Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશRG કર હોસ્પિટલ કેસમાં હવે EDની એન્ટ્રી, પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નિવાસસ્થાને...

    RG કર હોસ્પિટલ કેસમાં હવે EDની એન્ટ્રી, પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નિવાસસ્થાને એજન્સીના દરોડા: નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મામલે તપાસ

    RG કર હોસ્પિટલમાં થતા ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિનો પણ કેસ સામે આવ્યો હતો. હોસ્પિટલના પૂર્વ ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટે અરજી કરીને બાયો મેડિકલ વેસ્ટ અને મેડિકલ ઉપકરણોની તસ્કરી અને નાણાકીય ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા, જેમાં સંદીપ ઘોષની પણ સંડોવણી જણાવવામાં આવી હતી.

    - Advertisement -

    કોલકાતાની RG કર હૉસ્પિટલમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તપાસ કેન્દ્રીય એજન્સી CBI કરી રહી છે ત્યારે કેસમાં હવે EDની એન્ટ્રી થઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શુક્રવારે (6 સપ્ટેમ્બર) સવારે RG  કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત, તેમના અમુક નજીકના માણસોના ઘરે પણ કાર્યવાહી થઈ હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે વહેલી સવારે EDની ટીમ બેલીઘાટ સ્થિત ઘોષના નિવાસસ્થાને પહોંચી હતી. જ્યારે હાવડા અને સુભાષગ્રામ ખાતે પણ દરોડા પાડવામાં આવ્યા. જેમની વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે, તે તમામ હાલ CBIની કસ્ટડીમાં છે. નોંધવું જોઈએ કે EDએ પણ RG કર હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર મામલે સંદીપ ઘોષ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) દાખલ કર્યો છે, જે પોલીસ FIR દાખલ કરે તે પ્રકારની કાર્યવાહી હોય છે. 

    કેસની વાત કરવામાં આવે તો ગત 9 ઑગસ્ટના રોજ કોલકાતાની જાણીતી RG કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એક ટ્રેની ડોક્ટર સાથે પહેલાં રેપ થયા બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. બીજા દિવસે સવારે સેમિનાર હોલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પછીથી હોસ્પિટલ પ્રશાસન અને કોલકાતા પોલીસ પર અનેક સવાલો સર્જાયા હતા. સુપ્રીમ કોર્ટે પણ પોલીસને મોડી FIR દાખલ કરવા મામલે ફટકાર લગાવી હતી. 

    - Advertisement -

    બીજી તરફ, કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પણ સવાલોના ઘેરામાં આવી ગયા હતા. CBIએ આ કેસમાં કલાકો સુધી તેમની પૂછપરછ કરી તો સાથે પોલિગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં એક મુખ્ય આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જે રેપનો આરોપી છે. 

    આ કેસ સામે આવ્યા બાદ RG કર હોસ્પિટલમાં થતા ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિનો પણ કેસ સામે આવ્યો હતો. હોસ્પિટલના પૂર્વ ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટે અરજી કરીને બાયો મેડિકલ વેસ્ટ અને મેડિકલ ઉપકરણોની તસ્કરી અને નાણાકીય ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા, જેમાં સંદીપ ઘોષની પણ સંડોવણી જણાવવામાં આવી હતી. જે મામલે પછીથી કલકત્તા હાઈકોર્ટે તપાસ CBIને સોંપી દીધી હતી. આ કેસમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ભ્રષ્ટાચારને ડોક્ટરના મૃત્યુ સાથે પણ કનેક્શન હોય શકે છે. 

    ભ્રષ્ટાચારના કેસની તપાસ CBIને સોંપવામાં આવ્યા બાદ એજન્સીએ સંદીપ ઘોષ અને તેમના અમુક સાથીદારોની ધરપકડ કરી લીધી હતી, જેઓ હાલ કસ્ટડીમાં છે. બીજી તરફ, સંદીપ ઘોષે ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જેની ઉપર સુનાવણી હવે પછી થશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં