Saturday, September 21, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતમાં વરસાદી આફત વચ્ચે તંત્ર ખડે પગે: 45 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રો પર...

    ગુજરાતમાં વરસાદી આફત વચ્ચે તંત્ર ખડે પગે: 45 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રો પર ખસેડાઇ, મંત્રી ધરાશાયી વૃક્ષને કાપતા દેખાયા, 11 લોકોના હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ

    જામનગરના લાલપુર તાલુકાના નવાગામ વિસ્તારમાં 11 લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે એરફોર્સના હેલિકોપ્ટરના માધ્યમથી તેમનું સફળ રેસક્યું કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    પાછલા 2 દિવસથી વરસાદ ગુજરાતને (Gujarat) ધમરોળી રહ્યો છે, ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ તંત્ર ખડે પગે બચાવ કામગીરી (Rescue) કરી રહ્યું છે. ગુજરાતમાં અલગ જિલ્લાઓમાં બચાવ કામગીરી ચાલી રહી છે. પૂરમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટરના (Helicopter) માધ્યમથી રેસક્યુ કરવામાં આવી રહ્યું છે, તો સગર્ભા મહિલાઓને સાવચેતીના પગલે અગાઉથી જ આરોગ્ય કેન્દ્રમાં ખસેડી લેવામાં આવી હતી.

    સમગ્ર ગુજરાતમાં પાછલા 2 દિવસથી અતિભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. બારે મેઘ ખાંગા થયા હોય એવી પરિસ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે. હજી આગામી 36 કલાક માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે તંત્ર પૂરજોશમાં ખડેપગે રહી પૂરમાં ફસાયેલા લોકોની બચાવ કામગીરી કરી રહ્યું છે. અતિભારે વરસાદ વચ્ચે પણ ફસાયેલા લોકોના રેસક્યુ કરવામાં આવી રહ્યા છે.

    વડોદરા જિલ્લાની 45 સગર્ભા મહિલાઓને સાવચેતીના પગલે આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડી લાવવામાં આવ્યા હતા. પ્રસૂતિ દરમિયાન મહિલાઓને કોઈ અગવડ ન પડે અને પૂરની પરિસ્થિતિના કારણે હોસ્પિટલ પહોંચવામાં કોઈ મુશ્કેલી ન ઊભી થાય તેનું ધ્યાન રાખીને આ નિણર્ય લેવામાં આવ્યો હતો. વરસાદી વાતાવરણમાં પ્રસૂતિ દરમિયાન મહિલાઓને તકલીફ ન પડે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ઉપરાંત વડોદરા જિલ્લાના જ ડેસર તાલુકાના એક વ્યક્તિ છેલ્લા 30 કલાકથી મહીસાગર નદીના પટમાં ફસાયેલા હતા. 27 ઓગસ્ટે તેમનું હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ કરવામાં આવ્યું હતું. એરફોર્સનું વિશેષ હેલિકોપ્ટર તે વ્યક્તિને બચાવવા પહોંચ્યું હતું. તે વયક્તિનું સફળ રેસક્યુ કરી આરોગ્યની તપાસ માટે તેમને વડોદરાની એરફોર્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

    મહીસાગર ખાતે વરસાદના કારણે કારણે વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું, ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પોતે રસ્તા પર ઉતર્યા હતા. તેઓ વૃક્ષને કાપી રસ્તા પરથી ખસેડતા દેખાયા હતા. કરજણા ખાતે વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થઈ ગયો હતો. ત્યારે મંત્રી પોતાની ગાડીમાંથી ઉતરી વૃક્ષ કાપી અવર-જવર માટે રસ્તો ખુલ્લો કરી આપતા જોવા મળ્યા હતા.

    જામનગરના લાલપુર તાલુકાના નવાગામ વિસ્તારમાં 11 લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે એરફોર્સના હેલિકોપ્ટરના માધ્યમથી તેમનું સફળ રેસક્યું કરવામાં આવ્યું હતું. આ મામલે જામનગર કલેક્ટરએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી માહિતી આપી હતી.

    અરવલ્લી જિલ્લામાં પણ વહીવટી તંત્ર સતત કાર્યરત જોવા મળ્યું હતું. ભારે વરસાદના કારણે મોડાસા-મેઘરજ માર્ગે ઝાડ ધરાશાયી થયું હતું. પરિણામે અવર-જવરનો રસ્તો બંધ થઈ ગયો હતો. આ બાદ તંત્રએ તરત હરકતમાં આવી વૃક્ષને હટાવી રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી 36 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં