Friday, September 20, 2024
More
    હોમપેજદેશજે ED, NIAને ગાળો દેતી ફરે છે વિપક્ષી ગેંગ, તેમના કામને આંતરરાષ્ટ્રીય...

    જે ED, NIAને ગાળો દેતી ફરે છે વિપક્ષી ગેંગ, તેમના કામને આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વખાણ્યું: FATFએ કહ્યું- ભારત સામે વામપંથી-ઇસ્લામી આતંકવાદનું જોખમ, પણ સરકારનું કામ અસરકારક

    રિપોર્ટમાં મની લોન્ડરિંગ અને ટેરર ફાયનાન્સિંગ સામે લડવા માટે ભારત સરકારે લીધેલાં પગલાંની પણ પ્રશંસા કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે, ફાયન્સિયલ ક્રાઇમ પર લગામ લગાવવા માટે અત્યાવશ્યક 40 કડક મૂલ્યાંકન માપદંડોમાંથી ભારત 37 જેટલાં પેરામીટર અસરકારક રીતે લાગુ કરી રહ્યું છે.

    - Advertisement -

    મની લોન્ડરિંગ અને ટેરર ફાયનાન્સિંગ સામે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ’ (FATF) દ્વારા તાજેતરમાં જ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ભારતને સૌથી વધુ જોખમ વામપંથી ઉગ્રવાદ અને ઇસ્લામિક આતંકવાદથી છે અને આ સમૂહો ભારતની સરકારને ઉથલાવવાના પ્રયાસમાં લાગેલાં છે. જોકે, સાથે એમ પણ જણાવ્યું કે, ભારત સરકાર મની લોન્ડરિંગ પર લગામ લગાવવા માટે પ્રશંસનીય પ્રયાસો કરી રહી છે. 

    19 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, “ભારત સામે હાલ વિભિન્ન પ્રકારનાં આતંકવાદી જોખમો છે, જેને છ જુદી-જુદી રીતે વિભાજિત કરી શકાય તેમ છે. જેમાં જમ્મુ-કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં સક્રિય ISIL અને અલ-કાયદા સંબંધિત આતંકવાદી જૂથો તેમજ પ્રદેશમાં સક્રિય ભાગલાવાદી ચળવળો પણ સામેલ છે. ઉપરાંત, ISIL અને અલકાયદા સેલ અને તેની સાથે સંકળાયેલા લોકો તેમજ તેમનાથી પ્રભાવિત થઈને કટ્ટરપંથી બની ગયેલા લોકો તેમજ ઉત્તરપૂર્વમાં પ્રાદેશિક ઉગ્રવાદીઓ તથા સરકાર ઉથલાવવા માટે કામ કરતાં ડાબેરી ઉગ્રવાદી જૂથો પણ દેશ માટે એક મોટું જોખમ છે.”

    40માંથી 37 પેરામીટર પર સરકારનું કામ અસરકારક

    આ સાથે રિપોર્ટમાં મની લોન્ડરિંગ અને ટેરર ફાયનાન્સિંગ સામે લડવા માટે ભારત સરકારે લીધેલાં પગલાંની પણ પ્રશંસા કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે, ફાયન્સિયલ ક્રાઇમ પર લગામ લગાવવા માટે અત્યાવશ્યક 40 કડક મૂલ્યાંકન માપદંડોમાંથી ભારત 37 જેટલાં પેરામીટર અસરકારક રીતે લાગુ કરી રહ્યું છે. હવે બાકીનાં ત્રણમાં પણ આગળ વધવામાં આવે તો વધુ અસર જોવા મળશે. 

    - Advertisement -

    રિપોર્ટ કહે છે કે, “ભારત સરકારે ‘એન્ટી મની લોન્ડરિંગ/કાઉન્ટર ટેરરિસ્ટ ફાયનાન્સિંગ સિસ્ટમ’ લાગુ કરી છે અને તે અનેક રીતે અસરકારક દેખાય છે. ખાસ કરીને મની લોન્ડરિંગ અને ટેરર ફાયનાન્સ રિસ્ક અન્ડરસ્ટેન્ડિંગ, નેશનલ કૉ-ઑર્ડિનેશન, મની લોન્ડરિંગ માટે ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ, કાયદાકીય માળખાના દુરુપયોગને અટકાવવો, આંતરરાષ્ટ્રીય સહકાર વગેરેમાં અસરકારક પરિણામો જોવા મળ્યાં છે.” 

    વાસ્તવમાં FATF દ્વારા 6થી 24 નવેમ્બર, 2023 દરમિયાન ભારતમાં ઓનસાઇટ વિઝિટ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળેલી બાબતો પરથી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે, નવેમ્બરમાં મુલાકાત થઈ હોવાના કારણે ભારતીય ન્યાય સંહિતા લાગુ થયા બાદ આ દિશામાં અતિરિક્ત પગલાં લેવામાં આવ્યાં છે, તેનો રિપોર્ટમાં ઉલ્લેખ થઈ શક્યો નથી. 

    સંસ્થાએ જણાવ્યું કે, ઓનસાઇટ વિઝિટનાં બે-ત્રણ વર્ષ અગાઉના સમયગાળામાં ભારતમાં ટેરર ફન્ડિંગ અને મની લોન્ડરિંગને રોકવાની દિશામાં ઘણાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયાં છે. જ્યારે અમુક પહેલોની અસર હવે દેખાવા માંડી છે. જ્યારે અમુક બાબતો એવી છે કે જે તાજેતરમાં જ લાગુ કરવામાં આવી છે અને તેની અસર દેખાવા માટે હજુ થોડો સમય જોઈશે. 

    FATFએ એમ પણ જણાવ્યું હતું કે, મની લોન્ડરિંગ પર લગામ લગાવવા માટે સંસ્થાએ જે માનકો તૈયાર કર્યાં છે તેને ભારત સંપૂર્ણપણે લાગુ કરી રહ્યું છે. જ્યારે NPOની સુરક્ષા માટે રિસ્ક-બેઝ્ડ મેઝાર્ડ, ડોમેસ્ટિક PEPs પર જરૂરી કાર્યવાહી અને DNFBPs પર સુપરવિઝન જેવી અમુક બાબતોમાં થોડા સુધારાની જરૂર છે. 

    એજન્સીઓનું કામ પણ અસરકારક 

    રિપોર્ટ કહે છે કે, ભારતીય એજન્સીઓને પોતાની સામેના વર્તમાન અને ભવિષ્યમાં ઊભાં થનારાં ટેરર ફાયનાન્સિંગનાં જોખમોનો પૂરેપૂરો ખ્યાલ છે અને તેમની તપાસ પણ આ જ દિશામાં યોગ્ય રીતે ચાલી રહી છે. આ સાથે ED અને NIA જેવી એજન્સીઓનાં કામની પણ પ્રશંસા કરવામાં આવી અને કેસ સ્ટડીના આધારે જણાવવામાં આવ્યું કે, આ એજન્સીઓ જટિલમાં જટિલ નાણાકીય ગેરરીતિના કેસની પણ અસરકારક તપાસ કરીને મની ટ્રેઇલ શોધી નાખવામાં સફળ રહી છે, જેના કારણે આતંકવાદી ગતિવિધિઓ અને તેની તપાસમાં મહદઅંશે સફળતા મળી છે. 

    ઉલ્લેખનીય છે કે એક તરફ ભારતમાં વિપક્ષી નેતાઓ કાયમ ED, NIA જેવી એજન્સીઓને ભાંડીને મત ઉઘરાવતા હોય છે, પણ બીજી તરફ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ એજન્સીઓનાં કામને વખાણી રહી છે. 

    શું છે FATF?

    FATF એ મની લોન્ડરિંગ અને ટેરર ફાયનાન્સિંગ વૉચડૉગ છે, જેની સ્થાપના 1989માં કરવામાં આવી હતી. આ સંસ્થા નાણાકીય ગુનાઓ પર લગામ લગાવવા માટેની સુપ્રીમ સ્ટાન્ડર્ડ મેકિંગ બોડી છે, જેનું તેના સભ્ય રાષ્ટ્રોએ પાલન કરવું પડે છે. કુલ 38 દેશો અને બે રિજનલ બોડી (યુરોપિયન યુનિયન અને ગલ્ફ કાઉન્સિલ) તેના સભ્યો છે. જ્યારે અન્ય દેશો નવ એસોસિએટ મેમ્બર ગ્રુપ થકી તેના સભ્યો બન્યા છે. વર્લ્ડ બેન્ક અને UN જેવી સંસ્થાઓ પણ ઓબ્ઝર્વર તરીકે તેની સાથે કામ કરે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં