Tuesday, April 23, 2024
More
    હોમપેજમંતવ્યશું 2024 પહેલાં દેશનો મિજાજ બદલી નાખશે રાજકારણના ‘પપ્પુ’ અને ‘પલટુ’?

    શું 2024 પહેલાં દેશનો મિજાજ બદલી નાખશે રાજકારણના ‘પપ્પુ’ અને ‘પલટુ’?

    2024ની ચૂંટણી અગાઉ વિપક્ષી એકતા એકઠી કરવાનો દેખાવ એવા ઘૂઘરા જેવો દેખાય છે જે વાગે તો છે પણ તેનો કર્કશ ધ્વનિ સામાન્ય પ્રજાને તેનાથી દૂર કરી દેતો હોય છે.

    - Advertisement -

    આ બંનેમાંથી એક વ્યક્તિ એવી છે જેણે પોતાના રાજનૈતિક જીવનમાં એટલી બધી વખત સંબંધો તોડ્યાં અને જોડ્યાં છે કે તેમના વિરોધીઓ તેમને ‘પલટુ’ કહીને બોલાવતા હોય છે. તો બીજી એવી વ્યક્તિ છે કે જેમની રાજકારણમાં છબી જ એવી છે કે સ્વરા ભાસ્કર જેવી કથિત અભિનેત્રી એમને સર્ટીફીકેટ આપતાં જણાવતી હોય છે કે “હું એમને મળી છું. એ પપ્પુ નથી.” આ બે નેતાઓ એટલેકે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે (5 સપ્ટેમ્બર 2022) નવી દિલ્હીમાં એકબીજાને મળ્યા હતા.

    લગભગ 50 મિનીટ સુધી આ બંને વચ્ચે વાતચીત થઇ. મિડીયામાં જે વાતો આ મુલાકાત બાદ સામે આવી તે અગાઉથી જ આલાપવામાં આવેલા વિપક્ષી એકતાનો એ રાગ હતો જે 2024 અગાઉ થઇ જવી જોઈએ એવું કાયમ સાંભળવામાં આવતું હોય છે. થોડા જ સમય અગાઉ બિહારમાં લાલુ પ્રસાદ યાદવ સાથે હાથ મેળવનારા નીતીશ કુમાર આ અગાઉ તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરને પણ મળી ચુક્યા છે. કર્ણાટકવાળા કુમારસ્વામી સાથે પણ તેમની મુલાકાત થઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ તેઓ મળ્યા છે. આવનારા સમયમાં તેઓ એવા ક્ષેત્રીય સેનાપતિઓને મળવાના છે જેમનો શ્વાસ નરેન્દ્ર મોદી અને ભાજપ ક્યારે પડશે તેની રાહ જોવામાં સતત અદ્ધર રહેતાં હવે લગભગ ત્યાંજ અટકી ગયો છે.

    ચર્ચા એ પણ થઇ રહી છે કે ચૂંટણીઓ અગાઉ કેટલાક એવા પક્ષોનું વિલીનીકરણ થઇ જશે જે જનતા પાર્ટી પરિવારના તુટવાથી અલગ અલગ થઇ ગયા છે. આમ કરવા પાછળ તર્ક તો એવો આપવામાં આવી રહ્યો છે કે આમાંથી ઘણાં બધા પક્ષોમાં હવે બીજી પેઢીનું નેતૃત્વ આવી ગયું છે જે પોતપોતાના રાજ્યોમાં જમીન તપાસી રહ્યા છે. તેમના વચ્ચે રાષ્ટ્રીય રાજકારણની મહત્વાકાંક્ષાની ટક્કર નથી જે તેમની અગાઉની પેઢીમાં હતી અને જેને લીધે જનતા પરિવાર વિખેરાઈ ગયો હતો. જો કે કહીં કા ઈંટ, કહીં કા રોડા ભાનુમતી કા કુનબા જોડા પ્રકારનું રાજકારણ અગાઉ પણ ભારતમાં ઘણી વખત જોવાઈ ચૂક્યું છે. આ પ્રકારના પ્રયાસોને તાર્કિક બનાવવા મત સમાજવાદીઓ પાસે રામ મનોહર લોહિયાનું એક સૂત્ર વાક્ય પણ છે જે એમ કહે છે, “જોડાઓ, લડો અને તૂટી જાવ…”

    - Advertisement -

    એક તરફ કથિત સમાજવાદીઓ 2024 અગાઉ વિપક્ષી એકતાનો ઘૂઘરો વગાડી રહ્યા છે તો બીજી તરફ રાહુલ ગાંધી આજથી એટલેકે 7 સપ્ટેમ્બર 2022થી એક યાત્રા શરુ કરવાના છે. આ યાત્રાનું નામ રાખવામાં આવ્યું છે – ભારત જોડો યાત્રા. રસપ્રદ બાબત એવી છે કે આ યાત્રાની તુલના પણ એક સમાજવાદી અને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની યાત્રા સાથે કરવામાં આવી રહી છે. પરંતુ નામમાં ‘ભારત’ હોવા સિવાય ન તો આ યાત્રાઓમાં કોઈ સમાનતા છે કે ન તો તેની આગેવાની કરનારા નેતાઓના રાજનૈતિક સ્વભાવમાં.

    ભારત જોડો યાત્રા

    આજે સવારે કન્યાકુમારીથી આ યાત્રા શરુ થઇ રહી છે. 150 દિવસ સુધી ચાલનારી આ યાત્રા ભારતના 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. લગભગ 3500 કિમી લાંબી આ યાત્રા જમ્મુ અને કાશ્મીરમાં સમાપ્ત થશે. આ યાત્રાના ત્રણ ઉદ્દેશ કહેવામાં આવ્યા છે. એક તો મોદી સરકારના રાજમાં વધેલી આર્થિક અસમાનતા વિરુદ્ધ લડાઈ. બીજો, સમાજમાં વધી રહેલા ભેદભાવ અને અપરાધ વિરુદ્ધ લડાઈ. ત્રીજો, કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ વિરુદ્ધ લડાઈ

    .

    ભારત જોડવાની જરૂર કેમ પડી?

    કોંગ્રેસ માટે પોતાના રાજનૈતિક ફાયદા માટે ભારતને બદનામ કરવું એ કોઈ નવી બાબત નથી. પછી તે ચીનના સત્તાધારી પક્ષ સાથે સમજૂતી કરવાની હોય કે પછી તેમના દૂતો સાથે ચોરીછુપે મળવું, કે પછી પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદ સામે લડતી આપણી જ સેનાના શૌર્ય માટેના પુરાવા માંગવા. કોંગ્રેસ પોતાની ચાલ અને ચરિત્ર દ્વારા સતત આ બાબતનું પ્રદર્શન કરતી રહી છે. ફરીથી પોતાની રાજનૈતિક યાત્રાને ‘ભારત જોડો’ નામ આપીને તેણે આ જ માનસિકતાનું પ્રદર્શન કર્યું છે.

    કોરોના જેવી વૈશ્વિક મહામારી હોવા છતાં આપણે દુનિયાની પાંચમી સહુથી વિશાળ અર્થવ્યવસ્થા બની ચુક્યા છીએ. નક્સલી હિંસા ઓછી થઇ છે. આતંકવાદીઓ સતત માર્યા જાય છે. 26/11 બાદ એક પણ મોટો આતંકવાદી હુમલો દેશ પર થયો નથી. રક્ષા ક્ષેત્ર પણ આત્મનિર્ભર થઇ રહ્યું છે. રસોઈ ગેસ હોય કે શૌચાલય, આવાસ હોય કે સ્વચ્છ પાણી… આ બધું ગ્રામીણ ક્ષેત્રો સુધી પહોંચી રહ્યું છે. આ બધું જ સામાન્ય વ્યક્તિની પહોંચમાં આવી ગયું છે. એવામાં ભારત ક્યાંથી તૂટી રહ્યું છે કે તેને જોડવાની વાત કરવામાં આવે? કે પછી  સમેટાઈ રહેલા રાજનૈતિક જનાધારથી પરેશાન કોંગ્રેસ આ યાત્રા દ્વારા એ તાકાતોને બળ આપવા માંગે છે જેના લીધે દેશમાં આંતરિક સુરક્ષા માટે પડકાર ઉભા થાય? આંતરિક પરિસ્થતિ ખરાબ કરવાની ઈચ્છાથી પ્રાયોજિત કરવામાં આવેલા સીએએ વિરોધી હિંસા હોય કે પછી દિલ્હી બોર્ડર પર કહેવાતા ખેડૂતોનો મેળો, આ તમામ પાછળ કોંગ્રેસી નેતાઓની સંડોવણી સાર્વજનિક છે. તો શું 2024 અગાઉ કોંગ્રેસ આ યાત્રા દ્વારા એવી પરિસ્થિતિ ઉભી કરવા માંગે છે જેનાથી દેશની અંદર જ સરકારે અનેક મોરચે લડવાનું આવે? આમ પણ રાજનૈતિક ફાયદા માટે ઇસ્લામી કટ્ટરપંથીઓનું તુષ્ટિકરણ આ પક્ષનો ઈતિહાસ રહ્યો છે.

    શું ચંદ્રશેખરની યાત્રા સાથે તુલના ઉચિત છે?

    ચંદ્રશેખરે સ્વતંત્ર ભારતની સમસ્યાઓને જાણવા માટે પદયાત્રા કરી હતી. તેમણે 6 જાન્યુઆરી 1983ના દિવસે કન્યાકુમારીના વિવેકાનંદ સ્મારકથી ભારત યાત્રા શરુ કરી હતી. લગભગ 4200 કિલોમીટરની આ યાત્રા 25 જુન 1984ના દિવસે દિલ્હીના રાજઘાટ ખાતે પૂર્ણ થઇ હતી.

    આ યાત્રા દરમ્યાન તેઓ અનેક જગ્યાઓ પર રોકાયા હતા અને તેમાંથી કેટલીક જગ્યાઓને ભારત યાત્રા કેન્દ્રના નામથી વૈચારિક કેન્દ્રો પણ બનાવ્યા હતા. એમાંથી એક એવું ભારત યાત્રા કેન્દ્ર ભૌંડસી ખાતે 600 એકરમાં ફેલાયેલું છે. ત્યારબાદના વર્ષોમાં આ આશ્રમ વિપક્ષી રાજનૈતિક હલચલનું કેન્દ્ર બની રહ્યું હતું, આ દરમ્યાન આ આશ્રમ બધાને યાદ રહ્યો પરંતુ યાત્રા તમામના મનમાંથી નીકળી ગઈ.

    તેમ છતાં જોવા જઈએ તો એ યાત્રામાં કોઈ રાજકારણ ન હતું. ફક્ત પાંચ પાયાના વિચારો હતા.

    • તમામને પીવાનું પાણી
    • કુપોષણથી મુક્તિ
    • દરેક બાળકને શિક્ષણ
    • સ્વાસ્થ્યનો અધિકાર
    • સામાજીક સમરસતા

    આ બધાંથી ફાયદો શું થશે?

    હાલમાં આપણા દેશમાં કટોકટી જેવી કોઈજ અસામાન્ય પરિસ્થિતિ નથી કે વિપક્ષી દળો પોતપોતાના હિતોનો ત્યાગ કરીને એક જ છત્ર નીચે આવી જાય. નીતીશ કુમાર જે કરવાના પ્રયાસો કરી રહ્યા છે તેવા જ પ્રયાસો હજી થોડા જ મહિનાઓ અગાઉ મમતા બેનરજી કરી રહ્યાં હતા. 2019 અગાઉ આ જ પ્રકારની હવા ચન્દ્રાબાબુ નાયડુએ ઉભી કરી હતી. પરિણામ આપણા સમક્ષ છે.

    રાજનૈતિક યાત્રાઓ દ્વારા સત્તા પામવાના અનેક ઉદાહરણો ઈતિહાસમાંથી મળી જશે. પરંતુ આ તમામ યાત્રાઓ પાછળ કેટલાક સર્વસામાન્ય કારણો હતાં. જેમકે સત્તાથી સામાન્ય લોકો નારાજ હતા. યાત્રાની આગેવાની કરનારા પોતાના રાજનૈતિક સ્વભાવથી જાણીતા હતા કે પછી તેમની સાથે લોકોની સહાનુભુતિ હતી, જેમકે જગનમોહનના મામલામાં જોવા મળ્યું હતું. હાલના તમામ સરવે એમ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં તસુભારનો પણ ફરક આવ્યો નથી. ભારતની સામાન્ય જનતાની આશાઓના નાયક હજી પણ તેઓ જ છે. રાહુલ ગાંધી બીજી તરફ, આજે પણ દેશની જનતાની નજરમાં એક ગંભીર રાજનૈતિક નાયકની છબી નથી ધરાવતા.

    આવામાં ભલે નીતીશ કુમારનો પ્રયાસ હોય કે પછી રાહુલ ગાંધીની યાત્રા, આ એક એવા ઘૂઘરા જેવું લાગે છે જે ભારત જેવા લોકતાંત્રિક દેશમાં ચૂંટણીઓ અગાઉ અવાજ તો બહુ કરે છે પરંતુ તેનો ધ્વનિ કર્કશ હોવાથી તે લોકોને આકર્ષિત નથી કરી શકતો.

    મૂળ આર્ટીકલ ઑપઇન્ડિયાના એડિટર અજીત ઝા દ્વારા લખવામાં આવ્યો છે જેને આપ અહીં ક્લિક કરીને વાંચી શકો છો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં