Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસનાં આદિવાસી ગઢમાં ગાબડું: 1500 કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે દિગ્ગજ કોંગ્રેસ નેતાના પુત્ર...

    કોંગ્રેસનાં આદિવાસી ગઢમાં ગાબડું: 1500 કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે દિગ્ગજ કોંગ્રેસ નેતાના પુત્ર કેવલ જોશીયારા ભાજપમાં જોડાયા

    ઘણા સમયથી જાહેર હતું કે આજે કેવલ જોશીયારા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. આથી કોંગ્રેસે પણ છેલ્લી ઘડી સુધી એમને મનાવવાના પ્રયત્ન કર્યા હતા.

    - Advertisement -

    કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને MLA સ્વ. અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. અરવલ્લીના ભિલોડામાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં 1500 કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે કેવલે કર્યો કેસરીયો કર્યો છે.

    ગુજરાતનાં આદિવાસી બેલ્ટની બે બેઠકો ખેડબ્રહ્મા અને ભિલોડાને કબ્જે કરવા ભાજપે આ રણનીતિ ઘડેલી હોય એમ જણાય છે. આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે અને પૂર્વ ધારાસભ્ય સ્વ. અનિલ જોશીયારાનું આ વિસ્તારમાં ખૂબ પ્રભુત્વ હતું. હવે જ્યારે અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે ભાજપ આ વિસ્તારમાં કઈક નવું કરે તેવી પૂરી સંભાવના છે.

    કેવલ જોશીયારાએ ભાજપનો ખેસ ઓઢીને પોતાનું નિવેદન પણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, “આદિજાતિ સમાજમાંથી આવતા મારા પિતા સર્જન હતા. લોકોની સેવા કરી અને ધારાસભ્ય બન્યા હતા. મંત્રી બનીને પણ લોકોની સેવા કરી. હું મારા પિતાના માર્ગે ચાલીને લોકોની સેવા કરીશ. ભાજપમાં જોડાઈને મેઘરજ, ભિલોડાની જનતાની સેવા કરીશ. મારા પિતાનું સ્વપ્ન ચોક્કસ પૂરું કરીશ. પક્ષના આગેવાનો, વડીલોને અપીલ છે કે દુધમાં સાકાર ભળે તે રીતે પક્ષમાં ભળી જઈશ.”

    - Advertisement -

    નોંધનીય છે કે, કેવલ જોશીયારા સહિત 1,500 કાર્યકરોને આવકારવા માટે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ભિલોડા પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે રાજ્ય સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ, નરેશ પટેલ, કુબેર ડીંડોર, સાંસદ દીપસિંહ રાઠોડ, મહામંત્રી રજનીભાઈ પટેલ હાજર રહ્યા હતા. ઉપરાંત અશ્વિન કોટવાલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

    અહી ઉલ્લેખનીય છે કે, ભીલોડા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને અનિલ જોષીયારા ભિલોડાથી સતત 5 ટર્મથી જીતતા આવ્યા હતા. જોકે હવે તેમના નિધન બાદ આ બેઠક પોતાના ખાતામાં લાવવા માટે ભાજપ તેજ પ્રયાસો કરી રહ્યું છે. જેણા અનુસંધાનમાં તેમના દીકરા કેવલ જોશીયારાને પોતાની પાર્ટીમાં જોડી રહ્યું હતું. આજે કેવલ જોશીયારા સાથે કોંગ્રેસના પૂર્વ પંચાયત હોદ્દેદારો સહિત 1500 કાર્યકરોએ પણ કેસરિયો ધારણ કર્યો છે. ભાજપમાં જોડવાનો આ કાર્યક્રમ ભિલોડાની આર.જી.બારોટ કૉલેજના કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો.

    કોંગ્રેસે છેલ્લી ઘડીએ કેવલ જોશીયારા સાથે વાતચીત કરી

    ઘણા સમયથી જાહેર હતું કે આજે કેવલ જોશીયારા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડવાના છે. આથી કોંગ્રેસે પણ છેલ્લી ઘડી સુધી એમને મનાવવાના પ્રયત્ન કર્યા હતા.

    મળતી માહિતી મુજબ, ભાજપમાં જોડાતા પહેલા સોમવારે રાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા કેવલ જોશીયારાનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “તમે ભાજપમાં ન જોડાશો. કોંગ્રેસ તમને સન્માન આપશે.” પરંતુ કેવલે એમને નકારી કાઢ્યા હતા.

    કેવલ જોશીયારા મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, “મારો નિર્ણય સ્વતંત્ર છે, હું પહેલાથી ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોઇ રહ્યો છું. પછી તે ભિલોડા હોય, ગુજરાત હોય કે દેશ હોય નરેન્દ્ર મોદીનો વિકાસ જોઇને મને પણ એમ લાગ્યું કે, મારે પણ તે પક્ષમાં જોડાવવું જોઇએ. જ્યાર સુધી પિતા હતા ત્યાં સુધી હું તેમની સાથે સેવાના કાર્યો કરી રહ્યો હતો. પરંતુ ભાજપમાં જોડાઇને કામ કરવાનો નિર્ણય મારો પોતાનો છે.”

    આમ હવે દેશભરની જેમ ગુજરાતમાં પણ કોંગ્રેસનાં નેતાઓના રાજીનામાઓ આવવાની ઘટનાઓ થોભી નથી રહી. હમણાં હમણાં જ ઘણા દિગ્ગજ કોંગ્રેસ નેતાઓ કોંગ્રેસ છોડી ચૂક્યા છે. તેમનું માનવું હોય છે કે કોંગ્રેસ કરતાં એમને ભાજપમાં કામ કરવાની તક વધુ મળે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં