Friday, October 18, 2024
More
    હોમપેજદેશકન્હૈયાલાલનો પરિવાર જોઈ રહ્યો છે ન્યાયની રાહ, નુપુર શર્મા પણ છે ખતરામાં;...

    કન્હૈયાલાલનો પરિવાર જોઈ રહ્યો છે ન્યાયની રાહ, નુપુર શર્મા પણ છે ખતરામાં; પરંતુ ‘સર તન સે જુદા’ના નારા લગાવનારાઓ જાહેર થયા નિર્દોષ!: શું સિસ્ટમનો આ ‘ન્યાય’ તમને ખૂંચતો નથી?

    બીજી બાજુ કન્હૈયાલાલનો પરિવાર હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યો છે. તેમનો દીકરો 2 વર્ષથી ખુલ્લા પગે ફરી રહ્યો છે અને તેમની અસ્થિઓ પણ વિસર્જિત થયા વિના પડી રહી છે.

    - Advertisement -

    રાજસ્થાનમાં જૂન મહિનામાં ભયંકર ગરમી પડી રહી હતી. આ દરમિયાન નુપુર શર્મા દ્વારા ઈસ્લામના પયગંબર મોહમ્મદ પર આપવામાં આવેલા નિવેદનને મુદ્દો બનાવીને દેશને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. દિવસ હતો 17મી જૂન 2022. નુપુર શર્માના નિવેદનના વિરોધમાં અજમેરમાં મૌન સરઘસ કાઢવામાં આવ્યું હતું. લગભગ 3000 લોકોનું જુલૂસ અજમેર શરીફ દરગાહ પાસે પહોંચ્યું ત્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા હતા.

    રિક્ષાઓ પર લગાવેલા લાઉડ સ્પીકર દ્વારા ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવી રહ્યા હતા. ઈસ્લામ અને પયગંબરની ટીકા કરવા બદલ મૃત્યુદંડની સજા કરવાની વાતો કરવામાં આવી રહી હતી. આ દરમિયાન લાઉડ સ્પીકર પરથી ‘સર તન સે જુદા’ના નારા લાગી રહ્યા હતા. એ સાંભળીને ભીડ પણ ઉન્માદમાં આવીને ‘સર તન સે જુદા’ના નારા લગાવવા લાગી. સમગ્ર શોભાયાત્રાનું નેતૃત્વ અજમેર દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તી કરી રહ્યા હતા.

    ચિશ્તીએ મૌન સરઘસના નામે પરવાનગી લીધી હતી. વહીવટીતંત્રએ તેને અગાઉથી જ ચેતવણી આપી હતી કે સરઘસમાં કોઈ ભડકાઉ નિવેદનો કે સૂત્રોચ્ચાર ન થવા જોઈએ. જોકે, ગૌહર ચિશ્તીએ આ ચેતવણીને ગણકારી ન હતી. ચિશ્તી દ્વારા શોભાયાત્રામાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. રાજસ્થાન પોલીસ કોન્સ્ટેબલ જયનારાયણ જાટે પણ પોતાના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

    - Advertisement -

    આ અંગે અજમેર દરગાહની બહાર વાયરલ થયેલા વિડીયોમાં ગૌહરે કહ્યું હતું કે, “હમ અપને હુજૂર કી શાન મેં ગુસ્તાખી કતઈ બરદાસ્ત નહીં કરેંગે. ગુસ્તાખ-એ-રસૂલ કી એક સજા… ‘સર તન સે જુદા’, ‘સર તન સે જુદા’. અપને આકા કી ઇજ્જત કે લિયે હમ સર કટાનેકો તૈયાર હૈ. નુપુરને હમારે આકા કી શાન મેં ગુસ્તાખી કી હૈ, ઈસીલીયે ઉસે જીને કા હક નહીં હૈ. નુપુર શર્મા મુર્દાબાદ.”

    આ મામલે પોલીસે કેસ નોંધીને ગૌહર ચિશ્તી સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, સ્થાનિક કોર્ટે મંગળવારે (16 જુલાઈ 2024) આ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ દરમિયાન હાલમાં અન્ય એક આરોપી ફરાર છે. તેને જામીન પર છોડવામાં આવ્યો હતો, પરંતુ તે ફરાર થઈ ગયો હતો. આ આરોપી અંગે કોર્ટે હજુ સુધી કોઈ નિર્ણય આપ્યો નથી.

    દેશના જુદા જુદા ભાગોમાં આવી નાની રેલીઓ અને સરઘસો નીકળી રહ્યાં હતા અને દેશનું વાતાવરણ ખરાબ કરવાના પ્રયાસો ચાલુ જ હતા. સમય પસાર થઈ ગયો પરંતુ તેની અસરો હજી સુધી દેખાઈ રહી હતી. 28 જૂન 2022ના દિવસે ઉદયપુરમાં કન્હૈયાલાલ નામના દરજીની જાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી.

    ઘટના આરોપી મોહમ્મદ રિયાઝ અંસારી અને મોહમ્મદ ગૌસે કન્હૈયાલાલનું ગળું કાપતો વિડીયો પણ બનાવ્યો હતો. કન્હૈયાલાલની એક જ ભૂલ હતી કે તેમણે પોતાના વોટ્સએપ સ્ટેટસ પર નુપુર શર્માને સપોર્ટ કરતી એક પોસ્ટ કરી હતી. જો કે આ પોસ્ટ કન્હૈયા લાલના પુત્ર દ્વારા કરવામાં આવી હતી. આમ છતાં રિયાઝ અને ગૌસે કન્હૈયાલાલનું ગળું કાપીને તેમની હત્યા કરી નાખી.

    કન્હૈયાલાલની હત્યા ગૌહર ચિશ્તી સાથે જોડાયેલી હતી તેવી લિંક પણ બહાર આવી હતી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કન્હૈયાલાલની હત્યા બાદ રિયાઝ અને ગૌસ ભાગી ગયા હતા અને ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તીને મળવા અજમેર જઈ રહ્યા હતા. જોકે, રસ્તામાં શક્તિસિંહ અને પ્રહલાદસિંહ નામના બે યુવકોએ દૂર સુધી પીછો કરીને આ બંને આરોપીઓને પકડી લીધા હતા અને પોલીસના હવાલે કર્યા હતા.

    રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગૌહર ચિશ્તી 17 જૂન 2022ના રોજ ઉદયપુર ભાગી ગયો હતો. ત્યાં પણ તેણે ‘સર કલમ’ કરવાના નારા લગાવ્યા હતા. મોહમ્મદ રિયાઝ સાથે ચિશ્તીની મુલાકાત થઈ હોવાનું પણ બહાર આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે ગૌહર ચિશ્તીએ જ રિયાઝ અને ગૌસને કન્હૈયાલાલની હત્યાનો વિડીયો બનાવવા માટે કહ્યું હતું. પરંતુ રસ્તામાં જ બંનેને પકડી લેવામાં આવ્યા હતાં.

    ગૌહર ચિશ્તીના આ ગુનાના બે વર્ષ બાદ કોર્ટે તેને તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધો છે. એટલું જ નહીં ગૌહર ચિશ્તીની સાથે ગુનામાં સામેલ અન્ય પાંચ આરોપીઓને પણ છોડી મુકવામાં આવ્યા. આ કેસમાં કોર્ટનો સંપૂર્ણ નિર્ણય હજુ સામે આવ્યો નથી, પરંતુ બંને પક્ષના વકીલોની વાત પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે મામલો અપૂરતાં પુરાવાઓનો છે.

    આરોપીઓ વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ અજય વર્માએ કહ્યું કે ભડકાઉ સૂત્રોચ્ચાર સાથે સામે આવેલા તમામ વિડીયોની ચકાસણી થઈ શકી નથી. પોલીસે સ્થળનો નકશો ન બનાવી શકી. સ્થળ પર હાજર પોલીસકર્મીઓ પણ તેમની હાજરીના દસ્તાવેજો રજૂ કરી ન શક્યા. વકીલે કહ્યું કે કોર્ટને આ સંદર્ભમાં પૂરતા પુરાવા ન મળવાના કારણે તમામ આરોપીઓને નિર્દોષ છોડી દીધા છે.

    આ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે પોલીસ આ કેસમાં યોગ્ય રીતે કાર્યવાહી કરી શકી નથી. જે વિડીયો વાયરલ થયો છે તેની ચકાસણી ન કરી શકવી એ પણ મોટી નિષ્ફળતા છે. આ કેસમાં રિપોર્ટ નોંધાવનાર પોલીસકર્મી જયનારાયણ જાટે જણાવ્યું હતું કે તે ઘટનાના દિવસે નિઝામ ગેટ પર ફરજ પર હાજર હતો. પરંતુ જાટ અને અન્ય પોલીસકર્મીઓ મુદ્દો યોગ્ય રીતે રજૂ કરી શક્યા ન હતા.

    આ કેસમાં બે વર્ષ પૂર્ણ થતાની સાથે જ આ આરોપીઓના કેસનો નિર્ણય કરવામાં આવ્યો અને તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. જો કે, રાજ્ય સરકાર આગળ જતાં આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારે તો તે અલગ બાબત છે. કન્હૈયાલાલના પરિવારના સભ્યો હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. કન્હૈયાલાલના પુત્રએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી તેના પિતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે ચંપલ વિના ખુલ્લાં પગે ફરશે.

    આટલું જ નહીં, મૃતક કન્હૈયાલાલની હત્યાના બે વર્ષ પછી પણ તેમની અસ્થિઓ વિસર્જિત થવાની રાહ જોઈ રહી છે. જો તેમના હત્યારાઓને સજા કરવામાં આવે તો તેમનો પરિવારે તેમની અસ્થિઓ પવિત્ર નદીઓના પાણીમાં વિસર્જિત કરશે. જો કે, નજીકના ભવિષ્યમાં તેમને ન્યાય મળવાની સંભાવનાઓ ખૂબ ઓછી છે. બીજી તરફ મામલો સામે આવ્યા બાદ અજમેર દરગાહ પર લોકોની અવરજવર ઓછી થઈ ગઈ હતી પરંતુ ત્યાં ફરીથી બધું સામાન્ય થવા લાગ્યું છે.

    જે ગલીમાં કન્હૈયાલાલની દુકાન હતી અને જ્યાં તેમનું ઘર છે ત્યાં આજે પણ ગભરાટનો માહોલ છે. કન્હૈયાલાલની હત્યા થઈ ત્યારે ત્યાં મૌન છવાયેલું હતું. આજે પણ એ શેરીમાંથી પસાર થવાની હિંમત કોઈ કરી શકતું નથી. ત્યાંની સ્થિતિ આજે પણ સામાન્ય થઈ શકી નથી. જો કન્હૈયાલાલના હત્યારાઓને સજા કરવામાં આવે અને તેમની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે તો પણ દાયકાઓ સુધી એ શેરીમાં ભય યથાવત રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં