તાજેતરમાં કેન્દ્ર સરકારે નવો વક્ફ સંશોધન અધિનિયમ 2025 (Waqf Amendment Act 2025) લાગુ કર્યા બાદ તેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ થઈ હતી, જેની ઉપર કોર્ટ સુનાવણી કરી રહી છે. આ મામલે કેન્દ્ર સરકારે (Central Government) કાયદાની બંધારણીય વૈધતાને પડકારતી અરજીઓને ફગાવી દેવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પ્રાથમિક એફિડેવિટ દાખલ કર્યું છે. સરકારે દલીલ કરી છે કે આ કાયદો સંસદની કાયદેસરની સત્તાનો ઉપયોગ કરીને ઘડવામાં આવ્યો છે અને તે ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોને અસર કરતો નથી.
સરકારે એફિડેવિટમાં જણાવ્યું છે કે ‘વક્ફ-બાય-યુઝર’ની વ્યવસ્થાને રદ્દ કરવાથી મુસ્લિમ સમુદાયની વક્ફ સંપત્તિ બનાવવાની ક્ષમતા પર કોઈ અસર પડતી નથી. સરકારે આ મુદ્દે ‘જાણીજોઈને અને ઇરાદાપૂર્વક ભ્રામક નેરેટિવ’ ઊભો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રએ ભારપૂર્વક જણાવ્યું છે કે વક્ફ અધિનિયમમાં સંશોધન કરવું એ સંસદની સત્તાનો ભાગ છે, અને આ કાયદો કાયદાકીય રીતે માન્ય છે.
ધાર્મિક સ્વતંત્રતા પર કોઈ આંચ નહીં આવે તેમ કહીને સરકારે દલીલ કરી છે કે આ સંશોધનો બંધારણની કલમ 25 અને 26 હેઠળના ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા નથી. આ સંશોધનોનો ઉદ્દેશ વક્ફ સંપત્તિઓનું વહીવટ અને સંરક્ષણ વધુ પારદર્શી અને કાર્યક્ષમ બનાવવાનો છે. સરકારે જણાવ્યું છે કે આ અધિનિયમને પડકારતી અરજીઓ ખોટા અને અસ્પષ્ટ આધારો પર આગળ વધી રહી છે, જેમાં એવો આક્ષેપ કરવામાં આવે છે કે આ સંશોધનો ધાર્મિક સ્વતંત્રતાને નુકસાન પહોંચાડે છે.
એફિડેવિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વક્ફ અધિનિયમની કલમ 40ને હટાવવામાં આવી છે, જેના કારણે વક્ફ બોર્ડ હવે માત્ર દાવા દ્વારા કોઈ સંપત્તિ પર અધિકાર જમાવી શકશે નહીં. આનો હેતુ વક્ફ બોર્ડની સત્તાને મર્યાદિત કરી, દુરુપયોગ અટકાવવાનો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે આ અધિનિયમની કોઈપણ જોગવાઈઓ પર સ્ટે આપવામાં ન આવે, કારણ કે આ કાયદો કાયદાકીય રીતે સ્થાપિત અને બંધારણીય રીતે માન્ય છે. સરકારે એમ પણ જણાવ્યું છે કે આ સંશોધનો વક્ફ સંપત્તિઓના યોગ્ય વ્યવસ્થાપન અને દુરુપયોગ રોકવા માટે જરૂરી હતા.
શું છે સમગ્ર મામલો
વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025ને 8 એપ્રિલ 2025ના રોજ સત્તાવાર રીતે લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદામાં કરવામાં આવેલાં સંશોધનોનો ઉદ્દેશ વક્ફ સંપત્તિઓના વહીવટમાં પારદર્શિતા લાવવાનો અને તેના સંરક્ષણને મજબૂત કરવાનો છે. આ કાયદો લાગુ થયા બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, જે મામલે કોર્ટ હાલ સુનાવણી કરી રહી છે.