટના હાઈકોર્ટે (Patna High Court) બિહાર સરકારનો (Bihar Government) એક 2023નો નિર્ણય પલટાવતાં સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત 65% (Reservation) સુધી વધારવાનો આદેશ રદબાતલ ઠેરવ્યો છે. બિહાર સરકારે નવેમ્બર 2023માં બે કાયદાઓ પસાર કરીને પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને મળતા અનામતનો ક્વોટા 50%થી વધારીને 65% કરવાની જોગવાઇ કરી હતી.

    હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરીશ કુમારની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી હતી. વર્ષ 2023માં રાજ્ય સરકારે કાયદો બનાવ્યા બાદ તેની વિરુદ્ધ 10 રિટ પિટિશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેની ઉપર કોર્ટે મેરાથોન સુનાવણી હાથ ધર્યા બાદ ગત માર્ચ મહિનામાં આદેશ સુરક્ષિત રાખ્યો હતો. આખરે ગુરુવારે (20 જૂન) ચુકાદો સંભળાવવામાં આવ્યો. 

    નવેમ્બર, 2023માં બિહાર સરકારે બે બિલ પસાર કર્યાં હતાં અને ત્યારબાદ તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બિહાર રિઝર્વેશન (ફોર શિડ્યુલ્ડ કાસ્ટ, શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ એન્ડ અધર બેકવર્ડ ક્લાસીસ) (અમેન્ડમેન્ટ) એક્ટ, 2023 અને બિહાર (ઇન એડમિશન ઇન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન) રિઝર્વેશન (અમેન્ડમેન્ટ) એક્ટ, 2023 નામના આ બે એક્ટની મદદથી સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ક્વોટા 50%થી વધારીને 65% કરવામાં આવ્યો હતો. જેથી અન્ય વર્ગો માટે માત્ર 35% જ જગ્યાએ બાકી બચી હતી. જેમાં 1૦% EWS અનામત પણ સામેલ છે. 

    નવા કાયદામાં 20% અનામત SC માટે, 2% ST માટે, 18% બેકવર્ડ ક્લાસ અને 25 ટકા EBC માટે તેમજ 10% અનામત EWS માટે કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. સરકારે આ કાયદો લાવવા પાછળ એક ડેટાનો આધાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, ડેટા પરથી જાણવા મળે છે કે હજુ પણ સરકારી સેવાઓમાં SC/ST અને OBCને ઓછી ભાગીદારી મળી રહી છે, જેથી અનામત વધારવું જરૂરી છે. 

    21 નવેમ્બર, 2023ના રોજ આ બંને એક્ટ લાગુ થયા હતા. જેવા આ બંને કાયદાઓ પસાર થયા કે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો અને પટના હાઈકોર્ટમાં અરજીઓ કરીને કાયદાઓની બંધારણીય યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. આજે ચુકાદો આપવામાં આવ્યો છે. વિસ્તૃત અને વિગતવાર ચુકાદાની રાહ જોવામાં આવી રહી છે. 

    ઑપઇન્ડિયા ઈમ્પેક્ટ: જામનગરના રણજીતસાગર ડેમ નજીકની દરગાહ પર આખરે ફરી વળ્યું બુલડોઝર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રશાસને હટાવ્યું ગેરકાયદેસર બાંધકામ 

    જામનગર સ્થિત રણજીતસાગર ડેમ નજીક બાંધવામાં આવેલી ગેરકાયદેસર દરગાહ પર આખરે બુલડોઝર ફરી વળ્યું છે. મે, 2024માં ઑપઇન્ડિયાએ એક્સક્લૂઝિવ રિપોર્ટ પ્રકાશિત કરીને જણાવ્યું હતું કે કઈ રીતે ડેમ નજીક ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને થોડા સમય પહેલાં તેને હટાવવા માટેના આદેશ આપવામાં આવ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી. પરંતુ હવે સ્થાનિક પ્રશાસને સંજ્ઞાન લઈને જગ્યા ખાલી કરાવી દીધી છે. 

    આ કાર્યવાહી બુધવારે (19 જૂન) રાત્રે કરવામાં આવી. ડિમોલિશન પહેલાં મોટી સંખ્યામાં જામનગર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને સ્થળ પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લા પોલીસ વડાથી માંડીને નાયબ મામલતદાર અને અન્ય પ્રશાસનના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં, તેમની દેખરેખ હેઠળ ગેરકાયદેસર બાંધકામ હટાવી દેવામાં આવ્યું

    સૌપ્રથમ ઑપઇન્ડિયા પહોંચ્યું હતું દબાણવાળી જગ્યાએ

    અહીં ઉલ્લેખનીય છે કે ગત 12 મેના રોજ ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત એક્સક્લુઝિવ રિપોર્ટમાં જણાવ્યું હતું કે જામનગરના વિખ્યાત રણજીતસાગર ડેમ નજીક એક ગેરકાયદેસર દરગાહ બાંધી દેવામાં આવી છે. વર્ષ 2022માં આ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે લેખિતમાં આદેશ પણ આપવામાં આવી ચૂક્યા હતા, પરંતુ તેમ છતાં આ બાંધકામ ત્યાં જ યથાવત રહ્યું. સ્થાનિક હિંદુ કાર્યકર્તાઓએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો હતો કે તંત્ર ધ્યાન ન આપી રહ્યું હોવાના કારણે કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે. 

    જોકે ઑપઇન્ડિયાએ જિલ્લા કલેક્ટરથી માંડીને મામલતદાર અને અન્યોનો પણ સંપર્ક કર્યો હતો, જેમણે આશ્વાસન આપ્યું હતું કે મામલો નવેસરથી હાથ પર લઈને જે ઘટતું હશે તે કરવામાં આવશે. આખરે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. 

    પ્રાપ્ત જાણકારી અનુસાર, આ દરગાહ છેલ્લાં ત્રીસેક વર્ષથી અહીં છે. તેનો મુંજાવર એક કાસમ નામનો વ્યક્તિ છે, જે તેની સંભાળ રાખે છે. ડેમની તદ્દન નજીક દરગાહ ગેરકાયદેસર રીતે બની હતી. આ જગ્યામાં ચોમાસામાં પાણી આવી જાય ત્યારે તે ડૂબી જાય છે અને બાકીના 8 મહિના જોવા મળે છે. સપ્ટેમ્બર, 2022માં સ્થાનિક હિંદુ કાર્યકર્તાઓને તેને હટાવવા માટે અરજી આપી હતી. 

    ત્યારબાદ સરકારી જમીન પર દબાણ કરનાર કાસમ હસન ઓડિયા વિરુદ્ધ હુકમ કરીને મામલતદાર દ્વારા લેખિતમાં દબાણ હટાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે જો દબાણ કરનાર કાસમ જગ્યા ખુલ્લી ન કરે તો રેવન્યુ કોડમી કલમ 202ની નોટીસ બજવણી કરી દબાણદારના ખર્ચે અને જોખમે દબાણ ખુલ્લું કરવાનો હુકમ કરવામાં આવે છે. ઑપઇન્ડિયા પાસે આ લેખિત આદેશની નકલ ઉપલબ્ધ છે. જોકે, પછી આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે આખરે ચોમાસું બેસે તે પહેલાં પ્રશાસને જગ્યા ખાલી કરાવી દીધી છે. 

    સ્ટેજ પરથી ભગવાન રામ અને માતા સીતાની મજાક ઉડાવી રહ્યા હતા, નીચેથી વાગી રહી હતી સીટીઓ: IIT બોમ્બે એક્શનમાં, વિદ્યાર્થી પર ₹1.2 લાખનો દંડ

    આ વર્ષે માર્ચમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બેના વિદ્યાર્થીઓએ ‘રાહોવન’ નામનું નાટક રજૂ કરીને ભગવાન રામ અને માતા સીતાની મજાક ઉડાવી હતી. હવે આ મામલે કાર્યવાહી કરતા IIT બોમ્બેએ શિસ્તભંગની કાર્યવાહી કરી છે. કોલેજ પ્રશાસને નાટકમાં સામેલ એક વિદ્યાર્થી પર ₹1.2 લાખનો દંડ ફટકાર્યો છે.

    મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીને 4 જૂને દંડની નોટિસ આપવામાં આવી હતી. અગાઉ તેમણે 8મી મેના રોજ નાટક અંગે વહીવટીતંત્રને મળેલી ફરિયાદો સંદર્ભે શિસ્ત સમિતિની બેઠક બોલાવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો અને ચર્ચા બાદ સજાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    ભગવાનની મજાક ઉડાવનાર વિદ્યાર્થીને આપવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તેણે 20 જુલાઈ, 2024ના રોજ વિદ્યાર્થી બાબતોના ડીનની ઓફિસમાં ₹1.20 લાખનો દંડ જમા કરાવવાનો છે.

    આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો સજાનું ઉલ્લંઘન થશે તો વધુ કડક પ્રતિબંધો લાદવામાં આવશે. આ નોટિસ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જે લોકોએ આ વિવાદાસ્પદ કાર્યક્રમ જોઈને અવાજ ઉઠાવ્યો હતો કે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થવી જોઈએ, તેઓ આ માહિતી શેર કરી રહ્યાં છે.

    મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ મામલામાં 8 વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આમાં જુલાઈના સત્રમાં સ્નાતક પૂર્ણ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, જેને આવા નાટકમાં સામેલ થવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. તે કોલેજમાં નિયમિત અભ્યાસ કરતો હતો અને તેને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

    શું હતો મામલો

    ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સ્થિત IIT બોમ્બેમાં 31 માર્ચે સાંસ્કૃતિક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રામાયણ પર આધારિત નાટક ‘રાહોવન‘ બતાવીને ભગવાન રામની ટીકા કરવામાં આવી હતી. આ સિવાય ‘રાહોવન’ નામના આ નાટકમાં નારીવાદી મુદ્દાઓના નામે ભગવાન રામના પાત્ર સાથે છેડછાડ કરવામાં આવી હતી અને પાત્રોના નામમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. લોકો સ્ટેજ પર ભગવાનની મજાક ઉડાવી રહ્યા હતા અને નીચે સીટી વગાડવામાં આવી રહી હતી.

    કુમારગુપ્ત પ્રથમથી લઈને નરેન્દ્ર મોદી સુધીની યાત્રા..: નાલંદા વિશ્વવિદ્યાલયને ન ઝૂકાવી શક્યો ઇસ્લામી આક્રાંતા બખ્તિયાર ખિલજી, 800 વર્ષે પણ ફરી જીવંત થઈ ભારતની ભવ્ય ધરોહર

    લગભગ 800 વર્ષની લાંબી રાહ બાદ નાલંદા વિશ્વવિદ્યાલય તેના જૂના સ્વરૂપમાં પરત ફરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (19 જૂન) નાલંદા વિશ્વવિદ્યાલયના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. નવા કેમ્પસના ઉદ્ઘાટનના સમાચારો અને તસવીરો વચ્ચે તેનો ભવ્ય ભૂતકાળ અને વારસો વળગીને આંખે આવે છે. વિશ્વની પ્રથમ રેસિડેન્શિયલ યુનિવર્સિટી નાલંદા પોતાની ભીતર એટલો પ્રાચીન ઇતિહાસ દબાવીને બેઠી છે કે, તેના પર હજારો પુસ્તકો લખી શકાય. જ્યારે દુનિયામાં યુનિવર્સિટીઓ બનાવવાનું શરૂ થયું હતું, ત્યારે નાલંદા સદીઓ જૂની યુનિવર્સિટી તરીકે આગળ વધી રહી હતી. હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિના ઉદ્ગમસ્થાન સમી આ સંસ્થાનો રોચક અને રસપ્રદ ઇતિહાસ છે.

    આજે આખી દુનિયાના વિદ્યાર્થીઓ ભણવા માટે બ્રિટન અને અમેરિકા તરફ જાય છે. પરંતુ એક સમય એવો હતો, જ્યારે દુનિયાભરના વિદ્યાર્થીઓ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભારત આવતા હતા. વિશ્વની તમામ મોટી યુનિવર્સિટીઓ કરતાં પણ પ્રાચીન વિશ્વવિદ્યાલયો ભારતમાં હતાં. તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા, વલભી વિદ્યાલય અને તેના જેવી અઢળક યુનિવર્સિટીઓ ભારતનું ગૌરવ હતું. તેમાં પણ નાલંદા વિશ્વવિદ્યાલય જ્ઞાન પ્રાપ્તિનું શિરમોર સંસ્થાન હતું. હવે 800 વર્ષ બાદ ફરી નાલંદા વિશ્વવિદ્યાલય જીવંત થયું છે. મોદી સરકાર તેને શિક્ષણક્ષેત્રનું કેન્દ્રબિંદુ બનાવવા પ્રયાસ કરી રહી છે. ત્યારે જાણીએ ભારતની તે ભવ્ય ધરોહરનો ઇતિહાસ.

    કુમારગુપ્ત પ્રથમે કરી હતી સ્થાપના

    નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના 450 ADમાં ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પ્રથમ દ્વારા કરવામાં આવી હતી. બાદમાં તેને હર્ષવર્ધન અને પાલ શાસકોનું પણ સમર્થન મળ્યું હતું. આ વિશ્વવિદ્યાલયની ભવ્યતાનું અનુમાન તેનાથી લગાવી શકાય કે, તેમાં વિદ્યાર્થીઓને રહેવા માટેના 300 ઓરડા, 7 મોટા હૉલ અને ભણવા માટેનું 9 માળનું બિલ્ડિંગ હતું. જેમાં લાખોની સંખ્યામાં પુસ્તકો અને ધર્મગ્રંથો હતાં. અહીં એકસાથે હજારો બાળકો ભણી શકતાં હતાં. 2,700થી વધુ શિક્ષકો અહીં અધ્યાપન કાર્ય કરાવતા હતા. વિદ્યાલયના ભરણપોષણ માટે તેને 200 ગામો દાનમાં આપી દેવામાં આવ્યાં હતાં.

    નાલંદા પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રખ્યાત કેન્દ્ર હતું. મહાયાન બૌદ્ધ ધર્મના આ શૈક્ષણિક કેન્દ્રમાં, હીનયાન અને હિંદુ ધર્મ સહિતના અન્ય ધર્મોના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા હતા. અહીં ઘણા વિદેશી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવતા હતા. રહેવા, જમવાથી લઈને અહીં શિક્ષણ પણ નિશુલ્ક આપવામાં આવતું હતું. ગુપ્તવંશના પતન પછી પણ ત્યારબાદના તમામ શાસકોએ તેની સમૃદ્ધિમાં યોગદાન આપવાનું ચાલુ રાખ્યું હતું. સ્થાનિક શાસકોની સાથે તેને ઘણા વિદેશી શાસકો પાસેથી પણ અનુદાન પ્રાપ્ત થતું હતું.

    નાલંદા વિશ્વવિદ્યાલયના અવશેષો

    સૌથી મહત્વની વાત તો એ છે કે, આટલી વિશાળ અને ભવ્ય ધરોહર વિશે આધુનિક દુનિયાને છેક 19મી સદીમાં જાણ થઈ હતી. કેટલી સદીઓ સુધી આ વિશ્વવિદ્યાલય જમીનમાં દબાઈ રહ્યું હતું. 1812માં બિહારના સ્થાનિક લોકોને નાલંદા સ્થળ પરથી કેટલીક બૌદ્ધ મૂર્તિઓ મળી આવી હતી. ત્યારબાદ ઘણા વિદેશી ઇતિહાસકારોએ તેના પર અધ્યયન કર્યું હતું. સંશોધન બાદ જાણ થઈ હતી કે, તે સ્થળ પર નાલંદા વિશ્વવિદ્યાલય હતું. જે પ્રાચીન ભારતમાં વિશ્વને જ્ઞાનનો પ્રકાશ આપી રહ્યું હતું.

    વિશાળ કેમ્પસમાં વિશ્વના અનેક દેશના વિદ્યાર્થીઓ કરતાં હતા જ્ઞાન અર્જિત

    નાલંદા વિશ્વવિદ્યાલય એટલા માટે પણ વિશેષ હતું કારણ કે મહાન શિક્ષકોએ સમયાંતરે અહીં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. આ મહાનના શિક્ષકોમાં નાગાર્જુન, બુદ્ધપાલિતા, શિલાભદ્ર, શાંતરક્ષિતા અને આર્યદેવનો સમાવેશ થાય છે. જો આપણે અહીં ભણતા વિદ્યાર્થીઓ વિશે વાત કરીએ તો ઘણા દેશોમાંથી લોકો અહીં ભણવા આવતા હતા. પ્રખ્યાત ચીની પ્રવાસીઓ અને વિદ્વાનો હ્યુ-એન-ત્સાંગ, ફાહીયાન અને ઇતસિંગે પણ અહીં જ અભ્યાસ કર્યો હતો. હ્યુ-એન-ત્સાંગ નાલંદાના આચાર્ય શીલભદ્રના શિષ્ય હતા. તેમણે વિશ્વવિદ્યાલયમાં 6 વર્ષ રહીને કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો.

    પ્રાચીન નાલંદાના અવશેષો

    વિશ્વવિદ્યાલની ભવ્યતાની વાત કરવામાં આવે તો તેમાં 300 ઓરડા, 7 મોટા હૉલ અને અભ્યાસ માટેની 9 માળની ઇમારતો હતી. સાથે જ તે ઘણા એકરમાં ફેલાયેલી ભવ્ય ઇમારત હતી. અહીં દરેક વિષયના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે વિશાળ લાઇબ્રેરી બનાવવામાં આવી હતી. જેમાં 90 લાખથી વધુ પુસ્તકો રાખવામાં આવ્યાં હતાં. આ જ લાઇબ્રેરીમાં ભારતના ઘણાં રહસ્યમય પુસ્તકો પણ સંરક્ષિત હતાં. જેમાં મૂળ વેદોનો સમાવેશ પણ થાય છે. કહેવાય છે કે, બખ્તિયાર ખિલજીએ જ્યારે યુનિવર્સિટીને આગ લગાડી ત્યારે તેની લાયબ્રેરી જ 3 મહિના સુધી સળગતી રહી હતી. તેના પરથી કલ્પના કરી શકાય કે, તેમાં કેટલાં પુસ્તકો હશે. વિશ્વવિદ્યાલયનો ઇતિહાસ કહે છે કે, ભારતનું જ્ઞાન સદીઓથી વિશ્વને દેદીપ્યમાન કરી રહ્યું હતું.

    કયા વિષયો પર થતો હતો અભ્યાસ?

    આ વિશ્વવિદ્યાલયને જ્ઞાનનો ભંડાર માનવામાં આવતું હતું. અહીં ધાર્મિક ગ્રંથો સિવાય લિટ્રેચર, થિયોલોજી, લૉજિક, મેથ્સ, મેડિસિન, ફિલોસોફી, એસ્ટ્રોનોમી, મનોવિજ્ઞાન, કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આયુર્વેદ, યોગ, વ્યાપાર-વાણિજ્ય, રાજ્યશાસ્ત્ર, નુવંશશાસ્ત્ર, હસ્તકળા, સંગીત, નૃત્ય જેવા અનેક વિષયો શીખવવામાં આવતા હતા. કહેવામાં આવે છે કે, તે સમયે જે વિષયો ત્યાં શીખવવામાં આવતા તે બીજે ક્યાંય પણ શીખવવામાં આવતા નહોતા. આ યુનિવર્સિટી 700 વર્ષ સુધી દુનિયાને પ્રકાશ આપતી રહી હતી. હ્યુ-એન-ત્સાંગ અને ઇતસિંગ જેવા ચીની વિદ્વાનોએ પણ ભારતમાં આવ્યા બાદ નાલંદા યુનિવર્સિટીની પ્રશંસા કરી હતી અને તેને વિશ્વની સૌથી મોટી અને સમૃદ્ધ યુનિવર્સિટી ગણાવી હતી.

    નાલંદામાં પ્રવેશ મેળવવો પણ ખૂબ અઘરો હતો. અહીં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓએ નાલંદાના ટોચના પ્રોફેસરો સાથે મૌખિક સાક્ષાત્કારમાં ભાગ લેવો પડતો હતો અને પોતાના જ્ઞાનનું પ્રમાણ આપવું પડતું હતું. જે ભાગ્યશાળી હતા, તે લોકોને ભારત મહાન અને વિદ્વાન પ્રોફેસરો દ્વારા શીખવવામાં આવતું હતું. લાઇબ્રેરીમાં 90 લાખ હસ્તલિખિત, તામ્રપત્રની પાંડુલિપિઓ દુનિયામાં બૌદ્ધ જ્ઞાનનો સમૃદ્ધ ભંડાર હતી. તે તામ્રપત્રોની પુસ્તકો અને લાકડાના પાનાંઓમાંથી માત્ર મુઠ્ઠીભર પુસ્તકો જ આગથી બચી શકી હતી, તેને પણ ભાગી રહેલા બ્રાહ્મણ અને બૌદ્ધ ભિક્ષુઓએ બચાવી હતી. એકવાર દલાઈ લામાએ કહ્યું હતું કે, આપણી પાસે જે પણ જ્ઞાન છે, તેનો સ્ત્રોત નાલંદા છે.

    વિશ્વમાં નાલંદાનો પ્રભાવ

    ભારતીય ગણિતના પિતા આર્યભટ્ટે છઠ્ઠી સદીમાં યુનિવર્સિટીનું નેતૃત્વ કર્યું હોવાનો અંદાજ છે. તે આર્યભટ્ટ જ હતા જેમણે વિશ્વને શૂન્ય (Zero) સાથે પરિચય કરાવ્યો અને શૂન્યને સંખ્યા તરીકે માન્યતા આપી હતી. જે એક ક્રાંતિકારી ખ્યાલ હતો. આ શૂન્ય ગાણિતિક ગણતરીઓને સરળ બનાવે છે અને બીજગણિત જેવા વધુ જટિલ વિષયો વિકસાવવામાં મદદ કરે છે. શૂન્ય વિના આપણી પાસે કમ્પ્યુટર્સ પણ ન હોત. આ જ કારણ છે કે, નાલંદાએ વિશ્વને બદલવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આર્યભટ્ટની શોધે દક્ષિણ ભારત અને સમગ્ર અરબી દ્વીપકલ્પમાં ગણિત અને ખગોળશાસ્ત્રના વિકાસને પ્રોત્સાહન આપ્યું હતું. શૂન્યની શોધ સિવાય તેમણે ‘પાઇ’ની શોધ પણ કરી હતી. નાલંદાએ સમગ્ર એશિયામાં બૌદ્ધ અને હિંદુ ઉપદેશો તથા તત્વજ્ઞાન ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ

    તે સિવાય હિંદુ ધર્મની ઘણી રહસ્યમય વિદ્યાઓ પણ વિશ્વવિદ્યાલયમાં શીખવામાં આવતી હતી. પરંતુ તે પહેલાં તેના માટે સક્ષમ અને સમર્થ બનવું અનિવાર્ય હતું. અનેક વિદ્યાઓની સાથે અહીં ધ્યાન અને યોગના વિશેષ વર્ગ પણ થતા હતા. બૌદ્ધ સાહિત્યોની સાથે સૌથી વધુ અહીં વેદોનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. વિશ્વના અનેક દેશોમાંથી અહીં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા. તે સમયે આટલી સમૃદ્ધ યુનિવર્સિટી કોઈપણ સંસ્કૃતિમાં ન હતી. તેથી દૂરસુદૂરથી વિદ્યાર્થીઓ અહીં આવતા હતા અને સંસ્કૃત શીખીને વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવતા હતા.

    ઇસ્લામી આક્રાંતા બખ્તિયાર ખિલજીનું આક્રમણ અને વિશ્વવિદ્યાલયનું પતન

    વિદ્વાનો જણાવે છે કે, જે હુમલામાં નાલંદા વિશ્વવિદ્યાલયનો નાશ થયો હતો તે આ યુનિવર્સિટી પર થયેલો પહેલો હુમલો નહોતો. તે પહેલાં 5મી સદીમાં હુણો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 8મી સદીમાં પણ તેના પર હુમલો થયો હતો. આ બંને હુમલાથી યુનિવર્સિટી બચી ગઈ હતી. પરંતુ તે પછી ઇસ્લામિક આક્રાંતા બખ્તિયાર ખિલજીએ ભયાનક હુમલો કર્યો હતો. જેના કારણે યુનિવર્સિટી નાશ પામી હતી. 1190ના દશકમાં તુર્ક-અફઘાન સૈન્ય જનરલ બખ્તિયાર ખિલજીના નેતૃત્વમાં ઇસ્લામિક આક્રાંતાઓએ આ વિશ્વવિદ્યાલયનો નાશ કરી દીધો હતો. તેના વિશેની ઘણી વાતો ઇતિહાસના પાનાંઓ પર લખાયેલી છે.

    ઇસ્લામી આક્રાંતા બખ્તિયાર ખિલજી (ફોટો: ArtGellary)

    ઇતિહાસકારો કહે છે કે, એક વખત બખ્તિયાર ખિલજી ગંભીર રીતે બીમાર પડ્યો હતો. તેના હકીમોએ બખ્તિયારની ઘણી સારવાર કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. ત્યારે કોઈએ બખ્તિયાર ખિલજીને નાલંદા યુનિવર્સિટીના આયુર્વેદ વિભાગના વડા આચાર્ય રાહુલ શ્રીભદ્રજી પાસેથી સારવાર કરાવવાની સલાહ આપી. જે પછી આચાર્ય રાહુલ શ્રીભદ્રજી સાથે તેણે મુલાકાત કરી, ત્યારે બખ્તિયાર ખિલજીએ તેમની સમક્ષ એક વિચિત્ર શરત મૂકી કે તે તેમના દ્વારા આપવામાં આવેલી કોઈપણ આયુર્વેદિક દવાનું સેવન નહીં કરે. તેમ છતાં આચાર્ય તેને સ્વસ્થ કરીને ભારતીય આયુર્વેદની મહાનતા સમજાવશે. આચાર્યએ પણ ખિલજીની શરત સ્વીકારી અને તેને માત્ર કુરાન વાંચવાની સલાહ આપી.

    ત્યારબાદ કુરાન વાંચીને બખ્તિયાર ખિલજી સાજો થઈ ગયો. એવું કહેવાય છે કે, આચાર્ય રાહુલ શ્રીભદ્રજીએ કુરાનના પાના પર દવા લગાવી હતી, જેના કારણે દવા ખિલજીના હાથમાં પહોંચી જતી અને જ્યારે તે પાનાં ફેરવવા માટે પોતાની જીભ પર આંગળી મૂકતો હતો, ત્યારે તે દવા શરીરની અંદર જતી હતી. આ રીતે બખ્તિયાર ખિલજી સ્વસ્થ થયો હતો. જ્યારે બખ્તિયાર ખિલજીને આ વાતની ખબર પડી ત્યારે તેને ખૂબ જ આશ્ચર્ય થયું કે, ભારતીય વિદ્વાનો તેના હકીમો કરતાં વધુ જાણકાર અને ચતુર છે. ખિલજીને એવું લાગવા માંડ્યું હતું કે, નાલંદામાંથી મળતા ઉપદેશો ઇસ્લામ કરતાં ચડિયાતા સાબિત થઈ રહ્યા છે. તેથી તેણે નાલંદા વિશ્વવિદ્યાલય પરિસરમાં આગ લગાવી દીધી હતી. એવું પણ માનવામાં આવે છે કે, બૌદ્ધ અને હિંદુ ધર્મનો અંત લાવવા માટે તેણે નાલંદામાં આગ લગાવી હતી.

    ઇતિહાસકારો અનુસાર, અનેક બ્રાહ્મણો અને બૌદ્ધ ભિક્ષુકો તે આગમાં હોમાઈ ગયા હતા. ચીનના બૌદ્ધ ઇતિહાસમાં વર્ણન છે કે, બખ્તિયાર ખિલજીએ બ્રાહ્મણોનું મુંડન કર્યું હતું, તેની જનોઈઓ તોડી નાખી હતી અને ત્યારપછી તેમના પર આગ ચાંપી દીધી હતી. તેણે એક-એક બ્રાહ્મણને શોધી-શોધીને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેથી કરીને ફરી ક્યારેય આ વિશ્વવિદ્યાલય ઊભું ન થઈ શકે. એક વિદ્યાર્થી કે, શિક્ષક યુનિવર્સિટીમાં જીવતો બચી શક્યો નહોતો. તેથી બૌદ્ધ અને હિંદુ શિક્ષણનું કેન્દ્રબિંદુ ત્યાં અંત પામ્યું હતું. પરંતુ હવે તે ઘટનાના 800 વર્ષ બાદ ફરી તે જીવંત થયું છે.

    પ્રાચીન નાલંદાના અવશેષો (ફોટો: Indian History)

    નાલંદાના અવશેષો હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ છે. દર વર્ષે આ ઐતિહાસિક જ્ઞાન કેન્દ્રના અવશેષો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. નાલંદા યુનિવર્સિટીનું કેમ્પસ એટલું વિશાળ હતું અને ત્યાં એટલા બધા પુસ્તકો હતાં કે હુમલાખોરોએ લગાડેલી આગ ત્રણ મહિના સુધી સળગતી રહી. આ આગે માત્ર શિક્ષણના એક કેન્દ્રને જ નહોતું બાળ્યુ પરંતુ સદીઓનું જ્ઞાન અને વારસો પણ નષ્ટ કરી નાખ્યો હતો.

    ગાયની કુરબાનીવાળી પત્રિકાનો મામલો, આમોદની મદરેસાના ઉપપ્રમુખ શબ્બીરની પણ ધરપકડ કરતી ભરૂચ પોલીસ: મુખ્ય આરોપી મૌલવીને મદદ કરવાનો આરોપ

    બકરીદ પહેલાં સોશિયલ મીડિયા પર એક પત્રિકા વાયરલ થઈ હતી, જેમાં ભરૂચની એક ઈસ્લામિક સંસ્થાનું નામ લખવામાં આવ્યું હતું. આ પત્રિકામાં જાનવરોની કુરબાની કઈ રીતે આપવી તે જણાવવામાં આવ્યું હતું. પરંતુ પત્રિકા વિવાદનું કારણ ત્યારે બની જ્યારે તેમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મામલે ઑપઇન્ડિયાએ પણ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ પોલીસે સંજ્ઞાન લઈને આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આમોદની દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજાના મૌલવી અબ્દુલ રહીમની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે આ મામલે વધુ એકની ધરપકડ થઈ છે. 

    આ કેસની તપાસ ભરૂચ જિલ્લા SOG કરી રહી હતી. પકડાયેલા આરોપી અબ્દુલ રહીમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેને બરકાતે ખ્વાજા મદરેસાના ઉપપ્રમુખ શબ્બીર અલી પટેલે પત્રિકા બનાવી આપી હતી. ત્યારબાદ પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી હતી. આ મામલે પોલીસે મદરેસા તેમજ આરોપીઓના ઘરે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

    ભરૂચ પોલીસે અબ્દુલ રહીમ અને શબ્બીર સામે IPC અને IT એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અબ્દુલની ધરપકડ પહેલાં થઈ હતી અને હવે શબ્બીરને પણ પકડવામાં આવ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બંનેમાંથી અબ્દુલ રહીમનું નામ વર્ષ 2021માં પણ એક ધર્માંતરણના કેસમાં સામે આવી ચૂક્યું હતું, જે મામલે તેની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી ચૂકી છે. 

    શું હતું વાયરલ પત્રિકામાં? 

    સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પત્રિકામાં ઇસ્લામિક સંસ્થાના નામે ઈદ પર જાનવરોની કુરબાની કઈ રીતે આપવી જોઈએ તે જણાવવામાં આવ્યું હતું અને સાથે કઈ દુઆ પઢવી અને કઈ દિશામાં જાનવરનું મોઢું રાખવું વગેરે જેવી વિગતો આપવામાં આવી હતી. આ પ્રાણીઓમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 

    પછીથી સોશિયલ મીડિયામાં પત્રિકા ફરતી થતાં વિરોધ ઊઠ્યો હતો અને ગાયનો ઉલ્લેખ કરવા બદલ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જોકે, પછીથી ઇસ્લામિક સંસ્થાએ એક માફીનામું બહાર પાડીને માફી માંગી હતી અને કહ્યું હતું કે તેમનાથી ભૂલથી આ લખાયું છે અને ગાયની કુરબાની આપવામાં આવશે નહીં. જોકે, પોલીસે સ્થિતિ ન બગડે તે માટે કાર્યવાહી કરીને ગુનો નોંધી દીધો હતો અને જવાબદારોની ધરપકડ પણ કરી લીધી હતી. 

    સુરતમાં જૈન દેરાસર નજીક પશુનું માથું ફેંકાતાં આક્રોશ, કાર્યવાહીની માંગ: વડોદરાના સૂરસાગર તળાવમાંથી મળી આવ્યો પશુનો કપાયેલો પગ

    સુરતમાં એક જૈન દેરાસર નજીક કપાયેલી હાલતમાં એક પશુનું માથું મળી આવતાં ચકચાર મચી છે અને કાર્યવાહીની માંગ થઈ રહી છે. પોલીસે હાલ પશુ માંસ FSL ખાતે મોકલી આપ્યું છે અને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, વડોદરાના સૂરસાગર તળાવમાંથી પણ એક પશુ માંસનો ટુકડો મળી આવ્યો છે. 

    આ મામલો સુરતના પાલ વિસ્તારમાં આવેલી મણિભદ્ર રેસિડેન્સી પાસેનો છે. અહીં નજીકમાં જ દેરાસર આવેલાં છે અને જૈનોની સારી એવી વસતી અહીં વસવાટ કરે છે. બુધવારે (19 જૂન) સવારે અહીં જાહેરમાં એક પશુનું કપાયેલું માથું જોવા મળ્યું હતું. ત્યારબાદ જૈન સમાજના મહારાજો, અગ્રણીઓ અને સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 

    જૈન સાધુએ કહ્યું કે, “પાલમાં જ્યાં મોટી સંખ્યામાં હિંદુઓ-જૈનો રહે છે ત્યાં આ રીતે ગાયનું ગળું કાપીને મૂકવાનો પ્રયાસ એક દુષ્ટ કાર્ય છે. કોઇ વર્ગને ભડકાવવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. જે કોઇ પણ રીતે સાંખી લેવાય એમ નથી. વહેલી તકે આ મામલે કડકમાં કડક પગલાં લેવામાં આવે એવું સરકાર અને પ્રશાસનને સૂચન કરો. આ કોઇ પણ રીતે સહન થાય એમ નથી.”

    આ સિવાય અન્ય સાધુઓ અને જૈન સમાજના અન્ય લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ધાર્મિક લાગણીઓ દુભાય તેવું કૃત્ય કરનારાઓને શોધી કાઢીને કડકમાં કડક સજા કરવા માટે પોલીસને અપીલ કરી હતી. સાધુઓએ કહ્યું કે, અહિંસામાં માનનારો જૈન-હિંદુ સમુદાય જ્યાં રહેતો હોય ત્યાં આ રીતે જાહેરમાં ગાય કે ભેંસનું ગળું કાપીને મૂકવાની શું જરૂર છે તે અમને સમજાતું નથી. આ જાણીજોઈને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, પ્રશાસન સક્રિય છે અને અધિકારીઓ અમને ખૂબ સારી રીતે સહયોગ આપી રહ્યા છે. અમારી એટલી જ માંગ છે કે જેણે આ દુષ્કૃત્યને અંજામ આપ્યો હોય તેને કડકમાં કડક સજા કરવામાં આવે. 

    ઘટનાને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “સવારે એક ખાનગી વ્યક્તિ દ્વારા અડાજણ પોલીસને  જાણ કરવામાં આવી હતી, જેના આધારે સ્થળ પર પહોંચીને જોતાં પ્રાણીના માથાનો ભાગ મળી આવ્યો હતો. ત્યારબાદ FSL અધિકારીને બોલાવવામાં આવ્યા, જેમણે સેમ્પલ લીધાં છે. તેની તપાસ કરતાં તે કયા પ્રાણીનું અંગ છે તે જાણી શકાશે. બીજી તરફ, વેટરનરી ડોકટરને પણ જાણ કરવામાં આવી હતી, જેમણે પણ સેમ્પલ મેળવ્યાં છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. 

    વડોદરામાં સૂરસાગર તળાવમાંથી મળી આવ્યું પશુઅંગ 

    વડોદરાના સુપ્રસિદ્ધ સૂરસાગર તળાવમાંથી બુધવારે (19 જૂન) એક પશુમાંસનો ટુકડો મળી આવ્યો હતો, જે ગાયનું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણ થતાં જ હિંદુ સંગઠનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 

    વડોદરા બજરંગ દળના કાર્યકર્તાએ જણાવ્યું કે, પશુમાંસનો ટુકડો ગૌમાંસ હોય તેમ જણાય રહ્યું છે. આ વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ છે. અમારી એટલી જ માંગ છે કે જે કોઇ વ્યક્તિએ આ કૃત્ય કર્યું હોય તેને શોધી કાઢીને પકડી લેવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે. નોંધવું જોઈએ કે સૂરસાગર તળાવની મધ્યમાં ભગવાન શિવજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. 

    બીજી તરફ, પોલીસે આ મામલે સંજ્ઞાન લઈને સેમ્પલ FSL પાસે મોકલી આપ્યાં છે. FSL તપાસ બાદ જાણી શકાશે કે ટુકડો ગૌમાંસ છે કે કેમ. હાલ આગળની તપાસ ચાલી રહી છે. 

    રિયાસી આતંકવાદી હુમલા મામલે પહેલી ધરપકડ: આતંકવાદીઓને મદદ પૂરી પાડવાના આરોપસર હકીમ નામનો સ્થાનિક પકડાયો, પૂછપરછ થશે

    જમ્મુ-કાશ્મીરના રિયાસી ખાતે થયેલા આતંકવાદી હુમલા મામલે પોલીસે એક સ્થાનિક વ્યક્તિની ધરપકડ કરી છે. જેની ઉપર આતંકવાદીઓને મદદ પૂરી પાડવાનો આરોપ છે. આરોપીની ઓળખ હકીમ દીન તરીકે થઈ છે, જે રાજૌરીનો રહેવાસી છે. આ કેસમાં આ પહેલી ધરપકડ હોવાનું પોલીસે જણાવ્યું છે. 

    રિયાસીના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ મોહિતા શર્માએ પત્રકારોને જણાવ્યું હતું કે, રિયાસી આતંકવાદી હુમલામાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. તે માસ્ટરમાઇન્ડ નથી પરંતુ હુમલામાં તેણે અગત્યનો ભાગ ભજવ્યો હતો.

    પકડાયેલો હકીમ આતંકવાદીઓ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. આશંકા છે કે તેણે આતંકવાદીઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હોય શકે. હાલ તેને કસ્ટડીમાં લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે ગત 9 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં પસાર થતી એક હિંદુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓએ ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં 9 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં અને બાકીના ઘણાને ઈજા પહોંચી હતી. આ ઘટનાને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. 

    ઘટના બાદથી સતત જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસમાં લાગી છે. જે-તે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઑપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ આતંકવાદીઓની પણ સતત શોધખોળ કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે પોલીસે કુલ 50 સંદિગ્ધ વ્યક્તિઓની અટકાયત કરીને તેમની પૂછપરછ હાથ ધરી હતી. 

    હુમલા બાદ પોલીસ અને સુરક્ષાબળો દ્વારા મોટાપાયે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી અમુક લીડ્સ મળી આવી, જેના થકી અમુક વ્યક્તિઓની ઓળખ કરીને તેમને પકડવામાં આવ્યા હતા સાથે એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, તપાસના ભાગરૂપે જિલ્લાના અરનાસ અને મહોર વિસ્તારોમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જે 1995થી 2005 દરમિયાન આતંકવાદીઓના ગઢ માનવામાં આવતા હતા. 

    ‘મહારાજ’ પરનો સ્ટે વધુ એક દિવસ લંબાવાયો, બંને પક્ષોની સહમતિ બાદ કોર્ટ જોશે ફિલ્મ: ફરિયાદી પક્ષે કહ્યું- ધર્મનું અપમાન ન થવું જોઈએ, રિલીઝ જ ન થાય એવું અમે નથી ઇચ્છતા

    નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ ‘મહારાજ’ વિરુદ્ધ થયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે બુધવારે (19 જૂન) પણ સુનાવણી હાથ ધરી હતી. લગભગ 2 કલાક ચાલેલી આ સુનાવણી દરમિયાન બંને પક્ષો એ બાબત પર સહમત થયા કે કોર્ટ ફિલ્મ જુએ અને ત્યારબાદ નક્કી કરે. બંને પક્ષોની સહમતિ બાદ કોર્ટે પણ આ બાબત માન્ય રાખી છે અને મામલાની આગામી સુનાવણી ગુરુવારે (20 જૂન) મુકરર કરી છે. 

    કોર્ટમાં ફરિયાદી પક્ષે વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, ‘આ કોઇ વ્યવસાયિક લડાઇ નથી. અમે એવું નથી ઈચ્છતા કે ફિલ્મ રિલીઝ જ ન થવી જોઈએ. અમને માત્ર એ વાત સાથે જ નિસબત છે કે ધર્મ કે સંપ્રદાયનું કોઇ અપમાન ન થાય. કોર્ટ આ માટે ફિલ્મ જોઈ શકે છે અને નક્કી કરી શકે છે કે તેમાં ધર્મને લગતું કશુંક અપમાનજનક છે કે કેમ. 

    બીજી તરફ, યશરાજ ફિલ્મ્સ તરફથી કોર્ટમાં હાજર વકીલ શાલીન મહેતાએ કોર્ટને આશ્વાસન આપતાં કહ્યું હતું કે ફરિયાદીની દલીલ છે કે ફિલ્મ જે 1862ના મહારાજ લાયબલ કેસ પર આધારિત છે, તે કેસના ચુકાદામાં હિંદુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને લઈને અમુક અપમાનજનક બાબતો કહેવામાં આવી છે, પરંતુ ફિલ્મમાં ક્યાંય પણ આ ચુકાદાની એક લીટી પણ ઉપયોગમાં લેવામાં આવી નથી અને માત્ર 20 મિનીટ માટે ટ્રાયલ બતાવવામાં આવી છે. 

    યશરાજ ફિલ્મ્સ તરફથી કોર્ટને કહેવામાં આવ્યું કે જો કોર્ટ આદેશ કરે તો તેઓ ફિલ્મની લિંક અને પાસવર્ડ આપવા માટે તૈયાર છે, જેથી કોર્ટ ફિલ્મ જોઈ શકે. તેમણે કહ્યું હતું કે, તેઓ આ જ ક્ષણે લિંક આપી શકે છે. આ બાબત પર પછીથી કોર્ટે ફરિયાદી પક્ષ અને અન્ય પક્ષકાર નેટફ્લિક્સને પણ પૂછ્યું હતું, જેમણે અંદરોઅંદરની ચર્ચા બાદ સહમતિ દર્શાવી હતી. બીજી તરફ, કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસે પણ કોર્ટને ફિલ્મ જોવા માટેની ભલામણ કરી હતી. 

    કોર્ટે ફિલ્મ જોવાનું નક્કી કરીને આગામી સુનાવણી ગુરુવારે (20 જૂન) નક્કી કરી છે. ત્યાં સુધી ફિલ્મ પર લગાવવામાં આવેલો સ્ટે યથાવત રહેશે. 

    શું છે સમગ્ર વિવાદ?

    ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ‘મહારાજ’ વર્ષ 2013માં પ્રકાશિત થયેલી જાણીતા ગુજરાતી પત્રકાર-લેખક સૌરભ શાહની આ જ નામ ધરાવતી દસ્તાવેજી અને હકીકત આધારિત નવલકથા પર આધારિત છે. યશરાજ ફિલ્મ્સે આ પુસ્તક પરથી ફિલ્મ બનાવી છે અને તે ગત 14 જૂનના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ તેમાં વૈષ્ણવ સંપ્રદાય અને હિંદુ ધર્મનું અપમાન કરવામાં આવ્યું હોવાના આરોપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે 13 જૂનના રોજ હંગામી ધોરણે સ્ટે મૂકી દીધો હતો. 

    બીજી તરફ, 18 જૂનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નેટફ્લિક્સ તરફથી મુકુલ રોહતગી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દલીલો કરતાં કહ્યું હતું કે, ફિલ્મ અને પુસ્તક બંને સત્ય ઘટનાઓ પર આધારિત છે અને ઇતિહાસ આપણને ગમે કે ન ગમે પણ તે સ્વીકારવો રહ્યો. સાથે એમ પણ કહ્યું હતું કે, પુસ્તક 2013થી બજારમાં ઉપલબ્ધ છે અને અરજદારો પણ તે વિશે જાણતા હોવા જોઈએ. તેમ છતાં આજ સુધી કશું જ એવું બન્યું નથી, જેની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

    આ સાથે તેમણે અરજદારો છેલ્લી ઘડીએ સરકાર અને કોર્ટ પાસે કેમ ગયા તે બાબતનો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ફિલ્મની જાહેરાત ગત 29 મેના રોજ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટમાં અરજી આવી 13 જૂનના રોજ. તે પહેલાં 1 દિવસ પહેલાં તેમણે મંત્રાલયમાં અરજી કરી હતી અને માત્ર 24 કલાકની અંદર મંત્રાલયે કોઈ પગલાં ન લીધાં હોવાનું કહીને કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ 24 કલાક એ કોઈ પણ કાર્યવાહી માટે ટૂંકો સમય કહેવાય. 

    બીજી તરફ, યશરાજ ફિલ્મ્સ તરફથી વકીલ શાલીન મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે અરજદારોને 1862ના લાયબલ કેસના ચુકાદા સામે વાંધો છે, પણ ફિલ્મમાં ચુકાદો છે જ નહીં અને માત્ર ટ્રાયલ દર્શાવવામાં આવી છે. ચુકાદા તરીકે વોઇસ ઓવરમાં માત્ર એક જ લીટી કહેવામાં આવી છે. જેથી ચુકાદાનો પ્રશ્ન જ સર્જાતો નથી. ચુકાદાનો એક પણ શબ્દ વાંચવામાં આવ્યો નથી. તેમણે બુધવારે પણ જણાવ્યું હતું કે કોર્ટે ફિલ્મ જોવી હોય તો તેઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવશે. 

    સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે વકીલ મિહિર જોશીએ કહ્યું કે, ફિલ્મ નિર્માતાઓનું કહેવું છે કે ફિલ્મમાં માત્ર એક પત્રકાર અને એક મહારાજ વચ્ચેની લડાઈ દર્શાવવામાં આવી છે અને સમગ્ર સંપ્રદાયનું ક્યાંય અપમાન કરવામાં આવ્યું નથી. પરંતુ ચુકાદામાં ઘણી બાબતો સંપ્રદાય વિશે પણ કહેવામાં આવી છે. આ તબક્કે પ્રોડ્યુસરો દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આવું કશું જ નથી અને કોર્ટ ફિલ્મ જોઈ શકે છે. અમે મત ધરાવીએ છીએ કે કોર્ટે ફિલ્મ જોઈને નક્કી કરવું જોઈએ કે કોઈ ભાગમાં સંપ્રદાયનું અપમાન થયું છે કેમ.