Thursday, September 19, 2024
More
    હોમપેજદેશ'ગણેશોત્સવ દરમિયાન હાનિકારક હોય તો ઈદ પર પણ લાઉડસ્પીકર હાનિકારક જ હોય':...

    ‘ગણેશોત્સવ દરમિયાન હાનિકારક હોય તો ઈદ પર પણ લાઉડસ્પીકર હાનિકારક જ હોય’: બૉમ્બે હાઈકોર્ટે કહ્યું- ધ્વનિ પ્રદૂષણને લગતો આદેશ તમામ તહેવારો પર લાગુ

    અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે તેઓ નાગરિક સંસ્થાઓ અને પોલીસને નિર્દેશો જારી કરે જેથી પોલીસ આવી હાઈ-ડેસિબલ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનું બંધ કરે.

    - Advertisement -

    ગણેશ ઉત્સવ અને ઈદ-એ-મિલાદના તહેવારો તાજેતરમાં જ સમાપ્ત થયા. દરમ્યાન, આ મામલે 18 સપ્ટેમ્બરે (બુધવાર) બૉમ્બે હાઈકોર્ટે અગત્યનું અવલોકન કરતાં કહ્યું કે, જો ગણેશ ઉત્સવ દરમિયાન અનુમતિપાત્ર અવાજ મર્યાદાથી વધુ લાઉડસ્પીકર અને સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ હાનિકારક હોય તો તે ઈદ-એ-મિલાદ-ઉન-નબીના જુલૂસ દરમિયાન પણ નુકસાનકારક જ હશે અને કોર્ટના આદેશ કોઈ પણ ધર્મ-મઝહબના તહેવાર પર લાગુ પડશે.

    ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની બે જજની ડિવિઝન બેન્ચે જાહેર હિતની અરજીઓ (PILs)ની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. PILમાં અરજદારોએ ઈદ-એ-મિલાદ-ઉન-નબીનાન સરઘસો દરમિયાન ‘ડીજે’, ‘ડાન્સ’ અને ‘લેસર લાઈટ્સ’ના ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરી હતી. અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે તેઓ નાગરિક સંસ્થાઓ અને પોલીસને નિર્દેશો જારી કરે જેથી પોલીસ આવી હાઈ-ડેસિબલ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનું બંધ કરે. અરજદારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉજવણી માટે ડીજે સિસ્ટમ અને લેસર લાઇટનો ઉપયોગ ના કુરાન સૂચવે છે કે ના હદીસ.

    સુનાવણી દરમિયાન બૉમ્બે હાઈકોર્ટે ગણેશોત્સવ અગાઉ ગયા મહિને પસાર કરેલા તેના અગાઉના આદેશને ટાંક્યો હતો. કોર્ટના અગાઉના આદેશમાં બેન્ચે તહેવારો દરમિયાન અનુમતિપાત્ર મર્યાદાથી વધારે અવાજ કરનારાં લાઉડસ્પીકર અને સાઉન્ડ સિસ્ટમ્સના ઉપયોગ પર પ્રતિબંધ પર ભાર મૂક્યો હતો. નોંધવું જોઈએ કે આ અનુમતિપાત્ર મર્યાદા અવાજ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમ, 2000 હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવી છે.

    - Advertisement -

    અરજદારો પક્ષે વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ અગાઉના આદેશમાં ઈદનો પણ ઉમેરો કરે. પરંતુ ખંડપીઠે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે તેની બિલકુલ જરૂર નથી, કારણકે આદેશમાં ‘જાહેર તહેવારો’નો ઉલ્લેખ છે. અરજીઓને નકારતાં કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જો તે ગણેશ ચતુર્થી માટે હાનિકારક હોય તો તે ઈદ માટે પણ નુકસાનકારક જ છે.”

    દરમિયાન, લેઝર લાઇટના ઉપયોગ અને તેના નુકસાન અંગે બે જજની બેન્ચે અરજદારોને તેમના નિવેદનને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવા માટે કહ્યું હતું. આવી લાઇટો માનવો પર હાનિકારક અસર કરે છે તે નક્કી કરવા કોર્ટે ‘રિસર્ચ વર્ક’ની માંગ કરી હતી. યોગ્ય સંશોધનનો અભાવ દર્શાવતી અરજીઓ ટીકા કરતાં કોર્ટે ટિપ્પણી કરી હતી કે આવી અરજીઓ દાખલ કરતાં પહેલાં અરજદારોએ યોગ્ય સંશોધન કરવું જોઈએ. બેન્ચે કહ્યું, “તમે સંશોધન કેમ ન કર્યું? જ્યાં સુધી વૈજ્ઞાનિક રીતે સાબિત ન થાય કે લેઝર લાઈટ મનુષ્યોને નુકસાન પહોંચાડે છે ત્યાં સુધી અમે આવા મુદ્દે નિર્ણય કેવી રીતે લઇ શકીએ?”

    કોર્ટે કહ્યું કે, અરજીઓ એ રીતે દાખલ કરવામાં આવવી જોઈએ જેથી કોર્ટને અસરકારક નિર્દેશો આપવામાં સરળતા રહે કારણ કે કોર્ટ પાસે પણ તમામ મુદ્દાઓમાં નિપુણતા હોતી નથી. અરજદારે જાહેરહિતની અરજી દાખલ કરતાં પહેલાં સંશોધન કરવું આવશ્યક છે. અમે નિષ્ણાતો નથી. અમને લેઝરના ‘એલ’ની પણ ખબર નથી.”

    યોગાનુયોગ, 17 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં પણ આવી જ અરજીની સુનાવણી થઈ હતી.

    સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

    17 સપ્ટેમ્બર મંગળવારે, સુપ્રીમ કોર્ટે તહેવારો દરમિયાન જાહેર જગ્યાઓ, મેળાવડા અને કાર્યક્રમોમાં લાઇટ લેઝર બીમ અને લાઉડસ્પીકર્સના ઉપયોગને નિયંત્રિત કરવાના નિર્દેશોની માંગ કરતી અરજીને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. CJI ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠ પાસે આ મામલો પહોંચ્યો હતો.

    અરજદારોએ 20મી એપ્રિલના રોજના બૉમ્બે હાઈકોર્ટના આદેશને પડકારવા માટે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે ધાર્મિક સરઘસો અને અન્ય સમારંભો દરમિયાન અનુમતિપાત્ર મર્યાદાઓથી વધુ લેઝર બીમ અને સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ સામેની PIL ફગાવી દીધી હતી.

    કોર્ટે ઠેરવ્યું કે, આ મામલે અલગથી કોઈ નિર્દેશો આપવાની જરૂર નથી કારણ કે તેમાં જે-તે પીડિત વ્યક્તિએ પ્રશાસન સમક્ષ ફરિયાદ નોંધાવવી પડે છે. સાઉન્ડ સિસ્ટમ અને લાઉડસ્પીકરો પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવાના સ્થાને કોર્ટે કહ્યું હતું કે, આ મામલે જે-તે અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવવાની રહેશે જેઓ આગળ માન્યતા પ્રાપ્ત અવાજ મર્યાદાના નિયમોને આધારે યોગ્ય નિર્ણય લેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં