Friday, October 18, 2024
More
    હોમપેજગુજરાત‘આપણા અને મિયાંભાઈઓમાં કોઈ ફેર નથી, બધાનું લોહી લાલ’: હિંદુત્વ પર જ્ઞાન...

    ‘આપણા અને મિયાંભાઈઓમાં કોઈ ફેર નથી, બધાનું લોહી લાલ’: હિંદુત્વ પર જ્ઞાન આપતા કચ્છના પોલીસ અધિકારીનો વિડીયો વાયરલ, સંભળાઈ બેફામ ગાળો પણ

    પોલીસ અધિકારી અમુક લોકોને પૂછે છે કે ‘હિંદુત્વ’ એટલે શું? અને ત્યારબાદ ગાયોને લઈને પણ વાત કરતા જોવા મળે છે. વિડીયોમાં ગાળાગાળી પણ સંભળાય રહી છે. 

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક પોલીસ અધિકારીનો (Police Officer) વિડીયો (Video) વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પોલીસ મથકની બહાર અમુક વ્યક્તિઓ સાથે વાતચીત કરતા દેખાય છે. વાતનો વિષય છે- હિંદુત્વ. 

    પોલીસ અધિકારી અમુક લોકોને પૂછે છે કે ‘હિંદુત્વ’ એટલે શું? અને ત્યારબાદ ગાયોને લઈને પણ વાત કરતા જોવા મળે છે. વિડીયોમાં ગાળાગાળી પણ સંભળાય રહી છે. 

    ઝી ન્યૂઝના ‘પત્રકાર’ જનક સુતરિયાએ X પર 4 મિનિટ 14 સેકન્ડનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં આ અધિકારી હિંદુત્વ વિશે વાત કરતા જોવા મળે છે. આ અધિકારી કચ્છના મુન્દ્રા તાલુકાના પ્રાગપર પોલીસ મથકના PI હાર્દિક ત્રિવેદી હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. વિડીયો ચોક્કસ કયા સમયનો છે તે જાણી શકાયું નથી.

    - Advertisement -

    વિડીયોમાં અમુક વ્યક્તિઓને નજીક બોલાવીને અધિકારી કહે છે, “હિંદુત્વનો ખરો અર્થ શું છે?” જેના જવાબમાં કોઈક વ્યક્તિ ગાયનો ઉલ્લેખ કરીને કશુંક કહેતો જોવા મળે છે. ત્યારબાદ આગળ PI પૂછે છે, “ગામમાં ગાયો રખડે છે એનું શું? આખલાઓ રખડે છે એનું શું? મારા ઘરે પણ આઠ ગાયો છે, પણ આ બધી રખડે છે એ શું છે? એ ગાયો નથી?”

    આગળ કહે છે, “આ આખલાઓ કોથળીઓ ખાય છે તો ગાયો સાથે અન્યાય નથી થતો? હિંદુત્વનો અર્થ થાય…..હિંદુ એટલે સહિષ્ણુ પ્રજા. હિંદુ એટલે પ્રકૃતિને પૂજવાવાળી પ્રજા. તેમાં ગાય પણ આવી જાય અને ભૂંડ પણ આવી જાય. હિંદુત્વ એટલે શું? મારામાં પણ ઈશ્વર છે, આનામાં પણ ઈશ્વર છે અને નીચે કીડી મરી જાય તેનામાં પણ ઈશ્વર છે.”

    ત્યારબાદ પોલીસ અધિકારી ગાળાગાળી ચાલુ કરે છે. “એક લુખ્ખો ભો&^% કોઈને ખોટી રીતે મારી દે અને જાતને બચવા કહે કે ગાય પર ચડાવી દીધી, તો કઈ ગાય છે મને બતાવો. પોતાની ભૂલ છુપાવવા એમ કહે કે ગાય પર ચડાવી દીધી એટલે મેં એને ટામી મારી દીધી, અને તમે બધા આંધળા ભક્તો માની પણ લો છો પાછા….આમાંથી કોણે વેરિફાય કર્યું?”

    આગળ અધિકારી કહે છે, “કુદરતે આપણામાં અને મિયાંભાઈઓ અને બીજી એક પણ જાતિમાં એક પણ ફેર નથી કર્યો. માણસ જ બનાવ્યા છે બધાને….તેનામાં પણ કોઈ લીલું લોહી નથી. તેનામાં પણ લોહી લાલ જ છે. એટલે માણસને માણસની જેમ જોવાનું નામ હિંદુત્વ છે.” 

    વિડીયોમાં આગળ PI કોઈક વ્યક્તિને ફરી ગાળ દઈને શિયાળ ગણાવે છે અને કહે છે કે, આ સારો માણસ નથી. આ બકરા ખાવા માટે શિયાળનો વેશ ધારણ કરીને જાય એવું શિયાળ છે ભો&^&&. આગળ તેઓ એમ પણ કહે છે કે તેમનો વિડીયો ઉતારવામાં આવે એનો પણ વાંધો નથી, તેઓ એ જ બોલશે જે જાહેરમાં બોલે છે. 

    ચોક્કસ કયા કેસને લઈને વાત ચાલતી હતી તે પણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, અમુક વિડીયોમાં પત્રકારોએ ગાળોને બીપ કરીને ચલાવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં