Monday, September 30, 2024
More
    હોમપેજદેશ'અબ હર ઘર સે હિઝબુલ્લાહ નિકલેગા': નસરલ્લાહના મોત બાદ કાશ્મીરમાં મહેબૂબાએ પાળ્યો...

    ‘અબ હર ઘર સે હિઝબુલ્લાહ નિકલેગા’: નસરલ્લાહના મોત બાદ કાશ્મીરમાં મહેબૂબાએ પાળ્યો શોક, મુસ્લિમો નીકળી આવ્યા રસ્તા પર, ચેન્નાઈમાં પણ લાગ્યા ‘આતંકી’ના પોસ્ટર – યહ રિશ્તા કયા કહેલાતા હૈ?

    હકીકત એ છે કે અમેરિકા, યુરોપિયન યુનિયન, ઈઝરાયેલ સહિત કુલ 60થી પણ વધુ દેશો હિઝબુલ્લાહ સંગઠનને આતંકવાદી સંગઠન ઘોષિત કરી ચૂક્યા છે. માત્ર પોતાના પંથ કે મઝહબનો હોવાના કારણે તેની આતંકી ગતિવિધિઓ અને કરતૂતો પર આંખ આડા કાન કરી શકાય નહીં.

    - Advertisement -

    હમણાં ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહ આતંકી સંગઠનના ચીફ હસન નસરલ્લાહને ઠેકાણે પાડી દીધો. દેશભરમાં તેની ચર્ચા ચાલી અને ઈરાનના કેટલાક મુસ્લિમોએ નસરલ્લાહના મોતની ઉજવણી પણ કરી અને ઇઝરાયેલનો આભાર પણ માન્યો. બીજી તરફ ભારતમાં કેટલાક કટ્ટરપંથીઓ આતંકીના મોત પર શોક પાળી રહ્યા છે અને રેલીઓ યોજી રહ્યા છે. જોકે, હવે રઘવાયું થયેલું ઇઝરાયેલ કોઈ કાળે હમાસ અને હિઝબુલ્લાહને બક્ષે તેવું નથી દેખાઈ રહ્યું. 7 ઑક્ટોબરના રોજ હમાસે હુમલો કર્યા બાદ ઇઝરાયેલ તૂટી પડ્યું હતું. લાંબા સમયથી ચાલતા આ યુદ્ધ વચ્ચે જ હિઝબુલ્લાહને પણ જન્નતમાં જવાની ઈચ્છા થઈ ઉઠી અને ઇઝરાયેલ પર હુમલા વધારી દીધા. વારંવાર સળી કર્યા બાદ એક દિવસ ઇઝરાયેલે હમાસને બાજુ પર રાખી હિઝબુલ્લાહને પકડયું અને પરિણામ આવ્યું હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહની મોત.

    27 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયેલી સેનાએ લેબનોન પર હમણાં સુધીની સૌથી મોટી એરસ્ટ્રાઈક કરીને નસરલ્લાહને 72 હૂરો પાસે મોકલી દીધો. આ ઘટના આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની હતી. એક તરફ દુનિયાના મોટાભાગના લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા હતા અને બીજી તરફ ભારતમાં રહેલા કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો રસ્તા પર ઉતરી આવીને શોક પાળી રહ્યા હતા. તેમાં એક નામ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીનું પણ ખરું. સમાચાર સામે આવ્યા કે, તમિલનાડુના ચેન્નાઈમાં હિઝબુલ્લાહ ચીફ ‘આતંકી’ નસરલ્લાહના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત લખનૌ અને જમ્મુ-કાશ્મીરમાં આતંકી નસરલ્લાહના મોતનો શોક પાળવા માટે મુસ્લિમો રસ્તા પર ઉતરી આવીને રેલીઓ પણ કરી રહ્યા છે.

    ‘તુમને એક ચીફ કો મારા હૈ, હર ઘર સે હિઝબુલ્લાહ નિકલેગા’

    સૌથી વધુ ચર્ચાનો વિષય કાશ્મીરની રેલી રહી. અહીં મહેબૂબા મુફ્તીએ પણ આતંકીના મોત બાદ જાહેરાત કરી હતી કે, તેઓ એક દિવસ માટે ચૂંટણીને લઈને કોઈપણ પ્રકારનો પ્રચાર નહીં કરે, તેમણે એક દિવસના તમામ કેમ્પેઇન રદ કરી દીધા હતા. તેમણે જાહેરાત કરી કે, તેઓ સેંકડો કિલોમીટર દૂર ગાઝા, લેબનોન અને પેલેસ્ટાઇનના લોકો સાથે છે! ઉપરાંત કાશ્મીરમાં કેટલાક કટ્ટરપંથી મુસ્લિમોએ ‘આતંકી’ના મોત બાદ રેલી યોજીને પોતાનું ‘સન્માન વ્યક્ત’ કર્યું હતું અને ભારતીયોને ‘અરીસો’ બતાવ્યો હતો.

    - Advertisement -

    કાશ્મીરના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં એક મુસ્લિમ યુવતીનો પણ વિડીયો વાયરલ થયો છે. જેમાં તે કહેતી સાંભળી શકાય છે કે, “તમે એક હિઝબુલ્લાહ ચીફને માર્યો છે, હવે હર ઘરમાંથી હિઝબુલ્લાહ નીકળશે. હું ઇઝરાયેલને કહું છું. હું તે દરેક માણસને કહી રહી છું, જે પેલેસ્ટાઇનની વિરુદ્ધ છે. હું લેબનોનીયનોને હિંમત આપું છું કે, તેઓ જરા પણ ચિંતા ન કરે, કારણ કે અમે તેની સાથે છીએ. અમે તેનો સાથ ક્યારેય નહીં છોડીએ. ક્યારેય પણ નહીં. તમને ખબર નથી કે, તમે કોને શહીદ કર્યા છે.” આ સાથે જ તે મુસ્લિમ યુવતીએ ફરી તે જ નારો લાગાવ્યો કે, ‘તુમને એક ચીફ કો મારા હૈ, હર ઘર સે હિઝબુલ્લાહ નિકલેગા.’

    આ ઉપરાંત કાશ્મીર સહિત અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થઈ ગયા હતા અને વિશાળ રેલી યોજીને ‘હિઝબુલ્લાહને ખુલ્લુ સમર્થન’ આપ્યું હતું. એ જ હિઝબુલ્લાહને જે વિશ્વભરમાં આતંકી સંગઠન તરીકે ઘોષિત છે. રેલીમાં લોકો નારા લગાવી રહ્યા હતા કે, ‘હિઝબુલ્લાહ કે મુઝાહિદો, હમ તુમ્હારે સાથ હૈ.’ જેનો અર્થ થાય છે ‘હિઝબુલ્લાહના શહીદો, અમે તમારી સાથે છીએ.’ ખાસ વાત તો છે કે, આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને નારા લગાવી રહી હતી કે, ‘તુમ કિતને હુસૈની મારોંગે, હર ઘર સે હુસૈની નિકલેગા.’ તેવી જ ઘટના લખનૌ અને ચેન્નાઈમાં પણ જોવા મળી હતી. ચેન્નાઈમાં આતંકી નસરલ્લાહના સન્માનમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તો લખનૌમાં રેલીઓ યોજીને શોક પાળવામાં આવી રહ્યો છે.

    યહ રિશ્તા કયા કહેલાતા હૈ?

    ભારતથી સેંકડો કિલોમીટર દૂર એક વ્યક્તિનું મોત થાય છે અને તે પણ ઘોષિત આતંકવાદીનું. તેના સમર્થનમાં ભારતમાં કેટલાક કટ્ટરપંથીઓ રેલી યોજે તે ખરેખર ગંભીર બાબત ગણાય. જે દેશ કે સંગઠન સાથે ભારતને કોઈપણ પ્રકારનો સંબંધ નથી, તેના માટે દેશમાં રોદણાં રડવા એક મૂર્ખામી અને કટ્ટરતાની જીવતી નિશાની છે. જે આતંકી સંગઠન સાથે દેશને દૂર-દૂર સુધી કોઈ લેવાદેવા નથી, તેના માટે ભારતને અસ્થિર કરવામાં આવી રહ્યું છે. આતંકવાદી અને આતંકી સંગઠનને ખુલ્લુ સમર્થન આપવામાં આવી રહ્યું છે અને તેમને શહીદ ગણાવવામાં આવી રહ્યા છે. આ તમામ કટ્ટરપંથી માનસિકતાના લોકો માત્ર અને માત્ર ‘મઝહબ’ના સંબંધને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. પરંતુ, તે આતંકીઓના કારસ્તાનથી અનેક ઘર બેઘર થયા હશે તેનો વિચાર સુદ્ધાં કરતાં નથી.

    અહીં હકીકત એ છે કે અમેરિકા, યુરોપિયન યુનિયન, ઈઝરાયેલ સહિત કુલ 60થી પણ વધુ દેશો હિઝબુલ્લાહ સંગઠનને આતંકવાદી સંગઠન ઘોષિત કરી ચૂક્યા છે. માત્ર પોતાના પંથ કે મઝહબનો હોવાના કારણે તેની આતંકી ગતિવિધિઓ અને કરતૂતો પર આંખ આડા કાન કરી શકાય નહીં. ઘોષિત આતંકીના સમર્થનમાં રેલી કાઢવી ખૂબ જ નીંદનીય અને ચિંતાજનક ઘટના ગણી શકાય. અંતે તે તમામ કટ્ટરપંથીઓને માત્ર એક સવાલ જ કરવા જેવો છે કે, આખરે.. યહ રિશ્તા કયા કહેલાતા હૈ?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં