આમ આદમી પાર્ટીના (AAP) સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના (Delhi Assembly Elections) નામે કૌભાંડ ચાલી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે યુપી (UP) અને બિહારના (Bihar) લોકોને નકલી મતદારો (Fake Voter) ગણાવતા કહ્યું હતું કે, ભાજપ મોટાપાયે મતદાર યાદીમાં ગરબડ કરી રહી છે અને સ્થાનિક ચૂંટણી અધિકારીઓએ ભાજપ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. જ્યારે બીજી તરફ ભાજપે અરવિંદ કેજરીવાલ પર પણ વળતો પ્રહાર કર્યો છે.
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “દિલ્હીમાં ચૂંટણીના નામે કૌભાંડ થઈ રહ્યું છે. ભાજપ મોટાપાયે મતદાર યાદીમાં હેરાફેરી કરી રહ્યું છે. સ્થાનિક ચૂંટણી અધિકારીઓએ ભાજપ સમક્ષ ઘૂંટણ ટેકવી દીધા છે. હું આજે ચૂંટણી પંચને મળ્યો હતો અને ફરિયાદ કરી હતી. જો ચૂંટણી પંચ તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો દિલ્હીમાં લોકશાહીની હત્યા થઈ જશે.”
કેજરીવાલે લખ્યું હતું કે, તેમની સાથે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને સાંસદ સંજય સિંઘ ચૂંટણી કમિશ્નરને મળ્યા હતા. ત્યાં તેમણે ભાજપ વિશે ઘણી ફરિયાદો કરી હતી. તેમણે કહ્યું, “અમારા કેટલાક મુદ્દા હતા. તે પૈકી એક હતો કે, દિલ્હી વિધાનસભામાં 15 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી વચ્ચે, એટલે કે 22 દિવસમાં 5500 વોટ કાપવામાં આવી રહ્યા છે.”
લગાવ્યા મતદાર કૌભાંડના આરોપ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રમાં માત્ર એક લાખ મતદાતા છે અને તેમાંથી સાડા પાંચ લાખ મત કાપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી અધિકારીઓએ જ્યારે આ મામલે ધ્યાન આપ્યું તો ખ્યાલ આવ્યો કે, કોઈએ પણ વોટર લીસ્ટમાંથી પોતાનું નામ હટાવવાનું આવેદન નહોતું કર્યું. કેજરીવાલનું કહેવું છે કે, આ લોકોના નામે ખોટા આવેદન કરવામાં આવ્યા હતા.
અરવિંદ કેજરીવાલે નકલી મતદારો બાબતે મોટું કૌભાંડ હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, “આનો અર્થ એ છે કે, આ કૌભાંડ ખૂબ મોટાપાયે ચાલી રહ્યું છે. મોટી છેતરપિંડી ચાલી રહી છે. છેલ્લા 15 દિવસમાં નવા 13 હજાર મતદારોના નામ ઉમેરવા માટે અરજીઓ મળી છે. અચાનક આ લોકો ક્યાંથી આવ્યા? દેખીતી રીતે જ તેમને યુપી-બિહારથી લાવવામાં આવી રહ્યા છે. આ લોકો (ભાજપ) યુપી અને આસપાસના રાજ્યોમાંથી નકલી મત ઉભા કરી રહ્યા છે.”
दिल्ली में चुनाव के नाम पर स्कैम हो रहा है। बीजेपी बड़े पैमाने पर वोटर लिस्ट में हेराफेरी कर रही है। स्थानीय चुनाव अधिकारियों ने बीजेपी के सामने घुटने टेक दिए हैं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 9, 2025
आज चुनाव आयोग से मिलकर शिकायत की है। अगर चुनाव आयोग ने तुरंत कार्रवाई नहीं की तो दिल्ली में लोकतंत्र की हत्या हो… pic.twitter.com/YF6KcvRtwx
તેમણે કહ્યું હતું કે, વિધાનસભામાં 18.5 ટકા મતો અહીં-તહીં કરી દેવામાં આવે તો તેને ચૂંટણી થોડી કહેવાય, આતો એક રીતે તમાશો છે… નાટક છે. કેજરીવાલે ભાજપના નવી દિલ્હીના ઉમેદવાર પ્રવેશ વર્મા સામે પણ ચૂંટણી પંચમાં ચલણી નોટો વહેંચીને અને નોકરીઓની લાલચ આપીને મતદારોને લલચાવવાનો પ્રયાસ કરવાના દાવા કરીને ફરિયાદ કરી હતી.
ભાજપ નેતા પર લગાવ્યા આરોપ
કેજરીવાલે કહ્યું હતું કે, “પ્રવેશ વર્મા ખુલ્લેઆમ નવી દિલ્હી વિસ્તારમાં જોબ કેમ્પ લગાવી રહ્યા છે. નોંધણી કરાવી રહ્યા છે. ખુલ્લેઆમ પૈસાની વહેંચણી કરવામાં આવી રહી છે. આરોગ્ય શિબિરોમાં ચશ્માનું ખુલ્લેઆમ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે જાહેરાત કરી છે કે, 15 જાન્યુઆરીએ રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવશે. આ બધું ચૂંટણી પંચના વિવિધ નિયમો અને કાયદાઓ અનુસાર ભ્રષ્ટ કૃત્યો હેઠળ આવે છે.”
તેમણે કહ્યું કે, પ્રવેશ વર્માના ઘરે દરોડા પાડીને જાણવું જોઈએ અને તેમને ચૂંટણી લડવાથી રોકવામાં આવવા જોઈએ. એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચના અધિકારીઓ પર પણ આરોપ લગાવ્યા અને ભાજપના તથાકથિત ખોટા કામોમાં તેમનો સહયોગ આપતા હોવાનું કહ્યું. તેમણે લોકલ DO અને EROને હટાવવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે, આ અધિકારીઓમાં ભાજપને રોકવાની હિંમત નથી.
યુપી-બિહારના લોકોને નકલી મતદાર કહેવા પર ભાજપ આકરા પાણીએ
આ આખા ઘટનાક્રમ બાદ યુપી-બિહારના લોકોને ‘નકલી’ મતદાતા કહેવા બદલ ભાજપે અરવિંદ કેજરીવાલ પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “દિલ્હીમાં રહેતા યુપી-બિહારના લોકો અરવિંદ કેજરીવાલ માટે નકલી છે! પરંતુ શું રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો તેમના સંબંધીઓ છે? હવે ન જોઈએ આપ-દા”
दिल्ली में रह रहे यूपी-बिहार के लोग अरविंद केजरीवाल के लिए फर्जी! लेकिन रोहिंग्या और बांग्लादेशी घुसपैठिये इनके रिश्तेदार?
— Amit Malviya (@amitmalviya) January 10, 2025
अब नहीं चाहिए आप-दा… pic.twitter.com/YBAb518vkA
નોંધવું જોઈએ કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન મોટી સંખ્યામાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો દિલ્હીમાં આવીને વસ્યા હતા. દિલ્હી સરકાર સતત તેમને વીજળી અને પાણી જેવી મફત સુવિધાઓ આપી રહી છે, જેના માટે આપ સરકારની વ્યાપક ટીકા પણ થઈ રહી છે. આ બાંગ્લાદેશી-રોહિંગ્યાઓની ઓળખ કરવાનું અને તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનું કામ મોટાપાયે શરૂ કરવામાં આવ્યું છે.