ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના (FEMA) ઉલ્લંઘનના આરોપસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) BBC વર્લ્ડ સર્વિસ ઇન્ડિયાને (BBC WS India) ₹3.44 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, EDએ કંપનીના ત્રણ ડાયરેકટરો – જાઇન્સ એન્ટની હંટ, ઇન્દુ શેખર સિન્હા અને પોલ માઈકલ ગિબન્સને પણ ₹1.14 કરોડથી વધુનો વ્યક્તિગત દંડ ફટકાર્યો છે. 2023ના FEMA ઉલ્લંઘનના આરોપ મામલે એજન્સીએ આ કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી અનુસાર, BBC WS India દ્વારા 26% વિદેશી રોકાણ મર્યાદાનું (FDI) પાલન ન કરવાને લઈને EDએ આ કાર્યવાહી હાથ ધરી છે. કંપનીએ 15 ઑક્ટોબર, 2021 બાદ નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી દરરોજ ₹5000નો વધારાનો દંડ પણ ચૂકવવાનો રહેશે. BBCના પ્રવક્તા અને સરકારી અધિકારીઓએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે અને કંપનીને કરોડોનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
શું છે કેસ?
4 ઓગસ્ટ, 2023ના રોજ, EDએ FEMA ઉલ્લંઘનને લઈને BBC WS India અને તેના ડાયરેકટરોને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, 100% વિદેશી રોકાણ ધરાવતી આ કંપની ડિજિટલ મીડિયા પર સમાચાર અને વર્તમાન બાબતોનું પ્રસારણ કરવાનું ચાલુ રાખી રહી હતી, જ્યારે સરકાર દ્વારા નિર્ધારિત 26% FDI મર્યાદાને માનવામાં આવી નહોતી. આ મર્યાદા સપ્ટેમ્બર 2019માં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા જારી કરાયેલ પ્રેસ નોટ 4 હેઠળ લાગુ કરવામાં આવી હતી.
ફેબ્રુઆરી 2023માં આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા સરવે પછી પ્રકાશમાં આવેલી વિસંગતતાઓના આધારે EDએ એપ્રિલ 2023માં BBC WS India સામે તપાસ શરૂ કરી હતી. આ સરવેમાં BBCના વિવિધ એકમો દ્વારા જાહેર કરાયેલી આવક અને ભારતમાં તેમના વાસ્તવિક સંચાલન વચ્ચે તફાવત જોવા મળ્યો હતો, જેનાથી કરચોરીની શંકા ઉભી થઈ હતી.
આ મામલે BBCના પ્રવક્તાએ જણાવ્યું છે કે , BBC દરેક દેશના નિયમોનું પાલન કરે છે, જ્યાં તે કામ કરે છે, તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે, બીબીસી વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા કે તેના ડાયરેક્ટરોને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી કોઈ આદેશ મળ્યો નથી. પ્રવક્તાએ જણાવ્યું કે, “જ્યારે પણ અમને કોઈ આદેશ મળશે, ત્યારે અમે તેની કાળજીપૂર્વક સમીક્ષા કરીશું અને આગળ શું પગલાં લેવા જોઈએ તે અંગે વિચારણા કરીશું.”
નોંધવા જેવું છે કે, 17 જાન્યુઆરી, 2023ના રોજ બ્રિટિશ બ્રૉડકાસ્ટ દ્વારા 2002ના ગુજરાત રમખાણો પર ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ નામની એક ડોક્યુમેન્ટ્રી રિલીઝ કર્યા બાદ આવકવેરા વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. 20 જાન્યુઆરીના રોજ કેન્દ્રએ યુ-ટ્યુબ અને ટ્વિટરને આ ડોક્યુમેન્ટ્રી લિંક્સને દૂર કરવા માટેનો આદેશ આપ્યો હતો. અધિકારીઓએ કહ્યું હતું કે, “તે ભારતની સંપ્રભુતા અને અખંડિતતાને નબળી પાડે છે.”