હાઇકોર્ટના આદેશ બાદ સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ દિલ્હી પોલીસ, જંતર-મંતર પરથી હટાવાયા પ્રદર્શનકારીઓ: દીપકેનો વિલાપ

દિલ્હીના જંતર-મંતર પર કથિત વિદ્યાર્થી આંદોલનના નામે ચાલી રહેલ પ્રદર્શનમાં ભારે હોબાળો સર્જાયો હતો. શનિવારે (18 જુલાઈ) સવારે ભારે ડ્રામા વચ્ચે હાઇકોર્ટના આદેશનું પાલન કરીને દિલ્હી પોલીસે અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે કાયદાનું પાલન કરાવવા ગયેલી પોલીસ ટીમ સામે ‘કોકરોચ જનતા પાર્ટી’ના (CJP) કથિત પ્રદર્શનકારીઓએ ભારે ધમાલ મચાવીને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

નોંધનીય છે કે 21 દિવસના ઉપવાસના કારણે સોનમ વાંગચુકની તબિયત સતત લથડી રહી હતી અને શુક્રવારે તેમનું બ્લડ શુગર ઘટીને 70 mg/dL થઈ ગયું હતું. હાઇકોર્ટ અને તબીબી નિષ્ણાતોની સલાહ મુજબ વાંગચુકનો જીવ બચાવવા માટે તેમને તાકીદે હોસ્પિટલ ખસેડવા અનિવાર્ય હતા. પરંતુ, CJPવાળાઓએ પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો, જેથી પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સામાન્ય બળપ્રયોગ કરવો પડ્યો હતો.

દરમિયાન, ગૅંગના સક્રિય સભ્ય અને CJPના સ્થાપક અભિજીત દીપકે આ સંવેદનશીલ સ્થિતિનો ઉપયોગ સોશિયલ મીડિયા પર સસ્તા પ્રચાર માટે કર્યો હતો. દીપકે ‘X’ પર રોદણાં રડતા દાવો કર્યો કે પોલીસ તેને મારી રહી છે અને વાંગચુકને ‘અપહરણ’ કરીને લઈ જવાયા છે. જોકે, દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈની સાથે મારપીટ થઈ નથી, માત્ર કાયદાનું પાલન કરાવવા માટે નડતરરૂપ તત્વોને હટાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ લોકો પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને પેપર લીકના મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે અને હવે ‘પોલીસ બર્બરતા’ અને ‘લાઠીચાર્જ’ની જૂની સ્ક્રિપ્ટ રટી રહ્યા છે. પ્રદર્શન સ્થળેથી વાંગચુકને હટાવવા ગયેલી પોલીસની મેડિકલ ટીમને પણ આ લોકોએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો

ઉલ્લેખનીય છે કે શુક્રવારે જ જંતર-મંતર ખાતે તબિયત પૂછવાના બહાને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, સપાના અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, કોંગ્રેસના પવન ખેડા અને શિવસેનાના (UBT) આદિત્ય ઠાકરે જેવા તમામ વિપક્ષી નેતાઓ લાઈન લગાવીને ઊભા હતા, જે દર્શાવે છે કે આ આંદોલન પાછળ કોનો દોરી સંચાર છે.

હાલમાં દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે ઉપદ્રવ મચાવવા મથતા તમામ પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે જગ્યા ખાલી કરવા માટે કડક શબ્દોમાં જણાવી દીધું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કોઈપણ અરાજકતાવાદી તત્વો સામે નમતું જોખવાના મૂડમાં નથી અને વાંગચુકને જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.