Thursday, September 19, 2024
More
    હોમપેજદેશસ્કૂલમાં બે 4 વર્ષીય બાળકીઓનું યૌન શોષણ, આક્રોશિત સ્થાનિકો ઉતર્યા રસ્તા પર:...

    સ્કૂલમાં બે 4 વર્ષીય બાળકીઓનું યૌન શોષણ, આક્રોશિત સ્થાનિકો ઉતર્યા રસ્તા પર: મહારાષ્ટ્રના બદલાપુરની ઘટનામાં આરોપીની ધરપકડ, કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા CMOના આદેશ

    પરિસ્થિતિને જોતાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઘટનાની તપાસ કરવા માટે વરિષ્ઠ IPS અધિકારી આરતી સિંહના નેતૃત્વમાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ સક્રિય થયા છે. તેમણે આ મામલામાં કડક તપાસના આદેશ આપ્યા છે.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળના કોલકાતામાં મહિલા ટ્રેની ડૉક્ટર સાથે પાશવી બળાત્કાર અને ત્યારબાદ બર્બર હત્યાની ઘૃણાસ્પદ ઘટનાનો સતત વિરોધ ચાલી રહ્યો છે ત્યાં મહારાષ્ટ્રના થાણેના બદલાપુરની (Badlapur) એક શાળામાં 3-4 વર્ષની બાળકીઓના યૌન શોષણનો (Sexual Assault) કેસ આવતાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. આ મામલે વિરોધ-પ્રદર્શનો ચાલી રહ્યાં છે તો બીજી તરફ મહારાષ્ટ્ર CMO પણ સક્રિય થઈ ગયું છે. ઘટનામાં આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાના આદેશ આપ્યા છે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરવામાં આવી છે.

    સમગ્ર ઘટના 13 ઑગસ્ટના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યાની વચ્ચે ઘટી હોવાનું કહેવાય છે. થાણે બદલાપુરની એક શાળાના કિન્ડરગાર્ટનમાં ભણતી બે બાળકીઓ શાળાના શૌચાલયમાં ગઈ હતી. જાણવા મળ્યા અનુસાર, ત્યાં કોઈ મહિલા સ્ટાફમાંથી હજાર ન હતું. અહીં શાળામાં સફાઈકર્મી તરીકે કામ કરતા એક અક્ષય શિંદે નામના ઇસમે બાળકીઓ સાથે દુષ્કૃત્ય આચર્યું હોવાનો આરોપ છે. FIR અનુસાર, આરોપી અક્ષયે (જેને બાળકીઓ ‘દાદા’ (મોટાભાઈ) કહેતી હતી) બાળકીઓનાં કપડાં ઉતાર્યાં અને અડપલાં કર્યાં હતાં. ઉપરથી કોઈને ન કહેવા માટે જણાવીને ધમકી આપી હતી. બાળકીઓ ત્યારબાદ ડઘાઈ ગઈ હતી, પરંતુ બેમાંથી એકના વર્તનમાં ફેરફાર આવતાં તેના માતા-પિતાને શંકા જતાં તેમણે પૂછપરછ કરી ત્યારે તેણે હિંમત કરી સમગ્ર ઘટના કહી દીધી હતી.

    ત્યારબાદ તેમણે અન્ય બાળકીના માતા-પિતા સાથે પણ વાતચીત કરી. પછીથી તેઓ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. 19 ઑગસ્ટના રોજ જ્યારે બાળાઓના માતા-પિતા ફરિયાદ નોંધવા ગયા ત્યારે તેમની ફરિયાદને કોઈ મહત્વ આપવામાં આવ્યું નહીં તેવો આરોપ છે. માતા-પિતાનો દાવો છે કે પોલીસે 12 કલાક સુધી આ ઘટનાને ધ્યાનમાં લીધી નહીં અને રાત્રે 9 વાગે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધી. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શુભદા શિતોલે પર આરોપ છે કે POCSO (જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ) કેસ હોવા છતાં કેસ લેવામાં વિલંબ કર્યો હતો. જેના પગલે ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે. 20 ઑગસ્ટે વરિષ્ઠ પોલીસ નિરીક્ષક, સહાયક સબ-ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

    - Advertisement -

    સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અને ફરિયાદ નોંધાયા બાદ આરોપી અક્ષયની પોલીસે ધરપકડ કરી લીધી હતી. એક પુરુષ સફાઈકર્મીને બાળાઓ સાથે શૌચાલયમાં જવાની પરવાનગી આપવા બદલ શાળાના સંચાલકો પર પણ પ્રશ્ન ઉઠ્યા હતા. આ મામલે શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક અને 2 મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાના સમાચાર છે. મહત્વની બાબત એ છે કે સમગ્ર શાળામાં લગાવેલ સીસીટીવી કેમેરા કામ કરી રહ્યા નહોતા. આ મામલે મહારાષ્ટ્ર સરકારના શિક્ષણમંત્રી દીપક કેસરકરે ટકોર કરતાં કહ્યું કે, ખાનગી શાળાઓમાં કેમેરા લગાવવા અને તેની જાળવણી કરવી બંને શાળાની જવાબદારી છે. જ્યારે આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે તે સીસીટીવીના માધ્યમથી બહાર આવી શકે છે.

    ઘટનાના વિરોધમાં પ્રદર્શન

    સમગ્ર ઘટના સામે આવ્યા બાદ વાલીઓ અને લોકો રોષે ભરાયા હતા. વિરોધના પગલે 20 ઑગસ્ટે (મંગળવાર) બદલાપુર વિસ્તારમાં દુકાનો અને અન્ય વ્યવસાયો બંધ રહ્યા હતા. શાળાઓ પણ બંધ કરાવવામાં આવી હતી. અગ્રણી સ્થાનિક રાજકારણીઓ અને તેમના સમર્થકો સાથે વિરોધમાં જોડાયા હતા. બીજી તરફ, બદલાપુર રેલ્વે સ્ટેશન પર પણ હજારોની ભીડ પ્રદર્શન કરવા ઉમટી પડી હતી. બદલાપુર બંધ દરમિયાન લગભગ ત્રણ કલાક સુધી રેલવે ટ્રેક બ્લૉક કરવામાં આવ્યો હતો. જોકે, પછીથી પોલીસે હળવો લાઠીચાર્જ કરીને પ્રદર્શનકારીઓને ટ્રેક પરથી હટાવ્યા હતા. દરમ્યાન, ક્યાંક પથ્થરમારાની પણ ઘટના બની. જોકે, પછીથી પોલીસે તુરંત સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. પ્રદર્શન દરમિયાન પોલીસે લગભગ 300 લોકો સામે કેસ નોંધ્યો હતો અને 28ની ધરપકડ કરી હતી.

    CMO સક્રિય, CM શિંદેના કડક તપાસના આદેશ  

    પરિસ્થિતિને જોતાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઘટનાની તપાસ કરવા માટે વરિષ્ઠ IPS અધિકારી આરતી સિંહના નેતૃત્વમાં SITની રચના કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ સક્રિય થયા છે. તેમણે આ મામલામાં કડક તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે જો શાળા સંચાલકોની ખામી હશે તો તેમને સામે પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. CM શિંદેએ કહ્યું કે, “મેં થાણે પોલીસ કમિશનર સાથે વાત કરી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મેં કેસમાં ઝડપી કાર્યવાહી કરવા માટે અને આરોપી પર રેપના પ્રયાસની તેમજ પોક્સોની કલમો લગાવવા માટે સૂચના આપી છે.” CMOએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ શાળાઓમાં ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને તે માટે અમુક પગલાં લેવા માટે પણ જરૂરી સૂચનાઓ આપી છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં